You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હેમંત બિસ્વા સરમા એ કહ્યું, હિંદુ છોકરો હિંદુ છોકરી સાથે ખોટું બોલીને લગ્ન કરે તો એ પણ જિહાદ - Top News
અગાઉ લઘુમતીઓની વસતી, કુટુંબનિયોજન જેવા મામલે વિવાદ જગાવનાર આસામના મુખ્ય મંત્રી હેમંત બિસ્વા સરમાએ કહ્યું છે કે હિંદુ છોકરો ખોટું બોલીને હિંદુ છોકરી સાથે લગ્ન કરે તો એ પણ જિહાદ છે અને અમે આની સામે કાયદો લાવીશું.
હિંદુસ્તાન અને એનડીટીવીના અહેવાલ મુજબ હેમંત બિસ્વા સરમા હિંદુત્વ પર વાત કરી રહ્યા હતા અને તેમણે કહ્યું કે છોકરાઓ પોતાની ધાર્મિક કે અન્ય ખોટી માહિતી આપીને પરણે છે તેના પર એમની સરકાર જલદી કાયદો લાવશે.
હેમંત બિસ્વા સરમાએ આ વાત લવ જિહાદ બાબતે કરવામાં આવેલા સવાલના જવાબમા કરી. એમને પૂછવામાં આવ્યું હતું કે લવ જિહાદ પર એમનું શું કહેવું છે આના જવાબમાં એમણે લવ જિહાદ ટર્મ સામે વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે તેઓ આને છેતરપિંડી કે દગા તરીકે જુએ છે.
એમણે કહ્યું કે, અમારી સરકાર હિંદુ કે મુસ્લિમ કોઈ પણ મહિલા સાથે દગો કરવામાં આવે એ સહન નહીં કરે, અમે અમારી મહિલાઓની સુરક્ષા માટે આવા અપરાધીઓ સામે યોગ્ય કાર્યવાહી કરીશું અને કાયદો લાવીશું.
તાલિબાનનો ખતરો, ભારતે કંદહારથી સ્ટાફ પાછો બોલાવ્યો
અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા સંઘર્ષની આગ કંદહાર સુધી પહોંચી છે અને ભારતે પોતાનો કેટલોક સ્ટાફ પાછો બોલાવી લીધો છે.
અંગ્રેજી અખબાર ધ હિંદુના અહેવાલ છે કે ભારતે કંદહારસ્થિત વાણિજ્ય દૂતાવાસ અસ્થાયી ધોરણે બંધ કર્યું છે. જોકે, સમાચાર એજન્સી એએનઆઈ સૂત્રોને ટાંકીને લખે છે કે દૂતાવાસ બંધ નથી કરવામાં આવ્યું પરંતુ અમુક સ્ટાફને સુરક્ષાના કારણોસર ત્યાંથી હઠાવવામાં આવ્યો છે.
હિંદુ અખબાર સૂત્રોને ટાંકીને લખે છે કે ભારત સરકાર અફઘાનિસ્તાનથી આશરે 50 રાજનાયકો અને સુરક્ષાકર્મીઓને દિલ્હી લાવવા માટે ભારતીય વાયુસેનાનું વિમાન મોકલી રહી છે.
અધિકારીઓનું કહેવું છે કે તાલિબાન સતત દક્ષિણના શહેર કંદહાર તરફ આગળ વધી રહ્યું છે એવી બધાને ચિંતા છે અને તેથી અગમચેતીના ભાગરૂપે આ પગલું ભરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે 1990ના દાયકામાં કંદહાર તાલિબાનનું મુખ્ય મથક હતું અને જો તાલિબાન અહીં સુધી પહોંચે છે તો અફઘાન સેના અને એમની વચ્ચે મોટી લડાઈ થઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉલ્લેખનીય છે કે હાલના સમયમાં અફઘાનિસ્તાનમાં ભારતના દૂતાવાસ કાબુલ અને બલ્ખ પ્રાંતમાં મઝાર-એ-શરીફ ખાતે કાર્યરત છે. એપ્રિલ 2020માં ભારતે જલાલાબાદ અને હેરાતમાં આવેલા દૂતાવાસ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. એ વખતે સરકારે કોરોના મહામારીનો તર્ક આપ્યો હતો પણ જાણકારો માને છે કે આ નિર્ણય સુરક્ષાને કારણે જ લેવામાં આવ્યો હતો.
તાલિબાને કંદહારથી એક કલાકના અંતરે આવેલા પંજવાઈ જિલ્લાને કબજે કરી લીધો હોવાની ગત અઠવાડિયે ખબર આવી હતી.
કાશ્મીરમાં હિઝબુલ ચીફના પુત્રો સહિત 11 લોકોને સરકારી નોકરીમાંથી હકાલપટ્ટી
જમ્મુ-કાશ્મીર પ્રશાસને ચરમપંથી સંગઠનો સાથે કામ કરવાને લઈને 11 લોકોને સરકારી નોકરીમાંથી હાંકી કાઢ્યા છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ આ 11 લોકોમાં ચરમપંથી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાઉદ્દીનના બે દીકરાઓનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત બે પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે.
અખબાર મુજબ આ 11 લોકોને ભારતના બંધારણની કલમ 311 હેઠળ હાંકી કાઢવામાં આવ્યા છે. આ કલમ હેઠળ કોઈ તપાસ નથી થતી.
હાંકી કાઢવામાં આવેલા કર્મચારીઓ પૈકી ચાર અનંતનાગ, ત્રણ બડગામ તથા અન્ય એક-એક બારામુલા, શ્રીનગર, પુલવામાં અને કુપવાડાના છે.
દૈનિક ભાસ્કર અખબાર આ મામલે લખે છે કે હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાઉદ્દીનના દીકરાઓ શકીલ યૂસુફ અને શાહિદ યૂસુફ પર ચરમપંથને ભંડોળ આપવાનો આરોપ હતો. બેઉની અગાઉ એએઆઈ દ્વારા ધરપકડ થઈ હતી. અખબાર મુજબ શકીલ યૂસુફ સ્વાસ્થ્ય વિભાગમાં લૅબ ટેકનિશિયન તરીકે અને શાહિદ યૂસુફ કૃષિ વિભાગમાં કામ કરતા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો