ઉનાળામાં AC વગર ઘરને ઠંડું કઈ રીતે રાખી શકાય?

    • લેેખક, માર્થા હેનરિક્સ
    • પદ, બીબીસી ફ્યૂચર

ગુજરાતમાં ભીષણ ગરમી પડી રહી છે. ઘર અને ઑફિસ ઠંડા રાખવાં માટે ઍર કંડિશનર(એસી)નો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે પરંતુ એસી જેટલું ઠંડું કરે છે તેના વધારે ગરમી બહાર વધારી દે છે. જો ઍર કંડિશનર ખોટનો સોદો છે તો ઇમારતોને ઠંડી રાખવા બીજા વિકલ્પો શું છે?

એસી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આ ઍર કંડિશનર જેટલું ઠંડું કરે છે તેનાથી વધારે ગરમી બહાર વધારી દે છે.

ગુજરાતમાં ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચ્યો છે. ગુજરાત સહિત દેશનાં વિવિધ શહેરોમાં ગરમી દિવસેને દિવસે વધી રહી છે.

ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ જેવા એશિયાના અનેક દેશોમાં હાલના દિવસોમાં ભીષણ ગરમી પડી રહી છે. પરંતુ દુનિયામાં બીજા પણ એવા દેશો છે જ્યાં લોકોને ગરમી પરેશાન કરી રહી છે અને તેનાથી બચવાના ઉપાય શોધવામાં આવી રહ્યા છે.

જળવાયુ પરિવર્તન આખી દુનિયા માટે ચિંતાનો વિષય છે. ધરતીનું તાપમાન સતત વધી રહ્યું છે. ક્યાંક ગ્લૅશિયર ઓગળી રહ્યા છે તો ક્યાંક જંગલોમાં આગ લાગી રહી છે.

ગરમીથી લોકો પરેશાન છે. જોકે ઘર અને ઑફિસ ઠંડા રાખવા માટે ઍર કંડિશનર(એસી)નો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે.

નિષ્ણાતોના કહેવા પ્રમાણે જળવાયુ પરિવર્તનમાં ઍર કંડિશનરમાંથી નીકળતા ગૅસોનું મોટું યોગદાન છે.

અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં કૅલિફોર્નિયા એકૅડેમી ઑફ સાયન્સ આનું ઉદાહરણ છે. આ ઇમારતની આખી છત હરિયાળીથી ઢંકાયેલી છે, જે બિલ્ડિંગનું તાપમાન નિયંત્રિત રાખવામાં મદદ કરે છે.

સાથે જ છત પર બારીઓ ખુલી છે, જ્યાંથી ઠંડી હવા અંદર સુધી જાય છે. ભીષણ ગરમીના દિવસોમાં અહીં એસી વિના સમય પસાર કરી શકાય છે.

ઇમારતોની આ પ્રકારની ડિઝાઇન બનાવવા પર આર્કિટેક્ટ અને ઇજનેર કામ કરી રહ્યા છે.

line

ઇમારતોને ઠંડી રાખવાની રીતો

એસી

ઇમેજ સ્રોત, CODY ANDRESEN

ઇમેજ કૅપ્શન, સંશોધન કહે છે કે 2050 સુધીમાં ઍર કંડિશનરોની સંખ્યા હાલના કરતા ત્રણ ગણી થઈ જશે.

વધતા તાપમાનને ધ્યાને રાખીએ તો એસીને હાલના સમયની જરૂરિયાત કહી શકાય. સંશોધન કહે છે કે 2050 સુધીમાં ઍર કંડિશનરોની સંખ્યા હાલના કરતાં ત્રણ ગણી થઈ જશે.

એસીમાં તાપમાન ઓછું કરવા માટે જે રેફ્રિજેટર લાગેલું હોય છે, તે ખૂબ જ વીજળી ખાય છે. તેમાંથી ખૂબ પ્રમાણમાં ગ્રીન હાઉસ ગૅસ નીકળે છે. દરેક દેશમાં જળવાયુ પરિવર્તનનું આ જ મોટું કારણ છે.

જ્યારે અમારી પાસે વીજળીના પંખા, કૂલર અને ઍર કંડિશનર નહોતાં ત્યારે પણ ઇમારતોને ઠંડી રાખવામાં આવતી હતી. પરંતુ ત્યારે ઇમારતોની ડિઝાઇન એ પ્રમાણે તૈયાર કરાતી હતી તેમાં વૅન્ટિલેશનની સંપૂર્ણ સુવિધા હતી.

એટલે કે હવાની અવરજવરને ધ્યાનમાં રાખીને ઇમારતોને બનાવવામાં આવતી હતી.

કેલિફોર્નિયા એકૅડેમી ઑફ સાયન્સની ઇમારત ડિઝાઇન કરવાવાળા ડિઝાઇનર એલિસ્ડાયર મૅક્ગ્રીગર કહે છે કે આ ઇમારતની ડિઝાઇન એક પ્રયોગ હતો. આના દ્વારા એ તપાસ કરવામાં આવી કે ઍર કંડિશનર વિના કંઈ હદ સુધી ચલાવી શકાય છે.

આ પ્રયોગ ઘરો, સ્કૂલો અને નાની ઑફિસો સુધી તો સફળ રહ્યો છે પરંતુ જે ઇમારતોમાં મોટાં મશીનો છે ત્યાં સંપૂર્ણ રીતે સફળ નથી. દાખલા તરીકે હૉસ્પિટલમાં દરદીઓ અને મશીનોને યોગ્ય તાપમાન જોઈએ. જેથી ત્યાં એસીની જરૂરિયાત હશે.

છતાં પણ ઇમારતોની ક્રિએટિવ ડિઝાઇન દ્વારા ઍર કંડિશનરનો ઉપયોગ ઘણાં અંશે ઘટાડી શકાય છે.

બાષ્પીભવન વસ્તુઓને ઠંડી રાખવા માટેની પ્રાકૃતિક પ્રક્રિયા છે. જેમાં ગરમીમાં શરીરમાંથી નીકળતો પરસેવો શરીરને ઠંડુ રાખી શકે છે.

ઠીક આ જ સિદ્ધાંત પર અમલ કરતા સ્પેનના અનેક વિસ્તારોમાં માટીનાં મોટાં મોટાં માટલાંમાં પાણી ભરીને રાખવામાં આવતાં, જેને બોતિજો કહેતાં હતાં.

માટલાની માટીમાં પાણી સૂકાઈ જાય પછી માટલામાં પાણી અને દારૂ બંનેની બોટલો મૂકીએ તો બંને ઠંડી રહે છે. રોમ અને ઇજિપ્તમાં બાષ્પીભવનના આજ સિદ્ધાંતને બાંધકામમાં પણ અપનાવાયો હતો.

અરબી આર્કિટેક્ટમાં મશરાબિયા પણ એક સારું ઉદાહરણ છે. લાકડાની જીણી જાળીઓ વાળી મોટી મોટી બારીઓને મશરાબિયા કહે છે. તેમની પાસે માટલામાં પાણી ભરી રાખવામાં આવે છે.

જાળીમાંથી આવનારી હવા ઠંડા માટલા સાથે ટકરાય છે અને આખો માહોલ ઠંડો થઈ જાય છે.

line

મુગલોના સમયની ઇમારત

ઍર કંડિશનર

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, ઍર કંડિશનર

આ સિવાયના ઘરના ખુલ્લા ભાગમાં, જેમ કે આંગણામાં હોજ અથવા ફુવારો લગાવવામાં આવે અને તેમાં પાણીનું ફિટીંગ એવી રીતે કરવામાં આવે કે મોટા વિસ્તારમાં પાણી ફેલાઈ જાય. જ્યારે હવા આ પાણીની ઉપરથી પસાર થશે ત્યારે ઠંડી લાગશે.

પાણી દ્વારા ઇમારતોને ઠંડી રાખવાનું ચલણ પ્રાચીન સમયથી ચાલ્યું આવ્યું છે. મુગલોના સમયમાં જેટલી પણ ઇમારતો હતી તે તમામમાં નાનું તળાવ, હોજ (પાણીનો નાનો કુંડ) અથવા ફુવારા ખૂબ જોવા મળતાં.

આ તમામનો ઇરાદો માત્ર પાણી સંગ્રહ કરવાનો જ નહોતો, પરંતુ ઇમારતનું તાપમાન નિયંત્રિત કરીને તેને ઠંડુ રાખવાનો પણ હતો.

આ સિદ્ધાંતનો ઉપયોગ આર્કિટેક્ટ મનિત રસ્તોગીએ જયપુર શહેરમાં પર્લ એકૅડેમી ઑફ ફૅશનની ઇમારત બનાવવા માટે કર્યો છે.

આ ઇમારતના આંગણામાં નાનું તળાવ બનાવવામાં આવ્યું છે, જેમાં વરસાદના પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. સાથે જ બિલ્ડિંગમાં ઉપયોગમાં લેવામાં આવેલા પાણીને શુદ્ધ કરીને ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવું બનાવાય છે. આનાથી બિલ્ડિંગમાં પણ ઠંડક રહે છે.

આ સિવાય પર્લ એકૅડેમીની ઇમારતની ડિઝાઇનમાં એવા પ્રયોગ કરવામાં આવ્યા છે, જેનાથી ઇમારત ઠંડી રહે. સામેથી બિલ્ડિંગ લંબચોરસ છે જે જોવામાં ખૂબ સુંદર નથી. પરંતુ આના ઘણા ફાયદા છે.

ઇમારતની ચારે બાજુ જાળીઓ છે, બહારની દિવાલથી ચાર ફૂટના અંતરે કાણાવાળા પથ્થરોની દીવાલ છે, જેનો અંદરની દીવાલો પર પડછાયો પડે છે. આનાથી તાપમાન નિયંત્રણમાં રાખવામાં પણ સહાયતા મળે છે.

જ્યારે બહારનું તાપમાન 40 ડિગ્રી હોય ત્યારે અહીંની બિલ્ડિંગની અંદરનું તાપમાન 29 ડિગ્રી હોય છે.

જો ઇમારતમાં મોટો કૂવો ખોદવાની જગ્યા ના હોય તો જમીનની નીચે પાઇપલાઇન પાથરી શકાય છે અને તેમાં પંપ દ્વારા પાણી પસાર કરી શકાય છે. આ રીતનો ઉપયોગ ગરમી અને ઠંડી બંને સિઝનમાં કરી શકાય છે.

ઉત્તર ચીનનાં ઘણાં શહેરોમાં આ રીતનો ઉપયોગ કરાય છે.

line

તાપમાન ઘટાડી શકે તેવું વિંડ કૅચર

ગરમી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિંડ કૅચર સામાન્ય રીતે મોટી અને ઊંચી ઇમારતો પર બનાવવામાં આવે છે. પરંતુ નાના ઘરોમાં પણ પવનની દિશામાં મોટી બારીઓ બનાવી શકાય છે.

ઈરાનના શહેર યઝ્દને વિંડ કૅચર સિટી કહેવામાં આવે છે. વિંડ કૅચર કમાનવાળા મિનારા હોય છે, જે ઇમારતની છત પર પવનની દિશાની સામે હોય છે.

આ મિનારામાં બ્લેડ ફિટ હોય છે, જે હવાને પસાર કરાવીને સંપૂર્ણ ઇમારતને ઠંડી રાખે છે.

કાઝવિન ઇસ્લામિક યઝ્દ યુનિવર્સિટીના પ્રૉફેસર મેહનાઝ મહમૂદી ઝારનદીનું કહેવું છે કે આખા મધ્ય એશિયામાં અનેક પ્રકારના વિંડ કૅચર બનાવવામાં આવ્યા છે, જે તાપમાનને ઘટાડવામાં ઘણી મદદ કરે છે.

વિંડ કૅચર સામાન્ય રીતે મોટી અને ઊંચી ઇમારતો પર બનાવવામાં આવે છે. પરંતુ નાનાં ઘરોમાં પણ પવનની દિશામાં મોટી બારીઓ બનાવી શકાય છે.

line

જળમાર્ગથી બે ડિગ્રી તાપમાન ઘટાડી શકાય છે

ગરમી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એસીનો ઉપયોગ માહોલને ઠંડું રાખવા માટે કરી શકાય છે. પરંતુ ખરેખર આની ઠંડક આપણને ભઠ્ઠીમાં જોંકી રહી છે.

વિકાસ અને સારા જીવનના નામે મોટી સંખ્યામાં શહેરો વસાવવામાં આવી રહ્યાં છે.

પરંતુ શહેર અસલમાં કૉંક્રેટનું જંગલ છે, જ્યાં ગાડીઓમાંથી નીકળતો ધુમાડો અને ફેકટરીઓનાં મોટાં મશીનો તાપમાન વધારી રહ્યાં છે.

પરંતુ હવે શહેરોમાં વધારેમાં વધારે ઝાડ વાવવા પર ભાર આપવામાં આવે છે.

અમેરિકાના કૉલંબિયામાં તો વહીવટી તંત્ર તરફથી આખા શહેરમાં ગ્રીન કૉરિડોર જળમાર્ગ બનાવવામાં આવી રહ્યા છે.

આ પ્રયાસોથી તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન ઓછું કરવામાં સહાયતા મળી છે.

પર્યાવરણવિદ્ મોનિકા ટર્નરનું કહે છે કે ગ્રીન કૉરિડોર બનાવીને તાપમાન પાંચ ડિગ્રી સુધી ઘટાડી શકાય છે. જ્યારે અન્ય શહેરો પણ આવા વિકલ્પ પર ધ્યાન આપી રહ્યાં છે.

ઇટાલીના મિલાન શહેરના તંત્રે વર્ષ 2030 સુધી ત્રણ લાખ ઝાડ વાવવાનું લક્ષ્ય રાખ્યું છે. ઑસ્ટ્રેલિયાના મેલબૉર્નમાં પણ આ જ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

એસીનો ઉપયોગ માહોલને ઠંડું રાખવા માટે કરી શકાય છે. પરંતુ ખરેખર આની ઠંડક આપણને ભઠ્ઠીમાં ઝોંકી રહી છે.

જો એસીનો ઉપયોગ યથાવત્ રહ્યો તો એ દિવસ દૂર નથી કે જ્યારે ગરમીના સમયમાં ઍર કંડિશનર પણ દમ તોડી દેશે.

તેથી જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે આપણે સૌએ ગરમી સામે લડવા માટે પરંપરાગત પદ્ધતિઓનો અમલ શરૂ કરવો જોઈએ.

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો