'મારી માતા 50 વર્ષની છે... તો તેને બીજું બાળક પેદા કરવામાં શરમ શેની આવે?'
કે. સુબાગુણમ
બીબીસી સંવાદદાતા
“મમ્મી અને પપ્પા એક દિવસ મને ફોન કરીને રડ્યા. તેમણે કહ્યું કે અમે છેલ્લા ઘણા મહિનાઓથી એક રહસ્ય છુપાવી રહ્યાં છીએ. મને પહેલાં તો આઘાત લાગ્યો પણ હકીકત જાણ્યા પછી ખુશી થઈ."
કેરળનાં મોહિનીટ્ટા કલાકાર આર્યા પાર્વતીએ મલયાલમ મિશ્રિત તમિળમાં આનંદભર્યા અવાજમાં કહ્યું.
આર્યા પાર્વતી છેલ્લાં 23 વર્ષથી તેમનાં માતા-પિતાનાં લાડકાં સંતાન હતાં. પણ હવે તેઓ મોટાં બહેન બનવાનાં છે. તેમનાં માતા 48 વર્ષની ઉંમરે તેમના બીજા બાળકને જન્મ આપવાનાં છે.

ઇમેજ સ્રોત, ARYA PARVATHY
તેમણે એક પોસ્ટમાં લખ્યું, “23 વર્ષ પછી મારા પરિવારમાં એક ભાઈ કે બહેન જોડાવાનાં છે. આ સમાચારથી જે આનંદ થયો તે માપી શકાય તેમ નથી.”
“હું મોટી બહેન અને માતા તરીકેની જવાબદારીઓ નિભાવવા અને પ્રેમ અને ટેકો આપવા માટે આતુરતાપૂર્વક તૈયાર છું.”

'અમને શરમ શેની આવે?'

ઇમેજ સ્રોત, ARYA PARVATHY
આર્યાની પોસ્ટ વાઇરલ થયા બાદ 24 વર્ષ પછી માતા બનેલાં તેમનાં માતા અને આર્યા કેરળના મીડિયામાં ઘણા ચર્ચામાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કેટલાક લોકોએ તેમના પરિવારમાં નવા બાળકના આગમન પર અભિનંદન પાઠવ્યાં, તો કેટલાકે લગ્નનાં લગભગ પચીસ વર્ષ પછી તેમનાં માતાની ગર્ભાવસ્થાની ટીકા કરી છે.
આર્યા કહે છે, “એમાં આપણે શા માટે શરમાવું જોઈએ? ભલે કોઈ ગમ તે કહે, અમે આ પ્રેમની ભેટને હાથ ફેલાવીને આવકારીએ છીએ.”
આ વિશે વાત કરતાં આર્યનાં માતાએ કહ્યું, "હું પ્રેગ્નન્ટ છું એની મને જાણ નહોતી અને હું ઘણી મુસાફરી કરતી હતી. મારી દીકરીએ એક ઍવૉર્ડ મેળવ્યો હતો. હું તેને જોવા માટે ચેન્નાઈ ગઈ હતી.”
“પછી હું ગુરુવાયુર મંદિર ગઈ. પરંતુ શરૂઆતમાં મને કોઈ લક્ષણો ન હોવાથી મને કોઈ ખ્યાલ નહોતો.”
આર્યાએ મલયાલમમાં કેટલીક સિરિયલોમાં પણ અભિનય કર્યો છે, તેઓ હાલમાં બૅંગ્લુરુની યુનિવર્સિટી ઑફ પર્ફૉર્મિંગ આર્ટ્સમાં અભ્યાસ કરી રહ્યાં છે. આર્યાને તેમના વતન ગયાને પાંચ મહિના જેટલો સમય થઈ ગયો હતો, કારણ કે તેઓ તેમના મોહિનીઅટ્ટા પર્ફૉર્મન્સ માટે ઘણી જગ્યાએ ફરતા રહેતાં હતાં.
આર્યા તેમનાં માતાપિતાને મળવા માટે લાંબી રજાની રાહ જોઈ રહ્યાં હતાં. દરમિયાન તેમને એ હકીકતની જાણ કહેવા માટે ફોન આવ્યો. ફોનમાં તેમને કહેવામાં આવ્યું, “આર્યા, અમે છેલ્લા કેટલાક મહિનાઓથી તારાથી એક સત્ય છુપાવી રહ્યાં છીએ. વાત સાંભળીને તું અમારા વિશે ગેરસમજ ન બાંધીશ.”
આ સાંભળીને ચોંકી ઊઠેલાં આર્યાને પિતા શંકરે કહ્યું કે તેમનાં માતા દીપ્તિને 8 મહિનાનો ગર્ભ છે. “આ સમાચાર સાંભળીને હું ચોંકી ગઈ. મને સુખદ આશ્ચર્ય થયું.”
આર્યા કહે છે, “જ્યારે હું નાની હતી ત્યારે મને કોઈ ભાઈ-બહેન ન હોવાનો અફસોસ હતો. હું વિચારતી કે જો મારી કોઈ બહેન હોય તો કેટલું સારું. આટલાં વર્ષો પછી તે સાકાર થવાની મને ક્યારેય અપેક્ષા નહોતી. એટલે મને ઘણો આનંદ થયો.”
'મમ્મી, તું આમાં નારાજ થવા જેવું શું છે? હું બહુ ખુશ છું. હું અત્યારે જ આવવા નીકળું છું,” આટલું કહીને આર્યા તેમનાં માતા-પિતાને મળવા એર્નાકુલમ જવા રવાનાં થયાં.

માતાનો માનસિક સંઘર્ષ

ઇમેજ સ્રોત, ARYA PARVATHY
આર્યા તેમનાં ઘરે ગયાં અને તેની બહેન સાથે 8 મહિનાની ગર્ભવતી માતાને ગળે લગાડીને અને ચુંબન કરીને પોતાની ખુશી વ્યક્ત કરી. તેની સોશિયલ મીડિયા પોસ્ટ ટ્રેન્ડ થઈ.
આર્યાનાં માતા દીપ્તિ કહે છે કે, તેને પાંચ મહિના સુધી ગર્ભાવસ્થા વિશે ખબર નહોતી. આર્યાએ જણાવ્યું હતું કે તેની માતાએ તેને અગાઉ કહ્યું હતું કે તેણીને વારંવાર પેટમાં દુખાવો થતો હતો અને તેમને આટલા મહિનાઓથી પેટમાં દુખાવો નથી થતો અને માસિક બંધ થઈ ગયું હતું.
દીપ્તિ કહે છે, “એક વાર હું અને મારા પતિ ગુરુવાયુર મંદિર ગયા હતા. પછી તબિયત સારી ન હોવાથી હું ડૉક્ટર પાસે ગઈ. ત્યારે અમને ખબર પડી કે હું 24 અઠવાડિયાની ગર્ભવતી હતી. તેના થોડા મહિના પહેલાં અમને આવી શંકા હતી, પરંતુ અમે તે વિચારને અસંભવિત ગણાવીને ફગાવી દીધો હતો.”
દીપ્તિ કહે છે, “મારી દીકરી મારા વિશે શું વિચારશે તેની મને ખૂબ ચિંતા હતી. પરંતુ આર્યાએ તેને હકારાત્મક અને ખુશી સાથે સ્વીકારી. તેનાથી મને ઘણી રાહત મળી.”
“મારી પ્રથમ ડિલિવરી ખૂબ જ જટિલ હતી. તે પછી મારે 10 મહિના સુધી પથારીવશ રહેવું પડ્યું. તેથી, અમે બીજું બાળક ન કરવાનો નિર્ણય લીધો હતો.”
જોકે, આ ઉંમરે બીજા બાળક સાથે ગર્ભવતી હોવાને કારણે, ઉંમર અને સામાજિક સમસ્યાઓના કારણે, ડૉક્ટરોએ તેમને જાહેર ન કરવાનું કહ્યું હતું.

ઇમેજ સ્રોત, ARYA PARVATHY
દીપ્તિ માનસિક કટોકટીનો સામનો કરી રહ્યા હતા અને તેમણે કહ્યું, "અમે કામ કરવા માટે નોકર રાખવા માગતા હતા, તે પણ અમે ટાળ્યું, કારણ કે એમ કરતા નોકરને ખબર પડી શકે."
તેઓ ઉમેરે છે કે આર્યાએ જે રીતે હકીકતને સ્વીકારી તેના આધારે તેમનો પરિપ્રેક્ષ્ય પણ બદલાઈ ગયો.
"આર્યા મારી દુનિયા છે. તેની સંભાળ રાખવા મેં મારી નોકરી છોડી દીધી. મારી દુનિયા આર્યાની આસપાસ જ હતી. પછી વાત કપડાં ખરીદવાની હોય તો પણ જ્યારે તે બૅંગ્લુરુથી કેરળ આવે છે ત્યારે તે મારી સાથે ખરીદી કરવા જાય છે.”
"તે મારા પર ઘણી નિર્ભર હતી. તેથી, આ સમાચારને તે કેવી રીતે લેશે તેને લઈને મને ડર હતો. એક કરતાં વધુ બાબતોને લઈને અમારા પર ઘણો તણાવ હતો. પતિ કામ પર જાય અને હું એકલી પડતી ત્યારે દબાણ વધી જતું હતું. અમે આખરે આર્યાને જાણ કરવાનું નક્કી કર્યું ત્યારે અમારી વચ્ચે ભારે માનસિક સંઘર્ષ હતો."
દીપ્તિએ કહ્યું, “પરંતુ આર્યાએ તેને ખૂબ જ સહજતાથી અને હકારાત્મક રીતે લીધું અને એ સાથે જ મારા મગજ પરથી એક મોટું ભારણ હટી ગયું હોય તેવું લાગતું હતું.”
દીપ્તિએ એક બાળકીને જન્મ આપ્યો છે અને આર્યા તેની નાની બહેનના જન્મની ઉજવણીમાં વ્યસ્ત છે ત્યારે પણ કેટલાક લોકો ટીકાઓ કરી રહ્યા છે.
આર્યા કહે છે, “આ તો ચમત્કાર છે. આ ઉંમરે પિતા અને માતાએ આ શું કર્યું તેને લઈને વિવિધ વાતો કરવામાં આવી રહી હતી તેનાથી અમે સહેજ પણ પરેશાન નહોતાં.”
“મારી માતા ગર્ભવતી છે. આ તેણીનું જીવન છે. ઉપરાંત, આટલાં વર્ષો પછી મને એક નાની બહેન મળી છે. કોઈ શું કહે છે તેની અમને પરવા નથી, અમે તો ખુશીની ઉજવણી કરી રહ્યાં છીએ.”














