You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IND vs PAK : પાકિસ્તાનની એ બૅટ્સમૅન જોડી, જે આખી ભારતીય ટીમ પર ભારે પડી શકે છે
ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ આજે ટી-20 વિશ્વકપની પહેલી મૅચ રમાવા જઈ રહી છે. આ મૅચ સંયુક્ત આરબ અમીરાતમાં દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
બંને ટીમ જીતની રણનીતિ ઘડવામાં વ્યસ્ત છે અને સંપૂર્ણ તાકાત લગાવી દેવા માગે છે.
વિશ્વકપમાં જોઈએ તો પાકિસ્તાન સાથે મૅચની બાબતમાં ભારતનું પલ્લું ભારે રહ્યું છે અને મોટા ભાગે પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો છે. એવામાં, દરેક વિશ્વકપ મૅચ રેકૉર્ડ બનાવવા અને તોડવાની સંભાવના સાથે દબાણ લઈને આવે છે.
પાકિસ્તાની ટીમ પર પણ આ દબાણ છે અને બંને દેશોના હાલના સંબંધોને પગલે આ દબાણ વધી જાય છે.
ભારતીય ટીમનું હાલનું પ્રદર્શન અને વિશ્વકપની ભૂતકાળની મૅચોને જોતાં મનોબળ ઊંચું હોઈ શકે છે, પરંતુ કેટલાંક એવા પણ કારણો છે જે પાકિસ્તાની ટીમને જીત તરફ દોરી શકે છે.
યુએઈનો અનુભવ
પાકિસ્તાનના ખેલાડીઓને સંયુક્ત આરબ અમીરાતમાં રમવાનો ઘણો અનુભવ છે.
પાકિસ્તાને યુએઈમાં 36 ટી-20 મૅચ રમી છે, જેમાંથી 25 મૅચ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમી હતી અને રવિવારની મૅચ પણ અહીં જ રમાવાની છે. પરંતુ, ભારતે ફક્ત દુબઈમાં જ નહીં, યુએઈમાં પણ કોઈ ટી-20 મૅચ રમી નથી, જેનો લાભ પાકિસ્તાનને મળી શકે છે.
જોકે, ભારતના પક્ષમાં એક વાત એ જાય છે કે ભારતીય ખેલાડીઓએ તાજેતરમાં આઈપીએલની મૅચો યુએઈમાં જ રમી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બાબર અને રિઝવાનની જોડી
બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની ઓપનિંગ જોડી ખૂબ જ વિશ્વસનીય હોવાનું કહેવામાં આવે છે.
પાકિસ્તાની મીડિયામાં આને સઈદ અનવર અને આમિર સોહેલ પછીની પાકિસ્તાનની સૌથી સારી ઓપનિંગ જોડી પણ ગણાવવામાં આવી રહી છે.
બાબર-રિઝવાનની જોડીની ઍવરેજ 52.10 રન અને રનરેટ 9.16ની રહી છે.
પાકિસ્તાનના ઓપનિંગ બૅટ્સમૅન અત્યાર સુધી ભારતીય ટીમને આકરો પડકાર આપી શક્યા નથી, પરંતુ આ વખતે નજારો અલગ હોઈ શકે છે.
ધોની ટીમમાં નથી
પાકિસ્તાન સામે રમાયેલી તમામ આઠ ટી-20 મૅચમાં ભારતીય ટીમનું નેતૃત્વ મહેન્દ્રસિંહ ધોનીએ કર્યું છે. આ આઠ મૅચમાંથી સાતમાં ભારતે જીત મેળવી, જેનો શ્રેય ધોનીની કૅપ્ટનશિપને જાય છે.
ધોનીનો અનુભવ અને તેમના નેતૃત્વનો ફાયદો ભારતીય ટીમને હાલ આ મૅચમાં નહીં મળી શકે.
જોકે, વિરાટ કોહલીએ પણ ભારતીય કૅપ્ટન તરીકે શાનદાર પ્રદર્શન કર્યું છે, પરંતુ બદલાયેલા કૅપ્ટનની સાથે બદલાયેલી પરિસ્થિતિઓ પણ સાથે આવશે.
વિરાટ કોહલી પર દબાણ
વિરાટ કોહલી ટી-20 વિશ્વકપ બાદ ટી-20ની કૅપ્ટનશિપ છોડવાની ઘોષણા કરી ચૂક્યા છે. તેની સાથે જ તેમનો નવ વર્ષ લાંબો કૅપ્ટનશિપનો તબક્કો સમાપ્ત થઈ જશે.
મહેન્દ્રસિંહ ધોનીની કૅપ્ટનશિપમાં ભારતે 2007નો પ્રથમ ટી-20 વિશ્વકપ જીત્યો હતો, પરંતુ તેના પછીથી ભારતીય ટીમ ખિતાબ જીતવાની રાહ જોઈ રહી છે.
આ વિરાટ કોહલીની કૅપ્ટનશિપમાં આ છેલ્લો ટી-20 વિશ્વકપ હશે, જે જીતવો તેમના માટે પણ ખૂબ જ મહત્ત્વનો હશે.
વિરાટ કોહલી ચોક્કસપણે આ વિશ્વકપ પોતાની કૅપ્ટનશિપના નામે કરવાનું ઇચ્છશે.
સાથે જ છેલ્લા થોડા સમયમાં તેઓ કોઈ મોટો સ્કોર પણ નથી બનાવી શક્યા. એવી સ્થિતિમાં તેમની પર પોતાના અને ટીમના પ્રદર્શનનું દબાણ હોઈ શકે છે.
થોડા કલાકો માટેની સારી રમત
ટી-20 મૅચમાં પાકિસ્તાનની તુલનામાં ભારતનું પલ્લું ભારે રહ્યું છે. પરંતુ, ટી-20 મૅચનું ફૉર્મેટ પાકિસ્તાનની ટીમ માટે મદદરૂપ પણ સાબિત થઈ શકે છે.
આ એક એવું ફૉર્મેટ છે, જેમાં ત્રણથી ચાર કલાક સુધી સતત સારું પ્રદર્શન કરવાની અને ફૉર્મ જાળવી રાખવાની જરૂર હોતી નથી.
થોડી સારી ઓવર અથવા અડધા કલાકની સારી રમત મૅચને તમારી તરફેણમાં લાવી શકે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો