પાકિસ્તાન વિસ્ફોટ : પેશાવરની મસ્જિદમાં બૉમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 30નાં મૃત્યુ

શુક્રવારે પાકિસ્તાનના પેશાવર ખાતે કિસ્સા ખવાની બજાર વિસ્તારમાં બૉમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 30 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે અનેક ઈજાગ્રસ્ત થયા છે.

ઇમામબારગાહ કૂચા-એ-રસાલદારમાં થયેલા વિસ્ફોટને લઈને પોલીસે શરૂઆતના રિપોર્ટમાં જણાવ્યું છે કે ઘટનાસ્થળે બચાવ ટીમને મોકલી દેવાઈ છે, સાથે વિસ્તારને ખાલી કરાવાયો છે.

ખાનગી ટીવી ચૅનલ જિયો ન્યૂઝ સાથે વાત કરતાં એસએસપી ઑપરેશન્સ હારૂન રશીદે જણાવ્યું કે આ એક આત્મઘાતી હુમલો હતો.

તેમનું કહેવું હતું કે હુમલાખોરે પ્રથમ ગેટ પર મોજૂદ પોલીસ સુરક્ષાકર્મીઓને નિશાન બનાવ્યા જેમાં એક પોલીસ કૉન્સ્ટેબલનું મૃત્યુ થયું.

અનેક ગંભીરપણે ઈજાગ્રસ્ત

અલી હૈદર નામના એક સાક્ષીએ મીડિયાને જણાવ્યું કે તમામ લોકો મસ્જિદમાં શુક્રવારની નમાજની તૈયારી કરી રહ્યા હતા ત્યારે એક બંદૂકદારી મસ્જિદમાં દાખલ થયા અને તેમણે ગોળીઓ ચલાવવાનું શરૂ કર્યું.

તે બાદ બંદૂકધારીએ મસ્જિદમાં વિસ્ફોટ કરી દીધો.

પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રાશિદ અહમદે ટ્વીટ કરીને બ્લાસ્ટની નિંદા કરી છે.

તેમણે ટ્વીટ કર્યું, "પેશાવરમાં આતંકવાદી હુમલાની હું નિંદા કરું છું. ઘટનાના રિપોર્ટ ખૈબર પખ્તૂનખ્વાંના મુખ્ય સચિવ અને આઈજી પાસેથી માગ્યા છે. બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા લોકો માટે દુ:ખી છું. હું શહીદોના પરિવારો પ્રત્યે સંવેદના પ્રકટ કરું છું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો