કોરોના વાઇરસની રસી કોને ફ્રીમાં મળશે? સ્વાસ્થ્યમંત્રી ડૉ. હર્ષવર્ધને કરી સ્પષ્ટતા

દેશભરમાં કોરોના વાઇરસની રસી ફ્રી આપવાના નિવેદનના થોડા જ કલાકો બાદ શનિવારે કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડૉ. હર્ષવર્ધને સ્પષ્ટતા કરી છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું છે કે તેમના નિવેદનનો અર્થ શું હતો.

ડૉ. હર્ષવર્ધને ટ્વીટમાં લખ્યું, "કોવિડ-19 રસીકરણના પહેલા તબક્કામાં દેશભરમાં પ્રાથમિકતાના આધારે એક કરોડ આરોગ્યકર્મીઓ અને બે કરોડ ફ્રન્ટલાઇન વર્કર્સને વૅક્સિન ફ્રી આપવામાં આવશે."

આ પછી જુલાઈ સુધીમાં 27 કરોડ પ્રાથમિકતાવાળા લાભાર્થીઓને કઈ રીતે વૅક્સિન આપવામાં આવશે એની વિસ્તૃત પ્રક્રિયા પર કામ ચાલી રહ્યું છે.

આ અગાઉ સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું હતું કે આખાય દેશમાં પ્રથમ તબક્કામાં કોરોનાની રસી વિનામૂલ્યે આપવામાં આવશે.

અત્રે એ પણ નોંધવું કે દેશમાં કોરોનાવાઇરસની બીમારીમાંથી સાજા થનારા દરદીઓનો રિકવરી રેટ વધ્યો છે. ભારતમાં અત્યાર સુધી 99 લાખ દરદીઓ સાજા થઈ ચૂક્યા છે. જે વિશ્વમાં સૌથી સર્વાધિક રિકવરી રેટ હોવાનું મનાય છે.

DCGI : કોરોના વૅક્સિન 'કોવિશિલ્ડ' અને 'કોવૅક્સિન'ને ભારતમાં મંજૂરી

ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટની 'કોવિશિલ્ડ' રસી અને ભારત બાયૉટેકની રસી 'કોવૅક્સિન'ને ઇમર્જન્સી ઉપયોગ માટે અંતિમ મંજૂરી મળી ગઈ છે.

ઍક્સપર્ટ કમિટીની ભલામણ બાદ ડ્રગ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાએ બંને રસીના ઇમર્જન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે.

આ ઉપરાંત ઝાયડસ કૅડિલાની વૅક્સિન 'ઝાયકોવિ-ડી'ની ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલને પણ મંજૂરી મળી ગઈ છે.

દરમિયાન ઑક્સફૉર્ડ યુનિવર્સિટી અને ઍસ્ટ્રાજેનેકા દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલી રસી 'કોવિશિલ્ડ'ને ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપ્યા બાદ ભારતીય કંપની ભારત બાયૉટેકની રસી 'કોવૅક્સિન'ને પણ ઇમર્જન્સી ઉપયોગ માટે સરકારે મંજૂરી આપી હતી. જોકે ડ્રગ કન્ટ્રોલરની મંજૂરી મળવાની બાકી હતી.

પણ હવે બંને રસીને ડ્રગ કન્ટ્રોલરની પણ મંજૂરી મળી ગઈ છે.

ઍક્સપર્ટ કમિટીની ભલામણ બાદ ડ્રગ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાએ બંને રસીના ઇમર્જન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે.

આ ઉપરાંત ઝાયડસ કૅડિલાની વૅક્સિન 'ઝાયકોવિ-ડી'ની ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલને પણ મંજૂરી મળી ગઈ છે.

સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઈઓ આદર પૂનાવાલાએ આ વિશે ટ્વીટ પણ કર્યું અને કહ્યું કે તમામને નવું વર્ષ મુબારક. કોવિશિલ્ડ - કોરોના વાઇરસ માટે ભારતની પહેલી રસીને મંજૂરી મળી ગઈ છે. સુરક્ષિત અને પ્રભાવી રસી આગામી સપ્તાહોમાં લોકોને આપવાની શરૂઆત થશે."

આજે ડ્રગ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાએ પત્રકારપરિષદમાં જાહેરતા કરી હતી કે ઉપરોક્ત બંને રસીને ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી રહી છે.

સંસ્થાએ તેના નિવેદનમાં કહ્યું કે કોવૅક્સિનના ટ્રાયલમાં 25 હજારથી વધુ સ્વંયસેવક હતા જેમાંથી 22 હજારથી વધુને અપાઈ હતી અને તે સુરક્ષિત રહી છે.

"વળી કોવિશિલ્ડ પણ અસરકારક અને સુરક્ષિત જોવા મળી છે. આથી બંને રસીને ઇમર્જન્સી વપરાશ માટે મંજૂરી અપાઈ રહી છે. સાથે સાથે તેમની ક્લિનિકલ ટ્રાયલ ચાલુ જ રહેશે. "

નિવેદનમાં વધુમાં કહેવાયું કે રસીને 2થી 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં સ્ટોર કરવામાં આવશે.

પીએમ મોદી અને ડ્રગ કન્ટ્રોલરે રસી વિશે શું કહ્યું?

વધુમાં ડ્રગ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા વી. જી. સોમાણીએ કહ્યું કે જો સુરક્ષા મામલે જરા પણ શંકા હોત તો રસીને મંજૂરી ન આપી હોત. પરંતુ રસી 110 ટકા સુરક્ષિત છે. વળી સાધારણ તાવ, દુખાવો, ઍલર્જી જેવી બાબતો દરેક રસીમાં જોવા મળતી હોય છે. પણ તેને લેવાથી લોકો નપુંસક થઈ જશે એ સાવ પાયાવિહોણી અને ખોટી અફવા છે.

દરમિયાન ભારતના ડ્રગ નિયામકે બે રસીને મંજૂરી આપી છે તેને વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ આવકારી છે.

સંસ્થાના દક્ષિણ-પૂર્વ એશિયા ક્ષેત્રના રિજનલ ડાયરેક્ટર ડૉ. પૂનમ ખેત્રપાલ સિંઘે કહ્યું કે વિશ્વ આરોગ્ય સંસ્થા કોરોનાની રસીને ઇમર્જન્સી ઉપયોગ આપવા માટેના ભારતના નિર્ણયને આવકારે છે.

તો વળી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રસીને મંજૂરી મળી એ વિશે ટ્વીટ કર્યું છે.

તેમણે ટ્વીટમાં લખ્યું, "એ ગર્વની વાત છે કે જે બે રસીને મંજૂરી મળી છે તે ભારતમાં બનેલી છે. તે ભારતના આત્મનિર્ભરના સપનાને પૂરુ કરવા માટે અમારા વૈજ્ઞાનિકોની ઇચ્છાશક્તિને દર્શાવે છે. એ આત્મનિર્ભર ભારત, જેનો આધાર છે - સર્વે ભવન્તુ સુખિન, સર્વે સન્તુ નિરામયા."

'કોવૅક્સિન'ને પણ સરકારની મંજૂરી

આ પૂર્વે ભારત સરકારે શુક્રવારે ઑક્સફૉર્ડ યુનિવર્સિટી અને ઍસ્ટ્રાજેનેકા દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલી રસીને ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપ્યા બાદ ભારતીય કંપની ભારત બાયૉટેકની રસી 'કોવૅક્સિન'ને પણ ઇમર્જન્સી ઉપયોગ માટે સરકારે મંજૂરી આપી હતી.

જોકે બંને રસીને હજુ અંતિમ મંજૂરી મળવાની બાકી હતી. તેને ડ્રગ કંટ્રોલર એટલે કે તબીબી સારવાર અને ઉપકરણો મામલે નિયમન કરતી સંસ્થા ડીસીજીઆઈની મંજૂરી મળવાની બાકી હતી. જે આજે મળી ગઈ છે.

બીજી તરફ ભારત બાયૉટેકની રસી મામલે કેટલાકે સવાલ ઉઠાવી તેના વિશે વધુ ડેટા પણ માગ્યો છે.

ભારત આ વર્ષ જૂન સુધી 30 કરોડ લોકોને રસી આપવાની તૈયારી કરી રહ્યું છે. તેના માટે શનિવારે ડ્રાય રન પણ કરવામાં આવ્યો હતો.

તેમાં દસ હજારથી વધુ સ્વાસ્થ્યકર્મીઓ સામેલ થયા હતા.

વળી વૅક્સિન આપવાની રેસમાં ઇઝરાયલ સૌથી આગળ ચાલી રહ્યું છે. તેમાં 12 ટકાથી વધુની વસતિને રસી આપી દેવાઈ છે.

'ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની રસીને મંજૂરી'

દરમિયાન કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે શુક્રવારે ડીસીજીઆઈના તજજ્ઞોની સમિતિએ એસ્ટ્રાઝેનેકા અને ઑક્સફર્ડ યુનિવર્સિટીની કોવિશિલ્ડ રસીના ઇમર્જન્સી ઉપયોગ માટે ભલામણ કરી હતી, તેને મંજૂરી આપી દેવામાં આવી હતી.

ભારતમાં આ રસી પુણેની સિરમ ઇન્સિટટ્યૂટ દ્વારા તૈયાર કરવામાં આવી છે.

કોવિશિલ્ડ વૅક્સિન કેવી રીતે કામ કરે છે?

કોવિશિલ્ડ રસી ચિમ્પૅન્ઝીમાં જોવા મળતા શરદીના સામાન્ય વાઇરસને નબળા બનાવીને તૈયાર કરાઈ છે. તેને કોરોના વાઇરસ જેવો જ બનાવવામાં આવ્યો, જોકે તેનાથી બીમાર થવાતું નથી.

જ્યારે આ રસી દર્દીને અપાય છે, ત્યારે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ પેદા થાય છે, જેનાથી દર્દીના શરીરમાં ઍન્ટિ-બૉડીઝ બનવાની શરૂઆત થાય છે, જે કોરોના વાઇરસના સંક્રમણને અટકાવે છે.

ભારતમાં સિરમ ઇન્સિટટ્યૂટ પ્રમુખ રસી ઉત્પાદકોમાંથી એક છે. અહીં બનેલી રસીઓ દુનિયાના ખૂણેખૂણે પહોંચાડવામાં આવે છે અને દર વર્ષે રસીઓના કરોડો ડોઝ અહીં બને છે.

સિરમ ઇન્સિટ્યૂટના આદર પુનાવાલાએ આ અગાઉ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ભારતને ટૂંક સમયમાં રસી મળી જશે.

જોકે નોંધવાપાત્ર વાત તો એ છે કે બ્રિટને આ પૂર્વે કોવિશિલ્ડને ઇમર્જન્સી મંજૂરી આપી હતી, પણ કેટલાક લોકોને તેની આડઅસર થતાં બ્રિટનમાં રસી પર રોક લગાવી દેવાઈ.

ભારતમાં કેટલી રસી તૈયાર થઈ રહી છે?

કોવિશિલ્ડ ઑક્સફર્ડ અને એસ્ટ્રાઝેનેકાની રસી સિરમ ઇન્સિટ્યૂટ દ્વારા તૈયાર કરાઈ છે.

બીજી રસી કોવૅક્સિન છે. હૈદરાબાદની ભારત બાયૉટેક કંપની ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચની મદદથી આ રસી તૈયાર કરી રહી છે. આ રસી ટ્રાયલના ત્રીજા તબક્કામાં છે.

ત્રીજી રસી zyCov-d છે. અમદાવાદની કેડિલા કંપની આ રસી તૈયાર કરી રહી છે, જે ટ્રાયલના બીજા તબક્કામાં છે.

રશિયાની સ્પુતનિક વી રસીને પણ ડૉ. રેડ્ડી કંપની દ્વારા તૈયાર કરાઈ રહી છે. જેનું પ્રથમ અને બીજા તબક્કાનું ઍડ્વાન્સ પરીક્ષણ ચાલી રહ્યું છે.

સિરમ ઇન્સિટટ્યૂટ બીજી વૅક્સિન તૈયાર કરી રહી છે, એ NVX-Cov2373 છે.

આ રસી ટ્રાયલના ત્રીજા તબક્કામાં છે, જલદી જ તેને માન્યતા મળી શકે છે.

આ ઉપરાંત બીજી ચાર રસી છે, જે પુણે અને હૈદરાબાદની કંપનીઓ તૈયાર કરી રહી છે.

ઑક્સફર્ડની રસી આટલા ઓછા સમયમાં કેવી રીતે તૈયાર થઈ?

ઑક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકો છેલ્લા ઘણા સમયથી એક એવી રસી તૈયાર કરવામાં લાગ્યા હતા, જે વિવિધ રોગોનો સામનો કરી શકે.

એટલે પહેલાંથી જ આ રસીને લગતું ઘણું સંશોધન થયેલું હતું, તેમણે માત્ર તેને કોરોના વાઇરસ કેન્દ્રીત બનાવવાની હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો