You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કેરળના મુખ્ય મંત્રીએ ઉચ્ચ અધિકારીઓને ગુજરાત કેમ મોકલ્યાં? - પ્રેસ રિવ્યૂ
કેરળના ચીફ સૅક્રેટરી અને એક આઈપીએસ ઑફિસર આજથી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે છે. મુલાકાત દરમિયાન તેઓ ઈ-ગવર્નન્સ સહિત વિવિધ યોજનાઓ અંગેની માહિતી મેળવશે.
હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે, 26 એપ્રિલે કેરળના મુખ્ય મંત્રી પી. વિજયને ઑર્ડર બહાર પાડ્યો હતો કે રાજ્યના ચીફ સૅક્રેટરી અને તેમના સ્ટાફના સદસ્ય બે દિવસ માટે ગુજરાત મુલાકાતે જશે.
તેઓ બે દિવસ માટે ગાંધીનગર રોકાશે. જ્યાં તેઓ ગુજરાત સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે તૈયાર કરવામાં આવેલા સીએમ-ડૅશબોર્ડ સહિત ઈ-ગવર્નન્સ મૉડલનો અભ્યાસ કરશે.
કેરળની ડાબેરી સરકાર દ્વારા ભાજપશાસિત રાજ્યમાં અધિકારીઓ મોકલતા તેનો વિરોધ થઈ રહ્યો છે. કેરળ કૉંગ્રેસના પ્રમુખ કે. સુધાકરને હિન્દુસ્તાન ટાઇમ્સને જણાવ્યું કે આ સીપીઆઈ(એમ) અને ભાજપ વચ્ચેની મિલીભગત છે. એક તરફ મુખ્ય મંત્રી એમ કહે છે કે કેરળ દેશમાં પહેલા નંબરે છે. તો પછી અધિકારીઓને ગુજરાત મોકલવાની શું જરૂર?
જ્યારે સીપીઆઈના સૅક્રેટરી કાનમ રાજેન્દ્રને જણાવ્યું હતું કે અધિકારીઓ જુદાજુદા રાજ્યોની યોજનાઓ અને વિવિધ પ્રોજેક્ટ્સ અંગે માહિતી મેળવવા માટે મુલાકાત લેતા જ હોય છે. તેને કોઈ રાજકીય રંગ આપવાની જરૂર નથી.
ગુજરાતથી ઝડપાયેલા ડ્રગ્ઝનો મામલો દિલ્હી સુધી પહોંચ્યો, 35 કિલો હેરોઈન સાથે ચાર લોકોની ધરપકડ
તાજેતરમાં જ ભારતીય જળસીમામાંથી ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત રીતે ઑપરેશન પાર પાડીને અંદાજે 280 કરોડ રૂપિયાના હેરોઈન સાથે નવ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી હતી.
તેમની પૂછપરછમાં મળેલી માહિતીના આધારે ગુજરાત એટીએસે દિલ્હીથી 35 કિલો હેરોઈન સાથે વધુ ચાર લોકોની ધરપકડ કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, ગુજરાત એટીએસે દિલ્હી અને ઉત્તર પ્રદેશના મુઝફ્ફરાબાદમાં દરોડા પાડીને આંતરરાષ્ટ્રીય બજારમાં 175 કરોડ રૂપિયાની કિંમતનું 35 કિલોગ્રામ હેરોઈન ઝડપી પાડ્યું છે.
એટીએસને પાકિસ્તાની નાગરિકો પાસેથી માહિતી મળી હતી કે દિલ્હીના રાજી હૈદર ઝૈદી, અવતાર સિંહ ઉર્ફે સન્ની તેમજ મુઝફ્ફરાબાદના ઇમરાન આમિર સુધી ડ્રગ્ઝ પહોંચાડવાનું હતું.
તેમને એમ પણ જાણવા મળ્યું હતું કે દિલ્હીના લાજપતનગરમાં રહેતા એક અફઘાની નાગરિક અબદુલ્લા રાબ પણ ડ્રગ્ઝના ધંધામાં આ લોકોને મદદ કરતો હતો.
માહિતીના આધારે ગુજરાત એટીએસે દિલ્હી એનસીબીની મદદથી દિલ્હી અને મુઝફ્ફરાબાદમાં દરોડા પાડ્યા હતા. જેમાં આ ચારેય લોકો ઝડપાઈ ગયા હતા.
સૌથી પહેલાં પકડાયેલા ઝૈદીની ગાડીમાંથી એક કિલો હેરોઈન પકડાયું હતું. જ્યાર બાદ મુઝફ્ફરાબાદસ્થિત એક ગોડાઉનમાંથી વધુ 34 કિલોગ્રામ હેરોઈન કબજે કરવામાં આવ્યું છે.
ગુજરાત એટીએસ દ્વારા અવતાર સિંહ અને અબદુલ્લા રાબને એટીએસના હૅડક્વૉટર્સ લઈ જવામાં આવ્યા હતા. જ્યારે ઝૈદી અને આમિરની દિલ્હી એનસીબીએ ધરપકડ કરી હતી.
24 કલાકમાં ભારતમાં ત્રણ હજારથી વધુ નવા કોરોના કેસ
ભારતમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,303 નવા કોરોના કેસ નોંધાયા છે.
જ્યારે 2,563 દર્દીઓ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી છે અને 39 દર્દીઓનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.
દેશમાં હવે કોરોનાથી થયેલા મૃત્યુનો આંકડો 5,23,693 થઈ ગયો છે. જ્યારે એક્ટિવ કેસ પણ વધીને 16,980 થઈ ગયા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો