અંકિતા ભંડારી હત્યા કેસ : 'અનૈતિક કામ' માટે મજબૂર કરવાનો આરોપ અને ભાજપના નેતાના પુત્રની ધરપકડ, શું છે સમગ્ર મામલો?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, શહબાઝ અનવર
- પદ, બીબીસી માટે

- ઉત્તરાખંડના એક રિસોર્ટમાં અંકિતાની હત્યા થઈ છે
- 20 તારીખે અંકિતા ગુમ થયાની જાણ પરિવારને થઈ, 24 તારીખે ચીલા નહેરમાંથી મૃતદેહ મળ્યો
- હત્યાનો આરોપ રિસોર્ટ સંચાલક પુલકિત આર્ય સહિત બે લોકો પર છે
- પુલકિત ભાજપ નેતા અને પૂર્વ રાજ્યમંત્રી વિનોદ આર્યના પુત્ર છે, રાજ્ય સરકારનો એસઆઈટી બનાવી ઝડપી તપાસનો આદેશ

ઉત્તરાખંડના પૌડીગઢવાલ જિલ્લાના યમકેશ્વર બ્લૉકસ્થિત વંતરા રિસોર્ટની રિસેપ્શનિસ્ટ અંકિતા ભંડારીની હત્યા હાલ ખૂબ ચર્ચામાં છે.
પોલીસનું કહેવું છે કે 19 વર્ષીય અંકિતાની હત્યા રિસોર્ટ સંચાલક અને ભાજપ નેતા અને પૂર્વ રાજ્યમંત્રી વિનોદ આર્યના પુત્ર પુલકિત આર્ય, રિસોર્ટ મૅનેજર સૌરભ ભાસ્કર અને અન્ય એક કર્મચારી અંકિતે કરી છે.
ઉત્તરાખંડમાં અન્ય પછાત વર્ગ આયોગના ઉપાધ્યક્ષ અને પુલકિત ભાઈ અંકિતનું આ ઘટના બાદ પદ લઈ લેવામાં આવ્યું છે.
પોલીસ પ્રમાણે અંકિતાને "અનૈતિક કાર્ય" માટે મજબૂર કરવામાં આવતાં હતાં અને જ્યારે અંકિતાએ આ અંગે અન્ય લોકોને જાણ કરવાની ધમકી આપી તો તેમની હત્યા કરી દેવામાં આવી હતી. શનિવારે અંકિતાનો મૃતદેહ ઋષિકેશ-હરિદ્વાર રોડ પર ચીલા શક્તિ નહેરના પાવર હાઉસ પાસેથી મળી આવ્યો હતો.
અંકિતા ઉત્તરાખંડના જ જિલ્લા પૌડી ગઢવાલના ડોમ શ્રીકોટના રહેવાસી હતાં. તેઓ ઋષિકેશમાં લક્ષ્મણઝૂલા અને ચીલા વચ્ચે આવેલા વંતરા રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતાં હતાં.
આ વિશે ઉત્તરાખંડના ડીજીપી અશોકકુમારે કહ્યું, "વંતરા રિસોર્ટ લક્ષ્મણઝૂલા અને ચીલા વચ્ચે આવેલો છે. 22 સપ્ટેમ્બરે પોલીસને આ અંગે જાણકારી મળી અને 24 કલાકમાં જ અંકિતા હત્યાકાંડના તમામ આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી."

શું છે પરિવારનો આરોપ?

ઇમેજ સ્રોત, VINAY PANDEY/BBC
અંકિતા ભંડારીના પિતા વીરેન્દ્ર ભંડારીને પુત્રી રિસોર્ટમાંથી ગુમ હોવાની માહિતી મળી હતી.
તેમણે મીડિયાને કહ્યું, "મારી પુત્રી 28 ઑગસ્ટે વંતરામાં રિસેપ્શનિસ્ટની નોકરી માટે ગઈ હતી. મને 19 સપ્ટેમ્બરે ખબર પડી કે મારી પુત્રી ગુમ છે. મને આ જાણકારી હોટલમાલિક અને અન્ય કેટલાક છોકરાઓએ આપી હતી. સાંજે હું ત્યાં પહોંચ્યો હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ જણાવે છે, "અમે રાજસ્વ પોલીસમાં અંકિતા ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવવા ગયા પણ તેમણે ફરિયાદ ન નોંધી. અમને તેઓ હોટલમાલિકના પક્ષમાં લાગ્યા."
યમકેશ્વરના ઇન્ચાર્જ એસડીએમ કોટદ્વાર પ્રમોદકુમારે મીડિયાને કહ્યું, "આ કેસમાં સંબંધિત તમામ મોબાઇલ નંબર સર્વેલન્સ પર રાખવા માટે પોલીસસ્ટેશન મોકલ્યા હતા. તેમની કૉલ ડિટેલ્સ કાઢવા માટે પોલીસના માધ્યમથી એસઓજી સાથે પણ વાત થઈ ગઈ હતી. જેવો જ મામલો ગંભીર થયો, તાત્કાલિક ડીએમ સાથે વાત કરીને તે રેગ્યુલર પોલીસને સોંપી દેવામાં આવ્યો."
અંકિતાના પરિવારમાં તેમના પિતા વીરેન્દ્ર ભંડારી, ભાઈ અજય ભંડારી અને માતા સોની દેવી છે.
સ્થાનિક પત્રકાર જિતેન્દ્ર જોશી કહે છે, "અંકિતા ભંડારીએ હાલમાં જ શ્રીકોટમાંથી 12મું ધોરણ પાસ કર્યું હતું. બાદમાં તે હોટલ મૅનેજમૅન્ટનો કોર્સ કરી રહી હતી. તેમની માતા આંગણવાડીમાં કામ કરે છે અને તેનો ભાઈ એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે."
પિતા વિશે તેઓ કહે છે કે તે પહેલાં એક એનજીઓ ચલાવતા હતા, ત્યાર બાદ તેમણે એક જગ્યાએ નાનીમોટી નોકરી કરી પણ કોરોના બાદ તેમની પાસે કામ નહોતું. પરિવારની આર્થિક સ્થિતિ વધુ સારી ન હતી. આથી અંકિતા નોકરી કરી રહ્યાં હતાં.

પોલીસે શું કહ્યું?

ઇમેજ સ્રોત, VINAY PANDEY/BBC
પૌડીના ઍડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ (એએસપી) શેખર સુયાલે બીબીસીને કહ્યું, "વંતરા રિસોર્ટમાં કામ કરનાર અંકિતા ભંડારી અચાનક ગુમ થઈ ગઈ હતી. આ વિશે 20 સપ્ટેમ્બરે તેમના પિતાના કહેવા પર રાજસ્વ પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. જિલ્લાધિકારીના આદેશ અનુસાર આ મામલો 22 સપ્ટેમ્બરે રેગ્યુલર પોલીસને સોંપવામાં આવ્યો હતો."
એએસપીએ કહ્યું, "પોલીસે કેસ મળ્યા બાદ ઉચ્ચ અધિકારીઓના નિર્દેશ અનુસાર ઝડપથી કામ કર્યું હતું. મોબાઇલ ટ્રેસિંગ, સીસીટીવીનું કવરેજ સહિતની સર્વેલન્સની કામગીરી કરવામાં આવી. 23 સપ્ટેમ્બરે સાંજે પુષ્ટિ થઈ ગઈ હતી કે રિસોર્ટમાંથી બહાર જનારાઓમાં પુલકિત, સૌરભ અને અંકિત સાથે અંકિતા ભંડારી પણ હતી. જોકે, અંકિતાને છોડીને ત્રણેય લોકો પાછા આવી ગયા હતા."
એએસપીએ આગળ કહ્યું, "જ્યારે પોલીસે કડકાઈથી પુલકિત, અંકિત અને સૌરભની પૂછપરછ કરી તો તેમણે કબૂલ્યું કે કોઈ વાતને લઈને ઝઘડો થયો, ઝપાઝપી થઈ અને તેમણે અંકિતાને નહેરમાં ધક્કો મારી દીધો. શરૂઆતમાં આરોપીઓ પોલીસને ગોળગોળ ફેરવતા રહ્યા પણ અંતે તેમણે બધી વાત કરી હતી."
એક સવાલના જવાબમાં એએસપીએ કહ્યું, "આરોપીઓ અંકિતા ભંડારી પર સંભવિત રીતે કોઈ અનૈતિક કામ કરવા દબાણ કરી રહ્યા હતા, પરંતુ તે તૈયાર નહોતી. એ જ વાતને લઈને પુલકિત, સૌરભ અને અંકિત સાથે બોલાચાલી થઈ અને અંકિતાની હત્યા કરી દેવામાં આવી."

અંકિતા પર સહાનુભૂતિ
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
અંકિતા ભંડારીની હત્યા મામલે વિસ્તારના લોકોની સહાનુભૂતિ જોઈ શકાય તેમ છે.
સ્થાનિક લોકો ઘટનાથી નારાજ છે. શનિવારે ગુસ્સે ભરાયેલા લોકોએ રિસોર્ટમાં આગ લગાવી દીધી હતી.
દિયુલીનાં બ્લૉક પ્રમુખ રુચિ કુકરેતી કહે છે, "અહીં જે દુર્ઘટના થઈ છે, તે શરમજનક છે. મારું માનવું છે કે તંત્રે તેમાં ઘણું મોડું કર્યું છે. એ પણ ત્યારે જ્યારે ઘટના કેમ ઘટી એ અંગે લોકોને પહેલાંથી જ અણસાર હતો. અમે ઇચ્છીએ છીએ કે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે."
જિલ્લા પંચાયત સભ્ય ક્રાંતિ કપૂર્વાણ પણ ગુસ્સામાં નજરે પડ્યા. તેઓ કહે છે કે ઘટના બાદ ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતા ત્યાં ફરક્યા ન હતા.
આ મામલે ઉત્તરાખંડ વિધાનસભા અધ્યક્ષ ઋતુ ખંદુડીએ ખેદ વ્યક્ત કર્યો છે.
તેમણે કહ્યું, "ઘટના ખૂબ દુખદ છે. ઉત્તરાખંડે એક જુવાન પુત્રી ગુમાવી છે. આ કેસને લઈને તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે મારી વાત ચાલી રહી હતી. તમામ આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ, ફાસ્ટ ટ્રેક પર થવી જોઈએ. ઉત્તરાખંડનો સમાજ તેને સહન નહીં કરે. ઉત્તરાખંડના આ સંસ્કાર નથી."

મુખ્ય મંત્રીએ શું કહ્યું?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
ઉત્તરાખંડના મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામીએ સોશિયલ મીડિયા પર જાણકારી આપી કે ઉત્તરાખંડમાં ભાજપે મુખ્ય આરોપી પુલકિત આર્યના પિતા વિનોદ આર્ય અને ભાઈ અંકિત આર્યને તાત્કાલિક ધોરણે પાર્ટીમાંથી કાઢી મૂક્યા છે.
પત્રકારો સાથે વાત કરતાં પુષ્કરસિંહ ધામીએ કહ્યું કે આ ઘટનામાં સામેલ તમામ લોકો વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે. આરોપીઓને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.
તેમણે આગળ કહ્યું, "આ રિસોર્ટ સરકારી અને વનભૂમિ પર બન્યો હતો. આથી તેને ધ્વસ્ત કરવાની કાર્યવાહી ચાલી રહી છે. સાથે જ ફોરેન્સિક તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. પુરાવા સુરક્ષિત રહે તે માટે કેટલાક રૂમોને તંત્ર દ્વારા સીલ કરવામાં આવ્યા છે."
"તપાસ માટે ઉપમહાનિરીક્ષક રેણુકા દેવીના નેતૃત્વમાં એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું છે. અમે ઇચ્છીએ છીએ કે કોઈ પણ રીતે તપાસમાં ઢીલ ન રહે. સરકાર તેને ફાસ્ટ ટ્રેક પર લઈ જવા માટે તમામ પ્રયત્નો કરશે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













