ભારત માટે સ્વદેશી રસી વધુ યોગ્ય છે કે ઑક્સફર્ડની?

ઇમેજ સ્રોત, Getty Images
દેશમાં કોરોના વાઇરસના કારણે પરિસ્થિતિ વણસી રહી છે ત્યારે કોરોનાની સંભવિત રસીઓના નિર્માણ અંગે માહિતી મેળવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ, હૈદરાબાદ અને પુણેની મુલાકાત લીધી હતી.
વડા પ્રધાને અમદાવાદમાં ચાંગોદરસ્થિત ઝાયડસ કૅડિલાના પ્લાન્ટની મુલાકાત લીધી હતી અને કોરોનાની વૅક્સિનના વિકાસકાર્ય અંગે માહિતી મેળવી હતી.
નોંધનીય છે કે ઝાયડસ કૅડિલા, ભારત બાયોટૅક અને સીરમ ઇન્સ્ટિટયૂટ દ્વારા કોરોનાની રસી માટે પરીક્ષણો ચાલી રહ્યાં છે. જે હાલ વિકાસના જુદાજુદા તબક્કામાં છે.
સાથે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે બેઠક કરી હતી.
બેઠકમાં મોદીએ ફરી વાર કોરોના સામેની લડાઈમાં ટેસ્ટ, ટ્રેસ અને આઇસોલેશનના મંત્ર વિશે વાત કરી હતી. મિટિંગમાં વૅક્સિન ઉપર એક પ્રેઝન્ટેશન પણ રાજ્યો સાથે શૅર કરવામાં આવ્યું હતું.
કોરોના રસી પર વડા પ્રધાને શું કહ્યું?
મંગળવારે યોજાયેલી બેઠકમાં વડા પ્રધાને પીએમ કૅર ફંડની સાથેસાથે બીજા પ્રશ્નોના પણ જવાબ આપ્યા હતા.
તેમણે જણાવ્યું કે હજુ સુધી કોઈ પણ કોરોના રસીની પસંદગી કરવામાં આવી નથી.
પહેલા રસી કોને મળશે, તે માટેની યોજના તૈયાર છે, પરતું વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને રાજ્ય સરકારો સાથે વાતચીત કર્યા બાદ છેલ્લો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ અગાઉ ભારતના આરોગ્યમંત્રી ડૉ. હર્ષવર્ધન જણાવી ચૂક્યા છે કે આરોગ્યકર્મીઓ અને 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોના રસીકરણના અભિયાનમાં પ્રાથમિકતા આપવામાં આવશે.
તેમણે એમ પણ જણાવ્યું કે રસીકરણ અભિયાન લાંબું ચાલશે. અમુક નિષ્ણાતોના મતે રસીકરણ અભિયાનમાં ઘણાં વર્ષો લાગી શકે છે. પરંતુ રસી ક્યારે આવશે, તેની સફળતા અને કેટલા ડોઝની જરૂર પડશે, તેની બધી વાતો પર આધાર છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે રસી માટે ઝડપની સાથેસાથે સુરક્ષા પણ એટલી જ જરૂરી છે અને એટલા માટે ભારત સરકાર પોતાના નાગરિકો માટે જે પણ રસીની પસંદગી કરશે, તે બધાં વૈજ્ઞાનિક પરીક્ષણોમાં પાસ થશે.
આ હરોળમાં ઑક્સફર્ડની રસીનાં પરીક્ષણ પછી આશરે 70 ટકા જેટલી અસરકારક હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઑક્સફર્ડ- ઍસ્ટ્રાઝેનેકાની કોરોનાની રસીનું ઉત્પાદન ભારતમાં સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે.
હાલમાં રસીની રેસમાં બે ભારતીય રસી આગળ ચાલી રહી છે, જેમાં પહેલી ભારત બાયોટૅક અને આઈસીએમઆરે સાથે બનાવેલી કોવૅક્સિન છે.
બીજા દેશોમાં રસી માટે જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, તેમાં ઑક્સફર્ડની ઍસ્ટ્રાઝેનેકા રસી પર ભારત સરકારે બહુ મોટો દાવ લગાવ્યો છે.
જોકે કેન્દ્ર સરકારે ક્યારેય નથી કહ્યું કે તેણે ઑક્સફર્ડની ઍસ્ટ્રાઝેનેકા રસી માટે કોઈ કરાર કર્યો છે કે નહીં અથવા રસી માટેનો કોઈ ઑર્ડર આપ્યો છે કે નહીં.

શું ઑક્સફર્ડની રસી ભારત માટે સૌથી યોગ્ય છે?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં અત્યાર સુધી જેટલી પણ રસીનાં પરિણામો સામે આવ્યાં છે, તેમાં ઑક્સફર્ડની રસી બધાથી યોગ્ય છે, એવું માનવામાં આવી રહ્યું છે અને નિષ્ણાતો તેની પાછળ આ દલીલ આપી રહ્યા છે કે ઑક્સફર્ડની રસીને સરળતાથી સ્ટોર કરી શકાય છે
જો ભારત સરકાર ઑક્સફર્ડની રસી ખરીદવાનું નક્કી કરે છે, તો સરકારને રસીને સ્ટોર કરવા માટે અલગથી વધારાની મહેનત કરવાની જરૂર નથી.
ઑક્સફર્ડની રસીને સામાન્ય ફીઝમાં સ્ટોર કરી શકાય છે. જ્યારે ફાઈઝર અને મોડર્નાની રસીને સ્ટોર કરવા માટે કૉલ્ડ સ્ટોરેજ પર અલગથી કામ કરવાનું રહેશે. આ બંને રસીને સ્ટોર કરવા માટે માઇનસ 20 ડિગ્રીથી માઇનસ 70થી ડિગ્રી તાપમાનની જરૂર પડશે.
જો ભારત ઑક્સફર્ડની રસી ખરીદે તો રસી અને પૈસાનો બગાડ ઓછો થશે.
જોકે સ્ટોર કરવા માટેની રીત બહુ ચોક્કસ છે, તો એવી સ્થિતિમાં ખોટી રીતે સ્ટોર કરવાથી રસીનો બગાડ થવાની શક્યતા વધી જાય છે. કોઈ પણ કારણથી જો યોગ્ય તાપમાન ન મળે તો રસીની આખી ખેપ બગડી શકે છે. રસીની સાથેસાથે પૈસાનો પણ બગાડ થશે.
ભારતના પ્રમાણમાં ઑક્સફર્ડ રસીની કિંમત ઓછી છે
બધા જાણે છે કે ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટે ઑક્સફર્ડની રસી સાથે ઉત્પાદન માટેના કરાર પર સહી કરી છે.
કોઈ પણ દેશ કરતાં ભારતમાં બનનાર રસી સસ્તી પડશે. ભારતની વસ્તીના હિસાબે રસીનું ઉત્પાદન વધારવામાં સરકાર સફળ રહેશે. ભારતમાં રસી ઉત્પાદન કરવાનો એ રીતે પણ ફાયદો મળી શકે છે કે બીજા દેશો કરતાં ભારતને રસી પહેલા મળી જશે.

દાવાઓની વાસ્તિવકતા શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
પરંતુ આઈસીએમઆર સાથે કામ કરી ચૂકેલા વૈજ્ઞાનિક રમણ ગંગાખેડકર કહે છે, "અત્યારે જે ડેટા હાજર છે, તેના આધારે કહેવું બહુ અઘરું છે કે ભારત સરકાર કઈ રસીની ખરીદી કરશે."
"અત્યાર સુધી જે ત્રણ-ચાર રસીના શરૂઆતનાં પરીક્ષણોનાં પરિણામ બહાર આવ્યાં છે, તે કહેવા માટે પૂરતાં નથી કે કઈ રસી સુરક્ષિત છે. રસી વપરાશ માટે સુરક્ષિત છે, તે ઓછામાં-ઓછા 6 મહિનાના ફૉલોઅપ બાદ ખબર પડે છે. હજુ સુધી કોઈ પણ રસીની ફાઇનલ ટ્રાયલને 6 મહિના થયા નથી."
"દરેક રસી દાવો કરી રહી છે કે કોરોના વાઇરસ સામે રક્ષણ આપવામાં તે 90 ટકા સફળ છે અથવા 95 ટકા સફળ છે. પરંતુ એ યાદ રાખવું જોઈએ કે આ પરિણામ બહુ ઓછાં દિવસોના આધારે આવ્યાં છે અને જેમ-જેમ દિવસો પસાર થશે, સ્વાભાવિક છે કે આ ટકાવારીમાં ઘટાડો આવશે."
હાલમાં રમણ ગંગાખેડકર પૂણેસ્થિત સી. જી. પંડિત નેશનલ ચૅર સાથે સંકળાયેલા છે.
બીબીસી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, "સમય પસાર થયા બાદ અને રસી લીધા બાદ પણ જ્યારે લોકો વાઇરસ સામે ઍક્સપૉઝ થશે, ત્યારે ખબર પડશે કે રસી કેટલા સમય માટે અસરકારક છે."
"એટલા માટે આપણે દરેક રસીના ઉમેદવારના ફાઇનલ રિપોર્ટની રાહ જોવી પડશે. એ પણ સત્ય છે કે ઑક્સફર્ડની રસીની ટ્રાયલ મોડર્નાની રસી કરતાં વધારે લાંબા સમય સુધી ચાલી. પરંતુ સરેરાશ કેટલા દિવસો સુધી સ્વયંસેવકનું ફૉલોઅપ કરવામાં આવ્યું, તે વિશે ચોક્કસ માહિતી નથી."
રમણ ગંગાખેડકર કહે છે, "આજની તારીખમાં કહેવું કે ઑક્સફર્ડ રસી ભારત માટે સૌથી યોગ્ય છે, આ એવું છે કે ચૂંટણી પહેલાં છાપામાં ઉમેદવારોની સ્ટોરી વાંચીને એ કહેવામાં આવે કે કોની જીત થઈ છે. આ સમયે આવું કંઈ પણ કહેવું અર્થહીન છે."


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

















