LIC : શું મોદી સરકારના લીધે ખરેખર લોકોના પૈસા ડૂબી રહ્યા છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2020-21નું બજેટ રજૂ કરતી વખતે જણાવ્યું હતું કે LICમાં સરકાર પોતાનો આંશિક હિસ્સો વેચશે અને તેને શૅરબજારમાં લિસ્ટ કરવામાં આવશે.
થોડા સમય પહેલા આવેલા LICના એક સમાચારે રોકાણકારોના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. 'વિશ્વાસનું પ્રતીક' ગણાતી આ કંપનીના છેલ્લાં પાંચ વર્ષના આંકડા ખરેખર વિચલિત કરનારા છે.
વાત થઈ રહી છે સરકારી વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ એટલે કે એલઆઈસીની. છેલ્લાં પાંચ વર્ષમાં નૉન પર્ફૉર્મિંગ ઍસેટ્સ એટલે કે એનપીએ બમણા સ્તરે છે.
કંપનીની વેબસાઇટ પર જાહેર વાર્ષિક રિપોર્ટ પ્રમાણે માર્ચ 2019 સુધી એનપીએનો આ આંકડો રોકાણની તુલનામાં 6.15 ટકાના સ્તરે પહોંચી ગયો છે, જ્યારે 2014-15માં એનપીએ 3.30 ટકાના સ્તરે હતું. એટલે કે છેલ્લાં પાંચ નાણાકીય વર્ષ દરમિયાન એલઆઈસીના એનપીએમાં અંદાજે 100 ટકાનો ઉછાળો આવ્યો છે.
આ અગાઉ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી સરકાર એલઆઈસીને નુકસાન પહોંચાડી રહી છે અને તેનાથી લોકોનો આ સંગઠન (એલઆઈસી) પરથી ભરોસો ઊઠી જશે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
રાહુલ ગાંધીએ 22 જાન્યુઆરી, 2020એ આ અંગે ટ્વીટ કર્યું, "એલઆઈસી પર લોકોને ભરોસો છે, આથી કરોડો ઇમાનદાર લોકો તેમાં રોકાણ કરે છે. મોદી સરકાર લોકોનાં ભવિષ્યને જોખમમાં નાખીને એલઆઈસીને નુકસાન પહોંચાડી રહી છે."
"તેનાથી લોકોનો એલઆઈસી પરનો ભરોસો તૂટી રહ્યો છે. સામે આવતી આ ખબરોથી લોકોમાં ભય પેદા થાય છે અને તેનાં પરિણામો ગંભીર આવી શકે છે."
એલઆઈસીના 2018-19ના વાર્ષિક રિપોર્ટ પ્રમાણે 31 માર્ચ, 2019માં કંપનીનો એનપીએનો આંકડો 24 હજાર 777 કરોડ રૂપિયા હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે કંપની પર કુલ દેવું ચાર લાખ કરોડ રૂપિયાથી વધારે હતું. એલઆઈસીની કુલ પરિસંપત્તિ 36 લાખ કરોડ રૂપિયા જેટલી છે.
હકીકતમાં એલઆઈસીની આવી હાલત એટલા માટે થઈ કે જે કંપનીઓમાં તેણે રોકાણ કર્યું હતું તેની હાલત બહુ ખરાબ થઈ ગઈ હતી અને ઘણી કંપનીઓ તો દેવાળિયાં થવાં સુધી આવી ગઈ હતી, તેમાં દીવાન હાઉસિંગ, રિલાયન્સ કૅપિટલ, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ, પિરામલ કૅપિટલ અને યસ બૅન્ક સામેલ છે.
દીવાન હાઉસિંગમાં એલઆઈસીનું એક્સપોઝર 6500 કરોડ રૂપિયાથી વધુ હતું, રિલાયન્સ કૅપિટલમાં ચાર હજાર કરોડનું ઍક્સપોઝર હતું.
એબીજી શિપયાર્ડ, ઍમટેક ઑટો અને જેપી ગ્રૂપમાં પણ એલઆઈસીએ વધુ રોકાણ કર્યું હતું.

ઇમેજ સ્રોત, Getty Images
ઍસ્કૉર્ટ્સ સિક્યૉરિટીઝમાં રિસર્ચ ઍનાલિસીસ આસિફ ઇકબાલ કહે છે, "તેને એ રીતે જોઈ શકાય કે બિનબૅન્કિંગ નાણાં સેક્ટરમાં થયેલી તબાહીની એલઆઈસી પર મોટી અસર થઈ છે. એલઆઈસીએ આ કંપનીમાં પૈસા રોક્યા હતા. હવે આ એનબીએફસી બેહાલ થતાં એલઆઈસીની હાલત પણ બગડી ગઈ છે."
આ સિવાય એલઆઈસી પાસે મોટી માત્રામાં રોકડ છે, આથી સરકાર તેને સંકટમોચનના રૂપમાં ઉપયોગ કરી રહી છે. નાણાકીય રીતે ડામાડોળ સ્થિતિ ધરાવતી ઘણી સાર્વજનિક કંપનીઓના શૅર ખરીદીને એલઆઈસીએ તેને ઉગારી છે.
આસિફ ઇકબાલ કહે છે, "હકીકતમાં એલઆઈસી પણ એ જ ભૂલ કરી રહી છે, જે અન્ય ઘણી સરકારી અને ખાનગી બૅન્કોએ કરી છે. એલઆઈસીનો એનપીએનો આંકડો ખાનગી ક્ષેત્રની બૅન્કો યસ બૅન્ક, ઍક્સિસ બૅન્ક અને આઈસીઆઈસીઆઈ બૅન્કના એનપીએના આંકડાથી નજીક છે."

તો શું LICમાં લોકોના પૈસા ડૂબી રહ્યા છે?

ઇમેજ સ્રોત, Getty Images
એ સાચું છે કે વહી ખાતાની આ બગડેલી હાલતની અસર કંપનીઓ પર ચોક્કસ દેખાશે અને જો આ એનપીએ ન હોય તો વહી ખાતામાં નફાનો આંકડો વધેલો જોવા મળ્યો હોત.
આસિફ ઇકબાલ કહે છે, "સીધી રીતે તો એલઆઈસીના ગ્રાહકોએ ડરવાની જરૂર નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક નાણાકીય હિતો પર અસર તો જશે જ."
@country_corrupt હૅન્ડલથી ટ્વીટ કરાયું, "જ્યારે મધ્યમ વર્ગની કોઈ વ્યક્તિ એક હપ્તો ન ભરી શકે તો રિકવરી એજન્ટ આખા પરિવારને ધમકાવે છે. હવે અમીર ડિફૉલ્ટરોએ એલઆઈસીના કરોડો રૂપિયા ડૂબાડી દીધા છે, તો તેમને રદ કરી દેવાયા છે. શું સરકાર ધનિકો માટે છે?"
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
એ. જે. પ્રસાદે ટ્વીટ કર્યું, "શું રાહુલ ગાંધીને એ ખબર છે કે તેઓ એલઆઈસીના કયા એનપીએની વાત કરી રહ્યા છે. શું તેમને ખબર છે કે આ એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સની ઍક્સપોઝર છે. મોદી સરકાર તેના માટે કેવી રીતે જવાબદાર હોય. એ સારું રહેશે કે રાહુલ ગાંધી ટ્વીટ કરતા પહેલાં વિચારી લે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













