અમદાવાદમાં બિલ્ડિંગની ડિઝાઇન બનાવનાર એ શખ્સ જેમણે આપણી જિંદગી બદલી નાખી

બિલ્ડિંગ

ઇમેજ સ્રોત, Alamy

    • લેેખક, જોનાથન ગ્લાન્સી
    • પદ, .

ચંદીગઢ આઝાદ ભારતનું યોજનાબદ્ધ રીતે વસાવાયેલું પહેલું શહેર છે. ચંદીગઢની ગણતરી ભારતનાં સૌથી સુંદર શહેરોમાં થાય છે.

આ શહેરનો નકશો કોણે તૈયાર કર્યો હતો એ આપ જાણો છો?

તમે એ વ્યક્તિનું નામ ન જાણતા હો તો અમે આજે તેમનો પરિચય તમને કરાવીશું. એ આર્કિટેક્ટનું નામ હતું લી કાર્બુઝિયર.

સ્વિટ્ઝર્લૅન્ડમાં જન્મેલા અને ફ્રાંસમાં જઈ વસેલા કાર્બુઝિયરને વીસમી સદીના મહાન આર્કિટેક્ટ માનવામાં આવે છે.

કાર્બુઝિયરે ડિઝાઈન કરેલી સાત દેશોમાંની 17 ઇમારતોને યુનેસ્કોએ 2016માં વર્લ્ડ હેરિટેજ સાઈટ એટલે કે વિશ્વના સાંસ્કૃતિક વારસાનો દરજ્જો આપ્યો છે.

ચંદીગઢની રચના કરવા ઉપરાંત કાર્બુઝિયરને અનેક ઇમારતોના નકશા તૈયાર કર્યા હતા.

કાર્બુઝિયરની કલાદૃષ્ટિ અને કાબેલિયતના નમૂના વિશ્વના ઘણા દેશોમાં જોવા મળે છે.

ફ્રાન્સના પોયસીમાં બનાવવામાં આવેલી વિલા સેવોય હોય, માર્સેલ શહેરમાં બનાવવાયેલા યુનાઈટ ડી હેબિટેશન એપાર્ટમેન્ટ બ્લૉક હોય, રોનચેમ્પનું નોટરડેમ ડુ હોટ ચર્ચ હોય કે પછી ચંદીગઢસ્થિત કૅપિટલ કૉમ્પ્લેક્સ હોય.

આ પૈકીની દરેક ઇમારત કાર્બુઝિયરની શાનદાર કલાદૃષ્ટિની કહાણી કહે છે.

line
બિલ્ડિંગ

ઇમેજ સ્રોત, MOma

લી કાર્બુઝિયરનું અસલી નામ ચાર્લ્સ એડઅર્ડ જ્યોંરે હતું.

તેમણે તેમની કારકિર્દીની શરૂઆત ઘડિયાળના કારીગર તરીકે કરી હતી, પણ માત્ર વીસ વર્ષની વયે તેમને મોટી ઇમારતો સાથે એવો તો પ્રેમ થયો કે તેઓ આર્કિટેક્ટ બની ગયા.

મોટી ઇમારતો સાથેના પ્રેમની શરૂઆત તુર્કી અને એથેન્સના પ્રવાસ વખતે થઈ.

તુર્કી અને એથેન્સની ભવ્ય ઇમારતોએ લી કાર્બુઝિયરનું મન મોહી લીધું હતું.

એ પછી ફ્રાંસ અને જર્મનીના પ્રવાસમાં તેમના વિચાર દૃઢ થયા. એ સમયે જ્યોંરેએ પોતાનું નામ બદલીને લી કાર્બુઝિયર રાખી લીધું હતું.

વીસ અને ત્રીસના દાયકામાં કાર્બુઝિયરે પેરિસના ઉપનગરીય વિસ્તારોમાં ક્યુબિસ્ટ વિલાનું નિર્માણ કર્યું હતું.

તેને લીધે કાર્બુઝિયરની ઇમેજ તોડફોડ કરનાર વ્યક્તિ તરીકે ઊભરી હતી.

તેમણે તેમની ઇમારતોની ડિઝાઈનમાં રેસિંગ કાર તથા નવાં વિમાનોથી માંડીને જૂના ચર્ચના નકશા ઉતારી લીધા હતા.

વીડિયો કૅપ્શન, અમદાવાદ : તમે વિશ્વપ્રસિદ્ધ આર્કિટેક્ટે બનાવેલી આ ઇમારત જોઈ?

લી કાર્બુઝિયરે ડિઝાઈન કરેલી સૌથી વિખ્યાત ઇમારત વિલા સેવોય છે.

એ સફેદ ઇમારતો ઘણા આગળના સમયની ડિઝાઈનને આધારે બની હતી.

ઈમારતોના દીવાના લોકો તેનો પીછો કરવાનું શરૂ કરતા ત્યાં સુધી કાર્બુઝિયર કોઈ નવો માર્ગ કંડારવા નીકળી પડતા હતા.

બીજા વિશ્વયુદ્ધ પછી કાર્બુઝિયરે કોન્ક્રીટ મારફત કળાનું નિર્માણ શરૂ કર્યું હતું.

એ રીતે તેઓ ઓછા પૈસાદાર લોકો માટે પણ ઇમારતોની ડિઝાઈન તૈયાર કરી શકતા હતા.

પોતાના મૃત્યુના થોડા સમય પહેલાં કાર્બુઝિયરે સ્ટીલની ઇમારતોના નિર્માણનું સૂચન કર્યું હતું.

બિલ્ડિંગ

ઇમેજ સ્રોત, Alamy

લી કાર્બુઝિયરે દુનિયાના અલગઅલગ દેશોમાં વિલા, મ્યુઝિયમ, સસ્તાં મકાન, ચર્ચ, સરકારી ઇમારતોથી માંડીને મહેલ સુધીનાં ભવ્ય ભવનોની ડિઝાઈન્સ બનાવી હતી.

તેમણે અલ્જિયર્સ જેવા શહેરની તો કાયાપલટ કરી નાખી. તેમણે વેનિસ શહેરમાં એક હૉસ્પિટલની પણ ડિઝાઈન કરી હતી.

કાર્બુઝિયરની ડિઝાઈન એકદમ ઓરિજિનલ આઈડિયા પર આધારિત હોય છે એવું ભારપૂર્વક માનવામાં આવતું હતું.

તેઓ વાસ્તવમાં કોન્ક્રીટને કળાનું સ્વરૂપ આપતા હોવાનું કહેવાતું હતું.

લી કાર્બુઝિયરની કાબેલિયતના આટઆટલા નમૂના ઉપલબ્ધ હોવા છતાં તેમના વિરોધીએ તેમને અનેક બાબતોના ગુનેગાર ગણે છે.

વિરોધીના મતાનુસાર, લી કાર્બુઝિયરને કારણે જ આજે આખી દુનિયામાં ઊંચી ઇમારતોનું, કોન્ક્રીટના જંગલનું ચલણ મોટા પ્રમાણમાં વધ્યું છે.

વિરોધીઓ કહેતા કે કાર્બુઝિયરને કારણે જ દુનિયાભરનાં શહેરોના નકશા બદલાઈ ગયા અને શહેરો ખરાબ થઈ ગયાં હતાં.

બિલ્ડિંગ

ઇમેજ સ્રોત, Alamy

વિરોધીઓ ભલે ગમે તે કહે, પણ લી કાર્બુઝિયરે ડિઝાઈન કરેલી ઇમારતો આજે પણ તેમની મૌલિકતાની સાક્ષી આપે છે.

અમદાવાદ મિલ ઑનર્સ ઍસોસિયેશન બિલ્ડિંગ હોય કે ડોમિનિકન રિપબ્લિકનું સેન્ટ મેરી ડે લા ટૂરે ચર્ચ.

આવી શાનદાર ઇમારતોને નિહાળતાં સમજાય છે કે લી કાર્બુઝિયરની કલાદૃષ્ટિ કેટલી ઊંચા દરજ્જાની હતી.

લી કાર્બુઝિયરની પચાસમી મૃત્યુતિથિએ ત્રણ ફ્રેન્ચ પુસ્તકોનું પ્રકાશન કરવામાં આવ્યું હતું.

એ ત્રણ પૈકીનાં બેમાં કાર્બુઝિયરની સિદ્ધિ, તેમના કલાત્મકતાને એક મર્યાદામાં બાંધવાનો, હલકા પ્રકારની ગણાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જ્યારે એક પુસ્તકમાં તો કાર્બુઝિયરને ફાંસીવાદી ગણાવાયા હતા.

તેનું કારણ એ હતું કે કાર્બુઝિયરે હિટલરની સરકાર સાથે પણ કામ કર્યું હતું.

કાર્બુઝિયરે તેમના પુસ્તક 'ધ રેડિયન્ટ સિટી'માં સ્વિડનની રાજધાની સ્ટોકહોમને બદસૂરત શહેર ગણાવ્યું હતું.

એ પછી ત્યાંના નેતાઓએ અનેક જૂની ઈમારતોને તોડી પાડીને ત્યાં નવી બિલ્ડિંગોનું નિર્માણ કર્યું હતું.

બિલ્ડિંગ

ઇમેજ સ્રોત, Alamy

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સ્ટોકહોમે કોઈ બૉમ્બમારાનો સામનો કરવો પડ્યો નહોતો, પણ કાર્બુઝિયરની સલાહને અનુસરીને ત્યાંના નેતાઓએ શહેરેનો નકશો સમૂળગો બદલી નાખ્યો હતો.

લી કાર્બુઝિયરના ઘણા વિચાર ખોટા હતા તેમાં બેમત નથી, પણ તેમણે બનાવેલી ઇમારતો તેમની કલાદૃષ્ટિની સાક્ષી પૂરે છે.

લી કાર્બુઝિયર સામાન્ય માણસ હતા અને તેમનામાં સંતો જેવી ખૂબીઓ પણ હતી.

તેઓ બુદ્ધિશાળી પણ હતા અને અનેક વાર તેમણે છોકરમતનું પ્રદર્શન પણ કર્યું હતું.

તેમના રાજકીય વિચારો ભલે વિવાદાસ્પદ હોય, પણ એક આર્કિટેક્ટ તરીકે તેમણે શાનદાર સિદ્ધિઓ હાંસલ કરી હતી.

તેઓ વીસમી સદીના મહાનતમ આર્કિટેક્ટ્સ પૈકીના એક હતા.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો