સૂર્યગ્રહણ 2020 : ગ્રહણ સાથે જોડાયેલી ડરામણી કહાણીઓ

ઇમેજ સ્રોત, Getty Images
21મી જૂને કંકણાકૃતિ ગ્રહણ જોવા મળ્યું. જેમાં કેટલીક જગ્યાઓએ 'રિંગ ઑફ ફાયર' પણ જોઈ શકાઈ, જે ખગોળવિજ્ઞાનની રસપ્રદ અને નોંધપાત્ર ઘટના માનવામાં આવે છે.
આ પહેલાં 26 ડિસેમ્બર 2019એ થયેલું સૂર્યગ્રહણ પછીના દાયકાનાં 4-5 સૂર્યગ્રહણોની સરખામણીએ સૌથી વધારે દૃશ્યમાન હોવાથી 'સદીનું સૌથી મોટું સૂર્યગ્રહણ' કહેવાતું હતું.
આમ તો દર વર્ષે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થાય છે અને પૃથ્વીના અલગઅલગ ભાગ પર લોકો તેને જોઈ શકે છે.

ગ્રહણ મામલે આજે પણ અંધવિશ્વાસ

ઇમેજ સ્રોત, Alamy
દુનિયામાં એવા લોકો પણ છે જેમના માટે ગ્રહણ કોઈ ખતરાનું પ્રતીક છે - જેમ કે દુનિયાનો વિનાશ અથવા તો ભયંકર ઊથલપાથલની ચેતવણી.
હિંદુ મિથકોમાં તેને અમૃતમંથન અથવા રાહુ-કેતુ નામના દૈત્યોની કહાણી સાથે જોડવામાં આવે છે અને તેની સાથે ઘણા અંધવિશ્વાસો પણ પ્રચલિત છે.
ગ્રહણ હંમેશાંથી લોકોને આશ્ચર્યચકિત પણ કરતું આવ્યું છે અને ડરાવતું પણ રહ્યું છે.
વાસ્તવમાં, જ્યાં સુધી મનુષ્ય પાસે ગ્રહણનાં કારણોની પૂરતી માહિતી ન હતી, તેણે અસમય સૂર્યને ઘેરતા આ અંધારા છાયા મામલે ઘણી કલ્પનાઓ કરી. ઘણી કહાણીઓ બનાવી.
7મી સદીના યુનાની કવિ આર્કિલકસે કહ્યું હતું કે ભરબપોરે અંધારું છવાઈ ગયું અને આ અનુભવ બાદ હવે તેમને કોઈ બાબતે આશ્ચર્ય નહીં થાય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મજાની વાત એ છે કે આજે જ્યારે આપણે ગ્રહણનાં વૈજ્ઞાનિક કારણો જાણીએ છીએ ત્યારે પણ ગ્રહણ સાથે જોડાયેલી આ કહાણીઓ, આ વિશ્વાસ યથાવત્ છે.

ઇમેજ સ્રોત, AFP
કૅલિફોર્નિયાની ગ્રિફિથ વેધશાળાના નિદેશક એડવિન ક્રપ કહે છે, "સત્તરમી સદીનાં અંતિમ વર્ષોમાં ઘણા લોકોને એ ખબર નહોતી કે ગ્રહણ શું કામ થાય છે અથવા તો તારાઓ કેમ ખરે છે. જોકે આઠમી સદીથી ખગોળશાસ્ત્રીઓને તેનાં વૈજ્ઞાનિક કારણોની જાણકારી હતી."
ક્રપ અનુસાર, સંચાર અને શિક્ષણની કમીને લીધે પણ માહિતીનો અભાવ હતો. માહિતીનો પ્રચારપ્રસાર ઓછો હોવાથી અંધવિશ્વાસનું પ્રમાણ પણ વધ્યું.
તેઓ કહે છે, "પ્રાચીન સમયમાં મનુષ્યની દિનચર્યા કુદરતના નિયમો પ્રમાણે સંચાલિત થતી હતી. આ નિયમોમાં કોઈ પણ ફેરફાર મનુષ્યને બેચેન કરી મૂકતો હતો."
પ્રકાશ અને જીવનના સ્રોત સૂર્યનું છુપાવું લોકોમાં ડર પેદા કરતું હતું અને તેને લઈને અનેક વાતો પ્રચલિત થઈ હતી.
સૌથી પ્રચલિત વાત હતી દાનવનું સૂરજનું ગ્રસવું. પશ્ચિમ એશિયામાં એવી વાત પ્રચલિત હતી કે ગ્રહણ સમયે ડ્રૅગન સૂરજને ગળવાની કોશિશ કરે છે અને એટલે ત્યાં ડ્રૅગનને ભગાડવા માટે ઢોલ-નગારાં વગાડવામાં આવે છે.
તો ચીનમાં માન્યતા હતી કે સૂરજને ગળવાની કોશિશ કરનાર તો સ્વર્ગનો કૂતરો હતો. પેરુવાસીઓ પ્રમાણે એ એક વિશાળ પ્યૂમા હતો અને વાઇકિંગ માન્યતા હતી કે ગ્રહણ સમયે આકાશી વરુની જોડ સૂરજ પર હુમલો કરે છે.

ઇમેજ સ્રોત, EPA
ખગોળવિજ્ઞાની અને વેસ્ટર્ન કૅપ વિશ્વવિદ્યાલયમાં પ્રોફેસર ચરીટા હૉલબ્રુક કહે છે, "ગ્રહણ અંગેની વિવિધ સભ્યતાઓની માન્યતા એ વાત પર નિર્ભર કરે છે કે ત્યાંની પ્રકૃતિ કેટલી ઉદાર કે અનુદાર છે."
"જ્યાં જીવન મુશ્કેલ છે ત્યાં દેવીદેવતાઓ પણ ક્રૂર અને બિહામણાં હોવાની કલ્પના કરાઈ છે અને એટલે ત્યાં ગ્રહણ સાથે જોડાયેલી કહાણીઓ પણ બિહામણી છે."
"જ્યાં જીવન સરળ છે, ખાવાપીવાનું ભરપૂર છે, જ્યાં ઈશ્વર કે પરાશક્તિ સાથે માનવનો સંબંધ પ્રેમપૂર્ણ હોય છે અને તેનાં મિથક પણ એવાં જ હોય છે."
મધ્યકાલીન યુરોપમાં પ્લેગ અને યુદ્ધોથી લોકો ત્રસ્ત રહેતા હતા. આથી સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ તેમને બાઇબલમાં પ્રલયના વર્ણનની યાદ અપાવતું હતું.
પ્રોફેસર ક્રિસ ફેંચ કહે છે, "લોકો ગ્રહણને પ્રલય સાથે જોડે છે, તેને સમજવું બહુ સરળ છે. બાઇબલમાં ઉલ્લેખ છે કે કયામતના દિવસે સૂરજ બિલકુલ કાળો થઈ જશે અને ચાંદ લાલ રંગનો થઈ જશે."
"સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણમાં ક્રમશઃ એવું જ થાય છે. લોકોનું જીવન પણ નાનું હતું અને તેમનાં જીવનમાં આવી ખગોળીય ઘટના એક જ વાર ઘટતી હતી, આથી એ વધુ ડરાવતી હતી."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














