You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'ભારતે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન સંઘર્ષ ખતમ કરવા માટે મધ્યસ્થી બનવું જોઈએ'
- લેેખક, ઝુબેર અહેમદ
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતમાં પેલેસ્ટાઇનિયન પ્રશાસનના દૂત અદનાન એમ અબૂ અલ હાઇઝાનું કહેવું છે કે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે શાંતિ પ્રક્રિયા શરૂ કરવામાં ભારતે પહેલ કરવી જોઈએ.
બીબીસી સાથે ખાસ વાતચીતમાં તેમણે કહ્યું કે ભારત શાંતિ પ્રક્રિયામાં સામેલ થવું માત્ર પેલેસ્ટાઇનના હિતમાં જ નહીં હોય પરંતુ પોતે ભારત માટે પણ સારું હશે.
તેમણે કહ્યું, "ભારતને પશ્ચિમ એશિયામાં ઘણો રસ છે એટલે એ વિસ્તારમાં શાંતિ ભારતના હિતમાં રહેશે."
થોડા દિવસો પહેલા હમાસ અને ઇઝરાયલની સરકાર વચ્ચે સંઘર્ષ વિરામની ઘોષણા પછી પેલેસ્ટાઇનના દૂતે બીબીસીને કહ્યું કે, પશ્ચિમ એશિયામાં જલદી સ્થાયી શાંતિ સ્થાપિત કરવાની જરૂરત છે.
ઇજિપ્ત સાથે જોડાયેલી ગાઝા પટ્ટીમાં હમાસનું શાસન છે જ્યાંથી હમાસના ચરમપંથી ઇઝરાયલ ઉપર રૉકેટ છોડી છે જ્યારે જૉર્ડનથી જોડાયેલા પશ્ચિમી તટમાં પેલેસ્ટાનિયન પ્રશાસન (પીએ)નું શાસન છે. ઇઝરાયલ આ બંને પેલેસ્ટાનિયન વિસ્તારો વચ્ચે છે.
ભારતના પેલેસ્ટાનિયન ઑથોરિટી અને ઇઝરાયલની સરકાર બંને સાથે સારા સંબંધ છે. પેલેસ્ટાઇન અને ઇઝરાયલની જનતા વચ્ચે ભારત એક લોકપ્રિય દેશ છે.
આ રીતે ભારત એ ગણતરીના દેશોમાં સામેલ છે. જે બંને પક્ષો વચ્ચે મધ્યસ્થતા કરી શકવાની પરિસ્થિતિમાં છે.
ભારતના હિતમાં 'શાંતિ'
ભારતે આ દિશામાં કોઈ એવી વાત નથી કહી જેનાથી એવા સંકેત મળે કે ભારત આવું કરવા માટે ઉત્સુક છે. ભારતના અત્યાર સુધીના નિવેદન બહુ જ સંયત અને સંતુલિત રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પેલેસ્ટાઇનના પ્રશાસનના દૂત અદનાન એમ અલ-હાઇઝા કહે છે, મને નથી ખબર કે તેઓ (ભારત) તૈયાર છે કે નહીં પરંતુ મેં તેમને તૈયાર થવા માટે કહ્યું છે. "
તેમના વિચારમાં ભારતે બીજા દેશો સાથે મળીને પ્રયત્ન કરવા જોઈએ.
તેઓ કહે છે, અમે ઇચ્છીએ છીએ કે ભારત અમુક મોટા દેશો સાથે મળીને એક આંતરરાષ્ટ્રીય શાંતિ સંમેલન આયોજિત કરે, આ સમસ્યા જલદી ખતમ થવી જોઈએ નહીં તો આપણે ભવિષ્યમાં વધારે લોહિયાળ સંઘર્ષ જોવો પડશે."
શુક્રવારે સમાપ્ત થયેલી હિંસામાં 12 ઇઝરાયલી અને 250થી વધારે પેલેસ્ટાઇનિયન માર્યા ગયા હતા.
માર્યા ગયેલા લોકોમાં 100 બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે. 2014 પછી બંને પંક્ષો વચ્ચે આ સૌથી મોટો સંઘર્ષ હતો.
અમેરિકાની ભૂમિકા?
દાયકાઓથી આ બંને પક્ષો વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા અમેરિકા ભજવતું આવ્યું છે પરંતુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનમાં અમેરિકા ઇઝરાયલના પક્ષમાં ખુલીને સામે આવ્યું છે અને તેણે ઇઝરાયલની સરકારની પૂર્વી જેરૂસલેમને પોતાની રાજધાની બનાવવાની ઘોષણાનું સમર્થન કરીને પેલેસ્ટાઇનિયનોને ઘણા નારાજ કર્યા હતા.
પેલેસ્ટાઇનના પ્રશાસનના પ્રમુખ મહમૂદ અબ્બાસે કહ્યું કે મધ્યસ્થીની ભૂમિકા ભજવવા માટે અમેરિકાએ તટસ્થતાનો નૈતિક અધિકાર ગુમાવી દીધો છે.
તેઓ એ વાતથી પણ નારાજ છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે કેટલાક આરબ દેશો સાથે ઇઝરાયલના રાજદ્વારી સંબંધ બનાવવામાં તેમની મદદ કરી હતી.
પેલેસ્ટાઇનના દૂત અદનાન એમ. અબૂ અલ હાઇઝાને જ્યારે અમે પૂછ્યું કે શું ઇઝરાયલ અમેરિકાની જગ્યાએ ભારત અથવા કોઈ અન્ય દેશની મધ્યસ્થી સ્વીકાર કરશે તો તેમણે કહ્યું, ભારત સંયુક્ત રાષ્ટ્ર, યુરોપીય સંઘ, રશિયા અને અમેરિકાની સાથે મળીને મદદ કરી શકે છે. "
પરંતુ પેલેસ્ટાઇન એટલી હદે અમેરિકાથી હતાશ નથી. રાષ્ટ્રપતિ જો બાઇડનના સત્તા પર આવ્યા પછી પેલેસ્ટાઇનને આશા છે કે બંને વચ્ચે કોઈ સમજૂતી થઈ જશે.
ભારત બંનેની નજીક
ઇઝરાયલ અને ભારત વચ્ચે પૂર્ણ રાજદ્વારી સંબંધની શરૂઆત 1992માં થઈ. એ પછી ઇઝરાયલે દિલ્હીમાં પોતાનો દૂતાવાસ સ્થાપિત કર્યો હતો. ત્યારથી ભારત અને ઇઝરાયલ વચ્ચે નિકટતા વધી છે.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ વચ્ચે ઘેરી મિત્રતા છે જે સ્પષ્ટ દેખાઈ આવે છે અને તેના કારણે બંને દેશો વચ્ચે સંબંધ મજબૂત બન્યા છે.
બંને નેતાઓ એકબીજાના દેશમાં અધિકૃત મુલાકાત લઈ ચૂક્યા છે.
સૈન્ય અને આંતરિક સુરક્ષામાં ઇઝરાયલ ભારતનો એક મોટો સહયોગી દેશ છે.
બીજી તરફ ભારત અને પેલેસ્ટાઇન વચ્ચે ઐતિહાસિક સંબંધ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમી તટની મુલાકાત લઈને પેલેસ્ટાઇનના પ્રશાસનના પ્રમુખ મહમૂદ અબ્બાસ સાથે મુલાકાત કરી ચૂક્યા છે. તેઓ પેલેસ્ટાઇન ક્ષેત્ર અને ઇઝરાયલની મુલાકાત લેનારા પ્રથમ વડા પ્રધાન છે.
ભારત પેલેસ્ટાઇનના અનેક ક્ષેત્રોમાં મદદ કરતું આવ્યું છે. પેલેસ્ટાઇનના દૂતે કહ્યું, "ભારત બે હૉસ્પિટલ બનાવવામાં અમારી મદદ કરી રહ્યું છે. ભારતે અમારા વિદેશ મંત્રાલય માટે એક રાજદ્વારી સંસ્થાન બનાવવામાં મદદ કરી છે. એક મહિલા સશક્તિકરણ કેન્દ્ર, કેટલીક સ્કૂલ, એક વિશ્વવિદ્યાલય અને એક ટેક્નો પાર્ક બનાવવામાં પણ ભારતે સહાયતા કરી છે."
આ પ્રોજેક્ટનો ખર્ચ છ કરોડ ડૉલરની આસપાસ છે.
હાઇઝા કહે છે, " ભારતે હંમેશા આગળ આવીને અમારી મદદ કરી છે. અમે કંઈ માગ્યું નથી. હવે અમે ભારત પાસેથી રાજકીય મદદ માગી રહ્યા છીએ."
બે રાષ્ટ્ર ફૉર્મ્યુલાનું સમર્થન
હાલનાં વર્ષોમાં ભારતને બંને પક્ષો વચ્ચે મોટા ભાગે નિષ્પક્ષ રસ્તો અપનાવ્યો છે. ભારત આ જૂની સમસ્યાને 'બે-રાષ્ટ્ર સમાધાન'ના ફૉર્મ્યુલાના માધ્યમથી હલ કરવાના પક્ષમાં છે.
બે-રાષ્ટ્ર સમાધાનમાં ઇઝરાયલની સાથે એક સ્વતંત્ર પેલેસ્ટાઇન રાજ્યની જોગવાઈ છે. બંને રાષ્ટ્રો વચ્ચે સીમાને લઈને વિવાદ હજુ ઉકેલાયો નથી. પેલેસ્ટાઇની અને અરબ નેતૃત્વ "1967ની સીમાઓ" પર ભારે આપે છે, જેને ઇઝરાયલે સ્વીકાર્યું નથી.
બંને પક્ષો વચ્ચે 11 દિવસ ચાલેલા યુદ્ધ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની પહેલી સાર્વજનિક બેઠકને સંબોધન કરતા ન્યૂયૉર્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી દૂત ટીએસ તિરુમૂર્તિએ હાલમાં "પેલેસ્ટાઇની માટે ભારતના મજબૂત સમર્થન અને બે રાષ્ટ્ર સમાધાન માટે પોતાની અતૂટ પ્રતિબદ્ધતા"ને દોહરાવી હતી.
સાથે જ તેમણે બંને પક્ષોને 'સંયમ' વર્તવાનો આગ્રહ કર્યો અને "તત્કાળ તણાવ ઓછો કરવા" પર ભાર મૂક્યો.
અબુ અલ હાઈજા ભારતમાં 2014થી પેલેસ્ટાઇની દૂત છે અને ભારતનાં ઘણાં રાજ્યોની મુલાકાત કરી ચૂક્યા છે. તેઓ કહે છે કે તેમને અન્ય દેશોની તુલનામાં ભારત પાસે વધુ અપેક્ષા છે.
હમાસ 'આતંકવાદી સંગઠન'
પેલેસ્ટાઇની ઑથૉરિટીનું શાસન માત્ર પશ્ચિમ તટ (વેસ્ટ બૅન્ક) સુધી સીમિત છે. 2007માં હમાસે ગાઝા પટ્ટીમાં ચૂંટણી જીતી અને અત્યાર સુધીમાં સત્તા હમાસની રાજકીય પાંખના હાથમાં છે.
તેના સૈન્યઅંગને ઇઝરાયલ આતંકવાદી કહે છે. ઇઝરાયલનું કહેવું છે કે આ લોકો ઇઝરાયલની અંદર રૉકેટ છોડે છે. ઇઝરાયલી સરકારનું કહેવું છે કે ગાઝાથી આવનારાં રૉકેટના જવાબમાં ઇઝરાયલ ગાઝા પર હવાઈ હુમલો કરે છે.
પેલેસ્ટાઇની પ્રશાસન હમાસના રૉકેટ હુમલાને રોકી કેમ શકતું નથી? તેના પર હાઈજા કહે છે કે એ હમાસ સાથે હંમેશાં વાર્તા કરે છે, પણ આ વખતે ઇઝરાયલી હુમલો જવાબી કાર્યવાહી છે, એ કહેવું યોગ્ય નથી.
તેઓ કહે છે, "હમાસનું રૉકેટ વરસાવવું ઍક્શન નથી, આ ઇઝરાયલની હિંસાનો જવાબી હુમલો છે."
તેઓ હમાસના પક્ષને સમજાવવાની કોશિશ કરે છે, "હમાસે ઇઝરાયલી સરકારને વારંવાર મસ્જિદ અલ-અક્સામાં નમાઝીઓની સાથે હિંસક વ્યવહાર ન કરવાની અપીલ કરી છે. પણ ઇઝરાયલી સુરક્ષાકર્મીઓ મસ્જિદમાં ઘૂસી ગયા અને મુસલમાનોના ત્રીજા સૌથી પવિત્ર સ્થાનમાં ઘૂસી તેને અપવિત્ર અને અપમાનિત કર્યું."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો