ગુજરાતમાં અનરાધાર, ક્યાં જિલ્લામાં કેટલો વરસાદ?

ગુજરાતને શનિવાર ફરીથી વરસાદે ઘમરોળવાનું શરૂ કર્યું છે. ગુજરાત હવામાનખાતાના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર, કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં સુરત અને નવસારીમાં શનિવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે.

હાલમાં સૌરાષ્ટ્રના જામનગર, દેવભૂમિ દ્વારકા, સોમનાથ, જૂનાગઢ, રાજકોટમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

બે દિવસના વિરામ બાદ રાજ્યમાં શનિવારે ફરીથી વરસાદ વરસવાનું શરૂ થયું અને અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ.

રાજ્યમાં મહેસાણા, નવસારી, તાપી, વલસાડ, સુરત, નર્મદા અને દાદર નગર હવેલી, તથા જૂનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ અને કચ્છમાં ભારે વરસાદ વરસ્યો છે.

ભારે વરસાદને પગલે કેવડિયો કૉલોનીસ્થિત નર્મદા ડૅમના 30 પૈકી 23 દરવાજા શનિવારે ખોલી દેવાયા હતા અને નર્મદાકાંઠાનાં ગામોને સતર્ક રહેવા કહેવાયું છે.

હવામાનખાતા પ્રમાણે રવિવારે સોરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.

ક્યાં કેટલો વરસાદ

ગુજરાત હવામાનખાતાના જણાવ્યા અનુસાર ભૂજમાં છેલ્લા 24 કલાક દરમિયાન 9.5 મિમિ વરસાદ નોંધાયો. જ્યારે નલિયામાં 170.4 મિમિ વરસાદ નોંધાયો છે.

આ દરમિયાન સૌરાષ્ટ્રમાં કેશોદમાં સૌથી વધુ 97.3 મિમિ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજકોટમાં 77.7 મિમિ, અમેરેલીમાં 49.4 મિમિ, દ્વારકામાં 79.9 મિમિ, ઓખામાં 47.1 મિમિ અને વેરાવળમાં 77.7 મિમિ વરસાદ નોંધાયો છે.

અમદાવાદની વાત કરીએ તો અહીં છેલ્લા 24 કલાક દરમિયાન 10.8 મિમિ વરસાદ નોંધાયો છે. જ્યારે ડીશામાં 14 મિમિ અને ગાંધીનગરમાં 13.5 મિમિ, વડોદરામાં 27.2 મિમિ, સુરતમાં 68.7 મિમિ અને વલસાડમાં78 મિમિ વરસાદ નોંધાયો છે.

અહીં નોંધનીય છે કે આ હવામાનખાતા દ્વારા દર્શાવાયેલા આ આંકડા રવિવાર સવારે સાડા આઠ વાગ્યા સુધીના વરસાદની નોંધણી દર્શાવે છે.

રાજ્યમાં ઑગસ્ટ મહિનામાં અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો.

ગયા અઠવાડિયે, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, કચ્છ સહિતના કેટલાક જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.

રાજ્યનાં અનેક ગામો પાણીમાં જળબંબાકાર થઈ ગયાં હતાં તો કેટલાંક ગામો સંપર્ક વિહોણાં થઈ ગયાં હતાં.

એનડીઆરએફ અને સ્થાનિક તંત્રએ આશરે 2,000થી વધારે લોકોને સલામત સ્થળે ખસેડવાની જરૂર પડી હતી.

કયા જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા?

શનિવારે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું જોર વધતું જોવા મળશે અને કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની માહિતી પ્રમાણે 29 ઑગસ્ટ એટલે કે શનિવારના રોજ સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, અને આણંદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.

તેમજ જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, કચ્છ, સુરત, ભરૂચ અને વડોદરા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

રવિવારે એટલે કે 30 ઑગસ્ટના દિવસે રાજકોટ, જૂનાગઢ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

ઉપરાંત જામનગર, પોરબંદર, મોરબી, દેવભૂમિ દ્વારકા, કચ્છ, આણંદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં રવિવારે ભારે વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરી છે. એટલે કે રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે.

સિઝનનો 100 ટકા વરસાદ

આ વર્ષે ચોમાસામાં જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે. જેમાં ઑગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદ પડ્યો છે.

બંગાળની ખાડીમાં ઉત્પન્ન થતાં લૉ પ્રેશર અને ગુજરાત પર બનતાં સાયક્લૉનિક સર્ક્યૂલેશનને કારણે રાજ્યમાં આ વર્ષે ઑગસ્ટ સુધીમાં આ સિઝનનો 100 ટકા વરસાદ થઈ ગયો છે.

હવામાન ખાતાના આંકડા પર નજર કરીએ તો આ વર્ષે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વધારે વરસાદ પડ્યો છે.

27 ઑગસ્ટ સુધીના હવામાન વિભાગના આંકડા મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તેની સરેરાશ કરતાં 323 ટકા વધારે વરસાદ પડ્યો છે.

એ સિવાય સરેરાશ કરતાં કચ્છમાં 178 ટકા, પોરબંદરમાં 150 ટકા, જામનગરમાં 147 ટકા, મોરબીમાં 111 ટકા અમરેલીમાં 99 ટકા વધારે વરસાદ પડ્યો છે. કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં પણ તેની સરેરાશ કરતાં 120 ટકા વધારે વરસાદ પડ્યો છે.

બીજી તરફ રાજ્યમાં દાહોદ, વડોદરા, પંચમહાલ, ડાંગ, મહિસાગર, વલસાડ જિલ્લાઓમાં તેની સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો છે.

રાજ્યમાં આ વખતે ચોમાસાના કારણે સૌરાષ્ટ્રમાં ખેડૂતોને ભારે નુકસાન જવાની આશંકા છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મુખ્યત્વે મગફળી અને કપાસનો પાક લેવામાં આવે છે.

અહીં સતત બે મહિનાથી પડી રહેલા વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયાં છે અને પાણી ઓસરતાં સમય લાગશે. જેના કારણે નુકસાનની સંભાવના છે.