રફાલ વિમાન વાયુસેનામાં સામેલ, પરંતુ ભારત માટે આટલાં મહત્ત્વનાં કેમ?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

લદ્દાખમાં ચીનની સાથે ચાલી રહેલી તણાવની સ્થિતિ વચ્ચે પાંચ રફાલ વિમાન આજે અંબાલા ઍરબેઝ પર ઔપચારિક રીતે ભારતીય સૈન્યમાં જોડાશે.

આ કાર્યક્રમમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ફ્રાન્સના સંરક્ષણ મંત્રી ફ્લોરેન્સ પાર્લી, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, વાયુસેના પ્રમુખ આર.કે.એસ. ભદોરિયા અને સંરક્ષણ સચિવ અજય કુમાર પણ હાજરી આપી છે.

વાયુસેનાના પ્રવક્તાએ કહ્યું, "કાર્યક્રમ દરમિયાન રાફેલ વિમાનનું ઔપચારિક રીતે અનાવરણ કરવામાં આવે. આ પછી 'સર્વધર્મ પૂજા' કરવામાં આવશે અને ત્યારબાદ રફાલ અને તેજસ કરતબ દેખાડશે."

અંબાલા ઍરબેઝ પર યોજાનારા આ કાર્યક્રમમાં રાફેલને વાયુસેનામાં સામેલ કરવામાં આવશે.

ટેકનૉલૉજી : વિમાનની તાકત

'ધ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ડિફેન્સ સ્ટડીઝ ઍન્ડ ઍનાલિસિસ' (IDSA)માં ફાઇટર જેટના વિશ્લેષકે બીબીસીને જણાવ્યું હતું, "કોઈ પણ યુદ્ધવિમાન કેટલું શક્તિશાળી છે એ તેની સેન્સર ક્ષમતા અને હથિયાર ઉપર નિર્ભર કરે છે."

"એટલે કે કોઈ ફાઇટર પ્લેન કેટલાં અંતરથી જોઈ શકે છે અને કેટલે દૂર સુધી મારી શકે છે."

"ચોક્કસપણે આ બાબતે રફાલ ખૂબ જ આધુનિક યુદ્ધવિમાન છે. ભારતે આ અગાઉ 1997-98માં રશિયા પાસેથી સુખોઈ ખરીદ્યું હતું. સુખોઈ પછી રફાલ ખરીદાઈ રહ્યું છે. 20-21 વર્ષ પછી આ સોદો થઈ રહ્યો છે, એટલે સ્વાભાવિક છે કે આટલાં વર્ષોમાં ટેકનૉલૉજી બદલાઈ છે."

તેઓ કહે છે, "કોઈ ફાઇટર પ્લેન કેટલી ઊંચાઈ સુધી જાય છે એ તેના એન્જિનની તાકાત ઉપર આધાર રાખે છે. સામાન્ય રીતે ફાઇટર પ્લેન 40થી 50 હજાર ફૂટની ઊંચાઈ સુધી જાય જ છે, પરંતુ આપણે ઊંચાઈથી કોઈ યુદ્ધવિમાનની તાકાતનો અંદાજ બાંધી શકીએ નહીં."

"ફાઇટર પ્લેનની તાકાત માપવાની કસોટી હથિયાર અને સેન્સરની ક્ષમતા જ છે."

રફાલની વિશેષતા

રફાલની વહનક્ષમતા સારી છે અને તેમાં અત્યાધુનિક સિસ્ટમ છે. તે એક જ સમયે હવામાંથી જમીન પર હુમલા કરવાની અને અન્ય યુદ્ધ વિમાનોને આંતરવાની ક્ષમતા ધરાવે છે.

તે ઓછી ઊંચાઈ પરથી પણ ઍર-ટુ-ઍર મિસાઇલ છોડી શકે છે. આ રફાલ વિમાનોનો અત્યાર સુધી અફઘાનિસ્તાન, લીબિયા, માલી, ઇરાક અને સીરિયા જેવા દેશોમાં થયેલાં યુદ્ધમાં ઉપયોગ થયો છે.

• રફાલ પરમાણુ મિસાઇલનું વહન કરવામાં સક્ષમ

• ખૂબ જ ઠંડા વિસ્તારમાં એન્જિન સ્ટાર્ટ થઈ શકે

• વિશ્વનાં સૌથી આધુનિક હથિયારોથી સજ્જ

• 'હેમર' મિસાઇલ જે 60-70 કિમીના ટાર્ગેટમાં આવતાં નિશાનને ભેદી શકે

• બે મિસાઇલ લગાવેલી હોય છે. એકની રેંજ 150 કિમી અને બીજી મિસાઇલની રેંજ 300 કિમી

• આ વિમાનની હરોળનું વિમાન ચીન અને પાકિસ્તાન પાસે ન હોવાનો દાવો

• ભારતીય વાયુસેનાનાં વિમાન મિરાજ-2000નું અદ્યતન વર્ઝન છે

• ભારતીય વાયુસેના પાસે આવાં 51 મિરાજ છે

• દાસૉ ઍવિએશન અનુસાર રફાલની સ્પીડ મૅક 1.8 એટલે કે 2000 કિમી/પ્રતિ કલાક છે.

• તેની ઊંચાઈ 5.30 મીટર, લંબાઈ 15.30 મીટર છે.

• રફાલ હવામાં ઊડતું હોય તે દરમિયાન પણ તેમાં ઈંધણ ભરી શકાય છે

રફાલનો ઇતિહાસ

રફાલ બનાવતી કંપની દાસૉ અનુસાર આ વિમાન ફૉર્થ પ્લસ જનરેશન ટેકનૉલૉજીના છે અને સૌપ્રથમ 1986માં તેનું પ્રારંભિક ઉત્પાદન શરૂ થયું હતું.

ફ્રાન્સની વાયુસેના પાસે 91 રફાલ છે. અફઘાનિસ્તાનની લડાઈમાં અમેરિકાના નેતૃત્વવાળા નાટો દળે તેનો ઉપયોગ કર્યો હતો.

ઇરાકના શાસક સદ્દામ હુસૈન સામેની લડાઈમાં પણ અમેરિકાનાં દળોએ રફાલ ઉપયોગમાં લીધાં હતાં.

વર્ષ 2011માં લિબિયાના ગૃહયુદ્ધમાં પણ રફાલ સામેલ કરાયાં હતાં. ઇરાકના યુદ્ધમાં આઈ.એસ. (ઇસ્લામિક સ્ટેટ્સ)ના લડાકુઓ પર કરવામાં આવેલા હવાઈ હુમલા દરમિયાન રફાલનો ઉપયોગ થયો હતો.

ફ્રાન્સ સિવાય ઇજિપ્ત, કતારનાં વાયુદળ પણ રફાલ વિમાન ધરાવે છે, જ્યારે બ્રાઝિલ, દક્ષિણ કોરિયા અને યુ.એ.ઈ. તેમની વાયુસેના માટે આ વિમાન ખરીદવા વિચારી રહ્યા છે.

અંબાલાનું મહત્ત્વ

ઘરે જેમ કોઈ મહેમાન આવે અને તેના આગમનની ખુશીમાં શૅમ્પેઇન ખોલવામાં આવે, એવી જ રીતે જ્યારે કોઈ નવા વિમાનને ઍરફૉર્સમાં સામેલ કરવામાં આવે ત્યારે તેને વોટર કેનન સૅલ્યૂટ આપવામાં આવે છે.

ઍરબેઝના ફાયરફાઇટર બંબા પ્લેન ઉપર પાણીનો ફુવારો છોડીને તેમના આગમનને આવકારે છે.

ઍરમાર્શલ (રિટાયર્ડ) પ્રણબ કુમાર બરબોરાના કહેવા પ્રમાણે, "અંબાલા ભારતનું એવું ઍરબૅઝ છે જે એ વ્યૂહાત્મક દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ સ્થાને આવેલું છે. અહીંથી પૂર્વ અને પશ્ચિમના મોરચા લગભગ સમાન અંતરે આવેલા છે."

"અંબાલા ઉપર હવાઈ હુમલો કરતાં પહેલાં દુશ્મનનાં વિમાનોએ ભારતના હવાઈ સંરક્ષણના અનેક ઘેરાને ભેદવા પડે. એટલા સમયમાં અંબાલા ઍરબૅઝ ખાતે ઘટતું કરવાની તક મળી રહે. હવાઈ તથા જમીની સુરક્ષાવ્યવસ્થાને મજબૂત કરી શકાય."

"ભારતે ઊંડાણ સુધી ઘૂસીને મિશનને અંજામ આપી શકે તેવાં જેગ્યુઆર વિમાન ખરીદ્યાં ત્યારે તેને પણ અંબાલા તહેનાત કરવામાં આવ્યાં હતાં. 50 વર્ષ દરમિયાન અંબાલા ઍરબેઝ એટલું સજ્જ થઈ ગયું છે કે ત્યાં વધારાનો ખર્ચ કર્યા વગર નવાં વિમાનોને સામેલ કરી શકાશે."

આ સિવાય વિમાન અંબાલાથી નીકળે ત્યારે ભારતીય સીમાની અંદર હવામાં જ તેમનું રિફ્યૂઅલિંગ થઈ શકે છે, જે તેની આગળની લાંબીયાત્રાને સંભવ બનાવે છે. આવું ફૉરવર્ડ બેઝ ઉપર તહેનાત વિમાનો માટે શક્ય નથી હોતું.

ઍરમાર્શલ (રિટાયર્ડ) પી. કે. બારબોરા ભારતી ઍરફૉર્સની પૂર્વ તથા પશ્ચિમ કમાન્ડની કમાન સંભાળી ચૂક્યા છે.

રફાલનું બીજું બૅઝ હાસીમારા (પશ્ચિમ બંગાળ) ખાતે હશે, જે ચીન તરફથી ઊભા થતા કોઈ પણ ખતરાને પહોંચવાનો પ્રયાસ કરશે. હાલમાં ત્યાં સુખોઈ વિમાનો તહેનાત છે.

આમ 2022ના મધ્યભાગ સુધીમાં મળનારી 36 વિમાનની આખી ખેપ મળશે જે આ બંને ઍરબૅઝની વચ્ચે જ વપરાય જશે.

એક સાથે બે મોરચા

રક્ષાવિશેષજ્ઞ રાહુલ બેદીએ બીબીસીને જણાવ્યું હતું, "આપણે ગુણવત્તા તો જોઈશે જ, પરંતુ સાથે સંખ્યા પણ જોઈશે. જો તમે ચીન અથવા પાકિસ્તાનનો મુકાબલો કરી રહ્યા છો તો તમારે યુદ્ધવિમાનોની સંખ્યા પણ જોઈશે."

તેઓ કહે છે, "ચીન પાસે જે ફાઇટર પ્લેન છે તેની સંભ્યા ભારતથી ઘણી વધુ છે. રફાલ ખૂબ ઍડવાન્સ છે, પરંતુ ચીનની પાસે એવાં ફાઇટર પ્લેન પહેલાંથી જ છે. પાકિસ્તાનની પાસે F-16 છે અને તે પણ ખૂબ અદ્યતન છે."

"રફાલ સાડા ચાર જનરેશન ફાઇટર પ્લેન છે અને સૌથી અદ્યતન પાંચ જનરેશન છે."

ભારતના વર્તમાન ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ બીપિન રાવત ભારતીય સેનાના વડા હતા ત્યારે તેમણે 'ટૂ ફ્રંટ વૉર' એટલે કે એક સાથે બે દેશોનાં આક્રમણની વાત કહી હતી.

જનરલ રાવતની આ ટિપ્પણીને ભારત વિરુદ્ધ પાકિસ્તાન અને ચીનની સાઠગાંઠ તરીકે જોવામાં આવે છે.

જો પાકિસ્તાન ભારત સાથે યુદ્ધ કરે અને ચીન પણ તેનો સાથ આપે તો શું ભારત બંનેને પહોંચી શકશે?

રક્ષાવિશેષજ્ઞ ગુલશન લુથરાએ એ.એફ.પી. સાથે ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, "પાકિસ્તાનને તો આપણે હૅન્ડલ કરી શકીએ છીએ, પરંતુ આપણી પાસે ચીનનો કોઈ ઈલાજ નથી. જો ચીન અને પાકિસ્તાન બંને સાથે આવી જાય તો આપણે ફસાઈ જઈશું એ નક્કી જ છે."

1965ના પાકિસ્તાન સાથેના યુદ્ધ દરમિયાન ચીને પૂર્વનો મોરચો ખોલ્યો હતો. જેના કારણે ભારતે જેલેપલા પાસ ગુમાવી દીધો હતો, જોકે નથુલા રહી જવા પામ્યો હતો. ભારત અને ચીન વચ્ચે સીમાનું સ્થાયી ધોરણે નિર્ધારણ થઈ શક્યું નથી, જેના કારણે ગલવાન ખીણમાં ભારતના 20 સૈનિક મૃત્યુ પામ્યા હતા.

ભારતે રશિયા પાસેથી વધારાનાં MiG-29, સુખોઈ-30 MKI અને સ્વદેશી તેજસ વિમાનો દ્વારા આ ઘટતી જતી સંખ્યાને સંતુલિત કરવાની તજવીજ હાથ ધરી છે.

વિમાનનો 'સુપ્રીમ' વિવાદ

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના અધ્યક્ષપદે ત્રણ જજોની બેન્ચે રફાલ સોદાને મુદ્દે કરવામાં આવેલી તમામ અરજીઓ ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે રફાલ યુદ્ધવિમાનની ખરીદ પ્રક્રિયા પર શંકા કરવા માટે કોઈ કારણ નથી.

અદાલતે રાષ્ટ્રીય સુરક્ષાને મહત્ત્વની ગણાવી હતી અને કહ્યું કે 'અમે પહેલાં સંરક્ષણ સાથે સંકળાયેલી બાબતની ન્યાયિક તપાસનો પ્રયાસ કર્યો પરંતુ અમારો મત છે કે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને ન્યાયિક સમીક્ષાનો માપદંડ ન કરી શકીએ.'

પોતાના ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે આ સોદા સાથે સંકળાયેલી પ્રક્રિયા બાબતે સંતોષ વ્યકત કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે વિમાનની કિંમત અને ઑફસેટ પાર્ટનર બાબતે એ પોતાની ફરજ નથી એવું વલણ દાખવ્યું હતું.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું હતું કે તેઓ સરકારને 126 ઍરક્રાફટ ખરીદવાં માટે ફરજ ન પાડી શકે અને અદાલત આ કેસના દરેક પાસાની સમીક્ષા કરે તે યોગ્ય નહીં ગણાય.

અદાલતે એમ પણ કહ્યું હતું કે વિમાનોની કિંમતની તુલના કરવાનું કામ અમારું નથી.

કમ્પ્ટ્રોલર જનરલે યુ.પી.એ.ના કાર્યકાળ દરમિયાનની અને એન.ડીએ.ના સમયની ડીલની સરખામણી કરતાં જે મુખ્ય તારણ આપ્યા, તે મુજબ એન.ડી.એ.ની ડીલમાં વિમાન માત્ર એક મહિના વહેલા મળશે. આ સિવાય વિમાનનો સોદો નવ ટકા જેટલો નહીં, પરંતુ માંડ ત્રણ ટકા જેટલો સસ્તો પડ્યો હતો.

આ સિવાય CAGએ નોંધ્યું હતું કે ભારતે બૅન્ક ગૅરન્ટી જતી કરી હતી, જેના કારણે દાસૉ ઍવિએશનને નાણાકીય બચત થઈ છે, જેનો લાભ તેણે ભારતને આપવો જોઈતો હતો.

ક્યારે થઈ હતી રફાલ ડીલ?

વર્ષ 2007માં ભારતીય વાયુસેનાએ સરકાર સમક્ષ મીડિયમ મલ્ટી-રૉલ કૉમ્બેટ ઍરક્રાફ્ટ (એમએમઆરસીએ) ખરીદવા માટે પ્રસ્તાવ મૂક્યો. જેને પગલે એ જ વર્ષે ભારત સરકારે કુલ 123 એમએમઆરસીએ ફાઇટર્સ ખરીદવાં ટૅન્ડર બહાર પાડ્યાં.

ફ્રૅન્ચ કંપની દાસૉ દ્વારા રફાલ માટે બીડ કરવામાં આવી, રશિયન MIG-35 અને સ્વિડિશ Saab JAS-39 ગ્રિપન, અમેરિકન લૉકહીડ માર્ટીન દ્વારા F-16, બૉઇંગ F/A-18 સુપર હૉર્નેટ અને યુરોફાઇટર ટાઇફુન પણ આ દોડમાં સામેલ થયાં.

વર્ષ 2010માં યૂપીએ સરકારે ફ્રાન્સ પાસેથી આ વિમાનો ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી હતી.

વર્ષ 2012થી 2015 સુધી બન્ને વચ્ચે વાટાઘાટો ચાલતી રહી. ત્યાર બાદ વર્ષ 2014માં ભાજપની સરકાર બની.

વર્ષ 2016ના સપ્ટેમ્બરમાં ભારતે ફ્રાન્સ સાથે 36 રફાલ વિમાનો માટે 59 હજાર કરોડ રૂપિયાની ડીલ કરી.

જે યુ.પી.એ. (યુનાઇટેડ પ્રોગ્રેસિવ ગવર્નમેન્ટની સરકાર) કરતાં બે ગણી હતી. વિપક્ષે આરોપ મૂક્યો કે દાસૉ ઍવિએશનની ભારતીય ભાગીદાર કંપની રિલાયન્સ ડિફેન્સ લિમિટેડને લાભ અપાવવા માટે આમ કરવામાં આવ્યું.

ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ઓલાંદે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે દાસૉ પાસે ભાગીદાર તરીકે રિલાયન્સ ડિફેન્સને સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ ન હતો, ભારત સરકારે તેનો આગ્રહ કર્યો હતો.

ઓલાંદના કાર્યકાળ દરમિયાન સોદો થયો હતો, એટલે તેમની વાતના ભારતમાં પડઘા પડ્યા.

અનિલ અંબાણીએ કથિત રીતે ઓલાંદના મિત્રની ફિલ્મનિર્માણની કંપનીમાં રોકાણ કર્યું હતું, જેના કારણે ફ્રાન્સમાં પણ આ ડીલના પડઘા પડ્યા.

ભારત અગાઉ કુલ 126 વિમાન ખરીદવાનું હતું અને એવું નક્કી થયું હતું કે 18 વિમાન ફ્રાન્સ પાસેથી ખરીદશે અને 108 વિમાન બેંગ્લુરુસ્થિત 'હિંદુસ્તાન ઍરોનૉટિક્સ લિમિટેડ'માં બનાવશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો