કમલનાથની સરકારમાંથી રાજીનામું આપનારા કૉંગ્રેસના 13 ધારાસભ્યને નોટિસ : TOP NEWS

રાજીનામું આપનારા કૉંગ્રેસના ધારાસભ્યો

ઇમેજ સ્રોત, ANI

મધ્ય પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ નર્મદા પ્રસાદ પ્રજાપતિએ કૉંગ્રેસમાંથી રાજીનામું આપનારા 22 ધારાસભ્યમાંથી 13ને નોટિસ પાઠવી છે.

એનડીટીવીના અહેવાલ પ્રમાણે ધારાસભ્યોને શુક્રવારે અને શનિવારે તેમની સમક્ષ રૂબરૂમાં હાજર રહેવા જણાવાયું છે.

વિધાનસભાના પ્રિન્સિપાલ સેક્રેટરી એ. પી. સિંહે આ વાતની પુષ્ટિ કરી છે.

તેઓએ કહ્યું કે ધારાસભ્યોને હાજર રહીને એ સ્પષ્ટ કરાવવા કહેવાયું છે કે તેઓએ સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે કે કોઈના દબાણમાં આવીને આપ્યું છે.

તો 16 માર્ચે મધ્ય પ્રદેશ વિધાનસભાનું બજેટસત્ર શરૂ થવાનું છે અને સત્રના પહેલા દિવસે ભાજપ વિધાનસભામાં બહુમત સાબિત કરવાની માગ કરી શકે છે.

પ્રદેશના ભાજપ નેતા નરોત્તમ મિશ્રાએ ગુરુવારે ભોપાલમાં સંવાદદાતાઓને સાથે વાત કરતાં કહ્યું કે કૉંગ્રેસના 22 ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી છે અને તેના કારણે કૉંગ્રેસ સરકાર લઘુમતીમાં આવી ગઈ છે.

તેઓએ કહ્યું કે રાજ્યપાલ અને વિધાનસભાના સ્પીકરને તેઓ વિનંતી કરશે કે તેઓ પાર્ટીને સદનમાં બહુમત સાબિત કરવાનો મોકો આપે.

ઉલ્લેખનીય છે કે જ્યોતિરાદિત્ય સિંધિયા કૉંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થઈ ગયા છે.

જેના કારણે મધ્ય પ્રદેશમાં કમલનાથની સરકાર પર સંકટનાં વાદળો ઘેરાયાં છે.

line

ગુજરાતમાં કૉંગ્રેસના ઉમેદવારજાહેર

શક્તિસિંહ ગોહિલ

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી માટે કૉંગ્રેસે પણ પોતાના બે ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે.

ગુરુવારે કૉંગ્રેસે ગુજરાત કૉંગ્રેસ પ્રદેશના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલની પસંદગી કરી છે.

ભાજપ દ્વારા પણ અગાઉ બે ઉમેદવારોના જાહેર કયા હતા.

ભાજપે રાજકોટમાં રહેતા જાણીતા વકીલ અને પાર્ટી સાથે સંકળાયેલા અભય ભારદ્વાજ અને ખેડબ્રહ્માનાં પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી નેતા રમિલાબહેન બારા પર પસંદગી ઉતારી છે.

શુક્રવારે ફૉર્મ ભરવાનો છેલ્લો દિવસ છે અને ઉમેદવારો આજે 12.39 કલાકે ઉમેદવારી નોંધાવશે.

line

ચેલ્સીને જેલમાંથી છોડવાનો આદેશ

ચેલ્સી

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાની એક કોર્ટે પૂર્વ ઇન્ટેલિજન્સ ઍનાલિસ્ટ ચેલ્સી મૈનિંગને જેલમાંથી તાત્કાલિક છૂટા કરવાનો આદેશ આપ્યો છે.

ગત વર્ષે મે મહિનામાં વિકિલીક્સ વેબસાઇટની તપાસ સાથે જોડાયેલા એક કેસમાં કોર્ટમાં હાજર થવાનો ઇન્કાર કરતાં કોર્ટની અવમાનનાના આરોપસર તેમની અટકાયત કરાઈ હતી.

વર્ષ 2013માં ચેલ્સીને ઇરાક અને અફઘાનિસ્તાન યુદ્ધ સાથે સંકળાયેલા સેનાના જાસૂસી દસ્તાવેજો વિકિલીક્સને આપવાના મામલે દોષી ઠેરવ્યાં હતાં.

આ અઠવાડિયે શુક્રવારે ચેલ્સીને કોર્ટમાં હાજર થવા જવાનું હતું, પરંતુ જજે કહ્યું કે હવે તેઓએ કોર્ટમાં હાજર થવાની જરૂર નથી.

ચેલ્સીના વકીલોનું કહેવું છે કે આપઘાતની કોશિશ બાદ ચેલ્સી હાલમાં હૉસ્પિટલમાં દાખલ છે અને તેમનો ઇલાજ ચાલી રહ્યો છે.

line

'NPR માટે કોઈ દસ્તાવેજની જરૂર નહીં'

અમિત શાહ

ઇમેજ સ્રોત, Getty Images

રાજ્યસભામાં ગુરુવારે દિલ્હી હિંસા પર ચર્ચા થઈ હતી. ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ કર્યું કે નેશનલ પૉપ્યુલેશન રજિસ્ટર એટલે કે એન.પી.આર. માટે નાગરિકો કોઈ દસ્તાવેજ દેખાડવા નહીં પડે. તેમજ કોઈ નાગરિકને સંદિગ્ધની શ્રેણીમાં પણ રાખવામાં નહીં આવે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે ચર્ચામાં ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષોના સવાલો જવાબો પણ આપ્યા.

વિપક્ષના આરોપ પર અમિત શાહ બોલ્યા કે "24 ફેબ્રુઆરીથી અગાઉ સરકાર પાસે માહિતી આવી ગઈ હતી કે દિલ્હી હિંસા માટે વિદેશથી પૈસા આવ્યા છે."

"દિલ્હીમાં પૈસા વહેંચાયા હતા. પૈસાને મુદ્દે તપાસ પણ શરૂ કરી દીધી હતી. જોકે તપાસ દરમિયાન જ દિલ્હીમાં હિંસાની શરૂઆત થઈ ગઈ હતી."

શાહે કહ્યું કે હિંસા માટે ફન્ડિંગ કરવાવાળાને અમે ઝડપથી પકડી લેશું.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો