You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IPL 2025 : 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ફટકારી સિઝનની સૌથી ઝડપી સદી, ઇતિહાસ રચ્યા બાદ માતાપિતા વિશે શું કહ્યું
ગુજરાત ટાઇટન્સ સામે રાજસ્થાન રૉયલ્સના વૈભવ સૂર્યવંશીએ માત્ર 35 બૉલમાં પોતાની સદી ફટકારીને ઇતિહાસ રચ્યો છે.
આઈપીએલ ઇતિહાસમાં ક્રિસ ગેલ બાદ વૈભવ સૂર્યવંશી બીજા બૅટ્સમૅન છે જેમણે સૌથી ઝડપી સદી ફટકારી છે. આ સાથે તેઓ આઈપીએલના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનારા પહેલા ભારતીય બની ગયા છે. ઉપરાંત ટી-20ના ઇતિહાસમાં સદી ફટકારનારા સૌથી યુવા ક્રિકેટર બન્યા છે.
આઈપીએલની આ મૅચ ઘણાં વર્ષો સુધી યાદ રાખવામાં આવશે. સૂર્યવંશીએ તેની ઇનિંગમાં 7 ચોક્કા અને 11 છક્કા ફટકાર્યા.
તેમણે આઈપીએલ રમનારા સૌથી ઓછી ઉંમરના ખેલાડી તરીકે પહેલી અર્ધસદી પણ ફટકારી. 14 વર્ષના આ બૅટ્સમૅને ગુજરાત ટાઇટન્સની સામે માત્ર 17 બૉલમાં 50 રન પૂર્ણ કર્યા. 50 રન બનાવવા માટે તેમણે 6 છક્કા ફટકાર્યા. રાજસ્થાનની પારીની પાંચમી ઓવરમાં તો તેની અર્ધસદી થઈ ગઈ હતી.
14 વર્ષ અને 32 દિવસના આ વૈભવનો આઈપીએલમાં આ ત્રીજો મુકાબલો હતો. ઉલ્લેખનીય છે કે તેમણે તેમની ડૅબ્યૂ મૅચમાં પહેલી બૉલ પર જ શાર્દુલ ઠાકુરને છક્કો ફટકાર્યો હતો.
ગુજરાત ટાઇટન્સ સામેની મૅચમાં તો ઇશાંત શર્માની એક જ ઓવરમાં 26 રન ફટકાર્યા એટલું જ નહીં તેમણે કરીમ જન્નતનું ડૅબ્યૂ પણ ખરાબ કરી નાખ્યું. તેમની આઈપીએલ કૅરિયરની પહેલી જ ઓવરમાં વૈભવ સૂર્યવંશીએ 30 રન ફટકાર્યા.
રાજસ્થાન રૉયલ્સે આઈપીએલ 2025ના આ 47મી મૅચમાં ગુજરાત ટાઇટન્સને આઠ વિકેટે હરાવ્યું. જીત માટેનું 210 રનનું લક્ષ્યાંક તેણે વૈભવ સૂર્યવંશીની તોફાની સદીની મદદથી મૅચના 25 બૉલ બાકી હતા ત્યારે જ પૂર્ણ કરી લીધું. જોકે, તે પહેલાં 38 બૉલમાં 101 રન બનાવીને વૈભવ સૂર્યવંશી આઉટ થઈ ગયા હતા. તેમની વિકેટ પ્રસિદ્ધ ક્રિષ્ણાએ લીધી હતી. આઈપીએલ ઇતિહાસમાં તેઓ પ્લેયર ઑફ ધ મૅચ બનનારા સૌથી યુવા ખેલાડી પણ બન્યા હતા.
'વૈભવ સૂર્યવંશીનાં માતાપિતાનું યોગદાન'
રાજસ્થાન રૉયલ્સ તરફથી રમતા વૈભવ સૂર્યવંશીએ ગુજરાત ટાઇટન્સ સામે માત્ર 35 બૉલમાં પોતાની સદી ફટકારીને ઇતિહાસ રચ્યો છે. તેઓ ટી-20ના ઇતિહાસમાં સદી ફટકારનારા સૌથી યુવા ક્રિકેટર બન્યા છે. તેમણે પોતાની સફળતાનો શ્રેય પોતાનાં માતાપિતાને આપ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીસીસીઆઈને આપેલા ઇન્ટરવ્યૂમાં વૈભવ સૂર્યવંશીએ કહ્યું, 'હું મારાં માતાપિતાના કારણે અહીં પહોંચ્યો છું. મારે પ્રૅક્ટિસ માટે જવું છે તો 11 વાગ્યે સૂઈ જતાં મારાં માતા રાત્રે 2 વાગ્યે ઊઠે છે. માત્ર ત્રણ કલાકની ઊંઘ લે છે અને પછી રસોઈ બનાવે છે. પિતાજીએ મારા માટે કામ છોડી દીધું હતું, મારો મોટો ભાઈ પિતાનું કામ સંભાળે છે. મુશ્કેલીથી ઘર ચાલે છે. પાપા મારી પાછળ લાગેલા રહે છે કે તું કરી શકીશ. મને જે સફળતા મળી છે તે મને મારાં માતાપિતાના કારણે મળી છે.'
આઈપીએલ ઇતિહાસમાં ક્રિસ ગેઇલ બાદ વૈભવ સૂર્યવંશી બીજા બૅટ્સમૅન છે જેમણે સૌથી ઝડપી સદી ફટકારી છે. આ સાથે તેઓ આઈપીએલના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનારા પહેલા ભારતીય બની ગયા છે. વૈભવ સૂર્યવંશીએ તેમની ઇનિંગ્સમાં 7 ચોક્કા અને 11 છક્કા ફટકાર્યા.
તેમણે પોતાની આ સફળતા માટે ઘણા દિવસની તૈયારી કરી હોવાની વાત કહી અને જણાવ્યું, 'હું ઘણા દિવસથી તૈયારી કરી રહ્યો હતો આજે પરિણામ મળ્યું તો આગળ સારું કરવાનો પ્રયાસ કરીશ. ટીમની જીતમાં મારે યોગદાન આપવું છે.'
રાજસ્થાન રૉયલ્સની ટીમના કૉચ રાહુલ દ્રવિડ અને ટીમના બીજા સભ્યોના સહકાર વિશે વૈભવ સૂર્યવંશીએ કહ્યું, 'રાહુલ સરની સાથે કામ કરવું, મૅચ રમવી, પ્રૅક્ટિસ કરવી એ એક સામાન્ય ક્રિકેટર માટે સપનાં કરતાં ઓછું નથી. મને સિનિયર ખેલાડીઓ અને કૉચિંગ સ્ટાફનો ખૂબ જ સપોર્ટ મળે છે. તેઓ મારી સાથે પૉઝિટિવ વાત કરે છે. તેઓ મને કૉન્ફિડન્સ આપે છે કે તું કરી શકે છે, તું જિતાડી શકે છે માટે સારું રહે છે.'
પહેલા બૉલ પર સિક્સ મારવા વિશે તેમણે કહ્યું, 'હું આવું પહેલાં પણ કરી ચૂક્યો હતો. એવું પ્રેશર ન હતું કે 10 બૉલ રમો અને પછી મારો. મારું તો નક્કી હતું કે મારા રડારમાં બૉલ આવશે તો હું મારીશ. સ્ટેજ મોટું હતું અને આંતરરાષ્ટ્રીય બૉલર હતા પરંતુ મેં મારી ગૅમ રમવાનો પ્રયાસ કર્યો.'
વૈભવ સૂર્યવંશીએ ભવિષ્યના પ્લાન વિશે કહ્યું, 'મારે ભારત દેશ માટે યોગદાન આપવાનું છે માટે, ત્યાં સુધી હું મહેનત કરતો રહીશ.'
આઈપીએલ ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનારા બૅટ્સમૅન
ક્રિસ ગેલે આઈપીએલમાં સૌથી ઝડપી સદી ફટકારી છે. વેસ્ટઇન્ડિઝના આ ખેલાડીએ 2013માં પુણે વૉરિયર્સ ઇન્ડિયા સામે માત્ર 30 બૉલમાં સદી ફટકારી હતી. આ ઇનિંગમાં તેમણે 66 બૉલમાં 175 રન ફટકાર્યા હતા. જે અત્યારસુધીનો સૌથી વિશાળ વ્યક્તિગત સ્કોર પણ છે. આ ઇનિંગમાં તેમણે 17 છક્કા ફટકાર્યા હતા.
પછી નંબર આવે છે વૈભવ સૂર્યવંશીનો જેમણે 35 બૉલમાં સદી ફટકારી. યુસૂફ પઠાણ ત્રીજા નંબરે છે. તેમણે 37 બૉલમાં સદી ફટકારી હતી. વૈભવે 35 બૉલમાં સદી ફટકારી તે પહેલા આઈપીએલમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ભારતીયનો રેકૉર્ડ યુસૂફ પઠાણના નામે જ હતો. તેમણે 2010માં મુંબઈ ઇન્ડિયન્સ સામે 37 બૉલમાં સદી ફટકારી હતી. પઠાણે તેની આ વિસ્ફોટક ઇનિંગમાં 9 ચોક્કા અને 8 છક્કા લગાવ્યા હતા.
સૌથી ઝડપી અર્ધસદી બનાવનારા બૅટ્સમૅન
ભલે આ સિઝનમાં અત્યારસુધીમાં સૌથી ઝડપી અર્ધસદી વૈભવના નામે હોય પરંતુ આઈપીએલ ઇતિહાસમાં સૌથી ઝડપી અર્ધસદી ફટકારવાનો વિક્રમ યશસ્વી જયસ્વાલના નામે છે. તેમણે માત્ર 13 બૉલમાં આ કારનામો રચ્યો હતો. યશસ્વી ઉપરાંત આ નામાવલીમાં કેએલ રાહુલ, યુસૂફ પઠાણ, સુરેશ રૈના, ઈશાન કિસન અને અભિષેક શર્માએ પણ વૈભવથી ઓછા બૉલમાં ફિફ્ટી બનાવી હતી.
કોણ છે વૈભવ સૂર્યવંશી?
તમામ ભારતીય ક્રિકેટ ચાહકોને 2011માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મહેન્દ્રસિંહ ધોનીની સિક્સર યાદ હશે.
ધોનીએ ભારતીય ટીમને વર્લ્ડકપની ફાઇનલમાં શ્રીલંકા સામે ઐતિહાસિક જીત અપાવી હતી. આ જીતના પાંચ દિવસ પહેલાં 27 માર્ચ, 2011ના રોજ વૈભવ સૂર્યવંશીનો જન્મ થયો હતો.
વૈભવે 12 વર્ષની ઉંમરે બિહારથી ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું.
વૈભવે અંડર-19 ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયા સામે 58 બૉલમાં સદી ફટકારી હતી. યુવા ટેસ્ટમાં ભારત તરફથી રમતા વૈભવે ઓછા બૉલમાં સદી ફટકારી હતી.
વૈભવ અત્યાર સુધીમાં પાંચ રણજી મૅચ રમી ચૂક્યા છે. જોકે, તેણે રણજીમાં હજુ સુધી કોઈ શાનદાર પ્રદર્શન કર્યું નથી.
પાંચ મૅચોમાં તેણે ફક્ત 100 રન બનાવ્યા છે. જેમાં મધ્ય પ્રદેશ સામે બનાવેલા 41 રન સામેલ છે.
તેણે 23 નવેમ્બર, 2024ના રોજ રાજકોટમાં સૈયદ મુશ્તાક અલી સિરીઝમાં પદાર્પણ કર્યું હતું, તેણે રાજસ્થાનના ડાબોડી ઝડપી બૉલર અનિકેત ચેલાત્રીની ઓવરમાં બે છગ્ગા ફટકાર્યા હતા અને છ બૉલમાં 13 રન બનાવીને આઉટ થયા હતા.
વૈભવે ટાઇમ્સ ઑફ ઇન્ડિયાને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે "જ્યારે હું 9 વર્ષનો હતો, ત્યારે હું બિહારના સમસ્તીપુરમાં એક ક્રિકેટ ક્લબમાં જોડાયો હતો અને ત્યાં અઢી વર્ષ સુધી તાલીમ લીધા પછી, મેં વિજય મર્ચન્ટ સિરીઝમાં અંડર-16 ટેસ્ટમૅચમાં ભાગ લેવાનું નક્કી કર્યું હતું."
સમસ્તીપુરના રહેવાસી વૈભવે બિહારમાં રણધીર વર્મા અન્ડર 19 ટુર્નામેન્ટમાં ત્રેવડી સદી ફટકારી હતી. વૈભવ વેસ્ટ ઇન્ડિઝના દમદાર ભૂતપૂર્વ બૅટ્સમૅન બ્રાયન લારાને અનુસરે છે. ભારતના ભૂતપૂર્વ ખેલાડી અને ક્રિકેટ કોચ વસીમ જાફર જરૂર પડ્યે વૈભવને માર્ગદર્શન આપે છે.
રાજસ્થાન રૉયલ્સના કૅપ્ટન સંજુ સેમસનની ઇજાને કારણે વૈભવ સૂર્યવંશીને આઈપીએલમાં રમવાની પહેલી તક મળી હતી.
ઇનિંગની પહેલી ઑવર શાર્દૂલ ઠાકુર ફેંકી રહ્યા હતા. ચોથા બૉલે વૈભવ સૂર્યવંશીને સ્ટ્રાઇક મળી અને તેમણે છગ્ગો ફટકારી દીધો.
ત્યારપછીની બીજી ઑવરમાં તરત જ આવેશ ખાનની બૉલિંગમાં પણ છગ્ગો ફટકારીને તેમણે પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધા હતા.
તેમની બેટિંગમાં નિર્ભયતા અને બૉલર્સ પર ઍટેક કરવાનો ઇરાદો સ્પષ્ટ દેખાતો હતો.
અંતે માર્કરમની બૉલિંગમાં ઋષભ પંતે વૈભવનું સ્ટમ્પિંગ કર્યું અને આ રીતે તેમની ઇનિંગનો અંત આવ્યો હતો.
જોકે, વૈભવે ત્યાં સુધીમાં 20 બૉલમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 34 રન બનાવી દીધા હતા.
વૈભવ અને જયસ્વાલની જોડીએ 8.4 ઑવરમાં 85 રન ફટકારીને રાજસ્થાનને સારી શરૂઆત અપાવી હતી તથા જીત માટેનું પ્લૅટફૉર્મ તૈયાર કરી દીધું હતું. જોકે, રાજસ્થાનની ટીમ 180 રનના જવાબમાં 178 રન જ બનાવી શકી હતી અને અંતે ટીમની બે રને હાર થઈ હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન