Ind Vs ENG: માન્ચેસ્ટરમાં રમાનારી પાંચમી ટેસ્ટ કોરોનાને કારણે રદ

ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે રસાકસીભરી બનેલી ટેસ્ટ મૅચ સિરીઝની પાંચમી ટેસ્ટ મૅચ કોરોના સંક્રમણને કારણે રદ જાહેર કરવામાં આવી છે.

બીબીસી ટેસ્ટ મૅચ સ્પેશિયલે ટ્વિટ કર્યું છે કે ઑલ્ડ ટ્રૈફર્ડ સ્ટેડિયમમાં આજથી મૅચ શરૂ થવાની હતી ટીમના કેમ્પમાં કોવિડ-19ના કેસ વધવાના ભયને કારણે તેને હવે રદ જાહેર કરવામાં આવી છે.

આઈસીસીએ કહ્યું કે, બીસીસીઆઈ અને ઈસીબીની પરસ્પર સહમતીથી મૅચ રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

ઇંગ્લૅન્ડના ક્રિકેટ બોર્ડે નિવેદન જાહેર કરી કહ્યું કે, "બીસીસીઆઈ સાથે વાતચીત બાદ ઈસીબી એ વાતની પુષ્ટિ કરે છે કે ઇંગ્લૅન્ડ અને ભારત વચ્ચેની પુરુષ ટીમની પાંચમી ટેસ્ટ મૅચ જે આજથી ઑલ્ડ ટ્રૈફર્ડમાં રમાવાની હતી તે રદ થઈ ગઈ છે."

"કેમ્પમાં કોવિડ કેસ વધવાની ભીતિને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અફસોસની વાત છે કે ભારત પોતાની ટીમને મેદાનમાં ઊતારવા સમર્થ નથી."

ઈસીબીએ કહ્યું, આ" સમાચાર બદલ અમે ચાહકો અને સહયોગીઓની માફી માગીએ છીએ કારણ કે અમે જાણીએ છીએ કે આનાથી અનેક લોકોને ખૂબ નિરાશા અને અસુવિધા થશે."

સમાચાર સંસ્થા રૉયટર્સ અનુસાર બુધવારે ભારતના ફિઝિયોથૅરપિસ્ટ યોગેશ પરમારને કોરોના થયો હોવાનું સામે આવ્યું હતું. એ સમાચાર બાદ મૅચ અંગે શંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી.

ઉલ્લેખનીય છે કે પાંચ મૅચની શ્રેણીમાં ભારત 2-1થી આગળ હતું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો