કોરોના વાઇરસ : પ્રવાસી મજૂરો માટે શું કરી રહી છે મોદી સરકાર- દૃષ્ટિકોણ

    • લેેખક, અમિતાભ સિંહા
    • પદ, પ્રવક્તા - ભારતીય જનતા પાર્ટી, બીબીસી ગુજરાતી માટે

કોરોના વાઇરસ એક એવી આફત છે, જેણે આખી દુનિયાને હલાવીને રાખી દીધી છે. અત્યાર સુધીમાં અકલ્પનીય આર્થિક નુકસાન થયું છે અને લાખો લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.

લાખો પરિવાર વેરવિખેર થઈ ગયા છે. બાળકો અનાથ થઈ ગયાં છે. આ એક એવી અભૂતપૂર્વ સ્થિતિ છે કે દુનિયા આખી જ્યાં છે ત્યાં સ્થિર થઈ ગઈ છે.

આવું પહેલાં ક્યારેય થયું નથી. અત્યારે આપણે જે કંઈ જોઈ રહ્યા છીએ તેની કલ્પના પણ ન કરી શકાય, પરંતુ જે સામે છે તેને ખોટું ન ઠેરવી શકાય.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે સામે આવેલા આ પડકારોનો સામનો કર્યો છે અને સતત કરી રહી છે.

કેન્દ્ર સરકારનાં પગલાં કેટલાં અસરદાર?

કેન્દ્ર સરકાર આ આફતની શરૂઆતથી પૂરી તાકાતથી લડી રહી છે. દેશ અને દુનિયાભરના લોકોને તેની અસર દેખાઈ રહી છે.

વડા પ્રધાન મોદીના સમયાનુકૂળ પગલાંને લીધે એક અબજ 30 કરોડ લોકોના દેશમાં સાજા થવાની ટકાવારી 30 ટકાથી વધુ છે.

તેને લઈને આખા વિશ્વમાં ભારતનાં વખાણ થઈ રહ્યાં છે.

હાં, એ સાચું કે આ બીમારીથી હજુ ઘણા લોકો સંક્રમિત છે. અને ઘણી અમૂલ્ય જિંદગીઓ નષ્ટ થઈ ગઈ છે, જે ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે.

જોકે એ ધ્યાન આપવા જેવી બાબત છે કે જેની સ્વાસ્થ્ય વ્યવસ્થા આટલી મજબૂત છે એવા વિકસિત દેશોની કેવી ખરાબ સ્થિતિ છે.

ભારત સરકાર પોતાનાં સીમિત સાધનોના જોરે પોતાનો જંગ લડી રહ્યો છે અને કેટલેક અંશે અહીંની સ્થિતિ વિદેશ જેટલી ખરાબ નથી.

શ્રમિકો માટે સરકાર શું કરે છે?

વિપક્ષી દળો શ્રમિકોનાં મૃત્યુ અને તેમનાં દુઃખ માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી રહ્યા છે. તકનીકી રીતે આ બિલકુલ યોગ્ય નથી.

કેન્દ્ર સરકાર પોતાની રીતે આ સંકટમાંથી ઉગારવાના શક્ય એટલા તમામ પ્રયાસો કરી રહી છે. પરંતુ તેને રાજ્ય સરકારો તરફથી અપેક્ષિત સમર્થન મળી નથી રહ્યું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંદેશમાં પાંચ વાર કહ્યું છે કે જે જ્યાં છે ત્યાં રહે અને કોઈ પણ કિંમતે બહાર ન નીકળે.

તેના થોડા સમય પછી તરત કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને આહ્વાન કર્યું કે રાજ્યોમાં શ્રમિક ભાઈ-બહેનોનું ધ્યાન રાખે.

તેના આગળના દિવસે નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ એક લાખ સિત્તેર હજાર કરોડ રૂપિયાના પૅકેજની જાહેરાત કરી હતી.

ત્યારબાદ બધા પ્રવાસી મજૂરોને પાંચ કિલો રૅશન અને એક કિલો દાળ સતત મફતમાં આપાવની જાહેરાત થઈ.

કેન્દ્ર સરકારે તેના માટે 6195 કરોડ રૂપિયા અલગઅલગ રાજ્યોના પીડીએસ સિસ્ટમમાં નાખ્યા.

શ્રમિકભાઈઓને રસ્તા પર પગપાળા ચાલવાની ત્રાસદીથી બચાવવા માટે અમારી સરકારે બધાં રાજ્યોને સ્પષ્ટ રીતે કહ્યું કે તેઓ રેલવે સ્ટેશન પર માત્ર ત્રણ કલાકની નોટિસથી ટ્રેન મંગાવી શકો છો.

રેલમંત્રાલય તરફથી આ અંગે સ્પષ્ટ સૂચના આપી દેવાઈ છે. રેલમંત્રાલય આવી રેલગાડીઓમાં જનારા મજૂરોની ખાવાપીવાની વ્યવસ્થા પણ કરે છે.

એટલું જ નહીં, કેન્દ્ર સરકાર તત્કાળ મદદનો પ્રયાસ કરવાની સાથેસાથે દૂરગામી સંકટ દૂર કરવાની દિશામાં કામ પણ કરી રહી છે.

આર્થિક મદદના પ્રયત્ન

કેન્દ્ર સરકારે પ્રવાસી શ્રમિકો માટે ઘરે પહોંચતાંની સાથે મનરેગામાં કામની સંભાવના પેદા કરવાની યોજના બનાવી છે, કેમ કે મનરેગામાં પ્રવાસી મજૂરોને કામ નથી મળતું.

પરંતુ હવે શહેરોમાંથી પરત ફરેલા આ શ્રમિકોને મનરેગામાં કામ મળશે. તેના માટે કેન્દ્ર સરકારે જરૂરી ફંડ ફાળવી દીધું છે.

તેમજ લારીવાળાના ભવિષ્યને લઈને પણ સરકાર ઘણી સજાગ અને સંવેદનશીલ છે.

આ દેશમાં કમસે કમ 50 લાખ લોકો લારી ચલાવીને તેમનું જીવન ગુજારે છે. સરકારે આ વર્ગ માટે પાંચ હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે.

સરકાર એટલી ગતિથી કામ કરી રહી છે કે જાહેરાત થયા બાદ તત્કાળ પૈસાની ફાળવણી થઈ રહી છે. અગાઉ જે જાહેરાતો થઈ તેમાંની ઘણી માટે આર્થિક ફંડ ફાળવાઈ ગયું છે.

રાજ્યોને પૈસા મોકલાઈ ગયા છે. આ પૈસાથી રાજ્ય સરકારોએ શ્રમિકોને ત્રણ મહિના સુધી મફતમાં રૅશન આપવાનું છે.

સરકારે પ્રવાસી મજૂરોની ખાવાપીવા સાથે જોડાયેલી સમસ્યાને દૂર કરવા માટે વન નેશન નવ રાશન કાર્ડ સ્કીમ શરૂ કરી છે.

તેને અમલમાં લાવવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. પરંતુ આ દરમિયાન મફત રૅશન આપવાની વ્યવસ્થા ત્રણ મહિના માટે કરાઈ છે.

ખાસ વાત એ છે કે કેન્દ્ર સરકાર તેના માટે જાતે ખર્ચ કરી રહી છે જે આજ સુધી થયું નથી.

ઘણા લોકો એવું પણ કહે છે કે સરકાર પ્રવાસી મજૂરોની મદદ માટે એ રીતે આગળ કેમ નથી આવતી જે રીતે પ્રાકૃતિક આફતના સમયમાં બમણી ગતિથી કામ કરે છે.

આ સવાલનો જવાબ માત્ર એક છે કે સરકારે આ આફતને નિવારવા માટે કોઈ પણ હથિયાર છુપાવી રાખ્યું નથી. અને સરકાર આટલા મોટા વિશાળ દેશની વસતીને બચાવવા માટે દિવસરાત લાગેલી છે.

(બીબીસી સંવાદદાતા અનંત પ્રકાશ સાથે થયેલી વાતચીતને આધારે)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો