ચીન સામેનું 'બહિષ્કાર આંદોલન' ભારતમાં સફળ થઈ શકશે?

નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ

ઇમેજ સ્રોત, AFP

    • લેેખક, ઝુબૈર અહમદ
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારત-ચીન સીમા પર ગલવાન ઘાટીમાં સોમવારે રાતે બંને દેશના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું છે, જેમાં સેનાના એક અધિકારી સહિત 20 જવાનોનાં મૃત્યુ થયાં છે.

સેના અનુસાર સંઘર્ષમાં બંને દેશોના સૈનિકો ઘાયલ થયા છે. બંને દેશો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સીમાને લઈને તણાવની સ્થિતિ હતી જે હવે વધારે વકરી હોય એવું લાગે છે.

ભારતના અલગ અલગ રાજ્યોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને લોકો ચાઇનીઝ પ્રૉડક્ટને બૉયકોટ કરવાની માગ કરી રહ્યા છે.

પણ સવાલ એ છે કે શું ચીનને એક ઝટકામાં બાય-બાય કરી શકાય છે ખરા?

ભારતના નાગરિકોનાં બેડરૂમ, પંખા, ઍરકંડિશનર, મોબાઇલ ફોન અને પેટીએમ જેવા મોબાઇલ વૉલૅટમાં પણ ચીનની હાજરી દેખાઈ આવે છે. તો ભારતીય માર્કેટમાં ચીનની અવગણના કરવી ખરેખર કેટલી અઘરી છે?

line

ભારતમાં સર્વત્ર છે ચીન

ટીકટોક

ઇમેજ સ્રોત, TIKTOK

ચીને પ્રત્યક્ષ વિદેશી રોકાણ એટલે FDI અંતર્ગત ભારતમાં માત્ર છ બિલિયન ડૉલર રોક્યા છે, જ્યારે પાકિસ્તાનમાં આ રોકાણ 30 બિલિયન ડૉલરનું છે.

પરંતુ ચીન ભારતમાં કરેલા તેના રોકાણ વડે અસમાન લાભ મેળવતું હોવાના આરોપો લાગતા રહ્યા છે.

મુંબઈસ્થિત ફૉરેન અફેર થિંકટૅંક 'ગેટવૅ હાઉસ' દ્વારા ચીનનું રોકાણ ધરાવતી ભારતમાં આવેલી આવી 75 કંપનીઓ ઓળખી કાઢી છે, જે ઈ-કૉમર્સ, ફિનટેક, મીડિયા/સોશિયલ મીડિયા અને લૉજિસ્ટિક્સ ક્ષેત્રે કાર્યરત્ છે.

તેના તાજેતરના એક અહેવાલમાં સામે આવ્યું હતું કે ચીન ભારતમાં આવેલી 30 ટોચની યુનિકૉર્ન કંપનીઓમાં હિત ધરાવે છે, આપને જણાવી દઈએ કે યુનિકૉર્ન એટલે કે એવી ખાનગી સ્ટાર્ટઅપ કંપની જેનું મૂલ્ય એક બિલિયન ડૉલર આંકવામાં આવ્યું હોય. રિપોર્ટ અનુસાર, ટેક સૅક્ટરમાં તેના રોકાણની પ્રકૃતિને કારણે ચીન ભારત પર ઔદ્યોગિક ક્ષેત્રે આવી પકડ ધરાવે છે.

ઉદાહરણ તરીકે ટિકટૉકની માતૃસંસ્થા બાઇટડાન્સ, જે હાલ ભારતમાં યૂટ્યૂબ કરતાં પણ વધુ લોકપ્રિય બની ગઈ છે.

જોકે, ભારત ચીનના રોકાણની આ રણનીતિથી અમુક અંશે પરિચીત હતું. આ રણનીતિથી સફાળી જાગી ઊઠેલી ભારત સરકારે તાજેતરમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ અંગેના નિયમો બદલી નાખ્યા હતા. જે અંતર્ગત ભારતની સાથે જમીન થકી જોડાયેલા તમામ દેશોએ ભારતીય કંપનીઓમાં મૂડીરોકાણ કરતાં પહેલાં ભારત સરકારની પૂર્વમંજૂરી લેવાની રહેશે.

આ નવા નિયમને કારણે ચીનની કંપનીઓ થોડી મુશ્કેલીમાં જરૂર મુકાઈ હતી, પરંતુ નવા નિયમોની અસર એપ્રિલમાં કરેલા રોકાણ પર નહીં પડે.

ચીનની રોકાણની રણનીતિને માત આપવા માટે ભારત કડક હાથે કામ લઈ રહ્યું હોવા છતાં ભારતમાં સર્વત્ર ચીની પેદાશો પથરાયેલી જોવા મળે છે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કોરોનામાં ફાયદાકારક ગણાવવામાં આવેલ દવા હાઇડ્રોક્સિક્લોરોક્વિન, જે ભારત દ્વારા હાલ નિકાસ કરાતી મૂલ્યવાન દવાઓ પૈકી એક છે,

આ દવા બનાવવા માટે ઉપયોગી કાચો માલ ચીનથી આયાત કરવામાં આવે છે. આ સિવાય ભારતમાં તૈયાર કરાતી અને નિકાસ કરાતી અન્ય એક દવા ક્રોસિનની બનાવટ માટે ઉપયોગી કાચો માલ પણ ચીનથી મગાવવામાં આવે છે.

ભારતીય સંસદમાં ભારત સરકાર તરફથી રજૂ કરાયેલા એક જવાબમાં રજૂ કરાયેલા આંકડા પ્રમાણે, ભારતમાં દવાના ઉત્પાદકો દ્વારા લગભગ 70 ટકા કાચો માલ ચીનમાંથી આયાત કરવામાં આવે છે. 2018-19ના નાણાકીય વર્ષમાં દવા ઉત્પાદકો દ્વારા ચીન પાસેથી 2.4 બિલિયન ડૉલરના કાચા માલની ખરીદી કરી હતી.

ભારત એ દવાની નિકાસ બાબતે વિશ્વના ટોચના દેશોમાં સામેલ છે. વર્ષ 2018-19માં દેશની દવાની નિકાસ 11 ટકા વધીને 19.2 બિલિયન ડૉલર પહોંચી ગઈ હતી.

આ સિવાય ભારતના ફાર્માઉદ્યોગ જેનરિક દવાઓ, જે ઉદ્યોગની કુલ કમાણીનો 75 ટકા હિસ્સો ધરાવે છે, તેનું ઉત્પાદન પણ મોટા ભાગે ચીન પર જ આધારિત છે.

ભારત ચીનમાંથી કાચો માલ મેળવવાનું એટલા માટે પણ પસંદ કરે છે, કારણ કે તે ઓછી કિંમતે અને સુલભ હોય છે.

ચીનની સિંચુઆન યુનિવર્સિટીના સ્કૂલ ઑફ ઇન્ટરનેશનલ સ્ટડીઝના પ્રોફેસર હુઆંગ યુનસોંગે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, "આ વલણ એ દર્શાવે છે કે બંને દેશો એકબીજા પર આધારિત છે. ચીનના દવાઓના કાચા માલના ઉત્પાદકો ભારતના દવાઉદ્યોગ વગર ન ટકી શકે."

line

ચીનથી આયાત માલ પર અવલંબન

દવા

ઇમેજ સ્રોત, Getty Images

પરંતુ સત્ય તો એ છે જેટલી ચીનને ભારતની જરૂર છે, તેના કરતાં ઘણી વધી હાલ ભારતને ચીનની જરૂર છે. બંને વચ્ચેના દ્વિપક્ષીય વેપારમાં જોવા મળતી અસમતુલા આનું ઉદાહરણ છે. ગત વર્ષે બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 90 બિલિયન ડૉલર હતો, જે પૈકી બે-તૃતિયાંશ ભાગ ભારતમાં ચીન તરફથી કરાતી પોતાના માલની નિકાસનો હતો.

પ્રોફેસર હુઆંગ યુનસોંગ આ મુદ્દાને બે દેશો વચ્ચેની બાબતે ગણાવે છે.

'સામાન્ય ભાષામાં કહું તો માળખાગત રીતે આ પ્રશ્ન આપણા અર્થતંત્રોનો છે, જે વિકાસના અલગ-અલગ સ્તરે છે. આ પ્રશ્નનો નિરાકરણ શોધવા માટે એક લાંબાગાળાની યોજના અને બંને પક્ષે ધીરજ રાખવાની દરકાર છે.'

બીજી રીતે જોઈએ તો ભારતને આ અસમતુલાને કારણે ફાયદો થાય છે. 'અન્ય દેશોની સરખામણી ચીનની સસ્તી પેદાશોની ખરીદી કરીને ભારત વિદેશી ચલણની બચત કરવામાં સફળ રહ્યું છે.'

પરંતુ ઘણા નિષ્ણાતોના મતે અસંતુલન છતાં ચીનને પણ ભારતની જરૂર છે.

દિલ્હીસ્થિત થિંકટૅન્ક 'પૉલિસી રિસર્ચ ઍન્ડ ઍમ્પાવરમૅન્ટ'નાં ડૉ. મહેઝબીન બાનુ જણાવે છે, "ચીન કોઈ પણ સંજોગોમાં ભારત જેવા મોટા બજારની અવગણના ન કરી શકે." "આપણે ચીન પાસેથી થતી માલની આયાત પર નિર્ભર છીએ, તેમાં કોઈ બેમત નથી. પરંતુ ચીનને પણ ભારત જેવા મોટા બજારની ક્ષમતાને જોતાં તેનાથી અંતર જાળવવાનું પરવડી ન શકે."

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના સ્કૂલ ઑફ ઇન્ટરનેશનલ સ્ટડીઝના પ્રોફેસર સ્વરન સિંઘ જણાવે છે કે ભારતની જેમ ઘણા દેશો ચીન સાથે વેપારી ક્ષેત્રે અસમતુલા ધરાવે છે.

'પાછલાં 15 વર્ષોથી ભારત સાથેનો ચીનનો વેપાર એકતરફી બની ગયો છે, આવું જ કંઈક અન્ય દેશો સાથે પણ થયું છે.'

તેઓ ઉમેરે છે કે, "દરેક જાતનો દ્વિપક્ષીય વેપાર, ભલે તે અસંતુલિત કેમ ન હોય પણ એકમેક પર અવલંબન સર્જે છે. તે ઘણાં તત્ત્વો પર આધારિત છે - જેમ કે, રાજ્યતંત્રની પ્રકૃતિ, રાજકીય નેતાગીરી અને આર્થિંક સબળતા."

"આ તમામ તત્ત્વો જે તે દેશને વેપારસંબંધી મુદ્દાઓના નિરાકરણ માટે ઉપયોગી બને છે."

પ્રોફેસર હુઆંગ યુનસોંગ માને છે કે બંને દેશોને એકમેકની દરકાર છે. "ચીનને પણ ભારતની અવગણના કરવી ન પરવડે. એક વૈશ્વિક અર્થતંત્રમાં, તમામ દેશો એકબીજા પર આધાર રાખતા હોય છે."

"કોરોના વાઇરસના કારણે અત્યારે જ્યારે વિશ્વ આટલી મુસીબતની ઘડીમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે હું ઇચ્છીશ કે ભારત અને ચીનના સંબંધોને હકારાત્મક દૃષ્ટિકોણથી જોવામાં આવે."

"જો નીતિ ઘડનારાઓ આર્થિકહિતોને સ્થાને ભૌગોલિક રાજકારણને ધ્યાને લઈને નિર્ણયો લેશે, તો સમગ્ર વિશ્વની સપ્લાય ચેઇન અવરોધાઈ શકે છે."

line

પ્રતિબંધ માટેના અભિયાનની કોઈ કાયમી અસર થશે ખરી?

નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ

ઇમેજ સ્રોત, Getty Images

શું ભારતમાં ચીનની પેદાશો પર પ્રતિબંધ મૂકવા માટે ચલાવાયેલ આ અભિયાનની ભારત અને ચીનના સંબંધો પર કંઈ અસર થશે ખરી?

પ્રોફેસર સ્વરન સિંઘ જણાવે છે કે, "આના કારણે રાજકીય ઘર્ષણ સર્જાઈ શકે છે. ભારતના આ અભિયાનની ચીન પર આર્થિક કરતાં રાજકીય અસર વધુ રહેશે, કારણ કે હાલ ચીન પર કોરોના મુદ્દે સમગ્ર વિશ્વનું દબાણ છે."

ડૉ. મહેઝબીન બાનુ જણાવે છે કે, "સોશિયલ મીડિયા પર ચલાવાયેલ આ અભિયાન એક ભાવનાત્મક પ્રતિક્રિયા હતી. 'સોશિયલ મીડિયા દ્વારા ઊભા કરાયેલ આવા મુદ્દાઓ હંમેશાં અલ્પજીવી જ સાબિત થાય છે, તેથી મને નથી લાગતું કે આનાથી બંને દેશો વચ્ચેના સંબંધો પર કોઈ પણ જાતનો ફેર પડશે."

પરંતુ ચીન આ અભિયાન અંગે શી પ્રતિક્રિયા આપી રહ્યું છે?

ભારતમાં કોરોના વાઇરસના કેસ

આ માહિતીને નિયમિત રીતે અપડેટ કરવામાં આવે છે, છતાં તેમાં કોઈ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશના આંકડા તાત્કાલિક ન દેખાય તેવી શક્યતા રહેલી છે.

રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ કુલ કેસ સાજા થયા મૃત્યુ
મહારાષ્ટ્ર 1351153 1049947 35751
આંધ્ર પ્રદેશ 681161 612300 5745
તામિલનાડુ 586397 530708 9383
કર્ણાટક 582458 469750 8641
ઉત્તરાખંડ 390875 331270 5652
ગોવા 273098 240703 5272
પશ્ચિમ બંગાળ 250580 219844 4837
ઓડિશા 212609 177585 866
તેલંગણા 189283 158690 1116
બિહાર 180032 166188 892
કેરળ 179923 121264 698
આસામ 173629 142297 667
હરિયાણા 134623 114576 3431
રાજસ્થાન 130971 109472 1456
હિમાચલ પ્રદેશ 125412 108411 1331
મધ્ય પ્રદેશ 124166 100012 2242
પંજાબ 111375 90345 3284
છત્તીગઢ 108458 74537 877
ઝારખંડ 81417 68603 688
ઉત્તર પ્રદેશ 47502 36646 580
ગુજરાત 32396 27072 407
પુડ્ડુચેરી 26685 21156 515
જમ્મુ-કાશ્મીર 14457 10607 175
ચંદીગઢ 11678 9325 153
મણિપુર 10477 7982 64
લદ્દાખ 4152 3064 58
આંદમાન નિકોબાર 3803 3582 53
દિલ્હી 3015 2836 2
મિઝોરમ 1958 1459 0

સ્રોત : આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, કેન્દ્ર સરકાર

કલાકની સ્થિતિ 11: 30 IST

પ્રોફેસર હુઆંગ યુનસોંગના મતે આ અભિયાનની ચીન પર કોઈ અસર નથી પડી.

"ભારતમાં ચાલી રહેલા ચીનની પેદાશો અને સોફ્ટવૅરવિરોધી અભિયાન પર ચીનમાં કોઈ ધ્યાન નથી આપી રહ્યું."

"અમને ખબર છે કે ત્યાં શું થઈ રહ્યું, બસ એટલું જ. આ બાબતે ચીન કોઈ વળતી પ્રતિક્રિયા કરશે તેની સંભાવના બિલકુલ શૂન્ય છે."

જો ભારતના અર્થતંત્ર પર ચીનની પકડ છે તો ચાઇનીઝ સોસાયટી પર પણ ભારતની અસર છે અને તે છે એના સોફ્ટપાવરને કારણે.

"અમે ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમાવિવાદને કારણે ક્યારેય બોલીવૂડ ફિલ્મો, દાર્જીલિંગ ચા, યોગા અને ભારતીય રેસ્ટોરાંથી દૂર નહીં રહી શકીએ."

line
કોરોના વાઇરસ
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો