મ્યાનમારઃ રોહિંગિયા બળવાખોરોએ યુદ્ધવિરામની જાહેરાત કરી

Damages in Rohingya Muslim Populated Areas in Myanmaar

ઇમેજ સ્રોત, EPA

મ્યાનમાર સ્થિત બળવાખોર રોહિંગ્યા મુસ્લિમોના જૂથે એક તરફી યુદ્ધ-વિરામની જાહેરાત કરી છે.

મ્યાનમારના પશ્ચિમમાં માનવીય કટોકટીને ઘટાડવાની દિશામાં આ પગલું લેવામાં આવ્યું છે.

મ્યાનમારના સુરક્ષા દળો પર અરાકાન રોહિંગયા સાલ્વેશન આર્મીના હુમલા બાદ મ્યાનમાર લશ્કરે એક સશસ્ત્ર ઝુંબેશ શરૂ કરી છે. જેના કારણે લગભગ ત્રણ લાખ રોહિંગ્યા મુસ્લિમોએ ભાગીને બાંગ્લાદેશમાં શરણ લીધું છે.

રોહિંગ્યા બળવાખોરોએ મ્યાનમાર લશ્કરને યુદ્ધ-વિરામ માટે અપીલ કરી છે અને માનવતાવાદી સંસ્થાઓને પણ રાહતકાર્ય શરુ કરવા માટે અપીલ કરી છે.

મ્યાનમાર સરકારના એક મંત્રીએ બીબીસીને જણાવ્યું હતું કે ઘણા રોહીંગ્યા મુસલમાનો બાંગ્લાદેશ ભાગી ગયા છે. હવે તેમના મ્યાનમાર પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

શરણાર્થીઓ માટે મદદની જરૂર

Rohingya Muslim Refugess seeking aid

ઇમેજ સ્રોત, Getty Images

સંયુક્ત રાષ્ટ્રસંઘના જણાવ્યા પ્રમાણે, માનવતાવાદી સહાય જૂથોને મ્યાનમારથી નાસેલા રોહીંગ્યા મુસલમાનોની મદદઅર્થે ૭.૭ મિલિયન ડોલરની તાત્કાલિક જરૂરિયાત છે.

બાંગ્લાદેશમાં કોક્સના બજાર સુધી પહોંચેલા શરણાર્થીઓને ખોરાક, પાણી, આરોગ્ય સારસંભાળની ખૂબ જ જરૂર છે.

મ્યાનમારના લઘુમતી સમુદાયના રોહિંગ્યા મુસ્લિમો કહે છે, "મ્યાનમાર લશ્કર અને પ્રતિબંધિત બૌદ્ધ તેમના ગામો સળગાવી રહ્યા છે." મ્યાનમારની સરકારે આ આરોપને ફગાવતા કહ્યું છે કે લશ્કર રોહિંગ્યા ઉગ્રવાદીઓ સામે લડી રહ્યું છે.

યુદ્ધવિરામમાં મ્યાનમારની સરકાર તરફથી કોઈ પ્રતિસાદ નથી.

ભૂગર્ભ સુરંગ

Bangldesh Border Security Force patrolling Bangladesh-Myanmaar Border Area

ઇમેજ સ્રોત, AFP

શનિવારે, અમ્નેસ્ટ ઇન્ટરનેશનલ જૂથે બાંગ્લાદેશ સરહદ પર ભૂગર્ભ સુરંગ મુકવા માટે મ્યાનમાર સૈન્ય પર આક્ષેપ કર્યો હતો. બાંગ્લાદેશ બોર્ડર સિક્યોરિટી ફોર્સ અને સરહદી વિસ્તારના લોકોએ બીબીસીને જણાવ્યું હતું કે મ્યાનમારના ૧૦૦થી વધુ સૈનિકો સરહદ પર ભૂગર્ભ સુરંગ લગાવતા જોવા મળ્યા હતા.

મ્યાનમારની સેનાએ જણાવ્યું હતું કે હાલમાં કોઈ ભૂગર્ભ સુરંગ પાથરવામાં આવેલ નથી. રોહિંગ્યા કટોકટી પર મ્યાનમારના નેતા આંગ સન સુ કીના મૌન માટે તેમની ટીકા કરવામાં આવી રહી છે.