અમદાવાદ 2008 સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ કેસમાં કોને-કોને થઈ ફાંસીની સજા?

શુક્રવારે વિશેષ અદાલતે અમદાવાદ 2008ના શ્રેણીબદ્ધ બૉમ્બધડાકાના કેસમાં 49 આરોપીઓની સજા નક્કી કરી, તે અંગેનો હુકમ જારી કર્યો હતો.

જે અનુસાર 38 દોષિતોને ફાંસી તેમજ 11ને જનમટીપની સજા આપવામાં આવી છે.

નોંધનીય છે કે આ કેસના કુલ 77 આરોપીઓમાંથી અગાઉ અદાલતે 28ને નિર્દોષ જાહેર કર્યા છે.

26 જુલાઈ, 2008ના રોજ થયેલા શ્રેણીબદ્ધ બૉમ્બધડાકાની ઘટનામાં માત્ર 70 મિનિટના ટૂંકા ગાળામાં 21 બૉમ્બ વિસ્ફોટ થયા હતા. જેમાં 56 લોકોનાં મૃત્યુ થયાં હતાં તેમજ 200થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા.

આ બૉમ્બધડાકાની જવાબદારી ઇન્ડિયન મુજાહિદ્દીન અને હરકત-ઉલ-જિહાદ-અલ-ઇસ્લામી જેવાં ઉગ્રવાદી સંગઠનોએ સ્વીકારી હતી.

અદાલતના હુકમ અનુસાર જે દોષિતોને ફાંસીની સજા અપાઈ છે તે અંગેની જાણકારી બીબીસી ગુજરાતીને મળી હતી.

કોને-કોને થઈ ફાંસીની સજા?

બૉમ્બવિસ્ફોટ કેસની સુનાવણી કરનાર વિશેષ ન્યાયાધીશ એ. આર. પટેલે જાહિદ કુતુબુદ્દીન શેખ, ઇમરાન ઇબ્રાહિમ શેખ, ઇકબાલ કાસમ શેખ, સમસુદ્દીન શાહબુદ્દીન શેખ, ગ્યાસુદ્દીન ઉર્ફે ગ્યાસુ અબ્દુલ હલીમ અંસારી, મોહમ્મદ આરીફ મોહમ્મદ ઇકબાલ કાગઝી, મહંમદ ઉસ્માન મહંમદ અનીસ અગરબત્તીવાલા, યુનુસ મહમદ મંસૂરી, કમરુદ્દીન ચાંદ મહમદ નાગોર અને આમીલ પરવાઝ કાઝી સૈફુદ્દીન શેખને ફાંસીની સજા કરી હતી.

ઉપરાંત કેસમાં ગુનેગાર ઠરાવાયેલા અન્ય લોકો પૈકી સીબલી ઉર્ફે સાબીત અબ્દુલ કરીમ મુસ્લિમ, સફદર હુસેન ઉર્ફે અદનાન તાજુદ્દીન મુલ્લા, મોમદ સાજીદ ઉર્ફે સલીમ ઉર્ફે સજ્જાદ ઉર્ફે સાદ ગુલામ ખ્વાજા મંસૂરી, મુફ્તી અબુબશર ઉર્ફે અબ્દુલ રશીદ ઉર્ફે અબ્દુલ્લા અબુબકર શેખ, અબ્બાસ ઉમર સમેજા, જાવેદ એહમદ સગરી એહમદ શેખ, મહમદ ઇસ્માઇલ ઉર્ફે અબ્દુલ રાજીક ઉર્ફે મુસફ ઉર્ફે ફુરકાન મહમદ ઇસાક મંસૂરી, અફઝલ ઉર્ફે અફસર મુતલ્લીબ ઉસ્માની,મહંમદ આરીફ ઉર્ફે આરીફ બદર ઉર્ફ લદન બહરુદ્દીન ઉર્ફે જુમ્મન શેખ અને આસીફ ઉર્ફે હસન બશીરુદ્દીન શેખને પણ ફાંસીની સજા કરાવાઈ હતી.

ઉપરોક્ત ગુનેગારો સિવાય મહંમદ આરીફ નસીમ એહમદ મીરઝા, કયામુદ્દીન ઉર્ફે રીઝવાન ઉર્ફે અશ્પાક સરફુદ્દીન કાપડીયા,મહંમદ શેફ ઉર્ફે રાહુલ સાદાબ એહમદ ઉર્ફે મિસ્ટર શેખ, જીશાન એહમદ ઉર્ફે જીશાન ઇસાન એહમદ શેખ, ઝાયાઉર રહેમાન ઉર્ફે મોન્ટુ ઉર્ફે ઝીયા અબ્દુલ રહેમાન તેલી, મહંમદ શકીલ યામીનખાન લુહાર, મોહંમદ અકબર ઉર્ફે સઇદ ઉર્ફે યાકુબ ઉર્ફે વિનોદ ઇસ્માઇલ ચૌધરી, ફઝલે રહેમાન ઉર્ફે રફીક ઉર્ફે સલાઉદ્દીન મુસદીકખાન દુર્રાની, એહમદ બાવા ઉર્ફે અબુ અબુબકર બરેલવી અને અરફુદ્દીન ઉર્ફે સરફુ ઇ. ટી. સૈનુદ્દીન ઉર્ફે અબ્દુલ સત્તાર ઉર્ફે અબ્દુલ સલામ ઉર્ફે સલીમને પણ ફાંસીની સજા કરાઈ હતી.

તેમજ આ મામલાના અન્ય ગુનેગારો સૈફુર રહેમાન ઉર્ફે શૈફુ ઉર્ફે સૈફ અબ્દુલ રહેમાન, સાદુલી ઉર્ફે હારીઝ અબ્દુલ કરીમ, મોહંમદ તનવીર ઉર્ફે તલ્હા મોહંમદ અખ્તર પઠાણ, આમીન ઉર્ફે રાજા ઐયુબ નઝીર શેખ, મોહમદ મોબીન ઉર્ફે મુબીન ઉર્ફે ઇરફાન અબ્દુલ સફરખાન, મોહમ્મદ રફીક ઉર્ફે જાવિદ ઉર્ફે આલમ જેબ આફ્રિદી મસકુર અહેમદ અને તૌસીફખાન ઉર્ફે અતીક સગીર અહેમદખાન પઠાણ સહિત 38 ગુનેગારોને ફાંસીની સજા સંભળાવાઈ હતી.

એ દિવસ જ્યારે ધણધણી ઊઠ્યું અમદાવાદ

અમદાવાદમાં સંખ્યાબંધ વિસ્તારોમાં એક પછી એક થયેલા બૉમ્બધડાકાની ઘટનાએ ભયનો માહોલ સર્જી દીધો હતો.

માન્યતા છે કે વર્ષ 2002નાં ગુજરાતનાં કોમી રમખાણોને પગલે આ કાવતરું રચવામાં આવ્યું હતું.

અમદાવાદ બાદ અન્ય મહાનગરોમાં પણ અમુક સ્થળોએથી બૉમ્બ મળી આવ્યા હતા.

આ કામના આરોપીઓની ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી ગણતરીના દિવસોમાં ધરપકડ કરાઈ હતી.

બ્લાસ્ટ કરવા માટે એવા વિસ્તારોને પસંદ કરાયા હતા જેથી મોટી જાનહાનિ થાય. તેમજ બ્લાસ્ટ બાદ ભયનો માહોલ સ્થાપિત કરવા માટે જાહેર હૉસ્પિટલ નજીક પણ બૉમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે વિશેષ અદાલતે આ હુકમ કરતી વખતે બ્લાસ્ટમાં મૃત્યુ પામેલી વ્યક્તિઓના પરિવારજનોને એક-એક લાખ રૂપિયાના વળતરનો હુકમ કર્યો હતો.

તદુપરાંત ગંભીર ઈજાગ્રસ્ત પીડિતોને 50 હજાર જ્યારે સામાન્ય ઈજાગ્રસ્ત પીડિતોને 25 હજારના વળતરની જાહેરાત કરવામાં આવી હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો