You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આખરે 'લા ઇલાહા ઇલ્લલ્લાહ' નારાથી પરેશાની કેમ છે? દૃષ્ટિકોણ
- લેેખક, અજિત સાહી
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે, વૉશિંગ્ટન ડીસીથી
નાગરિકતા સંશોધન કાયદો (સીએએ) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (એનઆરસી)ના વિરોધમાં કથિત રીતે 'લા ઇલાહા ઇલ્લલ્લાહ'ના નારા લગાવવામાં આવી રહ્યા હતા.
આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જે પછી કેટલાક લોકો તેને ઇસ્લામોફોબિયા પણ ગણાવી રહ્યાં છે.
ઇસ્લામોફોબિયા શબ્દને જુઓ તો તે બે શબ્દોની સંઘિથી બને છે. ઇસ્લામ અને ફોબિયા. ફોબિયાનો અર્થ એક ભય, આશંકા કે વધારે પડતી બીકનો મનોવિકાર એવો થાય છે.
કૉંગ્રેસ પાર્ટીના સાંસદ શશિ થરૂરે ઇસ્લામ બાબતે તાજેતરમાં એક ટ્વીટ કર્યું હતું અને તે ઇસ્લામોફોબિયાનો સ્પષ્ટ નમૂનો છે.
થરૂરે અંગ્રેજીમાં ટ્વીટ કર્યું કે 'લા ઇલાહા ઇલ્લલ્લાહ' ઇસ્લામી અતિવાદનું ઉદાહરણ છે.
એમણે લખ્યું કે "હિંદુ ચરમપંથ સામેની આપણી લડાઈથી ઇસ્લામી ચરમપંથીઓને એમ ન લાગવું જોઈએ કે આપણે તેમની સાથે છીએ. આપણે બેઉ તરફ ચરમપંથ સામે લડી રહ્યા છીએ. આપણે ધાર્મિક કટ્ટરતાને બહુલતા અને વૈવિધ્યની જગ્યા નહીં લેવા દઈએ."
થરૂરે આગળ લખ્યું, "આપણે સમાવેશી ભારતને બચાવી રહ્યા છીએ."
આમાં ચરમપંથ કે અતિવાદ જેવું શું છે?
"લા ઇલાહા ઇલ્લલ્લાહ"નો શાબ્દિક અર્થ થાય છે "અલ્લાહ સિવાય અન્ય કોઈ ભગવાન નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આની આગળની પંક્તિ છે "મુહમ્મદૂં રસૂલ અલ્લાહ" યાને કે "મહોમ્મદ અલ્લાહના પયગંબર છે."
આમાં ચરમપંથ શું છે? શું કોઈ ખ્રિસ્તી ઇશા મસીહને ભગવાનના પુત્ર માને તો એ કારણે એને ચરમપંથી ગણાવી શકાય? કે પછી કોઈ જે વિષ્ણુ કે શિવનો ઉપાસક હોય તો તેને ચરમપંથી માની લેવાય?
આખરે કેમ થરૂરને "લા ઇલાહી ઇલ્લલ્લાહ" સમાવેશી નથી લાગતો? કેમ એમને લાગે છે કે આ નારો નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં ચાલી રહેલા આંદોલનને ધાર્મિક ચરમપંથ તરફ દોરી જશે?
પૃથ્વીની સાત અબજની વસતિમાં પ્રત્યેક ચોથો માણસ મુસલમાન છે.
આખરે કારણ શું છે કે દુનિયાના પોણા બે અબજ મુસલમાનોના ધર્મમાં થરૂરને શાંતિ અને પવિત્રતા નથી દેખાતી? શીલ અને વિવેક નથી દેખાતો? એ નારાથી જનઆંદોલન વધારે ઉદાર, સહિષ્ણુ અને દયાળુ બની શકે એવું પણ થરૂરને ન લાગી શક્યું હોત?
સોશિયલ મીડિયામાં થરૂરને આ ટ્વીટને ભારતીય લિબરલ-સેક્યુલર વર્ગનું ઘણું સમર્થન મળ્યું, જેમાં બિનમુસ્લિમોની સંખ્યા ઘણી વધારે હતી.
આ એ સમુદાય છે જે દિલથી હિંદુત્વનો વિરોધ કરે છે અમે મુસ્લિમોનો હિમાયતી પણ છે પરંતુ ઇસ્લામ વિશે થરૂર જેવી જ માન્યતા ધરાવે છે.
આ વર્ગ કહી રહ્યો છે કે સડક પરના ઇંકલાબને ઇસ્લામી અસ્મિતાનો રંગ આપવામાં આવશે તો બિનમુસ્લિમો છટકી જશે અને આંદોલન નબળું પડશે.
આ વર્ગ એવો તર્ક પણ આપે છે કે જો આંદોલનકારીઓ પોતાની ધાર્મિક ઓળખ સામે લાવશે તો સરકાર એમને ધાર્મિક કટ્ટરપંથી ગણાવીને આંદોલન કચડી નાખશે.
જય ભીમ કહી શકીએ તો લા ઇલાહા ઇલ્લલ્લાહ કેમ નહીં?
ધ્યાન આપવા જેવી વાત એ છે કે જે વર્ગ મુસલમાનોને તેમની અસ્મિતાની અભિવ્યક્તિમાંથી રોકવા માગે છે તે વર્ગ દલિત સંઘર્ષમાં દલિત અસ્મિતા અને આદિવાસી સંઘર્ષમાં આદિવાસી અસ્મિતાને જોડવાનો સમર્થક રહ્યો છે.
જો સેક્યુલર-લિબરલ લોકો દલિત આંદોલનકારીઓની સાથે ખભેખભા મેળવીને "જય ભીમ"નો નારો પોકારી શકે છે તો મુસલમાનોની સાથે ઊભા રહીને "લા ઇલાહા ઇલ્લલ્લાહ"નો નારો કેમ નથી લગાવી શકતાં?
ભારતમાં "ઇસ્લામોફોબિયા" પર જાહેર ચર્ચા નગણ્ય છે એટલે બહુ બધા લોકોને તો એ સમજ જ નથી કે તેઓ વિનાકારણે પૂર્વગ્રહોનો શિકાર થઈ રહ્યા છે.
અફસોસની વાત તો એ છે કે ભારતનો લિબરલ-સેક્યુલર સમાજ ઇસ્લામ પર બૌદ્ધિક વિચાર-વિમર્શ પણ નથી કરતો.
ભારતના સેક્યુલર-લિબરલ લોકોને એ ખબર હોવી જોઈએ કે દાયકાઓથી પ્રતાડિત લઘુમતી મુસલમાનોને ઇસ્લામ જ હિંમત આપતો આવ્યો છે.
જે મુસ્લિમ મહિલાઓ કડકડતી ઠંડીમાં રસ્તાઓ પર બેઠી છે તેઓ પોતાના ધર્મથી જ હિંમત પામી રહી છે.
આજે ભારતની પોલીસ મુસલમાનોના ઘરમાં ઘૂસીને એમને ભયભીત કરે છે, એમના બાળકોને કેદ કરીને યાતનાઓ આપે છે, ગોળીબાર કરીને ખૂલે આમ હત્યા કરે છે અને તો પણ થરૂર ઇચ્છે છે કે મુસલમાન મુસલમાન ન બને?
જો સાચો લિબરલ હશે તે ભારતના મુસલમાનોને ઇસ્લામ સમેત કબૂલ કરશે.
માર્ચ 2019માં ન્યૂઝિ લૅન્ડમાં મસ્જિદમાં થયેલા આતંકી હુમલા પછી એ દેશના વડાં પ્રધાને હિજાબ પહેરીને મસ્જિદમાં ગયા હતા એવી રીતે કાં પછી આ અઠવાડિયામાં જ કેરળમાં એક ચર્ચના ખ્રિસ્તીઓ હિજાબ અને જાળીદાર ટોપીઓ પહેરીને કર્યો હતો.
ભારતના સેક્યુલર લિબરલ લોકો માટે એ જરૂરી થઈ ગયું છે કે તેઓ દુષ્પ્રચારથી હઠીને ઇસ્લામ અને ઇસ્લામિક ઇતિહાસની જાણકારી મેળવે.
પયગંબર મહોમ્મદનું જીવનચરિત્ર વાંચે, કુર્આન વાંચે અને મસ્જિદોમાં આવવા-જવાનું શરૂ કરે.
ઉદારવાદની આ શીખ આપણને ભારતના મુસલમાનોમાંથી જ મળે છે જેમણે ધાર્મિક હોવા છતાં અરુંધતી રૉય અને કવિતા કૃષ્ણન જેવા નાસ્તિક અથવા હિંદુ બુદ્ધિજીવીઓને ખૂલીને અપનાવ્યાં છે, તો પછી આપણે મુસ્લિમોનો ઇસ્લામ કેમ ઠુકરાવવો જોઈએ?
(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત છે, બીબીસીના નહીં.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો