રામજન્મભૂમિ અયોધ્યા : કૉંગ્રેસની એ ભૂલો જેણે નોતર્યો પક્ષનો રાજકીય વનવાસ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, હરિશ ખરે
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
એ એક નોંધપાત્ર યોગાનુયોગ છે કે 'અયોધ્યાનો વિવાદ' કૉંગ્રેસ પક્ષ જેટલો જ જૂનો છે, કેમ કે 'જન્મસ્થાન' પર મંદિર બાંધવા માટે સૌપ્રથમ કાનૂની દાવો જાન્યુઆરી 1885માં કરાયો હતો અને તે જ વર્ષના ડિસેમ્બરમાં ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસ (ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)ની સ્થાપના માટેનું અધિવેશન મળ્યું હતું.
આઝાદી પછી કૉંગ્રેસ પક્ષ બે અભિગમ સાથે પોતાનું વલણ નક્કી કરતો આવ્યો છે.
એક હતા રૂઢિવાદી/પરંપરાવાદી કૉંગ્રેસીઓનો, જેઓ ભલે બહુમતીમાં નહોતા, પણ તેમની સંખ્યા સારી એવી હતી. બીજું કે તેમનું રૂઢિચૂસ્તપણું સાંપ્રદાયિક પ્રકારનું નહોતું કે મુસ્લિમો તરફ તેઓને દ્વેષ નહોતો.
આ પરંપરાવાદી કૉંગ્રેસીઓ એવું માનવા પ્રેરાયા હતા કે મુસ્લિમોને ખોટું લગાડ્યા વગર, હિન્દુઓની ભાવનાઓનો આદર થઈ શકે છે. ગોવિંદવલ્લભ પંતની આગેવાની હેઠળના આ કૉંગ્રેસી નેતાઓ પોતાના આવા અભિગમમાં વિશ્વાસ ધરાવતા હતા.
બીજો વિચારપ્રવાહ કૉંગ્રેસમાં હતો તે સરદાર પટેલની આગેવાની હેઠળનો હતો, જેઓ માનતા હતા કે સ્વતંત્ર ભારત આધુનિક પ્રકારનું જ હોવું જોઈએ, જ્યાં કાયદાનું શાસન જ હંમેશાં ચાલે અને તેના માટે લઘુમતી કે બહુમતીની લાગણીઓની બહુ પરવા કરવાની ના હોય.

ઇમેજ સ્રોત, Getty Images
ડિસેમ્બર 22-23, 1949ની રાત્રે રામલલાની મૂર્તિ છુપી રીતે ફૈઝાબાદની બાબરી મસ્જિદમાં રાખી દેવામાં આવી, ત્યારે ગોવિંદવલ્લભ પંતની આગેવાની હેઠળની સંયુક્ત પ્રાંતની સરકારે હિન્દુ સમાજનાં ગરબડ કરનારાં તત્ત્વોને ચલાવી લેવાનું વલણ રાખ્યું હતું.
આવું વલણ સરદાર પટેલને યોગ્ય લાગ્યું નહોતું.
તેથી તેમણે 9 જાન્યુઆરી 1950ના રોજ પંતને શાસનનો પ્રથમ સિદ્ધાંત સમજાવતો પત્ર લખ્યો હતો, "આ પ્રકારના વિવાદોનો ઉકેલ બળપ્રયોગથી લાવી શકાય નહીં. એવા સંજોગોમાં કાયદો અને વ્યવસ્થાની તાકાતનો ઉપયોગ કરીને કોઈ પણ ભોગે શાંતિ જાળવવી જોઈએ. તેથી શાંતિમય અને સમાધાનકારી પદ્ધતિઓ અપનાવવી હોય તો આક્રમકતા પર આધારિત કે દાદાગીરી સાથેના કોઈ પણ અભિગમને ચલાવી લઈ શકાય નહીં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે ભારત હજુ આઝાદ જ થયું હતું અને રાષ્ટ્રીય નેતાઓ સામે બીજી વિકરાળ સમસ્યાઓ ઊભી હતી.
તેથી તેઓ આવા નાના સ્થાનિક વિખવાદો તરફ વધુ ધ્યાન આપી શકે તેમ નહોતા. આમ પણ તેઓ ભારતનું નવું બંધારણ તૈયાર કરી રહ્યા હતા અને તેમને વિશ્વાસ હતો કે નવી બિનસાંપ્રદાયિક વ્યવસ્થા આગામી વર્ષો અને દાયકામાં દેશમાં મજબૂત રીતે સ્થાપિત થઈ શકશે.

ઇમેજ સ્રોત, Getty Images
અપેક્ષા પ્રમાણે જ અયોધ્યાના મામલે કાનૂની લડાઈ શરૂ થઈ ગઈ હતી અને યથાસ્થિતિ જાળવવાના હુકમ સાથે 'વિવાદિત સ્થળ'ને તાળાં મારી દેવાયાં હતાં. નહેરુની કલ્પનાનું ભારત આકાર લઈ રહ્યું હતું અને ઉદારવાદ, સમાજવાદ, બિનસાંપ્રદાયિકતાની વિચારસરણી અને આદર્શ બૌદ્ધિક રીતે મજબૂત બની રહ્યાં હતાં.
હિન્દુ મહાસભા જેવા 'ધાર્મિક/કોમવાદી' પરિબળો અને નવો રચાયેલો ભારતીય જન સંઘ હિન્દુ બહુમતીનાં અધિકૃત્ત પ્રવક્તા તરીકેની ઓળખ ઊભી કરવામાં સફળ થયાં નહોતાં.
1952માં પ્રથમ વાર ચૂંટણીઓ યોજાઈ, તેમાં આ પક્ષો અને જૂથોનો દેખાવ બહુ નબળો રહ્યો હતો. સામી બાજુએ કૉંગ્રેસ રાજકીય રીતે પોતાનું સ્થાન અડગ રાખી શકી હતી અને ચૂંટણીઓમાં સફળતા પણ મેળવી શકી હતી.
કૉંગ્રેસના મોવડીઓ બહુમતી સમુદાયના પક્ષ તરીકે પોતાની છાપ ઊભી કરવાની સાથે મુસ્લિમ નેતાઓ અને તેમની ભાવનાઓને પણ સમાવી લેવા માટેની શક્તિ અને કુશળતા ધરાવતા હતા તેવું લાગતું હતું.
કૉંગ્રેસ પક્ષની મજબૂતી, વ્યાપકતા અને એકતા જળવાઈ રહી ત્યાં સુધી કોમવાદી અને ધાર્મિક પરિબળોનો ભાવ ભાગ્યે જ રાષ્ટ્રીય સ્તરે કોઈ પૂછતું હતું.
1967માં લોકસભાની ચોથી ચૂંટણી યોજાઈ તે પછી જ કૉંગ્રેસમાં નેતાગીરીના આંતરિક ઝઘડા શરૂ થયા હતા. તે સાથે જ પક્ષની બિનસાંપ્રદાયિકતા અંગેની સ્પષ્ટ સમજ પણ ભૂંસાવા લાગી હતી.
બીજી બાજુ ધાર્મિક હિન્દુ રાજકીય પરિબળો એટલાં હોંશિયાર નીવડ્યાં કે તેમણે ઇંદિરા ગાંધી સામે રાજવી પરિવારો અને તેની સાથે જોડાયેલાં પરિબળોને એકઠાં કરવાની તક ઝડપી લીધી. ઇંદિરા ગાંધીની સરકારે રજવાડાંના સાલિયાણાં નાબૂદ કર્યાં હતાં તેથી તેમને આવી તક મળી ગઈ હતી.

ઇમેજ સ્રોત, Getty Images
સામંતી અને ધાર્મિક સંસ્થાઓ એક થઈ તેના કારણે નહેરુવાદી વિચારસરણી સામે પડકાર ઊભો થયો હતો. જોકે, ઇંદિરા ગાંધીએ તરત જ સિફતપૂર્વક લોકતાંત્રિક અને પ્રગતિશિલ પરિબળોને એકત્ર કરીને લોકતંત્રના બિનસાંપ્રદાયિક પરિવેશને જાળવી રાખ્યો હતો.
બિનસાંપ્રદાયિક શાસનના સિદ્ધાંતો વિશેની આ વ્યૂહાત્મક સમજ કૉંગ્રેસમાં હતી, તે રાજીવ ગાંધી વડા પ્રધાન બન્યા તે પછી ભૂંસાવા લાગી અને સમગ્ર પરિવેશ તૂટવા લાગ્યો હતો. યુવાન અને બિનઅનુભવી રાજીવ ગાંધી કોઈ ચોક્કસ રાજકીય વિચારસરણીથી રંગાયેલા નહોતા.
ગાંધી અને નહેરુની ભવ્ય પરંપરાને ના જાણતા અર્ધદગ્ધ નવા સલાહકારોથી રાજીવ ગાંધી દોરવાઈ ગયા. ઇંદિરા ગાંધીએ જે લોકોને અત્યાર સુધી દૂર રાખ્યા હતા, તેમને હવે પોતાનો કક્કો ખરો કરાવવાની તક મળી ગઈ હતી.
1984ની ચૂંટણી વખતે બહુમતી પ્રજાની લાગણીને સ્પર્શે એવો ચૂંટણીપ્રચાર કરાયો હતો, જે આમ બહુ સફળ રહ્યો હતો, પણ સલાહયોગ્ય બિલકુલ નહોતો. ભાજપ (માત્ર બે બેઠકો સાથે) સાવ ધોવાઈ ગયો હતો પણ સંઘ પરિવારને ખ્યાલ આવી ગયો હશે કે 'કૉંગ્રેસ જે કરી શકે તે આપણે કેમ ના કરી શકીએ!'
સંઘ પરિવારને ઇશ્વરકૃપાથી એવી તક પણ તરત મળી જવાની હતી. તદ્દન નવા અને વ્યવહારુ વડા પ્રધાન અને તેમના વિચારસરણીથી સાવ પર એવા તકવાદી સલાહકારોએ આવી તક ઊભી પણ કરી આપી.
શાહબાનોનો કેસ આવી પડ્યો. ફેબ્રુઆરી 1986માં અયોધ્યામાં તાળાં ખોલવામાં આવ્યાં. અચાનક કોમવાદી દલીલો, કોમવાદી વ્યક્તિત્વો, કોમવાદી જૂથબંધી સ્વીકાર્ય અને આબરૂદાર ગણાવાં લાગ્યાં.
રાજીવ ગાંધીની ભૂલો અને ખોટી ગણતરીઓને કારણે અયોધ્યાનો વિવાદ ફરી બેઠો થયો, જેનો દોરીસંચાર હવે સંઘ પરિવારના હાથમાં જ રહેવાનો હતો.
રાજીવ ગાંધીના રાજકીય સચિવ તરીકે રહેલા એમ. એલ. ફોતેદારે પોતાનાં સંસ્મરણો 'ધ ચિનાર લીવ્જ'માં દુઃખ સાથે લખ્યું છે:
"ઇંદિરાજી સાથે મેં નીકટતાથી કામ કર્યું હતું એટલે હું સમજી શકતો નહોતો કે નહેરુ-ગાંધી પરિવારને જરાય ન શોભે તેવું કાર્ય રાજીવજી કેમ કરી રહ્યા હતા?"

ઇમેજ સ્રોત, Getty Images
રાજીવ ગાંધી ટૂંકા ગાળાના વ્યૂહાત્મક ફાયદા માટે વિચારી રહ્યા હતા ત્યારે સંઘ પરિવાર પોતાની જૂની ગણતરીઓને મક્કમપણે અમલમાં મૂકવા માટે તૈયારી કરી રહ્યો હતો.
સંઘ પોતાની વિચારધારાને જગાડી રહ્યો હતો કે 'આ ભૂમિ હિન્દુઓની છે અને હિન્દુઓના લાભાર્થે બંધારણ કેવી રીતે કામ કરે તેનો નિર્ણય હિન્દુઓના હાથમાં જ હોવો જોઈએ.' ( જેવું કે સંઘ પરિવાર કહે છે કે 'બિનસાંપ્રદાયિક સમૂહ' દ્વારા નહીં.)
રાજીવ ગાંધી બાદ પી. વી. નરસિંમ્હા રાવ કૉંગ્રેસના પ્રમુખ અને બાદમાં વડા પ્રધાન બન્યા ત્યારે તેઓ સમજી શક્યા હતા કે દેશની અગ્રતા આર્થિક સુધારાની છે.
દેશના ખાડે ગયેલા અર્થતંત્રને સુધારવું પડશે એ માટે મથામણ તેઓ કરવા માગતા હતા પણ સાથે બીજા મોરચે લડવા માટેની તાકાત કે કૉંગ્રેસનાં બીજાં જૂથોનું સમર્થન તેમની સાથે નહોતું.
તેથી તેમણે અયોધ્યાના આંદોલનને એમ જ ચાલવા દીધું અને તેના કારણે આખરે બાબરી મસ્જિદ તોડી પડાઈ. 6 ડિસેમ્બરે વિધ્વંસ થાય તે માટેનાં બીજ રોપાઈ ગયાં હતા.

ઇમેજ સ્રોત, Getty Images
તે ઘટના પછી કૉંગ્રેસ પક્ષ પોતાના બિનસાંપ્રદાયિક મિજાજને આગળ કરીને ભાજપના કોમવાદી એજન્ડાને પડકારવાની હિંમત કરી શક્યો નથી.
કૉંગ્રેસે અયોધ્યાની સમસ્યા સુપ્રીમ કોર્ટને સોંપીને સંતોષ માની લીધો હતો. તેથી આખરે સુપ્રીમ કોર્ટનો અયોધ્યા વિશેનો ચુકાદો આવ્યો ત્યારે કૉંગ્રેસ પાસે 'સૌએ ચુકાદો સ્વીકારવો જોઈએ અને માન આપવું જોઈએ' તેવું બોલવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નહોતો.
2014ની લોકસભાની ચૂંટણીઓ પછી કૉંગ્રેસ, જેને 'એ .કે. ઍન્ટોની થીસિસ' કહેવામાં આવે છે તેવી માન્યતામાં ફસાઈ ગઈ છે કે પક્ષની છાપ હિન્દુ-વિરોધી હોવાની ઉપસી છે અને તેથી જ તે ચૂંટણીઓમાં હારી ગયો છે.
તેથી જ સુપ્રીમ કોર્ટે જ્યારે ચુકાદો આપી દીધો કે 'મંદિર વહીં બનેગા' ત્યારે કૉંગ્રેસ પાસે તેને સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. આજે પણ રાજીવ ગાંધીએ કરેલી ભૂલો અને મૂર્ખામીઓ કૉંગ્રેસ પક્ષ ભોગવી રહ્યો છે.
(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચારો લેખકના પોતાના છે અને બીબીસીના નથી. આ લેખ સૌપ્રથમ 14 નવેમ્બર, 2019ના રોજ પ્રકાશિત થયો હતો.)



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














