You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'મહા' વાવાઝોડું પોરબંદરથી 650 કિમી દૂર, NDRFની ટીમો ખડે પગે
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
અરબ સાગરમાં ઉત્પન્ન થયેલું અને ગુજરાત તરફ આગળ વધી રહેલું 'મહા' વાવાઝોડું નબળું પડે એવા સંકેતો મળી રહ્યા છે.
આ 'મહા' વાવાઝોડું પોરબંદર અને દીવની વચ્ચેથી ગુજરાત પર આવશે. હાલ તે અરબ સાગરમાં પોરબંદરથી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ 650 કિલોમિટર દૂર છે, જ્યાપે વેરાવળથી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં 700 કિલોમિટર દૂર છે.
હવામાન વિભાગના કહેવા પ્રમાણે વાવાઝોડું છેલ્લા છ કલાકથી ચાર કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર દિશામાં આગળ વધે છે.
હવામાન વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે આ વાવાઝોડું 7મી નવેમ્બરના રોજ ગુજરાતના કિનારે ત્રાટકે તેવી શક્યતા છે.
હવામાન વિભાગના કહેવા પ્રમાણે 7મી નવેમ્બરે સવારે દીવના દરિયાકાંઠાના વિસ્તારમાં 70થી 80 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
એનડીઆરએફની 32 ટીમોને જામનગર તથા અમદાવાદ ઍર સ્ટેશન ખાતે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
ફોટો-જર્નાલિસ્ટ દીપમ ભચેચ સાથેની વાતચીતમાં ફાયર ચીફ ઑફિસર એમ. એફ. દસ્તૂરે જણાવ્યું, "તમામ કંટ્રોલ સ્ટેશનો સ્ટેન્ડ બાય પર છે અને તમામ કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે."
વાવાઝોડું આવનારા સમયમાં નબળું પડશે
ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે આ વાવાઝોડું આવનારા 12 કલાક પછી નબળું પડે તેવી શક્યતા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અહેવાલ પ્રમાણે આ વાવાઝોડું હજી ઉત્તર દિશા તરફ આગળ વધશે અને ત્યાર બાદ તે પૂર્વ-ઈશાન દિશા તરફ ઝડપથી આગળ વધવા લાગશે.
આ જ રસ્તે તે દીવ અને પોરબંદર વચ્ચેના દરિયાકાંઠેથી ગુજરાત પર આવશે પરંતુ ત્યાં સુધીમાં તેની તાકાતમાં ઘટાડો થઈ ગયો હશે.
સ્કાયમેટના અહેવાલ અનુસાર એવું માનવામાં આવે છે કે ગુજરાત પર વાવાઝોડું ત્રાટકશે ત્યારે તેની ગતિ કલાકના 80-90 કિલોમિટર હશે, જે વધીને પ્રતિ કલાક 100 કિલોમિટર સુધી જઈ શકે છે.
આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ
વાવાઝોડાના કારણે હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવી ગયો છે.
અનેક વિસ્તારોમાં વાતાવરણ વાદળછાયું છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.
6 નવેમ્બરના રોજ સૌરાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.
સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, બોટાદ જિલ્લાઓમાં 6 અને 7 નવેમ્બરના રોજ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.
જ્યારે અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, દીવ વગેરેમાં પણ 6 અને 7 નવેમ્બરના દિવસે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
ગુજરાતના અન્ય વિસ્તારોમાં ભારેથી હળવો કે મધ્યમ વરસાદ પડી શકે છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના પણ કેટલાક જિલ્લાઓમાં વાવાઝોડાની અસર જોવા મળશે.
વાવાઝોડાને લઈને સરકારની તૈયારીઓ
વાયુ વાવાઝોડા વખતે ગુજરાત સરકારે લોકોને ખસેડવાનું અભિયાન હાથ ધર્યું હતું અને લાખો લોકોને સલામત સ્થળે ખસેડ્યાં હતાં.
'મહા' વાવાઝોડાના ભયને જોતાં ગુજરાત સરકાર હરકતમાં આવી ગઈ છે અને લોકોને જાગૃત કરવાનું અભિયાન શરૂ કરી દીધું છે.
વાવાઝોડાને લઈને રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણી અધ્યક્ષતામાં પાટનગર ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી.
જેમાં મુખ્ય મંત્રી, ઉપ મુખ્ય મંત્રી સહિત ગુજરાત રાજ્યના કેટલાક અધિકારીઓ સામેલ થયા હતા.
રાજ્યમાં હાલ 15 એનડીઆરએફની ટીમો છે અને હજી વધુ 15 ટીમો આવી રહી છે, જેથી બચાવ અને રાહત કામગીરી ઝડપથી કરી શકાય.
દરિયામાં ગયેલી 12 હજારથી પણ વધારે બોટો સહીસલામત પરત આવી ગઈ છે અને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો