હિંદુવિરોધી પોસ્ટર માટે પાકિસ્તાનના નેતાએ માફી માંગી

સત્તાધારી પાર્ટી તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ)ના એક નેતાના હિંદુવિરોધી પોસ્ટર ઘણાં વિવાદોમાં છે.

પીટીઆઈ લાહોરના મહાસચિવ મિયાં અકરમ ઉસ્માનના આ બેનર પાકિસ્તાનમાં યોજાયેલાં 'કાશ્મીર એકતા દિવસ'ના અવસરે લગાવવામાં આવ્યા હતા.

આ બેનર પર મિયાં અકરમ ઉસ્માન, પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન અને મોહમ્મદ અલી ઝીણાની તસવીર હતી. આના પર હિંદુવિરોધી સૂત્રોચ્ચાર લખાયા હતા.

ઉસ્માનીના બેનર પર લખ્યું હતું કે 'હિંદુ વાતથી નહીં, લાતથી માને છે.' પાકિસ્તાનના 'ડૉન ટીવી'એ ઉસ્માની સાથે વાત કરી, ત્યારે તેમણે કહ્યું પ્રિંટરને ભારતના વડા પ્રધાન 'મોદી'ને નિશાને રાખવા માટે કહ્યું હતું, પરંતુ ભૂલથી મોદીના બદલે 'હિંદુ' લખવામાં આવ્યું.

જ્યારે સોશિયલ મીડિયા પર ટીકા શરૂ થતા ઉસ્માને ટ્વિટર પર ભૂલ સ્વીકારીને લખ્યું, "પ્રિન્ટર પર ભૂલથી મોદીની જગ્યાએ હિંદુ લખવામાં આવ્યું હતું. હું બંને દેશોના એ હિંદુઓ માફી માંગુ છું, જે શાંતિથી રહે છે." 

પાકિસ્તાનના માનવ અધિકાર મંત્રી શિરીન મઝારીએ ટ્વીટ કરીને ઉસ્માને આ પોસ્ટરને શરમજનક ગણાવ્યા હતા.

આ પહેલાં ગત વર્ષે માર્ચમાં પી.ટી.આઈ. નેતા ફયાજુલ હસન ચૌહાણે હિંદુઓ સામે આપત્તિજનક નિવેદન કરતાં તેમને પાકિસ્તાનના પંજાબના સૂચના અને સંસ્કૃતિ મંત્રીના પદેથી હટાવવામાં આવ્યા હતા.

જોકે ચાર મહિના પછી પંજાબની કૅબિનેટમાં તેઓ પરત ફર્યા હતા. ફયાજુલ હસને હિંદુઓને 'ગાયનો પેશાબ પીનારા' કહ્યા હતા.

જ્યારે ફયાજુલ હસનને હટાવવામાં આવ્યા તો તે સમયના જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાએ તેમના વખાણ કર્યા હતા. ઓમરે ટ્વીટમાં લખ્યું હતું, "હિંદુઓ વિરુદ્ધ ટીકા કરનાર પાકિસ્તાનના મંત્રીને હટાવવામાં આવ્યા. બીજી તરફ, ભારતમાં સરકાર કાશ્મીરી મુસ્લિમોના બહિષ્કાર માટે કંઈ નથી કરી રહી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો