You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહાગુજરાત આંદોલન : જ્યારે અલગ ગુજરાતની માગણી માટે વિદ્યાર્થીઓ રસ્તા પર ઊતર્યા
આઠ ઑગસ્ટ, ઐતિહાસિક મહાગુજરાત આંદોલનના શહીદ દિવસ તરીકે ઓળખાય છે.
ત્યારે તત્કાલીન બૉમ્બે સ્ટેટ (પ્રૉવિન્સ)નો ભાગ રહેલા ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો અપાવવા ૧૯૫૬ થી ૧૯૬૦ સુધી ચાલેલાં મહાગુજરાત આંદોલનમાં અનેક લોકો શહીદ થયા હતા.
મહાગુજરાત આંદોલનમાં મૃત્યુ પામેલા લોકોની યાદમાં અમદાવાદના લાલદરવાજા ખાતે આંદોલનના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકના નેતૃત્વમાં શહીદ સ્મારક બનાવવાની માગણી સાથે લગભગ એક વર્ષ સુધી સત્યાગ્રહ ચાલ્યો હતો.
ભારતની આઝાદીની લડત બાદ 'મહાગુજરાત આંદોલન' એ ગુજરાતી પ્રજાનું સૌથી મોટું આંદોલન ગણાય છે.
મહાગુજરાત આંદોલન વખતે ગુજરાતના લોકો હડતાળો, વિદ્યાર્થીઓનાં દેખાવો, જંગી સરઘસો, પોલીસનો ગોળીબાર, વિદ્યાર્થીઓનાં મૃત્યુ અને ગુજરાતી ભાષી વિસ્તારોમાં અરાજકતાના સાક્ષી બન્યા હતા.
દેશમાં જ્યારે બ્રિટિશ શાસન હતું ત્યારે ભારતનો પશ્ચિમ ભાગ બોમ્બે પ્રેસિડન્સીમાં ગણાતો હતો.
તેમાં ગુજરાતી ભાષી વિસ્તારનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.
6 ઑગસ્ટ, 1956ના દિવસે દ્વિભાષી મુંબઈ રાજ્યની ઘોષણા કરાઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો ન મળતાં પ્રજાને આંચકો લાગ્યો.
આથી 7 ઑગસ્ટ, 1956ના રોજ કેટલાક વિદ્યાર્થીઓ કૉંગ્રેસના મંત્રી ઠાકોરભાઈ દેસાઈને મળ્યા.
મળવા ગયેલા વિદ્યાર્થીઓને ઠાકોરભાઈ તરફથી સંતોષકારક જવાબ ન મળતાં હડતાળનું એલાન આપ્યું.
અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાંથી જંગી સરઘસ નીકળ્યું અને 'લે કે રહેંગે મહાગુજરાત'નો નારો બુલંદ બન્યો.
8 ઑગસ્ટ, 1956ના રોજ અમદાવાદમાં ભદ્ર ખાતે કૉંગ્રેસ ભવનની બહાર વિદ્યાર્થીઓએ દેખાવો કર્યા.
મહિલાઓએ પણ આગળ વધીને આંદોલનમાં ભાગ લીધો હતો અને કેટલીક મહિલાઓએ ધરપકડ વ્હોરી હતી.
19 સપ્ટેમ્બર, 1968
પોલીસે અંધાધૂંધ ગોળીબાર કર્યો અને એમાં પાંચ વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં.
ત્યાર બાદ ગુજરાતમાં અરાજકતા ફેલાઈ અને અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં દેખાવો અને તોફાનો થયાં.
મહાગુજરાત આંદોલનમાં કુલ 24 યુવાનો શહીદ થયા.
9 સપ્ટેમ્બર, 1956ના રોજ અમદાવાદના ખાડિયામાં એક સભામાં ઇન્દુલાલ યાજ્ઞિક મહાગુજરાત જનતા પરિષદના પ્રમુખ નીમાયા.
ઇન્દુલાલ યાજ્ઞિકે મહાગુજરાત આંદોલનનું નેતૃત્વ લેતા કાર્યકરોમાં નવી ચેતના જાગી.
આંદોલન દરમિયાન 1957માં ચૂંટણી આવી અને મહાગુજરાત જનતા પરિષદે પણ ઝંપલાવ્યું.
ઇન્દુલાલ યાજ્ઞિક સહિત 5 ઉમેદવારો લોકસભામાં ચૂંટાયાં.
6 ડિસેમ્બર, 1959ના રોજ દિલ્હીમાં વિભાજનના પ્રશ્નના નિકાલ માટે કૉંગ્રેસ હાઇકમાન્ડની બેઠક મળી.
બેઠકના બીજા જ દિવસે મુંબઈ રાજ્યના વિભાજન માટેની દરખાસ્તને મંજૂરી આપી દેવાઈ.
આખરે 1 મે 1960ના મુંબઇ રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે નવા રાજ્યો બન્યાં.
રવિશંકર મહારાજના હસ્તે અમદાવાદના સાબરમતી આશ્રમમાં નવા રાજ્યની સ્થાપના થઈ.
મહાગુજરાત આંદોલનમાં જીવ ગુમાવનાર લોકોની યાદમાં અમદાવાદમાં શહીદ સ્મારક બનાવવા માટે પણ સત્યાગ્રહ ચાલ્યો હતો. આ સ્મારકનું ઉદ્ઘાટન 19 સપ્ટેમ્બર, 1968ના દિવસે કરવામાં આવ્યું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો