ગુજરાત બજેટ સત્ર : ગુજરાત વિધાનસભાના જીવંત પ્રસારણ સામે સરકારને શું વાંધો છે?
ગુજરાતમાં બજેટ સત્ર અગાઉ ફરી એક વાર વિધાનસભા સત્રના જીવંત પ્રસારણનો મુદ્દો કૉંગ્રેસે ઉઠાવ્યો છે.
સોમવારે મળેલી ગુજરાત વિધાનસભાની બિઝનેસ ઍડવાઇઝરી કમિટીની મીટિંગ બાદ વિપક્ષના ઉપનેતા શૈલેશ પરમારે કહ્યું હતું કે કેરળ અને રાજસ્થાન જેવાં રાજ્યોની વિધાનસભાના સેશનનું લાઇવ પ્રોસિડિંગ કરી શકાતું હોય તો ગુજરાત સરકાર કેમ ના કરી શકે.
તો ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનું લાઇવ સ્ટ્રિમિંગ કરવાની વિપક્ષની માગણીને સરકારે 'મેટર સબજ્યુડિસ' હોવાનું કહીને ફગાવી દીધી છે.

ઇમેજ સ્રોત, gujaratassembly.gov.in
ગુજરાત સરકારે વિધાનસભાની કાર્યવાહીની સામગ્રી વેબસાઇટ પર મૂકી તેને માહિતી અધિકાર નિયમ હેઠળ પૂરી પાડવા મામલે કરાયેલી જાહેર હિતની અરજીનો વિરોધ કર્યો છે.
ગુજરાત હાઈકોર્ટમાં વિધાનસભાની કાર્યવાહી, નિયમિત કામગીરી, રજૂ થનારા દસ્તાવેજો, પ્રાઇવેટ મૅમ્બર બિલ, શૂન્યકાળની કામગીરી તથા પ્રશ્નો-તેના જવાબો અને ચર્ચાની વિગતો સહિતની સામગ્રી વેબ-પોર્ટલ પર મૂકવા માટે જાહેર હિતની અરજી થઈ હતી.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ સરકારે આ વિશે જવાબ આપતા કહ્યું કે આરટીઆઈની કલમ 4 હેઠળ સરકારને માહિતી માટે જો બાધિત કરવામાં આવે તો બંધારણની કલમ 194(3)નું ઉલ્લંઘન થશે.
સરકારને તેના પ્રસારણ અને પ્રકાશનને નિયમન કરવાના અધિકારો છે.
જેમાં જાહેર હિતની અરજીનો વિરોધ કરતા ડેપ્યુટી સેક્રેટરી રીટા મહેતાએ કહ્યું કે માહિતીનો અધિકાર એ સંપૂર્ણ અધિકાર નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

વિધાનસભાનું લાઇવ પ્રસારણ કેમ નહીં
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
અત્રે નોંધવું કે ગત વર્ષે પિટિશનકર્તા નીતા હાર્દિકરે દાવો કર્યો હતો કે રાજ્ય સરકારની વેબસાઇટ તો છે, પણ તેમાં વિધાનસભામાં શું થાય છે તેની સામગ્રી મૂકવામાં નથી આવતી.
દરમિયાન, સરકારની વેબસાઇટ મામલે બીજી વિગતો મહિનાના અંતે થનારી વધુ સુનાવણીમાં સરકાર પૂરી પાડશે એવું રાજ્ય કાયદા અધિકારીએ હાઈકોર્ટને જણાવ્યું હતું.
વળી અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન ગૃહની કાર્યવાહી અંગેની માહિતી સામાન્ય જનતાને મળી રહે એ માટે ગુજરાત સરકાર સરકારી અને ખાનગી ચેનલો પર 'લોકશાહીના ધબકારા' નામનો કાર્યક્રમ ચલાવે છે.
જોકે, આ કાર્યક્રમ લાઇવ એટલે કે જીવંત હોતો નથી અને પહેલાં રૅકોર્ડ કરીને ચલાવવામાં આવે છે. ત્યારે ગૃહની કાર્યવાહીનું જીવત પ્રસારણ કરવામાં આવે એવી માગ કેટલાય સમયથી ઉઠતી રહી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાત વિધાનસભામાં વિપક્ષના તત્કાલીન નેતા પરેશ ધાનાણીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું, "લોકોના મતથી ચૂંટાયેલી સરકાર શું શ્રેષ્ઠ કરી રહી છે એ લોકોને જાણવાનો અધિકાર છે અને લોકોનો મતથી ચૂંટાયેલો વિપક્ષ સરકારનાં નીતિનિયોમો અને કાર્યમાં રહેલી ક્ષતિને કઈ રીતે ઉજાગર કરે છે એ પણ લોકોને જાણવાનો અધિકાર છે."
ધાનાણીના જણાવ્યા અનુસાર સરકારની નિષ્ફળતા અને વિરોધપક્ષની કાર્યવાહીથી લોકોને વંચિત રાખવાનો પ્રયાસ કરાયો છે. છેલ્લાં સાત વર્ષથી વિધાનસભાનું સત્રનું જીવંત પ્રસારણ કરાઈ રહ્યું નથી.
ધાનાણી ઉમેરે છે, "સાડા પાંચ કલાકની કાર્યવાહીમાંથી માત્ર સરકારની સકારાત્મક કાર્યવાહીને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ થાય છે જેનો અર્થ એ થયો કે લોકશાહીના મંદિરને પણ સરકાર પ્રચારનું પ્લેટફોર્મ માત્ર બનાવી રહી છે."
આ પહેલાં પણ ધાનાણીએ ગુજરાત વિધાનસભાના તત્કાલીન સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીને પત્ર લખીને માગ કરી હતી કે ગુજરાત વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવામાં આવે.

એ કથિત વિવાદ જેના કારણે પ્રતિબંધ મુકાયો

ઇમેજ સ્રોત, gujaratinformation.official
2012 સુધી ગુજરાત વિધાનસભામાં સરકારી અને ખાનગી ટી.વી. ચૅનલ અને અખબારોના ફોટોગ્રાફરને પ્રવેશ આપવામાં આવતો હતો.
અંદાજપત્ર સત્રના પ્રથમ દિવસે વિધાનસભાના ફ્લોર પર થોડા સમય માટે દરેક ખાનગી અને સરકારી ચેનલને પ્રૉસિડિંગનું રિકૉર્ડિંગ કરવા દેવામાં આવતું હતું.
એટલું જ નહીં ગુજરાત વિધાનસભાની દિવસભરની કાર્યવાહી રૅકૉર્ડ કરી ટી.વી.પર પ્રસારિત કરી શકાય એ માટેની પણ જોગવાઈ હતી.
આ કથિત ઘટનાને યાદ કરતાં એક સમયના ભાજપના ધારાસભ્ય રહેલા અને બાદમાં કૉંગ્રેસમાં જોડાયેલા જિતુ પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું, "માર્ચ મહિનામાં અંદાજપત્ર સત્રમાં ભાજપના બે ધારાસભ્ય શંકર ચૌધરી અને જેઠા ભરવાડ પર આરોપ લાગ્યા હતા કે તેઓ વિધાનસભામાં બેસીને આઈપેડમાં અયોગ્ય ફિલ્મ જોતા હતા."
"એક રાષ્ટ્રીય ખાનગી ચૅનલ અને સ્થાનિક અખબારે આ સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા, ત્યારબાદ ભારે હોબાળો થયો હતો."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
"એ પછીના સમયમાં નિર્ણય લેવાયો હતો કે પત્રકારોને કૅમેરા સાથે વિધાનસભામાં ન આવવા દેવા." અલબત્ત, ત્યારબાદ થયેલી તપાસમાં બંને ધારાસભ્યો નિર્દોષ સાબિત થયા હતા.
આ અંગે બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યે રાજ્યકક્ષાના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પત્રકાર પરિષદમાં સવાલ પૂછ્યો હતો.
જોકે, જવાબ આપવાને બદલે પત્રકાર પરિષદમાંથી ચાલવા માંડ્યું હતું. આ અંગે વાત કરતાં ગુજરાત વિધાનસભાના તત્કાલીન અધ્યક્ષ ગણપત વસાવાએ કહ્યું હતું, "બંને ધારાસભ્યો એ વખતે જે આઈપેડ જોઈ રહ્યા હતા એ જપ્ત કરાયું હતું."
"આઈપેડની એફએસએલ તપાસ થયા બાદ તેમાંથી 400 ફોટો અને 11 વીડિયો મળ્યા હતા. પરંતુ કશુંજ વાંધાજનક મળ્યું ન હતું, પરંતુ આ ઘટનાનો પત્રકારોના કૅમેરા સાથેના પ્રવેશ પર રોક લગાવવા સાથે કોઈ સંબંધ નથી."
"માત્ર વ્યવસ્થાના ભાગરૂપે કોઈને અડચણ ન થાય એ માટે વિધાનસભાના પ્રાંગણમાં વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી વિધાનસભાની કાર્યવાહી દરમિયાન કોઈને તકલીફ ન પડે."

વિપક્ષના આક્ષેપ

ઇમેજ સ્રોત, Getty Images
જિતુભાઈ પટેલનું કહેવું હતું, "અમે અનેકવાર વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ થાય એ માટે રજૂઆત કરી હતી, પણ કોઈ તૈયાર થતું નથી"
"આવું કરવાથી વિધાનસભામાં કઈ રીતે પ્રજાના પ્રતિનિધિનો અવાજ દબાવી દેવામાં આવે છે, એ વાતની લોકોને ખબર પડી જશે. દેશની અન્ય વિધાનસભાની માફક કાર્યવાહીનું જીવંત પ્રસારણ થાય તો લોકોને ખબર પડશે કે વિધાનસભામાં એમણે ચૂંટીને મોકલેલા પ્રતિનિધિઓ શું કરે છે."
વિધાનસભામાં સરકાર ભીંસમાં મુકાય એવા સવાલોને કોરાણે મુકાવા અંગે પટેલે કહ્યું હતું કે, "સરકાર એમને અનુકૂળ ના આવે એવા સવાલ ને ટાળવા માટે પૂરતો પ્રયાસ કરે છે. વિધાનસભામાં પ્રશ્નોતરી સમયે 12 જેટલા સવાલ પુછાય છે."
"જો એમાં સરકાર ભીંસમાં આવે એવા સવાલ હોય ત્યારે અગાઉ થી નક્કી થયેલી રણનીતિ પ્રમાણે સરકારને સાનુકૂળ સવાલ સમયે પ્રધાનોને લાંબા જવાબ આપવાનું કહેવાય છે, જેથી સમય વધારે પસાર થાય"

'પ્રજાને ખબર હોવી જોઈએ'

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત વિધાનસભાનું લાઇવ ટેલિકાસ્ટ કરવાની સૌપ્રથમ દરખાસ્ત ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી સુરેશ મહેતાએ કરી હતી.
બીબીસી સાથેની વાતચીત માં સુરેશ મહેતાએ કહ્યું હતું, "ગુજરાત વિધાનસભામાં પ્રજાએ ચૂંટીને મોકલેલા પ્રતિનિધિ શું કરે છે એની જાણકારી જનતાને હોવી જોઈએ"
"એટલે મેં સૌપ્રથમ ગુજરાત વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ થાય એવી દરખાસ્ત મૂકી હતી. આ દરખાસ્તને તે સમયમાં અમારા સિનિયર પ્રધાન અશોક ભટ્ટે પણ સમર્થન આપ્યું હતું"
"અશોક ભટ્ટ કાયમ એ વાતની તરફેણમાં હતા કે વિધાનસભાનું જીવંત પ્રસારણ થવું જોઈએ, પરંતુ સરકાર એટલે જીવંત પ્રસારણ નથી કરતી કે આજકાલ ધારાસભ્યોનું સ્તર ઘણું નીચે ઊતરી ગયું છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
ભાજપનના નેતા અશોક મહેતા 12મી વિધાનસભા દરમિયાન ગુજરાત વિધાનસભાના સ્પીકરપદે રહ્યા હતા. તે સમયે વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા.
મહેતાએ ઉમર્યું હતું, "જે પ્રકારે વિધાનસભાનું સંચાલન થાય છે એ લોકો સુધી ન પહોંચે એટલે જ વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવાનું ટાળવામાં આવે છે"
"જો પારદર્શકતા હોય તો મહારાષ્ટ્ર, બિહાર, ઉત્તર પ્રદેશ અને ઝારખંડની જેમ વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવું જોઈએ, પરંતુ સરકારની દાનત જ નથી કે લોકો સુધી આવી વાતો પહોંચે એટલે વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ નથી કરાતું."
મહેતા વર્ષ 1995-'96 દરમિયાન ગુજરાતના મુખ્ય મંત્રીપદે રહ્યા હતા. ત્યારબાદ શંકરસિંહ વાઘેલા તેમના સાથીઓ સાથે ભાજપથી અલગ પક્ષ (રાજપ) સ્થાપ્યો અને કૉંગ્રેસના ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા.

"પ્રજાના પ્રશ્નો પર વધુ ગંભીરપણે વિચારતા થશે ધારાસભ્યો"

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને ગુજરાત એનસીપી (નેશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી)ના નેતા શંકરસિંહ વાઘેલા એ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું, "જો વિધાનસભાનું જીવંત પ્રસારણ થાય, તો ચૂંટાઈને આવેલા ધારાસભ્ય શું કરે છે, એની પ્રજાને ખબર પડે."
"એટલું જ નહીં જીવંત પ્રસારણના કારણે વિધાનસભામાં ધારાસભ્યોનું સ્તર નીચે જઈ રહ્યું છે, એ વિશે પણ લોકોને ખબર પડે."
"પ્રજાલક્ષી બાબતોમાં ક્યાં ઢાંકપિછોડો થઈ રહ્યો છે એ લોકો સામે આવે માટે વિધાનસભાનું લાઇવ પ્રસારણ થવું જ જોઈએ. સાચા અર્થમાં જ્યારે વિધાનસભામાં વિપક્ષને કેવા સંજોગોમાં વૉકાઉટ કરવું પડે છે, એ અંગે લોકોને માહિતી મળે એટલા માટે પણ વિધાનસભાનું જીવંત પ્રસારણ થવું જ જોઈએ."
ભાજપથી અલગથઈને શંકરસિંહે રાષ્ટ્રીય જનતા પક્ષ (રાજપ)ના નામે અલગ રાજકીય પક્ષ બનાવ્યો હતો, જેને બાદમાં કૉંગ્રેસમાં ભેળવી દેવાયો હતો.
વર્ષ 2017માં વિધાનસભા ચૂંટણી પૂર્વે તેઓ કૉંગ્રેસથી અલગ થયા હતા અને 'જનવિકલ્પ પાર્ટી'ની સ્થાપના કરી હતી.

"વિપક્ષની ભૂમિકા સામે આવશે"

ઇમેજ સ્રોત, Getty Images
આ અંગે બીબીસી સાથે વાતચીત કરતાં કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું, "ગુજરાત વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ થવું જ જોઈએ, જેથી ગુજરાતની પ્રજાને ખબર પડે કે ગુજરાતમાં સબસલામતના નામે સરકાર શું કામ કરી રહી છે."
"વિધાનસભામાં કાયમ વિરોધપક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ કરાય છે, વિપક્ષની કામગીરી અંગે લોકોને ખબર પડે અને સરકાર દ્વારા જે તાનાશાહી ચાલી રહી છે એનાથી લોકો વાકેફ થાય, એ માટે પણ જીવંત પ્રસારણ સમયની જરૂરિયાત છે."
"હાલ સરકાર લોકશાહીના ધબકારાના નામે પેઇડ કાર્યક્રમ ચલાવે છે, જેમાં માત્ર સરકારની વાહવાહી કરાય છે, વિપક્ષનો કોઈ પક્ષ રખાતો નથી આ કાર્યક્રમ સરકાર દ્વારા એડિટ કરીને બતાવાય છે."
મોઢવાડિયા ગુજરાત વિધાનસભામાં વિપક્ષ કૉંગ્રેસના નેતાપદે રહી ચૂક્યા છે અને ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષપદે પણ રહ્યા છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
આ અંગે વરિષ્ઠ પત્રકાર દેવેન્દ્ર પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ થવું જ જોઈએ, ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલના ગુજરાતમાં લોકોને પારદર્શકતા મળે અને લોકસભા, રાજ્યસભાની જેમ કાર્યવાહીની ખબર પડે એ માટે આ વ્યવસ્થા અમલી બનવી જ જોઈએ."
"જો વિધાનસભાનું જીવંત પ્રસારણ થશે તો ધારાસભ્યો પણ પ્રજાના પ્રશ્નો અંગે જાગૃત રહેશે."
ગુજરાત વિધાનસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "વિધાનસભાનું લોકસભા અને રાજ્યસભાની જેમ જીવંત પ્રસારણ થવું જોઈએ, એમાં કંઈ ખોટું નથી. સુપ્રીમ કોર્ટે પણ ધારાસભ્યોનું સંખ્યાબળ ગણવાનું હોય, ત્યારે જીવંત પ્રસારણ કરવા ટકોર કરી છે."
"ગુજરાત વિધાનસભામાં દિવસ દરમ્યાન શું કાર્યવાહી થઈ એની માહિતી સામાન્ય જનતાને મળી રહે એ માટે ઘણા લાંબા સમયથી ગુજરાત સરકાર સરકારી અને ખાનગી ચૅનલ પર 'લોકશાહીના ધબકારા' નામનું કાર્યક્રમ ચલાવે છે"
"જેમાં વિધાનસભાની દિવસભરની કાર્યવાહી આવી જાય છે એટલે એ કાર્યક્રમ પણ જીવંત પ્રસારણથી કમ નથી, સરકાર પારદર્શકતા બતાવવાનો પ્રયાસ કરી રહી છે, ત્યારે કોઈ એમ કહેતું હોય કે સરકાર કઈ છુપાવવા માંગે છે તો એ ખોટું છે."
બીબીસીએ આ મામલે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીનો સતત સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓ વિધાનસભાની કાર્યવાહીમાં વ્યસ્ત હોવાનું જણાવી, આ મુદ્દે પ્રતિભાવ આપવાનું ટાળ્યું હતું.
(મૂળ આર્ટિકલ 2019ના રોજ લખાયો હતો, જેને વિગતો ઉમેરીને અપડેટ કરાયો છે.)


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 5
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












