એ હૉસ્પિટલ જે દરદીની સારવાર દવાથી નહીં દારૂથી કરતી હતી

    • લેેખક, મેલિસા બેનિગન
    • પદ, બીબીસી ટ્રાવેલ

આધુનિક તબીબી વિજ્ઞાનના જનક ગ્રીકના હિપોક્રેટિસ માનતા હતા કે 'બીમાર તથા સ્વસ્થ વ્યક્તિ માટે શરાબ સારી ચીજ છે.'

હાલના સમયમાં આપણને લિમિટમાં' પીવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ ફ્રૅન્ચ લોકો અને શરાબનો સંબંધ એટલો પુરાણો છે કે ત્યાં જામ ઉઠાવતી વખતે 'à votre santé' એટલે કે 'આપના આરોગ્યને નામ' એવું કહેવામાં આવતું.

ફ્રાન્સમાં 'દવા' અને 'દારૂ' વચ્ચેનો રંગીલો અને રસીલો સંબંધ ચકાસવા માટે હું સ્ટ્રાસબર્ગની એક હૉસ્પિટલમાં પહોંચી.

સ્ટ્રાસબર્ગની શાન

સ્ટ્રાસબર્ગ એ આધુનિક શહેર છે, જેનો ઇતિહાસ બે હજાર વર્ષ પુરાણો છે. શહેરની મધ્યમાં આવેલા ગ્રાન્ડ-લેને 1988માં યુનેસ્કોએ વૈશ્વિક વારસા તરીકે માન્યતા આપી હતી.

અહીંની ક્રિસમસ માર્કેટ વિશ્વવિખ્યાત છે. અને કૅથ્રેડલ નોતરે ડામપાલીયાસ રોહાન ઉપરાંત આલ્ટીશિયન વીનસ્ટબ એટલે કે વાઇન રેસ્ટોરાં વિશ્વવિખ્યાત છે.

મેશન કામરઝેલ જેવી રેસ્ટોરાં જે બિલ્ડિંગમાં ચાલે છે, તે ઇમારતની સ્થાપના 1427માં થઈ હતી.

હું સ્ટ્રાસબર્ગની સિવિલ હૉસ્પિટલ પહોંચી, જેની સ્થાપના વર્ષ 1119માં થઈ હતી. સાંજ પડી ગઈ હતી અને વરસાદ પડી રહ્યો હતો એટલે શેરીઓ ખાલી હતી. બે સાથી સાથે હું ચાલી રહી હતી, ત્યારે સદીઓ પહેલાં આ શહેર કેવું દેખાતું હશે, તેની કલ્પના કરવી અઘરી ન હતી.

1395થી આ સિવિલ હૉસ્પિટલ તથા સ્ટ્રાસબર્ગ હૉસ્પિટલ તથા સ્ટારસબર્ગ હૉસ્પિસિસ વાઇન સેલર વચ્ચે સંબંધ સ્થપાયેલો છે. આ વાઇન સેલર હૉસ્પિટલની બરાબર નીચે આવેલું છે અને બંને એકબીજા પર આધારિત છે.

લગભગ 600 વર્ષ સુધી અમુક દરદી દ્રાક્ષના બગીચાનો અમુક ભાગ આપીને હૉસ્પિટલનું બીલ ચૂકવતા. ફ્રાન્સમાં આ પ્રણાલી સર્વસામાન્ય હતી. આ સાટાપદ્ધતિથી હૉસ્પિટલોને આવક થતી અને હૉસ્પિટલનાં ભોંયરાં ફ્રીઝની ગરજ સારતાં અને શરાબને ઠંડો રાખતાં.

સમગ્ર ફ્રાન્સમાંથી લોકો અહીં 'વાઇન ટ્રીટમેન્ટ' માટે આવે છે. અલગ-અલગ બીમારીનો ઇલાજ વાઇનથી કરવામાં આવે છે તથા અમુક બીમારીમાં દૈનિક બે બૉટલ દારૂ દવા તરીકે આપવામાં આવે છે.

પ્રાચીન સમયથી જ સારવારમાં શરાબનો ઉપયોગ વ્યાપક રીતે થઈ રહ્યો છે. સેલરના મૅનેજર થિબત બાલડિંગરના કહેવા પ્રમાણે, 1960થી 1990 સુધી દવા તરીકે વાઇનનો ઉપયોગ થતો હોવાના પુરાવા તેમણે જોયા છે.

શરાબ દ્વારા સારવાર

જેમ કે ગૅસનો ભરાવો થઈ ગયો હોય તો Châteauneuf-du-Papeની બૉટલ આપવામાં આવતી. Côtes de Provence rosé પીવાની મજા ઉનાળામાં આવે, પરંતુ તેનો ઉપયોગ મેદસ્વિતાને માટે થાય છે. જો લોહીમાં કૉલેસ્ટ્રૉલનું પ્રમાણ વધુ હોય તો Bergeracના બે નાના ગ્લાસ કાફી છે.

વિસર્પિકા (ચામડી પર નાની ફોલ્લીઓ)ના દરદીને Muscat de Frontignanથી સ્નાન કરવાની સલાહ આપવામાં આવતી.

સૅન્ટ-ઓમરના છ ગ્લાસ જાતીય ઉત્તેજનાનો અભાવ ધરાવતા પ્રેમીઓમાં કામોત્તેજના જગાડે છે અને તે 'કાસાનોવા' બની જાય છે, એવી માન્યતા છે. મહિલાઓની સમસ્યા માટે તેની બે બૉટલની ભલામણ કરવામાં આવે છે.

વાઇન ટ્રીટમેન્ટ મુજબ, લિવરની બીમારીમાં Beaune Eau Gazeuseની ત્રણ આખી બૉટલ આપવાથી લાભ થાય છે.

શરાબની સારવાર ઉપર સંકટ

દાયકાઓ પહેલાં હૉસ્પિટલમાં આપવામાં આવતી વાઇન ટ્રીટમેન્ટ બંધ થઈ ગઈ છે, પરંતુ આ સેલર ફ્રાન્સના શરાબ બનાવવાના ઉદ્યોગમાં મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે અને તે ફ્રાન્સનો અમુક ઉત્કૃષ્ટ શરાબ બનાવે છે અને હૉસ્પિટલને આર્થિક રીતે મદદરુપ થાય છે.

1995માં લગભગ 600 વર્ષ પુરાણું આ સેલર 'નફાના અભાવે' ઇતિહાસનાં પન્નાંમાં ધકેલાઈ જાય તેમ હતું. હૉસ્પિટલના અમુક મહત્ત્વપૂર્ણ પ્રોજેકટ માટે નાણાં એકઠાં કરવા માટે દ્રાક્ષના અમુક બગીચા વેચી દેવામાં આવ્યા.

1991માં ફ્રાન્સમાં પસાર કરવામાં આવેલા કાયદાને કારણે જૂનાં જંગી ઑકનાં બૅરલ કાઢી નાખવાં પડ્યાં. હૉસ્પિટલના સેલરમાં શરાબના સંગ્રહને કોઈ છૂટછાટ આપવામાં ન આવી.

સ્ટ્રાસબર્ગ હૉસ્પિટલના સેલરના તત્કાલીન મૅનેજર ફિલિપ જંગરે સેલરને બચાવવા માટે આંદોલન છેડ્યું અને 'સોસાયટી ઑફ ઍગ્રિકલ્ચર કલૅક્ટિવ ઇનિસિયેટિવ'ના નેજા હેઠળ એકઠા થયા અને પ્રાદેશિક વારસા તરીકેનું મહત્ત્વ સ્થાપિત કરવામાં સફળ રહ્યા, જેના કારણે આ હૉસ્પિટલનું સેલર બચી જવા પામ્યું.

1996થી દર વર્ષે જાન્યુઆરી મહિનામાં બ્લાઇન્ડ ટેસ્ટિંગ હાથ ધરવામાં આવે છે, જેમાં શરાબ નિષ્ણાતો દ્વારા ટેસ્ટિંગ કરાય અને નબળી ગુણવતાવાળી શરાબને પડતો મૂકવામાં આવે છે.

2019ની સ્થિતિ પ્રમાણે, હૉસ્પિટલના સેલરમાં Gewürztraminer, Klevener de Heiligenstein, Sylvaner અને Riesling ની એક લાખ 40 હજાર બૉટલનું ઉત્પાદન કરવામાં આવે છે. આ માટે 26 વાઇન પાર્ટનર સાથે અનુબંધ કરવામાં આવ્યો છે.

અહીં ઑકના બેરલમાં છથી 10 મહિના માટે શરાબનો સંગ્રહ કરવામાં આવે છે, ત્યાર બાદ તેને બૉટલમાં ભરવામાં આવે છે અને જનતાને વેચવામાં આવે છે. આશ્ચર્યની વાત તો એ છે કે સેલર દ્વારા શરાબની કોઈ જાહેરાત કરવામાં નથી આવતી અને પ્રચાર માટે માત્ર વેબસાઇટ જ છે.

બાલડિંગરના કહેવા પ્રમાણે, "દર વર્ષે સાથી વાઇન-પ્રોડ્યુસર પાર્ટનર દ્વારા તેના કુલ ઉત્પાદનનો એક હિસ્સો ભાડાપેટે સેલરને આપવામાં આવે છે. આમાંથી થતી આવકમાંથી તબીબી સાધનોની ખરીદી કરવામાં આવે છે, જ્યારે મોટા ભાગને હિસ્સો શરાબઉત્પાદકને મળે છે.

અમુક શરાબ NOT FOR SALE

જોકે આ સેલરમાં રહેલો બધો શરાબ વેચાણ માટે નથી. મૅનેજરે અમારી અમારું ધ્યાન સેલરની પથ્થરની દીવાલમાં એક શૉ-કેસ તરફ અમારું ધ્યાન દોર્યું, જેમાં આછેરો પ્રકાશ આવતો હતો. તેની અંદર એક ખોપડી તથા શરાબની પારદર્શક બૉટલ હતી.

બૉટલની અંદર લાલ અને સૂકાઈ ગયેલું લોહી જેવું કંઈક લાગતું હતું. તેની ઉપર 1472 લખાયેલું છે. બોલિંડરના કહેવા પ્રમાણે, "એવી અટકળો છે કે આ ખોપડી શ્રીયુત આર્થરની છે, જેઓ પહેલા સેલરમાસ્ટર હતા. તેમને શરાબ બહુ જ પસંદ હશે."

સેલરના એક ખૂણામાં લોખંડના દરવાજાની પાછળ અલગ વિસ્તારમાં લગભગ છ જેટલાં બેરલમાં વ્હાઇટ વાઇન રાખવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે બેરલમાં રાખવામાં આવેલો Vin Blanc d'Alsace (એલ્સેસની વ્હાઇટ વાઇન)એ બેરલમાં સંગ્રહિત હોય એવો વિશ્વનો સૌથી જૂનો વ્હાઇટ વાઇન છે. અત્યાર સુધીમાં માત્ર ત્રણ વખત જ તેને ટેસ્ટ કરવામાં આવ્યો છે.

1576 ઝ્યુરિકવાસીઓએ ઘેંસ ભરેલી વિશાળ કીટલી મોકલી હતી. જો ક્યારેય સ્ટ્રાસબર્ગને જરૂર પડશે તો ઝ્યુરિક તેની સાથે રહેશે એવો સંદેશ આપવા માટે આમ કરવામાં આવ્યું હતું.

24 કલાકથી ઓછા સમયમાં ઘેંસ પહોંચી ગઈ અને તે ગરમ હતી, ત્યારે અમુક ઝ્યુરિકવાસીઓ તરફ સૌજન્યની અભિવ્યક્તિ માટે આ શરાબ પીવડાવવામાં આવ્યો હતો.

1718માં હૉસ્પિટલમાં આગ લાગી, ત્યારે વાઇન સેલર, પ્રોટેસ્ટન્ટનું દેવળ તથા ફાર્મસી (જે એ સમયે બેકરી હતી) જ બચી જવા પામ્યા. એ સમયે નવા બિલ્ડિંગના પાયામાં પ્રતીકાત્મક રીતે આ પુરાણા શરાબની એક શીશી તેમાં ઉતારવામાં આવી હતી. એ પ્રસંગે બીજી વખત 1472નો શરાબ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

છેલ્લે વર્ષ 1944માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ સેલર નાઝીઓના કબજામાં આવી ગયું હતું. બાલડિંગરના કહેવા પ્રમાણે, તેમણે મોટાં ભાગનાં બેરલ તેમની ફેવરિટ શરાબ Bordeauxથી ભરી દીધા હતા.

યુદ્ધ પછી સ્ટ્રાસબર્ગ નાઝીઓના કબજામાંથી મુક્ત થઈ ગયું, ત્યારે જનરલ લેકલર્ક અહીં આવ્યા હતા, ત્યારે ઉજવણીના ભાગરુપે તેમણે શરાબનો ઘૂંટ લીધો હતો. આગળ જતાં જનરલ લેકલર્ક ફ્રાન્સના માર્શલ પણ બન્યા.

જોકે, તેમાં પૂરેપૂરો શરાબ 1472નો નથી. કોર્ક સૂકાઈ જાય એટલે 400 લિટરની ક્ષમતાવાળાં બેરલમાં છ જેટલો સેલરમાં જ સંગ્રહાયેલો હોય છે અને પુરાણો થયેલો Riesling કે Sylvander શરાબ ઉમેરવામાં આવે છે.

સમયની સાથે શરાબમાં ભેળસેળ થવા લાગી હોવાની વાત બાલડિંગર પણ સ્વીકારે છે.

સેલરમાં શરાબનો શહેનશાહ

બાલડિંગરે અમને સેલરની શરાબનો 'શહેનશાહ' Cognac ચખાડવાની ઓફર કરી, એટલે અમે ઉત્સાહભેર હા પાડી.

તેમણે ઑકના જૂના બેરલમાંથી Cognac કાઢ્યો અને તેને અમારા નાક નીચે મૂક્યો. તે ફ્રેન્ચ બ્રાન્ડી જેવો લાગ્યો. તેમાં થોડી વેનિલા અને પ્રૂન જેવી સુગંધ આવતી હતી, તેણે મને મારા દાદાની પુરાણી સિગારની યાદ અપાવી દીધી.

તે ભારે એસિડિક હોવાથી બોલડિંગરે અમને તે ચખાડવાનો ઇન્કાર કરી દીધો.

જોકે, સદ્ભાગ્યે બીજા કેટલાક વિન્ટેજ વાઇન હતા. બાલડિંગરે અમારા માટે Gewürztraminerની બૉટલ ખોલી કરી અને અમારા જામ ભર્યા. વરસાદની રાતે લીચીની સાથે એ શરાબ પીવાની મજા આવી. 1990 પહેલાં ઇન્ફૅક્શનની સારવાર માટે તેના બે ગ્લાસ આપવામાં આવતા.

સેલરમાંથી બહાર નીકળીને મેં ફૅમિલીને ભેટ આપવા માટે આલસ્ટિયન 'મૅડિસિન' બૉટલ લીધી. જે ડિનર ટેબલ કે કદાચ દવાના ડ્રોઅરમાં મૂકી શકાય.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો