પૂણેના આ ગામનાં બાળકો અભ્યાસ કરવા સ્મશાનમાં કેમ જાય છે?
સાયરન વાગતાની સાથે જ, આ બાળકો પોતાની સ્કૂલ બૅગ પેક કરે છે અને સ્મશાન જવા માટે ઘર બહાર નીકળે છે. હા, તમે સાચું સાંભળ્યું છે – સ્મશાને જવા માટે.
કારણ કે આ ગામમાં સ્મશાનમાં રોજ રાત્રે 7થી 9 વાગ્યા સુધી રાત્રિ શાળા ચાલે છે. પુણેના અડાચીવાડી ગામમાં આ પહેલ ચાર મહિના અગાઉ કરાઈ હતી.
આ વર્ગો શરૂ કરવાનું કારણ ગામનો વિકાસ હતો. પહેલાં, ગામ એક જૂથ ગ્રામપંચાયતનો ભાગ હતું અને સુવિધાઓ માટે ભંડોળ મેળવવું મુશ્કેલ હતું, પરંતુ આઠ વર્ષ પહેલાં ગામને પોતાની સ્વતંત્ર ગ્રામપંચાયત મળી એ પછી વિકાસ થયો.
સાથે સાથે ગામે ભવિષ્ય વિશે પણ વિચાર્યું. બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવાના ઉદ્દેશ્યથી આવો નિર્ણય લેવાયો.
છેલ્લા ચાર મહિનામાં ગામમાં કોઈનું અવસાન થયું ત્યારે ત્રણ દિવસ માટે વર્ગમાં રજા રખાતી. જોકે હવે ગામલોકો આવા વર્ગ માટે કાયમી શાંત જગ્યા બનાવવાનું વિચારી રહ્યા છે.
ગામના નિવૃત્ત શિક્ષકોનો ગામલોકોના નિર્ણયને ટેકો મળ્યો. આ શિક્ષકો બાળકોના અભ્યાસનું આયોજન અને માર્ગદર્શન કરે છે.
બાળકો મોબાઇલ ફોન અને ટેલિવિઝનથી દૂર રહેતા હોવાથી માતાપિતા પણ ખુશ છે.
અંધશ્રદ્ધા વિરોધી સમિતિના સ્થાપક, ડૉ. નરેન્દ્ર દાભોલકરે સ્મશાનોની મુલાકાતોનું આયોજન કરી તેની સાથે સંકળાયેલી દંતકથાઓ અને અંધશ્રદ્ધાઓને દૂર કરી હતી. આ અભ્યાસ વર્ગની પહેલથી ગામે એ દિશામાં એક પગલું આગળ વધાર્યું છે - વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ ધરાવતી એક જાગૃત પેઢીને તૈયાર કરવા તરફ.
રિપોર્ટ: પ્રાચી કુલકર્ણી
શૂટ: નીતિન નાગરકર
ઍડિટ: અરવિંદ પારેકર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



