You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : કેજરીવાલની છઠ્ઠી ગૅરન્ટી, 'ગુજરાતમાં જન્મતા દરેક બાળકોને મફત શિક્ષણ'- પ્રેસ રિવ્યૂ
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ આજે ફરી એક વખત ગુજરાત આવ્યા હતા. ભુજમાં આયોજિત એક ટાઉનહૉલ કાર્યક્રમમાં તેમણે છઠ્ઠી ગૅરન્ટીની જાહેરાત કરતા કહ્યું હતું કે જો ગુજરાતમાં તેમની સરકાર આવશે તો ગુજરાતમાં જન્મતાં તમામ બાળકોને મફત શિક્ષણ આપવામાં આવશે.
અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ગુજરાતમાં 53 લાખ અને દેશભરમાં 17 કરોડ બાળકો સરકારી શાળાઓમાં ભણે છે. તેમની સરકારે દિલ્હીમાં સરકારી શાળાઓ અને શિક્ષણનું સ્તર સુધાર્યું છે અને આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ તેમ કરશે.
તેમણે વિદ્યાસહાયકોની તકલીફોને દૂર કરીને તેમને પણ કાયમી કરવાની જાહેરાત કરી હતી.
તેમણે આપેલી ગૅરન્ટીઓ કંઈક આ મુજબ છે:
1.ગુજરાતમાં જન્મતાં દરેક બાળકને મફત અને ગુણવત્તાસભર શિક્ષણ અપાશે
2.ગુજરાતની સરકારી શાળાઓને અદ્યતન કરવામાં આવશે અને નવી શાળાઓ ઊભી કરાશે
3.તમામ ખાનગી શાળાઓનું ઑડિટ કરાશે અને તેમને ફી વધારવા માટે સરકારની મંજૂરી લેવી પડશે
4.રાજ્યભરમાં હંગામી ધોરણે ફરજ બજાવી રહેલા શિક્ષકોને કાયમી કરવામાં આવશે અને શિક્ષણવિભાગમાં નવી ભરતીઓ કરવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
5.શિક્ષકોને શિક્ષણકાર્ય સિવાય અન્ય કોઈ કામગીરી નહીં સોંપવામાં આવે.
આમ આદમી પાર્ટીએ આ પહેલાં વીજળી મફત આપવાની સાથે-સાથે અન્ય જાહેરાતો પણ કરી છે.
કૉંગ્રેસ પાર્ટીએ પણ ચૂંટણીલક્ષી જાહેરાતોની શરૂઆત કરી દીધી છે.
બિહારમાં નીતીશ-તેજસ્વીની કૅબિનેટનું વિસ્તરણ, તેજપ્રતાપ સહિત 31 મંત્રીઓ
10 ઑગસ્ટના રોજ આઠમી વખત બિહારના મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા બાદ નીતીશકુમારે મંગળવારે તેમની કૅબિનેટનું વિસ્તરણ કર્યું છે.
નીતીશકુમારની સાથે તેજસ્વી યાદવે પણ નાયબ મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા. મહાગઠબંધનના વિવિધ પક્ષોના ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા હતા.
નીતીશ-તેજસ્વીની કૅબિનેટમાં કુલ 31 મંત્રીઓએ શપથ લીધા છે. એવું કહેવાય છે કે જનતા દળ યુનાઇટેડ પાસે ગૃહ વિભાગ રહેશે, જ્યારે નાણા અને આરોગ્ય વિભાગ આરજેડી પાસે હશે.
બિહારમાં કુલ 36 મંત્રીઓ બનાવવામાં આવી શકે છે.
નીતીશ-તેજસ્વીની કૅબિનેટમાં તેજપ્રતાપ યાદવ, વિજયકુમાર ચૌધરી, આલોકકુમાર મહેતા, બિજેન્દ્રપ્રસાદ યાદવ અને મોહમ્મદ અફાક આલમને કૅબિનેટમંત્રી બનાવાયા છે.
વિજયકુમાર ચૌધરી અને બિજેન્દ્ર યાદવ જેડીયુમાંથી છે, જ્યારે તેજપ્રતાપ યાદવ અને આલોક મહેતા આરજેડીમાંથી છે. તો અફાક આલમ કૉંગ્રેસના ક્વૉટામાંથી નીતીશની કૅબિનેટમાં સામેલ થયા છે.
આ પાંચ કૅબિનેટમંત્રીઓએ સૌપ્રથમ એકસાથે શપથ લીધા હતા.
કાશ્મીરના પહલગામમાં આઈટીબીપીને બસને અકસ્માત
કાશ્મીરના પહલગામમાં આઈટીબીપી (ઇન્ડો તિબટિયન બૉર્ડર પોલીસ)ની બસ દુર્ઘટનાગ્રસ્ત થઈ છે.
બસમાં આઈટીબીપીના 37 અને જમ્મુ-કાશ્મીર પોલીસના બે જવાન સવાર હતા.
ઘટનાસ્થળેથી જે તસવીર મળી રહી છે જેમાં બસને મોટા પાયે નુકસાન થયું હોય તેવું જણાઈ રહ્યું છે.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, આ જવાન ચંદનવાડીથી પહલગામ જઈ રહ્યા હતા. એવા સમાચાર છે કે બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી.
સીમા સુરક્ષા દળે એક ટ્વીટ કરીને જાણકારી આપી છે કે અમરનાથ યાત્રાની ડ્યૂટીથી જવાનોને લઈને જતી બસ ઊંડી ખીણમાં પડી છે.
બસ સાધુપડાવ અને ચંદનવાડી વચ્ચે એક ઢોળાવથી નીચે નદીમાં પડી હતી.
તો ઘટનાની જાણ થતા પાસે તહેનાત બીએસએફના જવાનો પહોંચી ગયા છે અને તેઓ બચાવકાર્યમાં જોડાઈ ગયા છે.
યુક્રેનના પરમાણુ પ્લાન્ટ પર હુમલો અને રશિયાનો કબજો કેટલો ખતરનાક છે?
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને હવે છ મહિના થવા જાય છે. દરમિયાન યુક્રેનની પૂર્વ બાજુથી આગળ વધી રહેલી રશિયન સેનાએ યુક્રેનનાં ઘણાં શહેરો કબજે કરી લીધાં છે અને સેના આગળ વધી રહી છે.
છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી યુક્રેનની રાજધાની કિએવથી 550 કિમી દૂર દેશના દક્ષિણમાં ઝાપોરિઝિયાની આસપાસ લડાઈ ચાલી રહી છે.
રશિયા અને યુક્રેન બંનેએ કહ્યું છે કે ગયા અઠવાડિયે ગુરુવાર, ઑગસ્ટ 11ના રોજ પરમાણુ પ્લાન્ટ ઑફિસ અને ફાયર સ્ટેશન પર 10 હુમલા થયા છે. બંને દેશોએ હુમલા માટે એકબીજાને જવાબદાર ઠેરવ્યા છે.
તેને લઈને આંતરરાષ્ટ્રીયસ્તરે પણ ચિંતા વધી છે. યુનાઇટેડ નેશન્સે સલાહ આપી છે કે ઝાપોરિઝિયા પરમાણુ પ્લાન્ટની આસપાસના વિસ્તારને ડિમિલિટરાઇઝ્ડ ઝોન બનાવવામાં આવે.
યુએન સેક્રેટરી-જનરલ ઍન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે જો પ્લાન્ટને નુકસાન થશે તો તેનાં પરિણામો વિનાશક હશે.
તો આંતરરાષ્ટ્રીય પરમાણુ પ્લાન્ટના પ્રમુખ રાફેલ ગ્રોસીનું કહેવું છે કે તેઓ પરિસ્થિતિને લઈને ખૂબ જ ગંભીર છે.
આ પરમાણુ પ્લાન્ટ હાલમાં રશિયાના નિયંત્રણમાં છે. સંયુક્ત રાષ્ટ્રમાં રશિયાના રાજદૂત વેસિલી નેબેન્ઝ્યાએ આ સલાહને નકારી કાઢી છે અને કહ્યું છે કે રશિયન દળો ઝાપોરિઝિયા પ્લાન્ટની સુરક્ષા કરી રહ્યાં છે.
રાજસ્થાનમાં દલિત બાળકનું મૃત્યુ : મીરા કુમારે કહ્યું 'મારા પિતાને પણ પાણી પીતાં રોક્યા હતા'
રાજસ્થાનના જાલોરમાં શિક્ષક દ્વારા કથિત માર મારવાથી દલિત બાળકના મૃત્યુની ઘટનાનો ઉલ્લેખ કરતાં લોકસભાનાં પૂર્વ અધ્યક્ષ મીરા કુમારે પોતાના પિતા બાબુ જગજીવનરામ સાથે જોડાયેલો એક કિસ્સો સૌની સામે રજૂ કર્યો છે.
તેમણે ટ્વિટર પર લખ્યું, "100 વર્ષ પહેલાં મારા પિતા બાબુ જગજીવનરામને શાળાના સવર્ણ હિંદુઓએ રાખેલા માટલામાંથી પાણી પીતાં અટકાવ્યા હતા. એમનું જીવન બચ્યું એ એક ચમત્કાર હતો."
તેમણે લખ્યું, "આજે એક નવ વર્ષના દલિત બાળકને આ જ કારણે મારી નાખવામાં આવ્યો. આઝાદીનાં 75 વર્ષ બાદ પણ જાતિવ્યવસ્થા આપણો સૌથી મોટો દુશ્મન રહી છે.
મહત્ત્વપૂર્ણ છે કે પરિવારજનોનો આરોપ છે કે દલિત બાળકનું મૃત્યુ ખાનગી શાળાના શિક્ષકના મારથી થયું છે અને શિક્ષકે માટલામાંથી પાણી પીવાને લીધે બાળકને માર્યું હતું.
એ ઘટના બાદ પરિવારજનોએ બાળકની અલગઅલગ હૉસ્પિટલોમાં 23 દિવસ સુધી સારવાર કરાવી, જે બાદ શનિવારે અમદાવાદની હૉસ્પિટલમાં બાળકનું મૃત્યુ નીપજ્યું હતું.
કર્ણાટકમાં સાવરકર અને ટીપુ સુલતાનના નામે હિંસા
કર્ણાટકના શિમોગા શહેરમાં સાવરકર અને ટીપુ સુલતાનના ફ્લેક્સ બોર્ડ લગાવવાને લઈને રાજકારણ ગરમાયું છે અને તેના કારણે પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
બૅંગ્લુરુથી બીબીસીના સહયોગી ઈમરાન કુરેશીના જણાવ્યા અનુસાર, તે જ સમયે છરાબાજીની ઘટના પછી પોલીસે આ વિસ્તારમાં કલમ 144 લગાવી દીધી છે.
શનિવારે શિમોગામાં સાવરકરનું ફ્લેક્સ બોર્ડ સ્થાનિક મૉલમાં લગાવવામાં આવતાં તંગદિલી સર્જાઈ હતી. કેટલાક લોકોએ તેનો વિરોધ કર્યો હતો, જેમને પોલીસે કસ્ટડીમાં લીધા છે.
તો બપોરે શહેરના મધ્યમાં અમીર અહમદ સર્કલ પર સાવરકરના ફ્લેક્સ બોર્ડ લગાવવાના વિરોધમાં લોકો એકઠા થયા હતા. કેટલાક પ્રદર્શનકારીઓ સર્કલમાં કૂદી પડ્યા અને ત્યાંથી બોર્ડ હટાવી દીધા.
તો અન્ય એક જૂથ જે ટીપુ સુલતાનનું બોર્ડ લગાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું, તેને પોલીસે વીખેરી નાખ્યું હતું.
વિરોધપ્રદર્શન પછી તરત જ ઝપાઝપી દરમિયાન પ્રેમસિંહ નામની વ્યક્તિને છરો મારવામાં આવ્યો હતો. પ્રેમસિંહ ત્યાં જ ઊભો હતો. તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, તેમની હાલત સ્થિર છે.
એડીજીપી (કાયદો અને વ્યવસ્થા) આલોકકુમારે બીબીસીને જણાવ્યું કે "અમે શિમોગા તેમજ ભદ્રાવતીમાં કલમ 144 લાગુ કરી છે."
FIFAએ ભારતીય ફૂટબૉલ સંઘને સસ્પેન્ડ કર્યો
આંતરરાષ્ટ્રીય ફૂટબૉલની સંચાલક સંસ્થા FIFAએ ભારતીય ફૂટબૉલ સંઘને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધો છે.
FIFAએ ત્રીજા પક્ષની દખલને લીધે ભારતીય ફૂટબૉલ સંઘ (AIFF) વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે.
ફિફાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે પરિષદે સર્વસંમતિથી ભારતીય ફૂટબૉલ સંઘને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. અહીં ત્રીજા પક્ષની દખલગીરી છે, જે ફિફાના નિયમોનું ગંભીર ઉલ્લંઘન છે.
FIFA દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, આ નિર્ણયથી ભારત પાસેથી આ વર્ષે આયોજિત થનાર અંડર-17 મહિલા ફૂટબૉલ વર્લ્ડકપની યજમાની પણ છીનવાઈ ગઈ છે. આ ટુર્નામેન્ટ 11થી 30 ઑક્ટોબર દરમિયાન ભારતનાં વિવિધ રાજ્યોમાં યોજાવાની હતી.
ફિફાએ કહ્યું છે કે આ સસ્પેન્શન તાત્કાલિક અસરથી લાગુ છે. આ મહિનાની શરૂઆતમાં ફિફાએ ભારતીય ફૂટબૉલને સસ્પેન્શનની ચેતવણી આપી હતી.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો