You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અલ અક્સા : જુમાની નમાઝ બાદ પેલેસ્ટાઇનિયનો અને ઇઝરાયલી દળો વચ્ચે ફરી ઘર્ષણ
ઇઝરાયલ અને હમાસ વચ્ચે સંઘર્ષવિરામ લાગુ થયા બાદ ઇઝરાયલના કબજાવાળા પૂર્વ જેરૂસલેમમાં પેલેસ્ટાઇનવાસીઓ અને ઇઝરાયલી સુરક્ષાદળો વચ્ચે શુક્રવારે નમાઝ બાદ ફરી એક વખત ઘર્ષણ થયું છે.
ઇઝરાયલી પોલીસ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે નમાઝ ખતમ થયા બાદ ત્યાં 'હુલ્લડ' જેવી સ્થિતિ છે.
નિવેદનમાં કહેવાયું છે કે ત્યાં હાજર કેટલાય પેલેસ્ટાઇનિયન યુવકોએ સુરક્ષાદળો પર પથ્થર ફેંકવાનું શરૂ કરી દીધું. જે બાદ પોલીસ કમાન્ડર સ્થિતિ પર કાબૂ મેળવવા માટે 'તોફાનીઓને પહોંચી વળવાનો' આદેશ આપ્યો.
પ્રદર્શનકારીઓ અનુસાર સુરક્ષાદળોએ લોકો પર અશ્રુગૅસ છોડ્યા અન સ્ટન ગ્રૅનેડનો પ્રયોગ કર્યો.
અલ-અક્સા મસ્જિદ પરિસરમાં થયેલાં ઘર્ષણ બાદ ઇઝરાયલ અને પેલેસ્ટાઇનિયન સંગઠન હમાસ વચ્ચે ગાઝામાં 10 મેએ સંઘર્ષ શરૂ થયો હતો.
આ પરિસરને યહૂદી અને મુસલમાન બન્ને પવિત્ર ગણે છે. યહૂદી આને ટૅમ્પલ માઉન્ટ ગણે છે, જ્યારે મુસલમાન તેમને હરમ અલ-શરીફ કહે છે.
હમાસ સાથે યુદ્ધવિરામ કરીને નેતન્યાહુ ઇઝરાયલમાં જ કેમ ઘેરાયા?
સતત 11 દિવસ સુધી ચાલેલા સંઘર્ષ બાદ આખરે ઇઝરાયલ-હમાસ યુદ્ધવિરામ માટે તૈયાર થયા છે. આ સંઘર્ષમાં અત્યાર સુધી 240થી વધુ લોકોનાં મોત થયાં છે.
આ સંઘર્ષને પગલે સમગ્ર મધ્યપૂર્વમાં તણાવ સર્જાયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હમાસે યુદ્ધવિરામને પોતાની જીત ગણાવી તો બીજી તરફ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામીન નેતન્યાહુ દક્ષિણપંથી સાંસદોના નિશાન પર આવી ગયા છે.
'ટાઇમ્સ ઑફ ઇઝરાયલ' અનુસાર શાંતિસમજૂતીને પગલે નેતન્યાહુના રાજકીય સાથીઓ અને દક્ષિણપંથી સાંસદો નારાજ થયા છે.
જેને પગલે નેતન્યાહુને તેમણે ચેતવણી પણ આપી છે. ગુરુવારે હમાસ સાથે યુદ્ધવિરામ માટે કૅબિનેટમાં મતદાન થયું હતું અને તેમાં મંત્રીઓએ યુદ્ધવિરામના પક્ષમાં મતદાન કર્યું હતું.
ઇઝરાયલમાં ન્યૂ હૉપના નેતા ગિડિઓન સઆરે સરકારની યોજનાની ટીકા કરી છે. તેમણે કહ્યું કે યુદ્ધવિરામથી ઇઝરાયલના સંકલ્પ પર માઠી અસર થશે.
સઆરનું કહેવું છે આનાથી હમાસ વધુ મજબૂત થશે અને ઇઝરાયલના હિતોને નુકસાન જશે.
તેમણે કહ્યું કે વગર કોઈ પ્રતિબંધે યુદ્ધવિરામ માનવો રાજકીય સમજદારીનો નિર્ણય નથી. સઆરે કહ્યું કે ભવિષ્યમાં ઇઝરાયલે આની કિંમત ચૂકવવી પડશે.
અન્ય એક દક્ષિણપંથી પાર્ટી યઇઝરાયલ બેતેનુના પ્રમુખ અવિગ્ડોર લિબરમેને કહ્યું કે આ નેતન્યાહુની એક વધુ નિષ્ફળતા છે.
તેમણે ચૅનલ 12ને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે હમાસ ઇઝરાયલ માટે જોખમ છે કેમ કે ભૂતકાળમાં ભૂલો થઈ છે અને આ વખતના યુદ્ધવિરામથી હમાસ વધુ મજબૂત થશે.
કટ્ટર ધાર્મિક યહૂદી પાર્ટીના નેતા બેજાલેલ સ્મૉર્ટિંચે ટ્વીટ કરીને નેતન્યાહુને ચેતવણી આપી છે કે જો યુદ્ધવિરામમાં જેરૂસલેમને લઈને પણ રાહત આપવાની વાત છે તો તેઓ સરકાર બનાવવાનો વિચાર છોડી દે.
તેમણે ટ્વિટર પર લખ્યું કે "હું નેતન્યાહુને સૈન્યઅભિયાન ચલાવવાનો શ્રેય આપું છું પરંતુ જો તમે યુદ્ધવિરામ મામલે જેરૂસલેમને લઈને પણ સમજૂતી કરી છે તો સરકાર બનાવવાનો વિચાર છોડી દેજો."
બીજી તરફ ગાઝામાં હમાસના ઉપનેતા ખલીલ અલ-હાયયાએ યુદ્ધવિરામને પોતાની જીત ગણાવી છે.
તેમણે કહ્યું, "આજે અમારા પ્રતિરોધની જીત થઈ છે. અમે એક સાથે બે ખુશી મનાવીશું. એક જીતની અને બીજી ઈદની."
યુએનમાં સાઉદી પણ આક્રમક
ઇઝરાયલ સામે પાકિસ્તાન અને તુર્કીએ ઇસ્લામિક દેશોને એકજૂથ થવાની અપીલ કરી હતી. જેમાં સાઉદી પણ ઈઝરાયલ મામલેના વલણમાં સ્પષ્ટ રહ્યું.
ખાડીના છ દેશોમાં સાઉદી અરેબિયા ઇઝરાયલ મામલે સૌથી વધુ આક્રમક હતું.
ગુરુવારે યુએનની સાધારણ સભામાં ઇમરજન્સી બેઠકમાં પણ તે આક્રમકતા જોવા મળી.
તેમાં સાઉદીના વિદેશમંત્રી પ્રિન્સ ફૈસલ બિન ફરહાને કહ્યું કે પેલેસ્ટાઇનના હકો વિરુદ્ધ ઇઝરાયલની આક્રમકતા ખરેખર આંતરરાષ્ટ્રીય નિયમોનું ખતરનાક ઉલ્લંઘન છે.
પ્રિન્સ ફૈસલે કહ્યું, "ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે તણાવ સંયુક્ત રાષ્ટ્રના એ ચાર્ટરનું ઉલ્લંઘન છે જેમાં બળજબરીથી કબજો કરાયેલા વિસ્તારોને અમાન્ય ગણાવાયા છે."
તેમણે કહ્યું ઇઝરાયલની આક્રમકતા આંતરરાષ્ટ્રીય સુરક્ષા અને શાંતિ માટે જોખમી છે.
સાઉદી અરેબિયાના વિદેશમંત્રીએ કહ્યું, "ઇઝરાયલની આક્રમકતાથી 'બે રાષ્ટ્ર સમાધાન' (ઇઝરાયલ સાથે પેલેસ્ટાઇન પણ એક રાષ્ટ્ર બને, જેની રાજધાની પૂવ જેરૂસલેમ હોય) તેને ધક્કો લાગશે. હિંસા અને અતિવાદ વધવાથી આ ક્ષેત્રમાં શાંતિ લાવવા માટેની તમામ આંતરરાષ્ટ્રીય કોશિશ નિષ્ફળ સાબિત થશે."
પ્રિન્સ ફૈસલે કહ્યું,"ઑર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કૉ-ઑપરેશનના સભ્યો પેલાસ્ટાઇનની જમીન, જેમાં પૂય જેરૂસલેમ પણ સામેલ છે, તેના પર ઇઝરાયલના કબજાને નકારી દીધો છે. પેલેસ્ટાઇનવાસીઓની સંપત્તિ નષ્ટ કરવી, વિસ્તારવાદ તરફ વધવું, પેલેસ્ટાઇનવાસીઓની જમીનો લઈ લેવી, તેમના પરિવારોને હઠાવી દેવાય આ પ્રકારનાં અભિયાનો અમને પસંદ નથી. "
પેલેસ્ટાઇન તરફથી આવેલા વિદેશમંત્રી રિયાદ અલ-માલ્કીએ કહ્યું કે ઇઝરાયલ પેલેસ્ટાઇવાસીઓનો નરસંહાર કરી રહ્યું છે.
તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને પેલેસ્ટાઇનવાસીઓની રક્ષા કરવા અપીલ કરી છે.
ઉપરાંત કુવૈતના વિદેશમંત્રી શેખ અહમદ નાસીર અલ-મોહમ્મદે કહ્યું કે ઇઝરાયેલે પેલેસ્ટાઇનના ધર્મની સ્વતંત્રતાને સ્થગિત કરી છે. આથી કુવૈત તેની આક્રમકતાની ટીકા કરે છે.
જ્યારે લેબોનોનના વિદેશમંત્રીએ કહ્યું કે ઇઝરાયલના હુમલાઓથી સમગ્ર આરબ વિશ્વની લાગણી દુભાઈ છે.
લેબેનોને કહ્યું કે જ્યાં સુધી પેલેસ્ટાઇનની સમસ્યાનું સમાધાન નહીં થઈ જાય ત્યાં સુધી આ વિસ્તારમાં શાંતિ નહીં આવશે.
જ્યારે ઇન્ડોનેશિયાના વિદેશમંત્રીએ પણ કહ્યું કે ઇઝરાયલે આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન કર્યું છે અને તેને રોકવું જોઈએ.
તુર્કી પણ ગાજ્યું
આ મામલે તુર્કીના વિદેશ મંત્રી મેવુટ ચઉસલવાએ પણ યુએનની સભામાં ઇઝરાયલની ઝાટકણી કાઢી.
તુર્કીના વિદેશમંત્રીએ કહ્યું,"તુર્કી પેલેસ્ટાઇવાસીઓને સમર્થન આપતું જ રહેશે. તુર્કી તેમની સામેની ક્રૂરતા પર શાંત નહીં રહે."
"જેઓ ચૂપ છે તેઓ અન્યાયનો સાથ આપી રહ્યા છે. ઇઝરાયલે ગાઝામાં હ\સ્પિટલ અને સ્કૂલોને પણ નિશાન બનાવી છે. આવી આક્રમકતા યુદ્ધઅપરાધ હેઠળ આવે છે. જેરૂસલેમ ગાઝા અને વેસ્ટ બૅન્કમાં જેં કંઈ પણ થયું છે તેના માટે માત્ર ઇઝરાયલ જ જવાબદાર છે."
તુર્કીના વિદેશમંત્રી આંતરરાષ્ટ્રીય સમુદાયને ઇઝરાય સામે એકજૂથ થવા કહ્યું અને ઉમેર્યું કે એક વાર ફરી યુએનની સુરક્ષાપરિષદ ઇઝરાયલ મામલે નિષ્ફળ નીવડી છે.
આ પહેલાં યુદ્ધવિરામ માટે તૈયાર થતાં ઇઝરાયલના કૅબિનેટે પણ આ મામલે પુષ્ટિ કરી હતી તો બીજી તરફ હમાસની પ્રવક્તાએ પણ કહ્યું હતું કે શુક્રવારથી જ યુદ્ધવિરામ સમજૂતી લાગુ થઈ ગઈ છે.
હમાસે એમ પણ કહ્યું કે આ સમજૂતી પરસ્પર સહમતીથી થઈ છે. જોકે અત્રે એ નોંધવું કે જે મોત થયા છે તેમાં મોટાભાગના ગાઝા તરફે થયાં છે.
અમેરિકી પ્રમુખ જો બાઇડને કહ્યું કે ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધવિરામ માટેના સમયની પુષ્ટિ કરી દીધી હતી.
તેમણે એમ પણ કહ્યું કે આ સમજૂતી બંને દેશો માટેની પ્રગતિનો સાચો અવસર છે.
ગુરુવારે બંને પક્ષો વચ્ચે સતત 11મા દિવસે પણ હુમલા સતત ચાલુ જ રહ્યા હતા. ઇઝરાયલે ઉત્તરી ગાઝામાં હમાસનાં ઠેકાણાં પર 100થી વધુ હુમલા કર્યા. હમાસે પણ જવાબમાં ઇઝરાયલ પર રૉકેટ છોડ્યાં હતાં.
જોકે, સંઘર્ષવિરામની જાહેરાતની કેટલીક જ મિનિટોમાં ઇઝરાયલ સેનાએ કહ્યું કે દક્ષિણી ઇઝરાયલમાં ચેતવણી માટે સાયરન વાગ્યાં હતાં. આવું ત્યારે જ થાય છે જ્યારે ગાઝાથી રૉકેટ હુમલો થયો હોય.
બીજી તરફ ગાઝા તરફથી પેલેસ્ટાઇન મીડિયામાં અહેવાલો છે કે તેમના ક્ષેત્રમાં ફરી હુમલા થયા છે.
કેવી રીતે શરૂ થઈ હતી હિંસા?
ગાઝામાં લડાઈ 10મેથી શરૂ થઈ હતી.
આ પહેલાં ઇઝરાયલ અને પેલેસ્ટાઇન ચરમપંથીઓ વચ્ચે પૂર્વ જેરૂસલેમને લઈને કેટલાંય સપ્તાહથી તણાવ હતો.
7મેના રોજ અલ-અક્સા મસ્જિદ પાસે યહૂદીઓ અને આરબો વચ્ચે અથડામણો થઈ. બન્ને પક્ષ સંબંધિત વિસ્તારને એક પવિત્ર સ્થળ માને છે. તેના બે દિવસ પછી ઇઝરાયલ અને હમાસે એકબીજા પર હુમલા શરૂ કર્યા હતા.
ગાઝામાં અત્યાર સુધી ઓછામાં ઓછા 232 લોકોના જીવ ગયા છે. ગાઝા પર નિયંત્રણ રાખનારા હમાસના આરોગ્યમંત્રીનું કહેવું છે કે ગાઝામાં મૃત્યુ પામનારાંમાં કમ સે કમ 100 બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે.
ઇઝરાયલનું કહેવું છે કે ગાઝામાં મરનારા લોકોમાં ઓછામાં ઓછા 150 ચરમપંથીઓ છે. હમાસે તેમના લોકોનાં મોત વિશે કોઈ આંકડો નથી આપ્યો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો