કોરોના વાઇરસ લૅબમાં તૈયાર થયો છે : નીતિન ગડકરી - Top News

ડોનાલ્ડ ટ્રમ્પ અને અન્ય નેતાઓની જેમ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન ગડકરીએ દાવો કર્યો છે કે કોરોના વાઇરસ કુદરતી નથી અને લૅબમાં બનાવવામાં આવ્યો છે.

એનડીટીવીને આપેલા ઇન્ટરવ્યૂમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે આ વાઇરસ પ્રાકૃતિક નથી પરંતુ લૅબમાં તૈયાર કરવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે હાલ આપણે કોરોના વાઇરસની સાથે 'આર્થિક લડાઈ' પણ લડી રહ્યા છે.

તેમણે કહ્યું કે ભારત ગરીબ દેશ છે, આપણે મહિને દર મહિને લૉકડાઉનના સમયને વધારી શકીએ તેમ નથી, આપણે સુરક્ષાના ઉપાયોની સાથે બજારને ખોલવું પડશે.

હાઈ-વે પર સાર્વજનિક વાહનવ્યવહારની શરૂઆત અંગે તેમણે કહ્યું કે આ અંગેનો નિર્ણય માત્ર મારા મંત્રાયલ દ્વારા થતો નથી. મેં આ અંગે સકારાત્મક વલણ રાખેલું છે અને હું તેને લઈને આશાવાદી છું.

નીતિન ગડકરીએ વધુમાં કહ્યું કે મેં ગૃહ મંત્રાલયને આગ્રહ કર્યો છે કે સમય આવી ગયો છે કે સલૂનો અને હજામોની દુકાનોને ફરીથી શરૂ કરવામાં આવે.

ચાલતાં બિહાર જઈ રહેલાં છ મજૂરોનું બસ અકસ્માતમાં મૃત્યુ

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર બુધવારે મોડી રાત્રે ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં હાઈ-વે પરથી ચાલતાં બિહાર જઈ રહેલાં છ મજૂરો બસ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે અને બે મજૂરો ઘાયલ થયા હતા.

મુઝફ્ફરનગરના કોટવાલી પોલીસ સ્ટેશનના એસએચઓ અનિલ કપરવાને કહ્યું, "અમે રાતના 11 વાગ્યાની આસપાસ માહિતી મળી કે નેશનલ હાઇવે 9 પરથી એક જૂથ પસાર થઈ રહ્યું હતું ત્યારે તેમાંથી કેટલાંકનો બસ સાથે અકસ્માત થયો છે. જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે સ્થાનિકોએ કહ્યું કે આ પરપ્રાંતીય મજૂરો છે."

"હાલ અમે તેમની તપાસ કરી રહ્યા છે. છ લોકોને હૉસ્પિટલ લઈ જવાયા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે બાકીન બે ઇજાગ્રસ્ત થતા તેમને મેરઠ મોકલવામાં આવ્યા હતા."

તેમણે વધુમાં કહ્યું કે, "બસમાં કોઈ મુસાફર ન હતા. બની શકે કે આ બસ કોઈ પરપ્રાંતીય મજૂરને ઉતારીને પરત આવી રહી હોય.

ડ્રાઇવર બસ મૂકીને નાસી છૂટ્યો હતો. હાલ તેની શોધખોળ ચાલી રહી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે પરપ્રાંતીય મજૂર બિહારના હતા અને તે ચાલતા પોતાના ઘરે જઈ રહ્યા હતા."

કચ્છમાં પરપ્રાંતીય શ્રમિકોએ હાઈ-વે બ્લૉક કર્યો

કોરોના વાઇરસ લૉકડાઉનમાં પરપ્રાંતીય શ્રમિકોની સ્થિતિનો સવાલ પેચીજો બન્યો છે ત્યારે કચ્છમાં સ્થાનિક તંત્ર અને શ્રમિકો વચ્ચે ઘર્ષણનો અહેવાલ છે.

ગાંધીધામમાં ઘરે જવા માગતા પરપ્રાંતીય શ્રમિકોએ નોંધણી કરવવા છતાં કોઈ કાર્યવાહી નહીં થવાથી અકળાઈને હાઈ-વે બ્લૉક કર્યો હોવાની ઘટના બની છે.

સમાચાર સંસ્થા પીટીઆઈ જણાવે છે કે શ્રમિકોનો દાવો છે વતન પરત જવા માટે નોંધણી કરાવી હોવા છતાં કોઈ વ્યવસ્થા ગોઠવવામાં નથી આવી રહી.

શ્રમિકોએ હાઈ-વે બ્લૉક કર્યો હોવાની તથા અમૂક વાહનો પર પથ્થરમારો કર્યો હોવાની ઘટના બની છે.

ગાંધીધામ બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ. એસ. દેસાઈએ કહ્યું કે સ્થિતિ થાળે પડી ગઈ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો