ઉત્તરાખંડ : તપોવન ટનલમાં હજુ પણ 30થી વધુ લાપતા, કુલ મૃતાંક 32 થયો

ઉત્તરાખંડના ચમોલી ડિસ્ટ્રિક્ટમાં 7 ફેબ્રુઆરીના રોજ ગ્લેશિયર તૂટવાથી ધૌલીગંગા અને નંદાદેવી નદીઓમાં તોફાન આવ્યું હતું. નદી પરનાં અનેક બંધો તૂટવાથી અચાનક પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.

અત્યાર સુધી આ ઘટનામાં 32 લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે, જ્યારે 197 લોકો હજુ સુધી લાપતા છે.

આર્મીની ટીમો, NDRF, SDRF અને ITBPના જવાનો દ્વારા દિવસ-રાત રેસ્ક્યૂ ઑપરેશન ચલાવાઈ રહ્યું છે. જેથી લાપતા લોકોને શોધી શકાય.

આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં બાર લોકોની ટીમ તપોવનના અપર સ્ટ્રમ સુરંગમાં ફસાઈ હતી. ITBPની મદદથી અંદર ફસાયેલી વ્યક્તિઓને બહાર કાઢી લેવાઈ હતી.

દરમિયાન તપોવન ટનલમાં રેસક્યૂ ઑપરેશન જારી રાખવામાં આવ્યું હતું.

ડિઝાસ્ટર મિટિગેશન & મૅનેજમેન્ટ સેન્ટર, ઉત્તરાખંડના પીયૂષ રોતેલાએ બચાવ કામગીરી અંગે માહિતી આપતાં સમાચાર એજન્સી ANIને કહ્યું હતું કે, “અમને માત્ર એટલી ખબર છે કે ટનલ 2.5 કિલોમિટર લાંબી છે અને તેમાં હજુ 30-35 લોકો ફસાયેલા છે. SDRF, પોલીસ, ITBP, આર્મી અને નેવીના જવાનો કચરો દૂર કરી ટનલમાં ફસાયેલાને શોધવા પ્રયત્ન કરી રહ્યા છે.”

તેમણે વધુમાં માહિતી આપતાં કહ્યું હતું કે, “બ્રિજ તૂટી જવાને કારણે 12-13 ગામો સાથે અમારો સંપર્ક તૂટી ગયો છે. તેથી અમે તેમની માટે રૅશન, પાણી અને વીજળીની વ્યવસ્થા કરવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. અમે જલદી જ એક કામચલાઉ બ્રિજ પણ બનાવી લઈશું.”

બચાવ કામગીરી અંગે માહિતી આપતાં ITBPના હેડક્વાર્ટરનાં સેક્ટર DIG અપર્ણા કુમારે કહ્યું હતું કે, “બચાવ કામગીરીમાં મુખ્ય સમસ્યા એ આવી રહી છે કે કચરો અને કાદવ ટનલમાંથી બહાર આવી રહ્યો છે. ટનલમાં મશીનો કામ કરી રહી છે. અમારે ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે કારણ કે ભારે દબાણથી ટનલમાંથી પાણી બહાર આવી શકે છે.”

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો