IPL 2021 : કોરોનાની વચ્ચે ક્રિકેટરો કેમ આઈપીએલ છોડીને ભારતમાંથી ભાગી રહ્યા છે?

આઈપીએલ રમી રહેલા વિદેશી ખેલાડીઓ ધીમે ધીમે ભારત છોડી પોતાના દેશમાં પરત જઈ રહ્યા છે.

સોમવારે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે જાહેરાત કરી હતી કે તેમના બે ખેલાડી એડમ ઝામ્પા અને કેન રિચાર્ડ્સને વ્યક્તિગત કારણોસર ટીમ છોડીને પોતાના દેશમાં પરત ફર્યા છે.

આ અગાઉ ઑસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર એન્ડ્રુ ટાય પણ રાજસ્થાન રૉયલ્સની ટીમને છોડીને પોતાના દેશ ઑસ્ટ્રેલિયા પરત ફર્યા હતા.

રાજસ્થાન રૉયલ્સની ટીમની સ્થિતિ તો એવી થઈ છે કે તેમની પાસે હાલ માત્ર ચાર જ વિદેશી ખેલાડી છે.

ભારતમાં એક તરફ દિવસેને દિવસે કોરોના વાઇરસના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સોમવારે ભારતમાં 3 લાખ 52 હજારથી પણ વધારે કેસ નોંધાયા હતા.

દેશમાં એક તરફ કોરોના વાઇરસના કેસમાં વધારો થઈ રહ્યો છે, જ્યારે બીજી બાજુ ક્રિકેટની ઇન્ડિયન પ્રીમિયર લીગ ચાલી રહી છે.

છેલ્લાં અઠવાડિયાંથી ભારતમાં કોરોના વાઇરસના વધેલા કેસને ધ્યાનમાં રાખીને અનેક ખેલાડીઓ આઇપીએલ છોડીને પોતાના દેશમાં પરત જવાનું વિચારી રહ્યા છે, જ્યારે કેટલાક ખેલાડીઓ આઇપીએલ છોડીને ચાલ્યા ગયા છે.

એવું નથી કે માત્ર વિદેશી ખેલાડીઓ જ ભારત છોડીને જઈ રહ્યા છે. ભારતીય ખેલાડીઓએ પણ કોરોના વાઇરસની મહામારીમાં આઇપીએલ છોડી દીધી છે.

દિલ્હી કૅપિટલ્સની ટીમ સાથે જોડાયેલા રવિચંદ્રન અશ્વિને પણ દિલ્હી કૅપિટલ્સની ટીમને છોડી દીધી છે.

રવિચંદ્રન અશ્વિને રવિવારે ટ્વીટ કરીને જાણકારી આપતા લખ્યું કે “હું આવતીકાલથી આઇપીએલની આ સિઝનમાંથી રજા લઈ રહ્યો છું. મારો પરિવાર અને પરિવારના બીજા સભ્યો હાલ કોરોના વાઇરસની લડાઈ લડી રહ્યા છે અને મારે આ આકરા સમયમાં તેમને મદદ કરવી છે. જો સ્થિતિ યોગ્ય દિશામાં જશે તો હું પરત ફરીશ આભાર.”

બીસીસીઆઈના એક અધિકારીએ નામ ન જણાવવાની શરતે કહ્યું છે કે આઇપીએલ તો ચાલુ જ રહેશે.

વિદેશી ખેલાડીઓ કોરોનાના વધતા કેસને કારણે પરત ફરી રહ્યા છે?

વિદેશી ખેલાડીઓ આઇપીએલ છોડીને પરત ફરી રહ્યા છે તેનું એક કારણ ભારતમાં વધેલા કોરોના વાઇરસના કેસ અને દુનિયાના વિવિધ દેશોએ ભારતથી આવતા લોકો પર મૂકેલા પ્રતિબંધને જવાબદાર માનવામાં આવે છે.

રાજસ્થાન રૉયલ્સના એન્ડ્રુ ટાઇએ ઑસ્ટ્રેલિયાના સેન રેડિયોને આપેલા ઇન્ટર્વ્યુમાં કહ્યું હતું, “પરત ફરવાનાં ઘણાં કારણો હતાં પરંતુ એક કારણ ઑસ્ટ્રેલિયામાં પણ કેસ વધી રહ્યા છે અને ભારતથી પરત ફરતા લોકોને હોટલમાં ક્વોરૅન્ટિન થવું પડે છે કારણ કે કોરોના વાઇરસ પર્થમાં કૉમ્યુનિટીમાં સ્પ્રેડ થયો છે. હાલ સરકાર ભારતથી આવતા લોકોની સંખ્યા ઘટાડી રહી છે.”

આ ઉપરાંત તેમણે વધુમાં કહ્યું હતું, “કોઈ દેશમાં લૉક થઈ જવું તેના કરતાં મેં ઘરે પરત ફરવાનું વિચારી લીધું.”

એન્ડ્રુ ટાઈએ એમ પણ કહ્યું હતું કે કોરોના વાઇરસના વધતા કેસને કારણે બીજા અનેક ખેલાડીઓ ભારતથી પરત આવી શકે છે.

એન્ડ્રુ ટાઇ બાદ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બે ખેલાડી એડમ ઝામ્પા અને કેન રિચાર્ડ્સન પણ આઇપીએલ છોડીને પોતાના દેશમાં પરત ફર્યા છે.

રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટ્વીટ કરીને કહ્યું છે, “એડમ ઝામ્પા અને કેન રિચાર્ડ્સન વ્યક્તિગત કારણોસર ઑસ્ટ્રેલિયા પરત ફરી રહ્યા છે તેઓ 2021ની આઇપીએલમાં હવે હશે નહીં. તેમના નિર્ણયની ટીમ મૅનેજમેન્ટ કદર કરે છે અને તેમને સંપૂર્ણ સાથ આપે છે.”

ઑસ્ટ્રેલિયાના અખબાર સિડની મોર્નિંગ હેરાલ્ડે લખ્યું છે, “ભારતમાં છેલ્લા એક અઠવાડિયામાં 20 લાખ કેસ આવવાના કારણે ઑસ્ટ્રેલિયાની સરકાર ભારતથી પરત આવતી ફ્લાઇટ પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહી હતી તે પહેલાં એડમ ઝામ્પા અને કેન રિચાર્ડ્સન પરત ફરી રહ્યા છે.

ઑસ્ટ્રેલિયના ઝડપી બોલર નથન કાઉલ્ટર નાઇલે ક્રિકેટ ઑસ્ટ્રેલિયાને કહ્યું, “ભારતમાં રહેવાને લઈને દરેકના મત અલગ અલગ છે. તેમણે કહ્યું મેં ઝામ્પા સાથે થોડા સમય પહેલાં વાત કરી તેણે મને ઘરે જવાની અનિવાર્ય દલીલ આપી. પરંતુ મને લાગે છે કે હું હાલ ઘરે જવા કરતા અહીં રહું એ વધારે સુરક્ષિત છે.”

તેમણે એમ પણ કહ્યું, “ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડના તમામ ખેલાડીઓ હાલ એજ બોટમાં છે.”

સ્ટીવ સ્મિથ, નથન કાઉલ્ટર નાઇલ, સ્ટોઇનિસ, પેટ કમિન્સ, ઉપરાંત કોચ તરીકે રીકિ પોન્ટિંગ, કોમેન્ટેટર તરીકે મેથ્યૂ હેડન સહિત ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓ ભારતમાં છે.

પેટ કમિન્સે 50 હજાર ડૉલર પીએમ કેર ફંડમાં આપ્યા

ઑસ્ટ્રેલિયાના ઝડપી બોલર પેટ કમિન્સે આઇપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી રમી રહ્યા છે.

સોમવારે પેટ કમિન્સે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ભારતની હૉસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય ખરીદવા માટે હું 50 હજાર ડૉલર રૂપિયા પીએમ કેર ફંડમાં આપું છું

આઇપીએલ કોરોના વાઇરસની આ મહામારીમાં ચાલુ રહેવી જોઈએ તેની વકીલાત કરતા તેમણે લખ્યું, "હાલમાં અહીં ઘણી ચર્ચા ચાલી રહી છે કે કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે આ સ્થિતિમાં આઈપીએલ ચાલુ રહેવી જોઈએ કે નહીં. મારી સલાહ છે કે દેશની સ્થિતિ ખરાબ છે ત્યારે આઇપીએલ લોકોને કેટલાક કલાકનો આનંદ આપે છે."

તેમણે લખ્યું, "એક ખેલાડી તરીકે મારી પાસે એવું પ્લૅટફૉર્મ છે કે જે લાખો લોકો સુધી પહોંચે છે અને તેનો સારો ઉપયોગ આપણે કરી શકીએ છીએ."

તેમણે બીજા ખેલાડીઓને પણ આર્થિક મદદ કરવાની સલાહ આપી છે.

ભારતમાં સોમવારે 3,52,991 કોરોના વાઇરસના કેસ નોંધાયા હતા, જ્યારે 2812 દરદીઓનાં મૃત્યુ થયાં હતાં અને 2,19,272 દરદીઓ સાજા થયા હતા.

ભારતમાં કુલ કેસની સંખ્યા 1,73,13,163એ પહોંચી છે. જ્યારે 1,95,123 લોકો કોરોના વાઇરસથી મૃત્યુ પામ્યા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો