ચાંદીની કિંમતો આટલી હદે કેમ વધી ગઈ અને ગમે તે ભાવ આપવા છતાં ચાંદી કેમ નથી મળી રહી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઉપાસના વર્મા
- પદ, બીબીસી સંવાદદાતા
આ ફેસ્ટિવ સિઝનમાં ભારતીય શરાફ બજારોની ચમક ચાંદીની અછત સામે ફીકી પડી રહી છે.
રેકૉર્ડ હાઇ કિંમતો છતાં લોકો સિલ્વર ખરીદવા માટે તૈયાર છે, પરંતુ ઘણા દુકાનદારો પાસે ચાંદી જ નથી.
ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ ઍસોસિયેશનની વેબસાઇટ પ્રમાણે, 16 ઑક્ટોબરના રોજ ચાંદીની કિંમત એક લાખ 89 હજારને પાર કરી ગઈ છે. ચાંદીની 'સતત વધતી કિંમતો' જ આ અછતનું મુખ્ય કારણ છે.
ઑલ ઇન્ડિયા જ્વેલર્સ ઍન્ડ ગોલ્ડસ્મિથ ફેડરેશન (એઆઇજેજીએફ)ના નૅશનલ સેક્રેટરી બિમલ મહેતાએ જણાવ્યું કે "માર્કેટમાં અચાનક જ આ ડિમાન્ડ આવી છે. ચાંદીના સિક્કા અને ચોરસા વગેરેની માગ આવી રહી છે. લોકો પૈસા લઈને ફરી રહ્યા છે, પરંતુ ચાંદી નથી મળી રહી."
ચાંદીની આવી અછત પહેલાં ક્યારે આવી હતી?

ઇમેજ સ્રોત, Getty Images
બિમલ મહેતા જણાવે છે કે માર્કેટમાં હાલ ચાંદી 30 હજાર રૂ. સુધીના પ્રીમિયમે વેચાઈ રહી છે. તેમ છતાં ગ્રાહકો ખરીદી કરવા માટે તત્પર છે. જોકે, ઘણી વખત તેમને ચાંદી નથી મળી શકી રહી. તો શું પહેલાં પણ ક્યારેક ચાંદીની આવી જ માગ રહી છે?
આ સવાલના જવાબમાં બિમલ મહેતાએ કહ્યું, "30 વર્ષની કારકિર્દીમાં પહેલી વખત ચાંદીની આટલી ડિમાન્ડ જોઈ છે. ચાંદી ગત વર્ષે સરેરાશ 75 હજાર રૂપિયે કિલોના ભાવે મળી રહી હતી. કોઈને આવી આશા જ નહોતી."
તેઓ કહે છે કે, "પંજાબથી માંડીને કન્યાકુમારી સુધી, બધાને ચાંદી જોઈએ છે, અમે વિદેશમાંથી ચાંદી ખરીદવાની કોશિશ કરી, પરંતુ ત્યાં પણ શૉર્ટેજ છે. દરેક જગ્યાએ ચાંદીની માગ જળવાયેલી છે."
ખરેખર તો તહેવારની સિઝન હોય કે રોકાણ, બંને માટે રોકાણકારો સોનાને વધુ પસંદ કરતા હતા. પરંતુ હાલની તેજી બાદ સોનું હવે સામાન્ય માણસની પહોંચથી બહાર થઈ ચૂક્યું છે. આઇબીજેએ પ્રમાણે, 14 ઑક્ટોબરના રોજ 99.9 ટકા શુદ્ધતાવાળ દસ ગ્રામ ગોલ્ડ 1,26,152 રૂ.માં વેચાઈ રહ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતીય શૅરબજારમાં પણ ગત વર્ષ જેવી તેજી નથી દેખાઈ રહી. આ માહોલમાં ચાંદીની કિંમતોમાં ઉછાળો રોકાણકારોને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યો છે. વર્ષ 2025ના પ્રારંભિક નવ મહિનામાં, ચાંદીમાં 61 ટકા સુધીની તેજી આવી ચૂકી છે.
ચાંદી રોકાણકારોની પસંદ કેમ બની ?

ઇમેજ સ્રોત, Getty Images
બિઝનેસ સ્ટાન્ડર્ડના રિપોર્ટ પ્રમાણે, જાન્યુઆરી 2025માં એક ઔંસ ચાંદીનો ભાવ 28.92 ડૉલર હતો, જે સપ્ટેમ્બર માસની અંતે 46 ડૉલર સુધી પહોંચી ગયો હતો. કદાચ આ જ કારણે રોકાણની દૃષ્ટિએ ચાંદીની માગ વધી રહી છે. ઘણા જાણકારોનું માનવું છે કે સિલ્વરની કિંમતોમાં હાલ તેજી જળવાઈ રહી શકે છે.
એસએમસી ગ્લોબલ સિક્યૉરિટીઝ લિમિટેડમાં કોમોડિટી રિસર્ચ હેડ વંદના ભારતી જણાવે છે કે ચાંદી હવે જ્વેલરી, વાસણ, સિક્કા જેવી વસ્તુઓ સિવાય ઘણી ઇન્ડસ્ટ્રિયલ વસ્તુઓમાં પણ વપરાઈ રહી છે.
સોલાર અને ઇલેક્ટ્રૉનિક્સ પ્રોડક્ટ્સમાં તેનો ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે. તેથી ચાંદીની માગ પહેલાંની સરખામણી વધી છે.
એનઆઇજેજીએફના નૅશનલ સેક્રેટરી નીતિન કેડિયાએ જણાવ્યું કે કારોબારી જરૂરિયાતો સિવાય સમગ્ર વિશ્વની રિઝર્વ બૅંન્કો પોતાની પાસે ગોલ્ડ-સિલ્વરનો રિઝર્વ વધારી રહી છે.
ટેરિફ વૉર અને દુનિયામાં તણાવને કારણે ચાંદીને સુરક્ષિત રોકાણ તરીકે જોવામાં આવી રહી છે.
દુકાનદારોને ચાંદીની આટલી માગની આશા નહોતી

ઇમેજ સ્રોત, Getty Images
ભારત ચાંદીની જરૂરિયાતો આયાતથી પૂરી કરે છે. નીતિન કેડિયાએ જણાવ્યું કે સામાન્યપણે કારોબારી જૂના વલણને જોઈને અંદાજ લગાવે છે કે આ વર્ષે કેટલી ડિમાન્ડ રહેવાની છે, એ હિસાબે જ સ્ટૉક રાખવામાં આવે છે.
ચાંદીની કિંમતો વધી રહી હતી, તેથી કોઈ દુકાનદારને વધુ ડિમાન્ડ આવવાની આશા નહોતી. તેથી વધુ સ્ટૉક નથી રખાયો. રૉયટર્સના એક રિપોર્ટ પ્રમાણે, વર્ષ 2025ના પ્રારંભિક આઠ મહિનામાં ચાંદીની આયાત 42 ટકા ઘટીને 3,302 ટન પર આવી ગઈ હતી.
કેડિયા આગળ જણાવે છે કે ચાંદીએ એક લાખ રૂપિયા પ્રતિ કિલોનો આંકડો પાર કરતાંની સાથે જ ડિમાન્ડમાં એવી તેજી આવી, જેની દુકાનદારોનેય બિલકુલ અપેક્ષા નહોતી.
ચાંદીની આયાતમાં શું છે મુશ્કેલીઓ?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વંદના કહે છે કે 2020-21થી જ વિશ્વમાં ચાંદીનું ઉત્પાદન તેની માગ પ્રમાણે નથી વધ્યું. એટલે કે પુરવઠો પહેલાંથી જ સીમિત છે. હવે બજારમાં પહેલાંથી જો ચાંદી ઉપલબ્ધ છે તેનું જ ખરીદ-વેચાણ થઈ શકે છે. અને તેની કિંમતો લંડન બુલિયન માર્કેટ ઍસોસિયેશન (એલબીએમએ) નક્કી કરે છે.
જબરદસ્ત માગને જોતાં એલબીએમએ કારોબારીઓ પાસેથી હાઈ પ્રીમિયમ માગી રહ્યું છે. વંદના કહે છે કે 2020-21થી જ વિશ્વમાં ચાંદીનું ઉત્પાદન તેની માગ પ્રમાણે નથી વધ્યું. એટલે કે પુરવઠો પહેલાંથી જ સીમિત છે.
હવે બજારમાં પહેલાંથી જો ચાંદી ઉપલબ્ધ છે તેનું જ ખરીદ-વેચાણ થઈ શકે છે. અને તેની કિંમતો લંડન બુલિયન માર્કેટ ઍસોસિયેશન (એલબીએમએ) નક્કી કરે છે.
જબરદસ્ત માગને જોતાં એલબીએમએ કારોબારીઓ પાસેથી હાઈ પ્રીમિયમ માગી રહ્યું છે. વંદના જણાવે છે કે હાલના સમયમાં ચાંદી હાજર બજારમાં રેકૉર્ડ પ્રીમિયમ પર વેચાઈ રહી છે.
પરંતુ વાયદા બજારમાં (જેમાં ભવિષ્યની કિંમતોના અનુમાન પર ટ્રેડિંગ થાય છે) ચાંદીની કિંમતો કમજોર પડી રહી છે. આનાથી એવા સંકેત મળે છે કે ભવિષ્યમાં પુરવઠો વધતાં પ્રીમિયમ ઘટશે, પરંતુ કદાચ માગમાં તેજી જળવાઈ રહેશે.
ચાંદીની કિંમતો પહેલાં પણ રેકૉર્ડ સ્તરે પહોંચી ચૂકી છે, અને એ સ્તર પરથી ખરાબ રીતે તૂટીને નીચે પણ આવી છે. શું આવું આ વખતે પણ થઈ શકે છે?
વંદના કહે છે કે આવું થવાની સંભાવના ઓછી છે. તેઓ કહે છે કે, "આ વખતે ચાંદીની કિંમત વધવા પાછળ નક્કર કારણો જવાબદાર છે. તેથી કિંમતોમાં, ભારે ઘટાડાની સંભાવના ખૂબ ઓછી છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












