You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખેડૂત આંદોલન : કેન્દ્ર દ્વારા વાતચીતના પ્રયાસો, ખેડૂતો અડગ
નવા કૃષિકાયદાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતનેતાઓ સાથે વાતચીતમાં સામેલ રહેલા કેન્દ્રીય મંત્રી સોમપ્રકાશે કહ્યું છે કે આગામી તબક્કાની વાતચીતના પ્રયાસો ચાલુ છે.
સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર સોમપ્રકાશે કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર સાથે પ્રદર્શનકારી ખેડૂતો અંગે વિચાર-વિમર્શ કરીને કહ્યું છે કે બહુ જલદી બેઠક યોજવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. તારીખ હજુ નક્કી નથી થઈ.
તેમણે કહ્યું, "આખરે આ મુદ્દાનો આપણે સંવાદ થકી જ ઉકેલ લાવવો છે. બીજો કોઈ રસ્તો નથી. ખેડૂતો આ વાતને જાણે છે. અમે પણ આ વાતને જોણીએ છીએ.
તેમણે ભારપૂર્વક કહ્યું કે સરકાર ખેડૂતો સાથે કોઈ પણ સમયે વિચાર-વિમર્શ કરવા માટે તૈયાર છે.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર સંરક્ષણમંત્રી રાજનાથસિંહ શનિવારે ભારતીય કિસાન યુનિયનના નેતાઓ સાથે મુલાકાત કરી હતી.
ખેડૂતો દિલ્હીની સરહદો પર ગત 16 દિવસથી વિરોધપ્રદર્શનો કરી રહ્યા છે. તેમાં મોટા ભાગના ખેડૂતો પંજાબના છે, જે નવા કૃષિકાયદાને 'કૉર્પોરેટના હિતમાં ગણાવીને તેને પરત લેવાની માગ કરી રહ્યા છે.'
ખેડૂત આંદોલન માઓવાદી અને નકસલવાદી શક્તિઓ ચલાવે છે - પીયૂષ ગોયલ
રેલમંત્રી પીયૂષ ગોયલે કહ્યું છે કે ખેડૂત આંદોલન માઓવાદી અને નકસલવાદી શક્તિઓ ચલાવે છે.
પીયૂષ ગોયલે કહ્યું કે જો ખેડૂત આંદોલન માઓવાદી અને નકસલવાદી તાકાતોથી મુક્ત થઈ જાય તો ખેડૂતો સરકારની વાત જરૂર સમજશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સમાચાર સંસ્થા એએનઆઈ સાથે વાત કરતાં એમણે કહ્યું કે ખેડૂતોને એ સમજાશે કે આ કાયદાઓ એમના અને દેશના હિતમાં છે.
એમણે કહ્યું કે કોઈ શંકા હોય તો ભારત સરકારના દરવાજા 24 કલાક ખેડૂતો માટે ખુલ્લા છે, દરેક મુદ્દા અને દરેક જોગવાઈ પર વાત થવી જોઈએ.
એમણે કહ્યું કે, બસ એક વાત કરો અને ઊભા થઈ જાવ એનાથી કદી કોઈ સમસ્યાનો ઉકેલ નથી આવતો. એટલે અમને બધાને હવે ધ્યાને આવી રહ્યું છે કે કદાચ આ આંદોલન હવે ખેડૂતોના હાથમાંથી નીકળી ગયું છે અને એમના ખભા પરથી માઓવાદી અને નકસલવાદી શક્તિઓ આંદોલન ચલાવે છે.
એમણે કહ્યું કે, દરેકને વિશ્વાસ હોય છે કે નેતા એમનું ધ્યાન રાખશે પણ અહીં કદાચ એવા નેતા છે જ નહીં. આવો ડરનો માહોલ આ નકસલ લોકોએ ઊભો કર્યો છે, જો ખેડૂત નેતા અસલ મુદ્દાની વાત કરવા માગે તો પણ એમની હિંમત નથી થઈ રહી કેમ કે તેઓ ડરાવી દે છે.
એમણે કહ્યું, અમને ખેડૂતો પર ભરોસો છે. તેઓ શાંતિપ્રિય છે અને આપણા અન્નદાતા છે. અમે તેમનું સન્માન કરીએ છીએ અને અમને ભરોસો છે કે તેઓ માઓવાદીઓ અને નકસલવાદીઓને દેશને હાનિ નહીં પહોંચાડવા દે.
આ દરમિયાન ખેડૂત આંદોલનના નેતા કમલપ્રીત સિંહ પન્નૂએ કહ્યું છે કે 14 તારીખે તમામ ખેડૂત સંગઠનોના પ્રતિનિધિ અને અધ્યક્ષ એક દિવસનો ઉપવાસ કરશે.
કૃષિકાયદા રદ કરાવવા માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યું ખેડૂત-યુનિયન
ભારતીય કિસાન યુનિયન (BKU)ના એક જૂથે કૃષિકાયદાઓ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.
અરજીમાં ત્રણ કૃષિકાયદાઓ રદ કરાવવાની માગ કરાઈ છે અને ચિંતા વ્યક્ત કરાઈ છે કે આ કાયદાથી બહુરાષ્ટ્રીય કંપનીઓને ગરીબ અને અભણ ખેડૂતોનું ખુલ્લું શોષણ કરવાની છૂટ મળી જશે.
ભાનુપ્રતાપ સિંહના નેતૃત્વવાળા ભારતીય કિસાન યુનિયન (ભાનુ)એ નવ ડિસેમ્બરના રોજ એક અલગ અરજી દાખલ કરી હતી જેમાં કેહવાયું હતું કે આ કાયદા ખેડૂતોને બહુરાષ્ટ્રીય કંપનીઓના જાળમાં ફસાવી દેશે.
અરજીમાં કહેવાયું છે કે, "આ વિવાદિત કાયદાઓને કારણે એક બિનસંગઠિત અને શોષણકારી વ્યવસ્થા શરૂ થઈ જશે કારણ કે ભારતના મોટા ભાગના ખેડૂતો અશિક્ષિત છે, તેમની પાસે ખાનગી કંપનીઓ સાથે બહેતર શરતો સાથે સમજૂતી કરવાની જાણકારી નથી."
હાલના કાયદા કારોબારીઓને નિયંત્રિત મંડી પ્રણાલી બહાર કૃષિઊપજનો સ્વતંત્રપણે વેપાર કરવાની અનુમતિ આપે છે. તે ખાનગી કંપનીઓને આવશ્યક વસ્તુઓનો મોટા પ્રમાણમાં સંગ્રહ કરવાની અનુમતિ આપે છે અને સાથે જ તેમાં અનુબંધ ખેતી અંગે પણ નિયમ બનાવાયા છે.
ખેડૂતોને ચિંતા છે કે આ કાયદા બનવાને કારણે સરકાર ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP) પર અનાજની ખરીદી બંધ કરી દેશે અને તેમને ખાનગી કંપનીઓની દયા પર છોડી દેશે.
જોકે, કૃષિમંત્રીએ કહ્યું છે કે સરકાર લેખિતમાં આશ્વાસના આપવા માગે છે કે MSP ખતમ નહી કરવામાં આવે.
BKU ભાનુની આ અરજી સિવાય સુપ્રીમ કોર્ટમાં કૃષિકાયદા વિરુદ્ધ અન્ય અરજીઓ પણ પૅન્ડિંગ છે, તે પૈકી એક અરજી દ્રવિડ મુન્નેત્ર કડગમના સાંસદ તિરુચિ શિવા અને રાષ્ટ્રીય જનતા દળના સાંસદ મનોજ ઝાએ દાખલ કરી હતી.
ભાનુપ્રતાપ સિંહનું કહેવું છે, "સરકાર કહી રહી છે કે વચ્ચેનો રસ્તો... વચ્ચેનો રસ્તો.... શું વચ્ચેનો રસ્તો? તેઓ સરકારમાં છે કારણ કે અમે મત આપ્યા છે. અમે કૉંગ્રેસને સત્તાથી બહાર કરી. તેથી તેમણે અમારી વાત સાંભળવી જોઈએ."
કૃષિકાયદાઓ વિરુદ્ધ હજારોની સંખ્યામાં ખેડૂતો દિલ્હીની સીમાઓ પર પ્રદર્શન કરી રહ્યાં છે. સરકાર સાથે તેમની ઘણા તબક્કાની વાતચીત થઈ ચૂકી છે પરંતુ તેનું કોઈ પરિણામ નથી આવી શક્યું.
મંગળવારે સરકારે હાલના કાયદાઓમાં સંશોધનોને લઈને ખેડૂતોને એક પ્રસ્તાવ મોકલ્યો હતો જે ખેડૂત સંગઠનોએ ફગાવી દીધો છે.
કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું છે કે સરકાર પોતાના પ્રસ્તાવ પર ખેડૂતસંગઠનોની આધિકારિક પ્રતિક્રિયાની રાહ જોઈ રહી છે.
પરંતુ ખેડૂત સંગઠનોનું કહેવું છે કે તેઓ પાંચમા તબક્કાની બેઠકમાં જ સંશોધનોને ફગાવી ચૂક્યા છે. તેથી તેઓ લેખિતમાં કોઈ પ્રતિક્રિયા નહીં આપે.
દિલ્હી તરફ ખેડૂતોની મોટી કૂચ
કૃષિકાયદા વિરુદ્ધ ખેડૂતોનું વિરોધપ્રદર્શન વધુ ઉગ્ર થવા જઈ રહ્યું છે. અલગઅલગ જગ્યાએથી મોટી સંખ્યામાં ખેડૂતોએ શુક્રવારે રાજધાની દિલ્હી તરફ નીકળી ચૂક્યા છે.
કેન્દ્ર સરકારના પ્રસ્તાવને ફગાવી દીધા બાદ ખેડૂતસંગઠનોના નેતાઓએ આંદોલનને વધુ ઉગ્ર કરવા માટે દિલ્હી-જયપુર ધોરીમાર્ગને બંધ કરવા અને તમામ ટોલપ્લાઝાને ટોલ ફ્રી કરવાની જાહેરાત કરી છે.
પરિસ્થિતિને સંભાળવા માટે આવવા-જવાના વૈકલ્પિક રસ્તાઓ ઉપલબ્ધ કરાવવા માટે પોલીસની તહેનાતી કરી દેવાઈ છે.
ગત લગભગ બે અઠવાડિયાંથી કૃષિકાયદાના વિરોધમાં હજારો ખેડૂતો દિલ્હીની હરિયાણા અને ઉત્તર પ્રદેશને અડીને આવેલી સરહદો પર વિરોધપ્રદર્શન કરી રહ્યા છે.
તેમની માગ છે કે સરકાર ત્રણેય કૃષિકાયદા પરત લે.
અખિલ ભારતીય કિસન સંઘર્ષ સમન્વય સમિતિએ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે, "સિંઘુ, ટિકરી, ગાઝીપુર અને પલવલમાં ખેડૂતો ધરણાંમાં સામેલ થશે. તામિલનાડુના ખેડૂતો પહોંચી ચૂક્યા છે અને આખા ભારતના ખેડૂતો વિરોધપ્રદર્શન માટે દિલ્હી પહોંચી રહ્યા છે."
શનિવારે દિલ્હી જયપુર હાઈવે બંધ કરવાનો કાર્યક્રમ
મોદી સરકારના કૃષિકાયદા વિરૂદ્ધ દિલ્હીની જુદીજુદી સીમાઓએ પાછલા 17 દિવસથી ખેડૂતો અડગ છે
ખેડૂતો અને સરકાર વચ્ચેની પાંચ તબક્કાની વાતચીતનું કોઈ પરિણામ નથી આવી શક્યું અને ખેડૂતોનું પ્રદર્શન હજુ સુધી જારી છે. આ જ ક્રમમાં તેમણે શનિવારે દિલ્હી જયપુર હાઈવે બંધ કરવાનું આહ્વાન કર્યું છે.
સિંઘુ બૉર્ડરથી ખેડૂતનેતા બલવીરસિંહ રાજેવાલે પ્રદર્શનની ભવિષ્યની રણનીતિ જણાવતાં કહ્યું કે ઘણા લોકો કહી રહ્યા છે કે ખેડૂતો ટ્રેન રોકવાની યોજના ઘડી રહ્યા છે પરંતુ હજુ સુધી અમે એવું કંઈ પણ નક્કી નથી કર્યું.
રાજેવાલે કહ્યું કે દિલ્હી-જયપુર હાઈવેને બ્લૉક કરવા માટે પ્રદર્શનકારી સિંઘુ બૉર્ડરથી નહીં જાય પરંતુ રાજસ્થાનનથી લોકો આવીને દિલ્હી-જયપુર હાઈવે બંધ કરશે. ત્યાં જે લોકો બેઠા છે તેઓ એમ જ બેઠા રહેશે.
દિલ્હી-જયપુર હાઈવે સિવાય કોઈ પણ હાઈવે બંધ કરાશે?
આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે મોટી સંખ્યામાં ખેડૂતો પલવલ અને નોઈડા બૉર્ડર પર બેઠા છે. ખેડૂતનેતા રાજેવાલે એ પણ કહ્યું કે પ્રસ્તાવ મોકલ્યા બાદથી સરકાર તરફથી વાતચીતનો કોઈ પ્રસ્તાવ મોકલવામાં નથી આવ્યો.
નવ ડિસેમ્બરના રોજ સરકારને મોકલાવેલા ડ્રાફ્ટનો અસ્વીકાર કરવાની સાથે જ ખેડૂત નેતાઓએ સ્પષ્ટ કરી દીધું હતું કે આવનારા દિવસોમાં સંઘર્ષ વધુ ઉગ્ર બનાવાશે.
આ ક્રમમાં 'ખેડૂત મજદૂર સંઘર્ષ કમિટી'ના એસ. એસ. પંધેરે સમાચાર એજન્સી ANIને જણાવ્યું કે 'સંઘર્ષ કમિટીનાં લગભગ 700 ટ્રૅક્ટર અમૃતસરથી દિલ્હી માટે નીકળી ચૂક્યાં છે. તેઓ દિલ્હી બૉર્ડર પર પહોંચીને અન્ય ખેડૂતોનો સાથ આપશે.'
ખેડૂતનેતાઓ અને સરકાર વચ્ચે પાંચ તબક્કાની વાતચીત નિષ્ફળ ગયા બાદ આઠ ડિસેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને 13 ખેડૂત નેતાઓ વચ્ચે પણ મુલાકાત થઈ હતી પરંતુ તે વાતચીતનું કોઈ પરિણામ આવ્યું નહોતું.
ત્યાર બાદ નવ ડિસેમ્બરના રોજ સરકારે 20 પાનાંનો એક પ્રસ્તાવ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને મોકલાયો હતો પરંતુ ખેડૂતનેતાઓએ તેને સ્વીકારવાની ના પાડી દીધી હતી.
પ્રસ્તાવને નકારવાની સાથે જ ખેડૂતનેતાઓએ પોતાની આગળની રણનીતિની જાહેરાત કરત કરી હતી અને એ પણ સ્પષ્ટ કરી દીધું હતું કે જ્યાં સુધી સરકાર તેમની માગો નહીં માની લે અને કૃષિકાયદા પાછા નહીં ખેંચી લે, તેમનું પ્રદર્શન જારી રહેશે.
પોતાની આગળની રણનીતિની જાહેરાત કરતાં ખેડૂત નેતાઓએ આજે દિલ્હી-જયપુર હાઈવે એક્સપ્રેસ-વે બંધ કરવાની વાત કરી હતી.
સરકારી પ્રસ્તાવ પર લેખિત જવાબનો ઇન્કાર
કૃષિકાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોનાં સગઠનોએ કાયદામાં સંશોધનના સરકારના પ્રસ્તાવ પર લેખિતમાં પ્રતિક્રિયા આપવાનો ઇન્કાર કરી દીધો છે.
તેમનું કહેવું છે કે તેઓ પહેલાંથી જ આ સંશોધનો ખારિજ કરી ચૂક્યાં છે.
ખેડૂતસંગઠનોએ એક પત્રકારપરિષદ યોજીને કહ્યું હતું કે આ જ સંશોધનોની વાત પાંચમી ડિસેમ્બરની બેઠકમાં પણ કરવામાં આવી હતી. જોકે, તેમણે એ ફગાવી દીધી હતી.
શુક્રવારે કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું હતું કે સરકારને પોતાના પ્રસ્તાવ પર ખેડૂતોની પ્રતિક્રિયાનો ઇન્તેજાર છે. આ પ્રસ્તાવ મંગળવારે મોકલવામાં આવ્યા હતા.
તેમણે એવી આશા પણ વ્યક્ત કરી હતી કે આ મામલે વહેલી તકે ઉકેલ આવશે.
કૃષિમંત્રીએ ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું, "મને લાગે છે કે અમે સમાધાન શોધી લઈશું. મને આશા છે. હું ખેડૂતસંગઠનોને વિનંતી કરીશ કે તેઓ આનો ઉકેલ લાવે. સરકારે તેમને પ્રસ્તાવ મોકલ્યો છે. જો તેમને કાયદાની કોઈ જોગવાઈ સામે વાંધો હોય તો તેમના પર ચર્ચા કરાશે."
ક્રાંતિકારી કિસાન યુનિયનના અધ્યક્ષ દર્શન પાલે કહ્યું છે, "અમે કોઈ પત્ર નથી મોકલ્યો. આ પ્રસ્તાવ અમે પાંચ ડિસેમ્બરની બેઠકમાં જ ખારિજ કરી દીધો હતો. અમે કહ્યું હતું કે અમે સંશોધન પર કોઈ ચર્ચા નહીં કરીએ. અમે કૃષિકાયદાને રદ કરવા હા કે નામાં જવાબ આપવાની માગ કરી હતી."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો