SC/ST ઍટ્રોસિટી ઍક્ટ : સુપ્રીમ કોર્ટે આંશિક રિવ્યૂ મંજૂર રાખ્યો, હવે તપાસ વિના ફરિયાદ અને ધરપકડ થઈ શકશે

સુપ્રીમ કોર્ટે માર્ચ 2018માં SC/ST ઍટ્રોસિટી ઍક્ટ પર આપેલો પોતાનો ચુકાદો આંશિક રીતે ફેરવી તોળ્યો છે અને કહ્યું કે અનુસૂચિત જાતિ અને જનજાતિઓનો સમાનતા માટેનો સંઘર્ષ હજી પૂરો નથી થયો.

ત્રણ જજની બનેલી સુપ્રીમ કોર્ટની બેન્ચે SC/ST ઍટ્રોસિટી ઍક્ટના ઉલ્લંઘનના કેસમાં જેમની સામે આરોપ હોય એની ધરપકડ કરવા માટે પહેલાંથી મંજૂરી લેવાનો તેમજ ફરિયાદ નોંધતાં અગાઉ પણ પ્રાથમિક તપાસ કરવાનો આદેશ પાછો ખેંચી લીધો છે.

ગત વર્ષે સુપ્રીમ કોર્ટના એ.કે. ગોયલ અને યૂ.યૂ લલિતની બેન્ચે SC/ST અત્યાચાર નિવારણ અધિનિયમ (ઍટ્રોસિટી ઍક્ટ) પર ગંભીર ટિપ્પણી કરી હતી અને તેને પગલે દેશભરમાં વિરોધ થયો હતો.

દલિતો અને આદિવાસીઓએ દેશભરમાં આ કાયદાનો હાર્દ મરી જશે અને અત્યાચારો વધશે એવો ભય વ્યક્ત કર્યો હતો અને ભારતમાં બંધનું એલાન આપ્યું હતું.

દેશભરમાં વિરોધને પગલે સરકારે આ કેસમાં રિવ્યૂ પિટિશન દાખલ કરી સુપ્રીમ કોર્ટને નિર્ણયની ફેરવિચારણા કરવાનું કહ્યું હતું.

શું હતો બે જજની બેન્ચનો આદેશ?

1. કોર્ટે તેના આદેશમાં ઠેરવ્યું કે જો કોઈ શખ્સ સામે આ કાયદા હેઠળ કેસ દાખલ થાય તો સાત દિવસની અંદર શરૂઆતી તપાસ પૂર્ણ કરી લેવી.

2. કોર્ટે ઠેરવ્યું કે પ્રારંભિક તપાસ હોય કે હોય કે કેસ નોંધાઈ ચૂક્યો હોય, આરોપીની ધરપકડ કરવી જરૂરી નથી.

3. જો આરોપી સરકારી કર્મચારી હોય તો તેની ધરપકડ કરવા માટે તેને નિયુક્ત કરનારા અધિકારીની સહમતિ લેવાની રહેશે.

4. જો આરોપી સરકારી અધિકારી ન હોય તો તેની ધરપકડ કરવા માટે એસએસપીની સહમતિ લેવી રહેશે.

5. એસસી/એસટી એક્ટની સૅક્શન પ્રમાણે, આગોતરા જામીન મળી ન શકે, પરંતુ સર્વોચ્ચ અદાલતે આગોતરા જામીન માગવાની છૂટ આપી.

આ સિવાય પણ અનેક ટિપ્પણીઓ સર્વોચ્ચ અદાલતના બે જજની બેન્ચે કરી હતી.

હવે શું?

સુપ્રીમ કોર્ટે રિવ્યૂમાં આંશિક રાહત આપી છે. તમામ અલવોકનો રદ નથી કર્યા.

સુપ્રીમ કોર્ટે ફરિયાદ દાખલ કરતાં અગાઉ સાત દિવસમાં તપાસ પૂર્ણ કરવાની વાત કાઢી નાખી છે. વળી, સરકારી કર્મચારી હોય કે અન્ય, આરોપીની ધરપકડ કરતાં અગાઉ પૂર્વાનુમતિ લેવાની વાત પણ કાઢી નાખી છે.

એટલે અત્યાચારના કેસમાં તરત ફરિયાદ થઈ શકશે અને ધરપકડ પણ થઈ શકશે.

ત્રણ જજનોની બેન્ચે અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોનો સમાનતા માટેનો સંઘર્ષ હજી પૂરો નથી થયો તે વાત પર ભાર આપીને કહ્યું કે SC/ST સમુદાયના લોકો હજી પણ અસ્પૃશ્યતા, અપમાન અને સામાજિક બહિષ્કારનો ભોગ બને છે.

જજ અરુણ મિશ્રા, એમ.આર. શાહ અને બી.આર. ગવઈએ નોંધ્યું કે 2018નો ચુકાદો ભારતીય બંઘારણના હાર્દની વિરુદ્ધ હતો.

સુ્પ્રીમ કોર્ટે રિવ્યૂ પિટિશનનો આંશિક સ્વીકાર કર્યો છે. 2018ના ચુકાદામાં કહેવાયેલી અન્ય પેચીદી બાબતો વિશે અદાલત હવે આગળ માર્ગદર્શન આપશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો