Lunar Eclipse : આજે ચંદ્રગ્રહણ, જાણો ક્યારે શરૂ થશે અને કેવું દેખાશે

શુક્રવાર એટલે કે 5 જૂનના રોજ બીજું ચંદ્રગ્રહણ જોવા મળવાનું છે, જે ભારતમાં પણ જોઈ શકાશે. આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ 10 જાન્યુઆરીના રોજ જોવા મળ્યું હતું.

આ ચંદ્રગ્રહણ 5 જૂનની રાત્રે 11. 15 કલાકે શરૂ થશે અને 6 જૂન શનિવાર 2.34 કલાકે પૂર્ણ થશે. કહેવામાં આવે છે કે 12.54 કલાકે ગ્રહણનો પ્રભાવ સૌથી વધારે હશે.

આ ગ્રહણ ભારત સહિત એશિયા, યૂરોપ, ઑસ્ટ્રેલિયા અને આફ્રિકામાં જોઈ શકાશે.

આજે રાત્રે જે ચંદ્રગ્રહણ થશે તે પીનમ્બ્રલ એટલે કે ઉપછાયાગ્રહણ છે. એટલે કે પૃથ્વીની મુખ્ય છાયાની બહારનો ભાગ ચંદ્ર પર પડશે, જેનાથી તેની ચમક ફીકી પડી જશે.

શું તમે જોઈ શકશો ચંદ્રગ્રહણ?

વિજ્ઞાન પ્રસારમાં વરિષ્ઠ વૈજ્ઞાનિક ટીવી વેંકટેશ્વરનના જણાવ્યા પ્રમાણે, “આ ઉપછાયા ગ્રહણ છે, એટલે ગ્રહણની અસર વધારે જોવા નહીં મળે. ચંદ્ર પર આછો પડછાયો જોવા મળશે. સાથે જ આ માત્ર ચંદ્રના 58% ભાગને જ કવર કરશે.”

ટીવી વેંકટેશ્વરન કહે છે કે આ ગ્રહણ આટલી સહેલાઇથી જોવા નહીં મળે. જો ચંદ્રગ્રહણનો પૂરપૂરો પ્રભાવ હોય અને તમે ખૂબ જ ધ્યાનથી જુઓ. આકાશ પણ સાફ હોવું જોઈએ, ત્યારે કદાચ ચંદ્રના ઉત્તર અને દક્ષિણ ભાગની બ્રાઇટનેસમાં કંઈક અંતર જોવા મળશે.

પીનમ્બ્રલનો શું મતલબ છે?

ટીવી વેંકટેશ્વરનના જણાવ્યા પ્રમાણે પહેલા એ સમજવું જરૂરી છે કે છાયા બે પ્રકારની હોય છે. કોઈ પણ વસ્તુ, જે પ્રકાશ રોકે છે તે બે પ્રકારની છાયા ઉત્પન્ન કરશે.

એક જેમાં અંધકાર હોય છે અને છાયા ખૂબ જ કાળી હોય છે તેને અમ્બ્રલ કહેવામાં આવે છે. બીજી છાયા, જે હલકી અને ફેલાયેલી હોય છે, તેને પીનમ્બ્રલ કહેવાય છે.

આ બન્ને વચ્ચેનું અંતર છે : જો તમે અમ્બ્રલ ક્ષેત્રમાં ઊભા છો, તો સંપૂર્ણ પ્રકાશ સ્રોત કવર થઈ જશે. પરંતુ જો તમે પીનમ્બ્રલ ક્ષેત્રમાં ઊભેલા છો તો સમગ્ર પ્રકાશ સ્રોત કવર નહીં થાય.

આ મહિને સૂર્યગ્રહણ પ્રણ

વર્ષ 2020માં કુલ 6 ગ્રહણ લાગવાના છે. તેમાં બે સૂર્યગ્રહણ છે અને ચાર ચંદ્રગ્રહણ હશે. તેમાંથી એક ચંદ્રગ્રહણ આ વર્ષની શરૂઆતમાં 10 જાન્યુઆરીના રોજ લાગ્યું હતું. ત્યારબાદ હવે 5 જૂનના રોજ ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે.

આજ થનારા ચંદ્રગ્રહણ બાદ 5 જૂલાઈ અને 30 નવેમ્બરના રોજ પણ ચંદ્રગ્રહણ જોવા મળશે. આ સિવાય સૂર્યગ્રહણ 21 જૂનના રોજ થશે અને બીજુ સૂર્યગ્રહણ 14 ડિસેમ્બરના રોજ થશે.

ક્યારે થાય છે ચંદ્રગ્રહણ?

સૂર્યની પરિક્રમા દરમિયાન પૃથ્વી, ચંદ્ર અને સૂર્ય વચ્ચે એ રીતે આવે છે કે ચંદ્ર ધરતીની છાયાથી છૂપાઈ જાય છે. આ ત્યારે જ શક્ય છે, જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર પોતાની કક્ષામાં એકબીજાની એકદમ સીધામાં હોય.

પૂનમને દિવસે જ્યારે સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવે છે તો તેની છાયા ચંદ્ર પર પડે છે. તેનાથી ચંદ્રની છાયા વાળો ભાગ અંધકારમયી રહે છે.

જ્યારે આપણે આ સ્થિતિમાં ધરતી પરથી ચંદ્રને જોઈએ છીએ તો તે ભાગ કાળો જોવા મળે છે. એટલે જ તેને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો