ઉત્તર પ્રદેશ ચૂંટણી : મુસ્લિમોને ટિકિટ ન આપવા પાછળ શું મજબૂરી? અમિત શાહ બોલ્યા, 'રાજકીય શિષ્ટાચાર' - પ્રેસ રિવ્યુ

કેન્દ્રની ભાજપની સરકારમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી બાદ નંબર 2નું સ્થાન ધરાવતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે ભાજપનો મુસ્લિમો સાથે એવો જ સંબંધ છે, જેવો એક ભારતના નાગરિક સાથે હોવો જોઈએ.

ભાજપે ઉત્તર પ્રદેશમાં કોઈ મુસલમાન ઉમેદવારને ટિકિટ કેમ ન આપી? ન્યૂઝ18ના આ પ્રશ્નના જવાબમાં અમિત શાહે કહ્યું કે 'ચૂંટણીમાં કોણ મત આપે છે, એ પણ તો જોવું પડે છે.'

અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસમાં પણ આ ઇન્ટરવ્યૂ અંગે અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે.

મુસલમાનોને ટિકિટ ન આપવી એ શું રાજકીય મજબૂરી છે?

આ પ્રશ્નના જવાબમાં અમિત શાહે કહ્યું કે મજબૂરી નથી પણ રાજકીય શિષ્ટાચાર છે.

કર્ણાટકમાં હિજાબ અંગે થયેલા વિવાદ સંદર્ભે શાહે કહ્યું કે, "મારું વ્યક્તિગત રીતે માનવું છે કે સ્કૂલમાં તમામ ધર્મોના વિદ્યાર્થીઓએ ડ્રેસ કોડ અપનાવવો જોઈએ. આ મામલો હજી અદાલતમાં છે અને સુનાવણી ચાલી રહી છે."

યુક્રેનના એ બે વિસ્તારો જેની સ્વતંત્રતાને રશિયાએ માન્યતા આપી

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પૂર્વ યુક્રેનના વિદ્રોહી પ્રદેશોને સ્વતંત્ર રાજ્યની માન્યતા આપી દીધી છે.

પૂર્વ યુક્રેનમાં સ્થિત પીપલ્સ રિપબ્લિક ઑફ દોનેત્સ્ક અને લુહાંસ્ક એ રશિયાનું સમર્થન ધરાવતા વિદ્રોહીઓનો ગઢ છે. આ વિદ્રોહીઓ વર્ષ 2014થી જ યુક્રેન સામે લડી રહ્યા છે.

રશિયાના આ પગલાના લીધે હવે શાંતિમંત્રણા અટકી શકે છે. શાંતિમંત્રણાના કારણે જ અનેક વર્ષોથી અહીં યુદ્ધવિરામ લાગુ હતો.

પશ્ચિમના દેશોને ડર છે કે પુતિનની આ જાહેરાત બાદ રશિયાનાં દળોને પૂર્વ યુક્રેનમાં પ્રવેશવા માટે કારણ મળી જશે.

રશિયાની આ જાહેરાત બાદ પુતિને એક આદેશ પર હસ્તાક્ષર કર્યા, આ આદેશમાં રશિયાના સૈનિકોને દોનેત્સ્ક અને લુહાંસ્કમાં કથિતરૂપે શાંતિ જાળવી રાખવા માટે કહેવામાં આવ્યું છે.

શાંતિ જાળવી રાખવા માટે રશિયાના સૈનિકો શું કરશે, એ અંગે હજી સુધી સ્પષ્ટતા નથી.

જો રશિયાની સેના સરહદ પાર કરશે તો વિદ્રોહીઓના નિયંત્રણવાળા વિસ્તારમાં રશિયા અધિકૃત રીતે પ્રથમ વખત દાખલ થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો