You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રશિયા સામે યુક્રેનમાં વિરોધ, રશિયન દૂતાવાસની કાર સળગાવાઈ
રશિયાએ ક્રિમિયા દ્વીપ પાસે યુક્રેન નૌકાદળના ત્રણ જહાજ પર હુમલો કરીને તેની ઉપર કબજો કરી લીધો છે.
આ ઘટનાને કારણે રશિયા તથા યુક્રેની વચ્ચે તણાવ વધી ગયો છે અને બંને પ્રવર્તમાન સ્થિતિ માટે એકબીજાને જવાબદાર ઠેરવી રહ્યા છે.
રશિયાનું કહેવું છે કે આઝોવ સાગરમાં યુક્રેનના જહાજ ગેરકાયદેસર રીતે તેના જળવિસ્તારમાં પ્રવેશ્યા હતા.
આને પગલે રશિયાએ કર્ચમાં સાંકળા જળમાર્ગના પુલ નીચે ટૅન્કર ઊભું રાખીને આઝોવ સાગર તરફની જહાજી અવરજવર અટકાવી દીધી હતી.
આઝોવ સાગર જમીન વિસ્તારથી ઘેરાયેલો છે. સાંકળો જળમાર્ગ તેને કાળા સાગર સાથે જોડે છે.
આઝોવ સાગરની જળસીમા રશિયા તથા યુક્રેનની વચ્ચે વહેંચાયેલી છે.
આ ઘટના બાદ યુક્રેનની રાજધાની કિવમાં હાલ તંગદીલી પ્રવર્તી રહી છે.
રશિયાના દૂતાવાસ સામે પ્રદર્શનકર્તાઓ એકઠા થયા હતા અને તેમણે દૂતાવાસની એક કારને સળગાવી દીધી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આશરે 150 જેટલા લોકો રશિયાના દૂતાવાસ પાસે એકઠા થઈને વિરોધ કરી રહ્યા હતા.
રૉયટર્સ ન્યૂઝ એજન્સીને એક પ્રદર્શનકર્તાએ જણાવ્યું હતું કે અમે અહીં રશિયા દ્વારા ભરવામાં આવેલા પગલાનો વિરોધ કરવા માટે એકઠા થયા છીએ.
શું કહે છે યુક્રેન ?
યુક્રેનનના રાષ્ટ્રપતિ પેટ્રો પોરોશેંકોએ નેશનલ સિક્યુરિટી ઍન્ડ ડિફેન્સ કાઉન્સિલની બેઠક કરીને આ કાર્યવાહીને 'ચસકી ગયેલું' ઠેરવ્યું હતું.
યુક્રેન દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન પ્રમાણે, રશિયાના વિશેષ દળોએ તેના બે નૌકાજહાજો તથા એક ટગ બૉટનો પીછો પકડીને તેને કબજે લીધા હતા.
નિવેદન પ્રમાણે, આ ઘટનાક્રમમાં યુક્રેન નૌકાદળના છ ક્રૂ મૅમ્બર્સને ઈજા પહોંચી છે.
યુક્રેનના રાષ્ટ્રપતિના પ્રવક્તાએ આપેલી માહિતી પ્રમાણે, આ સંબંધે 'વૉર કૅબિનેટ'ની મહત્ત્વપૂર્ણ બેઠક બોલાવી હતી.
આ ઘટના બાદ યુક્રેનમાં 'માર્શલ લો' લાગુ કરવાની તૈયારી થઈ રહી છે. આજે યુક્રેનની સંસદમાં પ્રસ્તાવ પર વિચારણા થશે.
તમે આ વાંચ્યું કે નહીં?
રશિયાનું વલણ
રશિયાનું કહેવું છે કે સલામતીના કારણોસર આ વિસ્તારમાં જહાજી અવરજવર અટકાવી દેવામાં આવી છે.
રશિયાએ આ વિસ્તારમાં બે ફાઇટર-જેટ તથા બે હેલિકૉપ્ટર તહેનાત કર્યા છે.
યુક્રેનના નૌકાદળનું કહેવું છે કે રશિયાએ નિકોપોલ તથા બર્ડિયાંસ્ક નામની બે ગનબૉટ ઉપર હુમલો કરીને તેને 'નકામી' બનાવી દીધી છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2014માં રશિયાએ હુમલો કરીને ક્રિમિયા દ્વીપકલ્પ પર કબજો કરી લીધો હતો. તાજેતરમાં આ વિસ્તારમાં તણાવ વધી ગયો છે.
દરમિયાન યુરોપિયન સંઘનું કહેવું છે કે કર્ચ અને આઝોવ વચ્ચેનો દરિયાઈ પરિવહન વ્યવહાર પૂર્વવત્ કરવામાં આવે.
નાટોએ આ મામલે યુક્રેનને સમર્થન આપ્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો