You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જાવેદ અખ્તરે તાલિબાન, RSS અને VHP પર એવું તો શું કહ્યું કે વિવાદ થયો?
જાણીતા ગીતકાર અને પૂર્વ રાજ્યસભા સાંસદ જાવેદ અખ્તરે અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ બાબતે એક ટીવી ડિબેટમાં નિવેદન આપ્યું છે અને તેને પગલે વિવાદ ઊભો થયો છે.
શુક્રવારે જાવેદ અખ્તરે એનડીટીવીની એક ચર્ચામાં હિંદુવાદી સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની સરખામણી તાલિબાન સાથે કરી હતી.
ભાજપના નેતાએ આ મામલે વિરોધ કરીને કહ્યું કે જાવેદ અખ્તર બે હાથ જોડે અને નિવેદન બદલ માફી માગે.
ભાજપ નેતા રામ કદમે ટ્વિટર પર એક નિવેદનમાં કહ્યું છે કે "સંઘ અને વિશ્વ હિંદુ પરિષદના કરોડો કાર્યકરોની જાવેદ અખ્તર હાથ જોડીને માફી નહીં માગે, ત્યાં સુધી એમની કે એમના પરિવારની એક પણ ફિલ્મ મા ભારતીની ભૂમિ પર નહીં ચાલે."
રામ કદમ મહારાષ્ટ્રમાં ઘાટકોપર બેઠકથી ધારાસભ્ય છે અને તેમણે કહ્યું છે કે જાવેદ અખ્તર સામે પોલીસ કેસ પણ કરવામાં આવશે.
રામ કદમે કહ્યું, "નિવેદન આપતાં અગાઉ કમ સે કમ, એ તો વિચારવું જોઈતું હતું કે સંઘપરિવાર સાથે જોડાયેલા લોકો જ આજે દેશની રાજનીતિ ચલાવે છે, રાજધર્મનું પાલન કરે છે."
"જો તાલિબાની વિચારધારા હોત તો શું એ આવી નિવેદનબાજી કરી શકત. એમનું નિવેદન કેટલું પોકળ છે, તે આના પરથી જ સાબિત થઈ જાય છે."
આ જ વિવાદમાં પોતાને મહારાષ્ટ્ર ભાજપના કાનૂની સલાહકાર ગણાવી આશુતોષ દુબેએ મુંબઈ પોલીસને જાવેદ અખ્તર સામે ફરિયાદ કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દુબેએ ટ્વિટર પર લખ્યું કે એમણે તાલિબાનની તુલના આરએસએસથી કરવા બદલ જાવેદ અખ્તર સામે ફરિયાદ કરી છે.
જાવેદ અખ્તરે શું કહ્યું હતું?
પૂર્વ રાજ્યસભા સાંસદ જાવેદ અખ્તરે એનડીટીવીની એક ડિબેટમાં ભાગ લીધો હતો.
આ ડિબેટમાં ચર્ચા દરમિયાન એમણે કહ્યું કે, "તાલિબાન એક ઇસ્લામિક રાષ્ટ્ર ઇચ્છે છે, ત્યારે એવા પણ લોકો છે કે જેમને હિંદુ રાષ્ટ્ર જોઈએ છે."
"આ તમામ લોકો એક પ્રકારની જ વિચારધારાના છે. ભલે તે મુસલમાન હોય, ખ્રિસ્તી હોય, યહૂદી હોય કે હિંદુ હોય."
એમણે કહ્યું "તાલિબાન બર્બર છે, એ જગજાહેર છે અને તેનું કૃત્ય નિંદાપાત્ર છે. પરંતુ જે લોકો આરએસએસ, બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદ જેવા સંગઠનોનું સમર્થન કરે છે, તેઓ એક સમાન જ છે."
ચર્ચા દરમિયાન જાવેદ અખ્તરે એમ પણ કહ્યું કે, "મને ભારતીય લોકોની સમજશક્તિ પર પૂરો ભરોસો છે, ભારતમાં વસનાર મોટા ભાગના લોકો સહિષ્ણુ છે, તેનું સન્માન થવું જોઈએ, ભારત કદી તાલિબાની રાષ્ટ્ર નહીં બને."
અહીં ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાન પર બે દાયકા બાદ ચરમપંથી તાલિબાને કબજો કરી લીધો છે અને તેને પગલે સમગ્ર દુનિયામાં માનવાધિકાર અને સ્ત્રીઓના અધિકાર મામલે ચિંતા પેઠી છે.
તાલિબાન એક કટ્ટર ઇસ્લામિક સમૂહ છે જે ઇસ્લામના નિયમો અનુસાર શાસન ચલાવવા ઇચ્છે છે. અગાઉ તેણે 1996માં અફઘાનિસ્તાનમાં સત્તા મેળવી હતી અને એ વખતે અનેક લોકો પર અમાનવીય હિંસા આચરવામાં આવી હતી તથા અનેક પાબંદીઓ લાદવામાં આવી હતી.
તાલિબાને હાલ અફઘાનિસ્તાનને ઇસ્લામિક અમીરાત જાહેર કર્યું છે અને નવી સરકારની રચના કરવામાં આવશે, એમ કહ્યું છે.
તાલિબાને નવી સરકારમાં તમામનો સમાવેશ કરવાની વાત કરી છે, પરંતુ અનેક લોકો ભયભીત છે.
ઉલ્લેખનીય છે કે બે દાયકાના મુક્ત શાસનમાં તાલિબાન વિરુદ્ધ લડનારા અને મુક્ત વિચારસરણી ધરાવનારા તથા માનવાધિકાર કે મહિલાઓના અધિકાર મામલે કામ કરનારા અનેક લોકો તાલિબાનના ભયથી દેશ છોડી ચૂક્યા છે, તો અનેક લોકો હજી ત્યાં ફસાયેલા છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો