મોરબીનો ઝૂલતો પુલ રિપૅરિંગના સમય પહેલાં જ ખુલ્લો મૂકી દેવાયો હતો?

ઇમેજ સ્રોત, UGC/Rajesh Ambaliya
- લેેખક, પારસ ઝા
- પદ, બીબીસી સંવાદદાતા
મોરબીનો જે ઐતિહાસિક ઝૂલતો પુલ 135 લોકોના મોતનું કારણ બન્યો છે, તેનું સમારકામ અને જાળવણીનું કામ અજંતા બ્રાન્ડની ઘડિયાળનું ઉત્પાદન કરનારા મોરબીના ઉદ્યોગગૃહ ઓરેવાને સોંપવામાં આવ્યું હતું.
આ ગ્રૂપ અને મોરબી નગરપાલિકા વચ્ચે રૂપિયા 300ના સ્ટેમ્પપેપર પર થયેલા ચાર પાનાંના કૉન્ટ્રેક્ટ ઍગ્રીમેન્ટમાં ટિકિટના દર માટે જેટલી વિગતવાર માહિતી આપવામાં આવી છે, તેટલી સ્પષ્ટતા આ પુલની જાળવણી માટેની શરતો માટે જોવા મળતી નથી.
બીબીસી ગુજરાતી પાસે આ કૉન્ટ્રેક્ટ ઍગ્રીમેન્ટની કૉપી છે.
આ ઍગ્રીમેન્ટમાં લખવામાં આવ્યું છે કે, "ઝૂલતા પુલનું "મૅનેજમૅન્ટ" જેવું કે O&M (ઑપરેશન અને મેન્ટનન્સ), (સિક્યૉરિટી)/ સફાઈ / મૅન્ટનન્સ/ પેમેન્ટ કલેક્શન/ સ્ટાફ વગેરેનો ઍગ્રીમેન્ટ કરવામાં આવેલ છે."
આ ઍગ્રીમેન્ટમાં કલેક્ટર, નગરપાલિકા અને ઓરેવા ગ્રૂપ દ્વારા પુલ પર જવાના હાલના દર અને વર્ષ 2027-28 સુધી તેમાં કેટલો વાર્ષિક વધારો કરવામાં આવશે તેની વયજૂથ પ્રમાણે વિગતો આપવામાં આવી છે. જેમાં હાલ જે સામાન્ય સહેલાણીઓ માટેની ટિકિટના દર 15 રૂપિયા છે, તેનો વર્ષ 2027-28 સુધીમાં 25 રૂપિયા થશે.
પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની સ્કૂલ પિકનિક માટેના દર પ્રતિ વિદ્યાર્થી પાંચ રૂપિયા અને 12 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓ માટે પહેલાં બે વર્ષ માટે અનુક્રમે 10 રૂપિયા અને 12 રૂપિયા અને ત્યારબાદ વર્ષ 2027-28 સુધી 15 રૂપિયા રાખવાનું ઠરાવવામાં આવ્યું છે.
વર્ષ 2027-28 બાદ દર વર્ષે તમામ સહેલાણીઓની પ્રવેશ ફીમાં બે રૂપિયાનો વધારો થશે તેમ પણ આ ઍગ્રીમેન્ટમાં લખવામાં આવ્યું છે.
ટિકિટના આ દર સહિત ઍગ્રીમેન્ટમાં કુલ નવ મુદ્દા છે. જેમાં ટિકિટ સિવાયના બાકીના કોઈ જ મુદ્દાની વિગતવાર છણાવટ નથી કરવામાં આવી કે કોઈ પણ શરતો મૂકવામાં નથી આવી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઍગ્રીમેન્ટમાં રિપેરિંગ અને મેન્ટનન્સની કોઈ વિગતો નથી

ઇમેજ સ્રોત, Bipin Tankaria
ઍગ્રીમેન્ટના ત્રીજા મુદ્દામાં એક જ વાક્યમાં લખવામાં આવ્યું છે કે, "ઝૂલતો પુલ રિપૅરિંગ કરીને ચાલુ કરવાનો તમામ ખર્ચ અજંતા મૅન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ (ઓરેવા ગ્રૂપ) દ્વારા કરવાનો રહેશે."
આ પુલમાં રિપેરિંગની શી જરૂરિયાત છે અને તેને કેવી રીતે રિપેર કરવામાં આવશે તેની કોઈ વિગતો નથી.
ચોથા મુદ્દામાં લખવામાં આવ્યું છે કે, "આ ઍગ્રીમેન્ટ થયે ઓરેવા ગ્રૂપ દ્વારા ઝૂલતા પુલને યોગ્ય રિનોવેટ કરી જનતા માટે ખુલ્લો મુકાશે. જેમાં ઍગ્રીમેન્ટની તારીખથી અંદાજે 8થી 12 માસનો સમય લાગશે."
ઉલ્લેખનીય છે કે આ પુલના રિપેરિંગ માટે 8થી 12નો સમય લાગવાનો હોવા છતાં તેને આ ઍગ્રીમેન્ટના સાતમા મહિનામાં જ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો.
પાંચમા અને છઠ્ઠા મુદ્દામાં ઓરેવા ગ્રૂપને પોતાનું બ્રાન્ડિંગ અને કૉમર્શિયલ પ્રવૃત્તિ કરવાની છૂટ આપવામાં આવી છે.
સાતમા મુદ્દામાં ઍગ્રીમેન્ટના સમયગાળામાં ઝૂલતા પુલની આવક અને ખર્ચ ઓરેવા ગ્રૂપને આપવામાં આવે તેવું નિર્ધારિત કરવામાં આવ્યું છે.
જેમાં લખ્યું છે કે, "તમામ ઍડમિનિસ્ટ્રેટિવ કાર્યો જેમ કે, સ્ટાફ ઍપોઇન્ટમૅન્ટ, સફાઈ, ટિકિટબુકિંગ, મૅન્ટનન્સ, કલેક્શન, ખર્ચના હિસાબો વગેરે તમામ કામો અજંતા મૅન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ (ઓરેવા ગ્રૂપ) સંભાળશે જે કામોમાં સરકારી, બિનસરકારી, નગરપાલિકા, કોર્પોરેશન કે અન્ય કોઈ પણ એજન્સીનો હસ્તક્ષેપ રહેશે નહીં."
નગરપાલિકાના ચીફ ઑફિસર સંદીપસિંહ ઝાલાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે,"સાત માર્ચના દિવસે થયેલા કૉન્ટ્રેક્ટમાં આ પુલ 15 વર્ષ માટે ઓરેવા ગ્રૂપને મેન્ટન અને રિનોવેટ કરવા માટે આપવામાં આવ્યો હતો. એના આધારે પુલ વપરાશમાં નહોતો તેને રિનોવેટ કરી, રિનોવેશન કંપ્લિટ થયે, કન્સેન્ટ સાથે બધા ડૉક્યુમેન્ટ સબમીટ કરીને તેમણે આ પુલ ચાલુ કરવાનો હશે."
તેમણે વધુમાં કહ્યું કે, "હંમેશાં એક બૅચમાં 20-25 માણસો હોય એ રીતે જ લોકોને આ પુલ પર મોકલવામાં આવતા હતા. હવે તેમણે રિનોવેશનમાં શું મટીરિયલ વાપર્યું? તેની લોડ બિયરિંગ કૅપેસિટી શું હતી? તે તપાસનો વિષય છે. તેના માટે ઇન્ક્વાયરી કમિશન છે."
ઓરેવા ગ્રૂપે નગરપાલિકા સાથેના ઍગ્રીમેન્ટમાં દર્શાવેલ મેન્ટનન્સના નિર્ધારિત સમય પહેલાં જ ઝૂલતા પુલને જનતા માટે ખુલ્લો મૂકી દીધો હતો.
ઍગ્રીમેન્ટના ચોથા મુદ્દામાં લખવામાં આવ્યું છે કે, "આ ઍગ્રીમેન્ટ થયે ઓરેવા ગ્રૂપ દ્વારા ઝૂલતા પુલને યોગ્ય રિનોવેટ કરી જનતા માટે ખુલ્લો મુકાશે. જેમાં ઍગ્રીમેન્ટની તારીખથી અંદાજે 8થી 12 માસ જેટલો સમય લાગશે."
આ પુલના રિપેરિંગ માટે 8થી 12 મહિનાનો સમય લાગવાનો હોવા છતાં, 7 માર્ચે કરેલા કૉન્ટ્રેક્ટના સાતમા મહિનામાં જ મેન્ટનન્સ પૂર્ણ કરીને પુલને જનતા માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો.

કેવી રીતે બની આ દુર્ઘટના?

ઇમેજ સ્રોત, Bipin Tankaria
ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પરનો પુલ રવિવારે સાંજે છ વાગ્યા આસપાસ તૂટી પડ્યો. મોરબીમાં પુલ તૂટી પડતાં અત્યાર સુધીમાં 35 લોકોનાં મોત થયાં છે.
આખી રાત સુધી લોકોને પાણીમાંથી બહાર કાઢવાની કામગીરી ચાલી હતી. પુલ તૂટ્યા બાદ ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી મોરબી પહોંચ્યા હતા.
મૃતકોને બે લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય જાહેર કરાઈ છે. અલગઅલગ દળોના 200થી વધુ જવાનો કામ લાગ્યા હોવાનું જાણવા મળ્યું છે.
મોરબીમાં 145 વર્ષ જૂનો પુલ તૂટી પડતા અનેક લોકો પાણીમાં પડ્યા અને 141નાં મોત થયાં છે. દુર્ઘટના સર્જાઈ ત્યારથી અત્યાર સુધીમાં હજુ પણ ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી ચાલુ છે.
આખી રાત લોકોએ પાણીમાં પડીને લોકોને બચાવ્યા હતા. તો સમગ્ર ઘટનાને પગલે વહીવટીતંત્ર પણ કામે લાગી ગયું છે.
ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોમવારે વહેલી સવારે પત્રકારપરિષદને સંબોધતાં કહ્યું હતું કે "રવિવારે સાંજે 6.30 વાગ્યે પુલ તૂટવાની ઘટના ઘટી હતી."
"6.45 વાગ્યે તંત્ર દ્વારા રાહતકામગીરી શરૂ કરી દેવાઈ હતી. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક ધોરણે મોરબી પહોંચીને બધી વ્યવસ્થા કરી હતી."
"ગણતરીના કલાકોમાં અલગ-અલગ દળોના 200થી વધારે જવાનો બચાવકામગીરી આખી રાત કરી રહ્યા હતા."
"વડા પ્રઘાન કાર્યાલય અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા બચાવકામગીરીનું આખી રાત નિરીક્ષણ કરાયું હતું."
તેમણે કહ્યું હતું કે "આ કામગીરીમાં સત્તાવાર આંકડા પ્રમાણે બે લોકોનો હજી પત્તો મળ્યો નથી."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

















