You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગાંધીનગર : દલિતે કહ્યું ગાય દાટવા જમીને આવું પણ સામે પડ્યો માર
- લેેખક, જીગર ભટ્ટ
- પદ, બીબીસી ગુજરાતી
ગાંધીનગરના માણસા તાલુકાના રંગપુર ગામમાં ‘મરેલી ગાય ઉપાડવાની બાબતમાં’ એક દલિત મહિલા અને ગાય ઉપાડનાર ભાઈને માર મારવામાં આવ્યાની ઘટના બની છે.
આ ઘટનાને લઈને માણસા પોલીસ સ્ટેશનમાં આરોપી સુરેશસિંહ ચાવડાની સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. સુરેશસિંહ ચાવડાની સામે આઈપીસીની કલમ 302, 504 અને 506(2) અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમની કલમ 3(1)(r), 3(1)(s),3(2)(va)ns હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
માણસા પોલીસ સ્ટેશનના પીએસઓ હર્ષદ કુમારે જણાવ્યું કે આ કિસ્સામાં ફરિયાદ નોંધવામાં આવી છે અને ગાંધીનગરથી હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.
“ગાય દાટવા જમીને આવું કહેતા માર માર્યો”
ઘટનામાં ભોગ બનનાર રંજનબહેન જણાવે છે કે 2 ઑગસ્ટના રોજ સુરેશસિંહ ચાવડાના ત્યાં ગાય મરી ગઈ હતી. અમારા ગામમાં મૃત ગાયના નિકાલનુ કામ અનોયા ગામના ચમાર રણજીતભાઈ કરે છે. તેમને બોલાવવામાં આવ્યા હતા. તેમણે સુરેશસિંહનું ઘર જોયું ન હોવાથી તેઓ મારા ઘરે આવ્યા. મારો દીકરો રણજીતભાઈ સાથે સુરેશભાઈનું ઘર બતાવવા માટે ગયો.
રણજિતભાઈ ચમાર કહે છે, “અમે ત્યાં પહોંચ્યાં ત્યારે સુરેશસિંહે કહ્યું કે તમારે ગાયને મારા ખેતરમાં ભંડારવાની છે. તો મેં કહ્યું કે આ કામ અમારામાં આવતું નથી. પરંતુ ગામનું કામ રાખેલું હોવાથી હું કામ કરવા તૈયાર થયો.”
“મેં સુરેશસિંહને કહ્યું કે આ હું સવારનો ઘરેથી બહાર છું રાતના સાડા નવ થયા છે. ઘરે જઈને જમી કરીને આવું. આપ જેસીબી બોલાવી ખાડો ખોદાવી રાખો અને મીઠું લાવી રાખો. પરંતુ સુરેશસિંહે જાતિવિષયક ગાળો આપી અને જ્યાં સુધી ગાયને ઉઠાવે નહીં ત્યાં સુધી તારે ક્યાં જવાનું નથી એમ કહ્યું.”
રણજિતભાઈ ચમાર કહે છે કે “મેં માત્ર એટલું કહ્યું કે ગાય દાટવા જમીને આવું કહેતા મને માર માર્યો”
રણજિતભાઈ કહે છે, “અમે તેમનાથી નીચી જ્ઞાતિના હતા એટલે અમને માર માર્યો જો એમની જ્ઞાતિના હોત તો તે માર મારત?”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રણજિતભાઈ કહે છે, “છેલ્લાં 10-15 વર્ષથી આ કામ કરું છું. એક મૃત્યુ પામેલી ગાય ઉપાડવાના 200 રૂપિયા મળે છે. પરંતુ આવી રીતે કોઈએ માર્યો નથી. કોઈક વાર બોલાચાલી થાય તો અમે ત્યાંથી નીકળી જઈએ આવું પહેલીવાર થયું.”
તેઓ વધુમાં કહે છે, “200 રૂપિયામાં પણ અમારે એક માણસ, ગાડી મશીન લઈ જવાના. વર્ષોથી કરીએ કામ એટલે ચાલે છે.”
આ મારામારી પછી રણજિતભાઈ ચમાર અને રંજનબહેનનો દીકરો ત્યાંથી નીકળી ગયા.
જોકે, સુરેશસિંહ ચાવડા રાત્રે રંજનબહેનના ઘરે પહોંચ્યા હતા ત્યાં પણ તેમણે રંજનબહેનને અપશબ્દો કહ્યા.
બીજા દિવસે રંજનબહેનને માર માર્યો
રંજબહેન કહે છે કે બીજા દિવસે રક્ષાબંધન હોવાના કારણે હું મારા ભાઈના ઘરે ગાંધીનગર ગઈ હતી રાત્રે આવી ત્યારે આ સુરેશસિંહ આવ્યાને મને શેરીમાં જ માર માર્યો.
તેઓ વધુમાં કહે છે, “તે બીજે દિવસે મને મારી નાખવા માટે જ આવ્યો હતો પરંતુ બધા ભેગા થતા ત્યાંથી મારીને ભાગી ગયો.”
રંજનબહેન વીજાપુર તાલુકામાં નારી સુરક્ષાના સંગઠનના અધ્યક્ષ પણ છે.
તેઓ કહે છે, “ગામમાં આમ પણ અમને ધમકાવતા હોય છે. ગામમાં રહેવું એટલે ડરીને જીવવું પડે છે. જ્યારે મેં પોલીસ બોલાવી ત્યારે તેની સાથે એક ટોળું પણ આવ્યું હતું. પોલીસ જતી રહી ત્યારે આવેલાં છોકરાંઓ વાતો કરતા હતા કે આમને તો અહીંથી કાઢી મૂકવા જોઈએ.”
ગામમાં દલિત હોવાના કારણે રંજનબહેનને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
તેઓ કહે છે, “ગામમાં તમે કેમ આ રસ્તેથી જઈ રહ્યા છો? અહીંથી નહીં જવાનું. ફરીને જવાનું. બાઇક પર બેસીને જઈએ તો કહે બાઇક પર નહીં જવાનું.”
“જે સમિતિની જવાબદારી એટ્રોસિટી દૂર કરવાની છે એ જ આ કામ કરે છે”
જાણીતા દલિત કર્મશીલ રાજુ સોલંકી કહે છે, “મૃત પ્રાણીઓનો નિકાલ કરવાનું ગામડાઓમાં ગ્રામ પંચાયતને કરવાનું હોય છે તે કામ હાલ એટ્રોસિટી દૂર કરવા માટેની સામાજિક ન્યાય સમિતિના માથે ઢોળવામાં આવ્યું છે. આ સમિતિના માથે મારવામાં આવ્યું હોવાથી કામ માટે ગ્રામિણ સ્તરે મૃત પ્રાણીઓનો નિકાલ કરવાનું કામ દલિતોના માથે જ આવે છે.”
તેઓ વધુમાં કહે છે, “મૃત પ્રાણીઓના નિકાલની વ્યવસ્થાનો આ કાયદો કૉંગ્રેસે બનાવ્યો હતો જે ભાજપ સરકારમાં ચાલે છે. હકીકતમાં તો ગ્રામ પંચાયતે આના નિકાલ માટે સિસ્ટમ ઊભી કરવાની જરૂર છે અને સરકારે જે કાયદો બનાવ્યો છે તેને દૂર કરવાની જરૂર છે.”
દલિત કર્મશીલ કૌશિક પરમાર કહે છે, “સરકાર અને કાયદાની નિષ્ક્રિયતાના કારણે આ બધું થઈ રહ્યું છે. લોકોમાં કાયદાનો ભય રહ્યો નથી. કાયદો કાંઈ બગાડી શકશે નહીં તેમ લાગે છે. માટે બધા આ પ્રકારના ગુના કરે છે”
રાજુ સોલંકી પણ આ વાત સાથે સહમત થતા કહે છે, “કેટલીક લીગલ બાબતોનું ફોલોઅપ થતું નથી માટે આ પ્રકારની ઘટના વારંવાર બને છે. આ મુદ્દે આંદોલન થાય છે પરંતુ પછી તેનું ફોલોઅપ ન થવાને કારણે આવા કિસ્સા અટકતા નથી.”
કૌશિક પરમાર વધુમાં કહે છે કે એટ્રોસિટીના કેસમાં પોલીસ ધરપકડ કરતી નથી, સમયમર્યાદામાં ચાર્જશીટ થતી નથી. આરોપીઓ સાથે ભળી પણ જતી હોય છે માટે કાયદાનો કોઈ ડર નથી.
રાજુ સોલંકી આ સત્તાતંત્રને દલિતવિરોધી ગણાવી કહે છે, “આજે દલિત ધારાસભ્યો આવા કોઈ વિષય પર વિરોધ કરતા નથી. કૉંગ્રેસના કરે છે પણ કાંઈ ઉપજતું નથી. ભાજપના દલિત ધારાસભ્યો ચૂપ રહે છે. આ આખું સત્તાતંત્ર દલિતવિરોધી છે.”