You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત-ચીન સીમાવિવાદ વચ્ચે નેપાળની સરહદના પિલરો ગાયબ - ગ્રાઉન્ડ રિપોર્ટ
- લેેખક, સમીરાત્મજ મિશ્ર
- પદ, બીબીસી ગુજરાતી માટે
એક તરફ ચીન સાથેની સરહદ ઉપર લોહિયાળ સંઘર્ષ થયો છે, તો બીજી બાજુ નેપાળ સાથે નવા નકશા મુદ્દે વિવાદ અટક્યો નથી અને સરહદ ઉપર તેની અસર દેખાવા મળી છે.
ઉત્તર પ્રદેશમાં નેપાળ સાથે જોડાયેલી સરહદે ગેરકાયદેસર બાંધકામ તથા સરહદ નક્કી કરતા કેટલાક પથ્થર ગુમ થયા હોવાના અહેવાલ બહાર આવ્યા છે.
અધિકારીઓ તેને 'સામાન્ય ઘટના' ગણાવે છે, પરંતુ બંને દેશ વચ્ચે ચાલી રહેલા ગતિરોધને કારણે તેને સામાન્ય ન ગણી શકાય.
ભારતના અર્ધલશ્કરી દળ સશસ્ત્ર સીમાબળ (એસ. એસ. બી.)ના ઉચ્ચ અધિકારીઓએ લખીમપુર જિલ્લાના વહીવટી તંત્રને જાણ કરી છે કે નેપાળ સાથેની સરહદને નિર્ધારિત કરતા અમુક પથ્થર ગુમ થઈ ગયા છે.
એટલું જ નહીં નેપાળે કેટલીક નવી આઉટપોસ્ટ (ચોકી) પણ બાંધી લીધી છે. આને પગલે એસ. એસ. બી.એ સરહદ ઉપર ચોક્કસાઈ વધારી દીધી છે અને સરહદી જિલ્લાના વહીવટી અધિકારીઓ સ્થિતિની નિયમિત રીતે સમીક્ષા કરી રહ્યા છે.
પિલર ગાયબ
એસ. એસ. બી.ની 39મી બટાલિયન ભારત-નેપાળ સરહદના લગભગ 63 કિલોમીટર વિસ્તારને કવર કરે છે. તેના કમાન્ડન્ટ મુન્નાસિંહના કહેવા પ્રમાણે, ફેબ્રુઆરી અને જૂન મહિનામાં આ મુદ્દે સ્થાનિક વહીવટી તંત્રને પત્ર લખીને સ્થિતિથી વાકેફ કરવામાં આવ્યા છે.
કમાન્ડન્ટ મુન્નાસિંહના કહેવા પ્રમાણે, "ગત 20-25 વર્ષથી દબાણ ચાલુ છે. કેટલાક લોકોએ નૉ-મૅન્સ લૅન્ડમાં વસવાટ કર્યો છે. નેપાળના કૈલાલી જિલ્લાની બાજુએ સરહદ નક્કી કરતા કેટલાક પિલર ગાયબ છે. જ્યાં સુધી દબાણ હટાવવામાં નહીં આવે, ત્યાર સુધી સરહદનું નિર્ધારણ કરતા પિલર નાખવા મુશ્કેલ બની રહેશે."
નૉ-મૅન્સ લૅન્ડ એટલે બે દેશની સરહદ વચ્ચે છોડવામાં આવતો ખાલી વિસ્તાર, જેના ઉપર કોઈ પણ દેશનો કબજો નથી હોતો, ત્યાં કોઈ સૈનિક તહેનાત નથી હોતો કે કોઈ પણ જાતનું નિર્માણકાર્ય કરવામાં નથી આવતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કમાન્ડન્ટ મુન્નાસિંહનું કહેવું છે કે, આ કોઈ એવો મુદ્દો નથી કે બંને દેશના સંબંધ વચ્ચે અસર પડે. આવું થતું રહે છે અને આ મુદ્દે બંને દેશના અધિકારીઓ વચ્ચે વાતચીત પણ થતી રહે છે.
ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લાની સરહદ નેપાળના કંચનપુર અને કૈલાલી એમ બે જિલ્લા સાથે જોડાયેલી છે. આ વિસ્તારમાં નેપાળે પોતાની તરફે નેપાળ સશસ્ત્ર પોલીસબળની ચાર બૉર્ડર આઉટપોસ્ટ ઊભી કરી છે. નવી પાંચ ચોકી ઊભી કરતા આ સંખ્યા નવ ઉપર પહોંચી ગઈ છે.
અટકળબાજી નહીં
લખીમપુરખીરીના ડિસ્ટ્રિક્ટ ઓફિસર શૈલેન્દ્રસિંહનું કહેવું છે કે આ ચોકીઓ હંગામી છે. તેની પાછળ એવો નિષ્કર્ષ ન કાઢવો જોઈએ કે સંઘર્ષને કારણે આવું કરવામાં આવ્યું છે.
શૈલેન્દ્રસિંહે બીબીસી સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું, "કોવિડ-19ના ફેલાવાને જોતાં આવતાં-જતાં લોકો ઉપર નજર રાખવા માટે નેપાળની સરહદ ઉપર ચોકીઓની સંખ્યા વધારવામાં આવી છે. જેને બાદમાં હઠાવી લવામાં આવશે. આ તેમની આંતરિક બાબત છે."
"યુપીના છ જિલ્લા સાથે નેપાળની લગભગ 120 કિલોમીટરની સરહદ જોડાયેલી છે. ભારતની બાજુએ નેપાળ કરતાં વધુ ચોકીઓ છે. દેશમાં ગેરકાયદેસર રીતે પ્રવેશનારને અટકાવવા માટે આમ કરવામાં આવી રહ્યું છે."
"ભારત કે નેપાળે સંઘર્ષના ઇરાદે આ ચોકીઓનું નિર્માણ નથી કર્યું."
બંને દેશની સરહદ ઉપર લગભગ 30-30 ફૂટના અંતરને નૉ-મૅન્સ લૅન્ડ જાહેર કરવામાં આવ્યો છે. બંને દેશના અધિકારીઓ સરહદ ઉપર નજર રાખે છે અને સમયાંતરે તેની સમીક્ષા પણ કરે છે.
આમ છતાં બંને દેશમાં નૉ-મૅન્સ લૅન્ડ ઉપર ગેરકાયદેસર નિર્માણના સમાચાર આવતા રહે છે.
'કોઈ સમસ્યા નથી'
શૈલેન્દ્રસિંહના કહેવા પ્રમાણે, "એસ. એસ. બી. દ્વારા પિલરો ગાયબ થવાની અને દબાણ વિશેની માહિતી મળી છે. ત્યારબાદથી બંને દેશના અધિકારીઓએ સંયુક્ત રીતે સીમાંકનના સર્વેક્ષણનું કામ કર્યું છે. આ રિપોર્ટ ભારત સરકારને મોકલવામાં આવશે."
"સરહદ ઉપર ગાઢ જંગલ આવેલાં છે અને વરસાદ પણ પડતો રહે છે, એટલે આ કામગીરીમાં સમય લાગે છે. ફરીથી સીમાંકન કરવામાં હજુ પણ લગભગ બે-ત્રણ મહિના જેટલો સમય લાગશે. આ ચિંતાજનક બાબત નથી, નેપાળના અધિકારીઓ સહકારભર્યું વલણ અપનાવે છે."
ગેરકાયદેસર નિર્મણના મુદ્દે શૈલેન્દ્રસિંહનું કહેવું છે, "આ કોઈ નવી વાત નથી. એક વખત સીમાંકન થઈ જાય એટલે નૉ-મૅન્સ લૅન્ડ ઉપર બંને બાજુએથી ફરી દબાણ થવા લાગે છે. અહીં કોઈ પ્રવૃત્તિ ન થઈ શકે છતાં, કબજો થવા લાગે છે."
"નવેસરથી સીમાંકન કરવા માટે પહેલાં દબાણ હઠાવવું પડશે. કેટલાક લોકોએ ભૂલથી દબાણ કરી લીધું છે એટલે માનવીય રાહે વાતચીત કરવામાં આવે છે અને લોકો હઠાવી પણ લે છે. ચાહે તે ભારતીય બાજુએથી હોય કે ચીનની બાજુએથી."
કમાન્ડન્ટ મુન્નાસિંહના કહેવા પ્રમાણે, દબાણના કિસ્સા કંચનપુર જિલ્લા સાથેની સરહદે વધુ નોંધાયા છે, જ્યારે સરહદનું નિર્ધારણ કરતા પિલર ગાયબ થવાના કિસ્સા કૈલાલી જિલ્લામાં વધુ નોંધાયા છે.
શું કહે છે નેપાળ?
નેપાળના કૈલાલી જિલ્લાના મુખ્ય વહીવટી અધિકારી (સી.ડી.ઓ.) યજ્ઞરાજ બોહરાએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું, "આમ તો આ વિશે વિદેશમંત્રાલય માહિતી આપી શકે છે, પરંતુ સ્થાનિક સ્તરે જે કોઈ સમસ્યા ઊભી થાય છે તેને અમે વાતચીત દ્વારા ઉકેલી લઈએ છીએ."
"ઘણી વખત ઔપચારિક વાતચીત વગર પણ સમસ્યા ઉકેલાઈ જાય છે. સોમવારે જ અમે વાતચીત કરી હતી, કોઈ વિવાદ નથી."
તાજેતરમાં નેપાળે તેનો નવો નકશો બહાર પાડ્યો હતો, જેના કારણે બંને દેશ વચ્ચે તણાવ પ્રવર્તે છે. નેપાળે તેના નકશામાં લિપુલેખ, કાલાપાની તથા લિપિંયાધુરા જેવા વિસ્તારોને દર્શાવ્યા હતા, જેની ઉપર ભારતે વાંધો ઉઠાવ્યો હતો.
સંસદની મંજૂરી સાથે નેપાળે નવો નકશો બહાર પણ પાડી દીધો છે, ઉત્તર પ્રદેશની સરહદ સાથે જોડીને આ વિવાદને જોવામાં આવે તે યોગ્ય નથી.
તાજેતરના વિવાદ બાદ ઉત્તર પ્રદેશની પોલીસે નેપાળ સાથે જોડાયેલા જિલ્લાના સરહદીય વિસ્તારોમાં સતર્કતા વધારી દીધી છે. લખીમપુર ખીરી ઉપરાંત મહારાજગંજ, મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથનો મત વિસ્તાર ગોરખપુર, મહારાજગંજ, પિલિભીત, બહરાઇચ અને બલરામપુર નેપાળ સાથે જોડાયેલા છે.
લખીમપુરમાં નોંધાયેલી પ્રવૃત્તિ બાદ પોલીસ તથા સ્થાનિક અધિકારીઓએ પિલિભીતમાં પણ સરહદીય વિસ્તારોની સમીક્ષા કરી હતી.
અધિકારીઓએ ગ્રામજનો સાથે વાતચીત કરી અને એસ.એસ.બી.ના અધિકારીઓ પાસેથી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
.