કૅનેડામાં થીજી જવાથી મોત : જે પટેલ પરિવાર કૅનેડામાં ગુમ થયો એના ગામમાં કેવો માહોલ છે અને ગામલોકોમાં વિદેશ જવાની ધૂન કેમ છે?
- લેેખક, રોક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી ગુજરાતી સંવાદદાતા
કલોલ તાલુકાના ડીંગુચા ગામના મુખ્યદ્વારને પાર કરતાં જ જમણી બાજુ મોટા બંગલાઓની એક હારમાળા દેખાય છે.
જોકે, આ બંગલાઓ પૈકી એક બંગલો હાલમાં વેરાન ભાસે છે અને તેના મુખ્ય દરવાજા પર તાળું લગાવાયેલું છે.

હજુ થોડા દિવસ પહેલાં જ અહીં જગદીશ પટેલ પોતાના પરિવાર સાથે રહેતા હતા. થોડા દિવસો પહેલાં તેઓ અહીંથી કૅનેડા ગયા.
હજુ થોડા દિવસો પહેલાં સુધી તેઓ પોતાના સ્વજનોના સંપર્કમાં પણ હતા. પણ ગત કેટલાક દિવસથી તેમની કોઈ ભાળ નથી.
જગદીશ પટેલ અને તેમનો પરિવાર ગત કેટલાક દિવસોથી લાપતા છે. આ દરમિયાન કૅનેડા-અમેરિકા સરહદ પાસે કાતિલ ઠંડીથી થીજી ગયેલા ચાર ભારતીયોના મૃતદેહો મળ્યા છે.
જગદીશ પટેલના પરિવારે આ મામલે વિદેશ મંત્રાલયને ઇમેલ મારફતે ફરિયાદ કરી છે.
સમાચાર માધ્યમો અનુસાર આ પટેલ પરિવાર વિઝિટર વિઝા પર કૅનેડા ગયો હતો. જોકે, ત્યાંથી તે અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો એ વખતે માઇનસ 35 ડીગ્રીની કાતિલ ઠંડીમાં થરીને મૃત્યુ પામ્યો હતો.
જોકે, આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યાં સુધી ભારત સરકાર કે બીજા કોઈ દેશ દ્વારા આ અંગેની કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડીંગુચા ગામમાં જ્યારે બીબીસીની ટીમ પહોંચી તો ગામલોકોએ જગદીશ પટેલના પરિવાર માટે ચિંતા તો વ્યક્ત કરી પણ મોટા ભાગના લોકોએ 'ઑન ધ રેકૉર્ડ' વાત કરવાનું ટાળ્યું.

'એન.આર.આઈ.નું ગામ'

જગદીશ પટેલ સાથે મોટા થયેલા તેમના એક મિત્રે નામ ન આપવાની શરતે બીબીસી ગુજરાતીને જણાવ્યું, "જગદીશભાઈ એમ તો કલોલમાં રહેતા અને સીઝન મુજબ વેપાર કરતા. બાકીનો સમય તેઓ પિતા બળદેવભાઈને ખેતીમાં મદદ કરતા."
"તેમના નજીકના પરિવારમાંથી હજુ કોઈ અમેરિકા સ્થાયી થયું નથી."
"થોડા દિવસો પહેલાં તેઓ અહીંથી ગયા હતા. જ્યારે એનો કોઈ સંપર્ક ન થઈ શક્યો ત્યારે અમે તેમના લાપતા થવાની સરકારને ફરિયાદ કરી."
ડીગુંચા ગામ એન.આર.આઈ.ના ગામ તરીકે ઓળખાય છે. ગામમાં મુખ્યત્વે પાટીદાર સમાજના લોકો રહે છે અને લગભગ ઘરેથી એક કરતાં વધુ વ્યક્તિ અમેરિકા, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ, કૅનેડા કે યુરોપના કોઈ દેશમાં સ્થાયી થઈ છે.
ગામનાં મોટાં ભાગનાં વિકાસકાર્યો એન.આર.આઈ. દ્વારા અપાતી સહાયથી થયાં છે. ગામમાં એક મોટું સ્વાસ્થ્યકેન્દ્ર છે. ગ્રામપંચાયતની ભવ્ય ઇમારત છે. સિમેન્ટના માર્ગો છે અને મોટાં મંદીરો છે.
જો કે આ ગામના વિકાસની વાત કરવામાં આવે તો અહીં એક મોટુ હલ્થ સેન્ટર છે, ગ્રામ પંચાયતની ભવ્ય ઇમારત છે, સિમેન્ટના રોડ છે, પેવર બ્લોક્સ છે, મોટા સુંધર મંદિરો છે.
હાલમાં ગામમાં સ્મશાનગૃહના નિર્માણની કામગીરી ચાલી રહી છે. એના કૉન્ટ્રેક્ટર કે.એલ. પટેલે બીબીસી ગુજરાતીને જણાવ્યું, "મોટા ભાગની રકમ એન.આર.આઈ. દ્વારા જ મળી રહી છે."

વિદેશ જવાનું સપનું
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
અમુક ગામલોકોએ જણાવ્યું કે ગામના જે પરિવારમાંથી એકાદ વ્યક્તિ પણ જો અમેરિકા ન ગઈ હોય તો એ પરિવાર સાથે લગ્નવ્યવહાર કરવામાં બીજા લોકો અચકાય છે.
એક 50 વર્ષની વ્યક્તિએ બીબીસી ગુજરાતીને પોતાનું નામ ન આપવાની શરતે જણાવ્યું, "મારા દીકરાની ઉંમર 35 વર્ષની થઈ ગઈ છે પણ હજુ સુધી એનું સગપણ થઈ શક્યું નથી. મારા પરિવારમાંથી કોઈ અમેરિકા રહેતું નથી."
આ ગામમાં મોટું થનાર દરેક બાળક કોઈ બીજા દેશમાં સ્થાયી થવાનું સ્વપ્ન સેવે છે. અહીંનાં લગભગ બાળકને, ગામલોકોને અમેરિકાના વિઝાના નિયમો અને વિઝાના પ્રકારો વિશે માહિતી છે.
વિઝિટર વિઝાથી ગ્રીન કાર્ડ સુધીની સફર કેવી રીતે કરવી એ અંગેની યોજના પણ લગભગ પાસે છે.
ગામમાં મોટા ભાગે વયોવૃદ્ધ લોકો રહે છે કેમ કે યુવાનો મોટા ભાગે વિદેશ ગયા છે.
ગામમાં રહેતી એક વ્યક્તિએ જણાવ્યું,"માત્ર એ લોકો જ ગામમાં રહી જાય છે કે જેમની પાસે અમેરિકા જવાના પૈસા નથી. બાકી અંગ્રેજી તો પછીની વાત છે. એ તો ત્યાં જઈને પણ શીખી લેવાય."
ડીંગુચા ગામના અમતરભાઈ પટેલ અમેરિકામાં 33 વર્ષો રહી ચૂક્યા છે. 1988માં વિઝા લઈને તેઓ અમેરિકા ગયા હતા અને માત્ર બે જ વર્ષમાં તેમને ગ્રીન કાર્ડ મળી ગયું હતું.
એ બાદ તેમણે પોતાના પરિવારને ધીરેધીરે ત્યાં બોલાવી લીધો હતો.
તેઓ જણાવે છે, "વિદેશ આવતા આવા લોકોને અમે સૌથી પહેલાં મદદ કરીએ છીએ. જે લોકો ત્યાં આવે એ સૌથી પહેલાં કોઈ રેસ્ટોરાં કે ફૂડ જોઇન્ટમાં અનસ્કિલ્ડ લૅબર તરીકે કામ કરે છે અને ધીરેધીરે ત્યાં સ્થાયી થઈ જાય છે."
જોકે, આ બધા વચ્ચે જગદીશભાઈ પટેલનાં માતાપિતા કૅનેડાથી સમાચાર આવવાની રાહ જોઈ રહ્યાં છે.
ગામના તલાટી કમ મંત્રી જગદીશ ચૌધરીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે જગદીશ પટેલ અને તેમના પરિવાર અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાણકારી પ્રાપ્ત થઈ નથી.
તેઓ કહે છે, "અમને માત્ર એટલી ખબર પડી છે કે તેઓ આ જ ગામના વતની છે અને થોડા દિવસ પહેલાં જ અહીંથી કૅનેડા ગયા હતા. હાલમાં એમનો કોઈ સંપર્ક થઈ રહ્યો નથી."

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












