'દંગલ ગર્લ' ઝાયરાની ફિલ્મી દુનિયાને અલવિદા, કહ્યું ધર્મ માટે નિર્ણય લઈ રહી છે

ફિલ્મ 'દંગલ' અને 'સિક્રેટ સુપરસ્ટાર' જેવી ફિલ્મોથી ચર્ચામાં આવનાર બાળકલાકાર ઝાયરા વસીમે બોલીવૂડને અલવિદા કહી દીધું છે.

ફેસબુકમાં લખેલી એક લાંબી પોસ્ટમાં તેણે કહ્યું કે તે પોતાના ધર્મ અને અલ્લાહ માટે તેઓ આ નિર્ણય લઈ રહ્યાં છે. ઝાયરાએ કહ્યું કે ફિલ્મોમાં કામ કરવાને કારણે તેઓ પોતાના ધર્મથી ભટકી ગયાં હતાં.

ઝાયરાની પોસ્ટના મહત્ત્વના અંશો

પાંચ વર્ષ પહેલાં મેં એક નિર્ણય કર્યો હતો, જેણે કાયમ માટે મારું જીવન બદલી નાખ્યું. મેં બોલીવૂડમાં પગ મૂક્યો અને મારા માટે લોકપ્રિયતાના દરવાજા ખૂલ્યા.

હું લોકોનું ધ્યાનકેન્દ્ર બનવા લાગી. મને સફળતાની મિસાલ તરીકે રજૂ કરવામાં આવી અને મોટા ભાગે યુવા માટે રોલમૉડલ દર્શાવવામાં આવી.

પરંતુ હું ક્યારેય એવું કરવા માગતી નહોતી અને ન તો એવી બનતા માગતી હતી. ખાસ કરીને સફળતા-નિષ્ફળતાને લઈને મારા વિચારો આવા નહોતા અને એ વિશે તો મેં હજુ વિચારવા-સમજવાનું શરૂ જ કર્યું હતું.

આજે બોલીવૂડમાં જ્યારે મેં પાંચ વર્ષ પૂરાં કર્યાં છે ત્યારે હું એ સ્વીકારું છું કે આ ઓળખથી એટલે કે પોતાના કામથી ખુશ નથી. લાંબા સમયથી હું એ અનુભવી રહી છું કે મેં કંઈક બીજું બનવા માટે સંઘર્ષ કર્યો છે.

હવે મેં એવી ચીજોને શોધવા-સમજવાનું શરૂ કર્યું છે જેના માટે મારો સમય, પ્રયત્ન અને ભાવના સમર્પિત છે. આ નવી લાઇફસ્ટાઇલને સમજી તો મને લાગ્યું કે હું ભલે તેમાં ફિટ બેસતી હોઉ પણ હું એના માટે નથી બની.

આ ક્ષેત્રે મને ઘણો પ્રેમ, સહયોગ અને વખાણ આપ્યાં છે, પરંતુ મને ગુમરાહ પણ કરી છે. હું શાંતિથી અને અજાણતાં પોતાના ઈમાન (શ્રદ્ધા)થી બહાર આવી ગઈ.

હું એવા માહોલમાં કામ કરતી રહી જેણે સતત મારી ઈમાનદારીમાં દખલ કરી. મારા ધર્મ સાથે મારો સંબંધ પણ ખતરામાં આવી ગયો.

હું નજરઅંદાજ કરીને આગળ વધતી રહી અને પોતાના આશ્વસ્ત કરતી રહી કે હું જે કરી રહી છું એ યોગ્ય છે અને તેનો મને કોઈ ફરક નથી પડી રહ્યો. મેં મારા જીવનમાંથી બધી બરકત ખોઈ નાખી.

બરકત એક એવો શબ્દ છે જેનો અર્થ માત્ર ખુશી કે આશીર્વાદ સુધી સીમિત નથી, પરંતુ આ સ્થિરતાના વિચાર પર કેન્દ્રીત છે અને તેને લઈને હું સંઘર્ષ કરી રહી છું.

હું સતત સંઘર્ષ કરતી હતી કે મારો આત્મા મારા વિચારો અને સ્વાભાવિક સમજ સાથે મેળાપ કરી લે અને પ્રામાણિકતાની સ્થિર તસવીર બનાવી લઉં. પણ હું તેમાં નિષ્ફળ રહી. એક વાર નહીં પણ સેંકડો વાર.

પોતાના નિર્ણયોને મજબૂત કરવા માટે મારી લાખ કોશિશ છતાં હું એ જ બની રહી જે હું છું અને હંમેશાં પોતાને કહેતી રહી કે ઝડપથી જાતને બદલી નાખીશ.

હું સતત ટાળતી રહી અને પોતાના આત્માને એ વિચારમાં ફસાવતી રહી કે હું જાણું છું કે જે હું કરી રહી છું એ યોગ્ય નથી લાગતું. પરંતુ એક દિવસ જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે હું રોક લગાવી દઈશ.

આવું કરીને હું સતત પોતાને કમજોર સ્થિતિમાં રાખતી, જ્યાં મારી શાંતિ, મારી શ્રદ્ધા અને અલ્લાહ સાથેના મારા સંબંધને નુકસાન થનાર માહોલનો શિકાર બનવું આસાન હતું.

'કુરાનના મહાન અને અલૌકિક જ્ઞાનથી મને શાંતિ મળી'

હું ચીજોને જોતી રહી અને પોતાની ધારણાઓને મારી ઇચ્છા પ્રમાણે બદલતી રહી. એવું સમજ્યા વિના કે એને એ રીતે જોવું જોઈએ જેવું તે છે.

હું બચીને ભાગવાની કોશિશ કરતી અને આખરે બંધ રસ્તે પહોંચી જતી. આ અંતહીન સિલસિલામાં હું કશુંક ખોઈ રહી હતી અને જે મને સતત પીડા આપતું હતું. જેને હું સમજી નહોતી શકતી કે ન તો સંતુષ્ટ હતી.

જ્યાં સુધી પોતાના દિલને અલ્લાહના શબ્દો સાથે જોડીને પોતાની નબળાઈઓ સામે લડવાનો અને પોતાની અજ્ઞાનતાને યોગ્ય કરવાનો નિર્ણય ન લીધો ત્યાં સુધી આવું ચાલ્યું.

કુરાનના મહાન અને અલૌકિક જ્ઞાનથી મને શાંતિ અને સંતોષ મળ્યાં. વાસ્તવમાં દિલને શાંતિ ત્યારે જ મળે જ્યારે માણસ પોતાના ઈશ્વર વિશે, એના ગુણો, એની દયા અને એના આદેશ વિશે જાણતો હોય.

મેં પોતાની આસ્તિકતાને વધુ મહત્ત્વ આપવાની જગ્યાએ મદદ અને માર્ગદર્શન માટે અલ્લાહની દયા પર વધુ ભરોસો કરવાનું શરૂ કર્યું.

મેં જાણ્યું કે મારા ધર્મના મૂળ સિદ્ધાંતો વિશેનું મારું ઓછું જ્ઞાન અને બદલાવ લાવવાની મારી અસમર્થતા, હકીકતમાં તો શાંતિ અને ખુશીની જગ્યાએ પોતાની (દુન્યવી અને ખોખલી) ઇચ્છાઓને વધારવા અને સંતુષ્ટ કરવાનું પરિણામ હતું.

'આપણી ઇચ્છાઓ આપણી નૈતિકતાનું પ્રતિબિંબ છે'

મારું દિલ શંકા અને ભૂલ કરવાની જે બીમારીથી પીડિત હતું એને મેં ઓળખી લીધું હતું. આપણા દિલ પર બે બીમારી હુમલો કરે છે. 'સંદેહ અને ભૂલો' અને બીજી 'હવસ અને કામનાઓ'. આ બંનોનો કુરાનમાં ઉલ્લેખ છે.

અલ્લાહ કહે છે, 'તેમના દિલમાં એક બીમારી છે (સંદેહ અને પાખંડની) જેને મેં આગળ વધારી છે.' મને અહેસાસ થયો કે તેનો ઇલાજ માત્ર અલ્લાહની શરણમાં છે અને વાસ્તવમાં જ્યારે હું રસ્તો ભૂલી ગઈ તો અલ્લાહે મને રાહ બતાવ્યો.

કુરાન અને પયંબરનું માર્ગદર્શન મારા નિર્ણય અને તર્ક માટેનું કારણ બન્યા અને જિંદગી વિશેની દૃષ્ટિ અને અર્થ બદલાઈ ગયા.

આપણી ઇચ્છાઓ આપણી નૈતિકતાનું પ્રતિબિંબ છે. આપણાં મૂલ્યો આપણી આંતરિક પવિત્રતાનું બહારનું રૂપ છે.

આ રીતે કુરાન અને સુન્નત સાથે આપણો સંબંધ, અલ્લાહ અને ધર્મ સાથે આપણો સંબંધ અને આપણી ઇચ્છાઓ, મકસદ અને જિંદગીના અર્થને પરિભાષિત કરે છે.

મેં સફળતાને લઈને પોતાના વિચાર, પોતાની જિંદગીનો અર્થ અને મકસદના ઊંડા સ્રોતને લઈને સાવધાનીપૂર્વક સવાલ કર્યા. સોર્સ કૉડ જેણે મારી ધારણાઓને પ્રભાવિત કરી, એ અલગ રીતે વિકસિત થયો.

'આપણને શા માટે બનાવ્યા એનો હેતુ સમજવો એ સફળતા'

સફળતાનો આપણા પક્ષપાત, ભ્રમ, પારંપરિક અને ખોખલા જીવનમૂલ્યો સાથે સહસંબંધ નથી. આપણને શા માટે બનાવ્યા એનો હેતુ સમજવો એ સફળતા છે.

આપણે આપણા આત્માને દગો આપીને ગુમરાહ થઈએ છીએ અને આ ભૂલી જઈએ છીએ કે આપણને કેમ બનાવ્યા છે.

આ યાત્રા થાકભરી રહી, લાંબા સમયથી હું પોતાના આત્માથી લડતી રહી. જિંદગી બહુ નાની છે, પરંતુ પોતાની સાથે લડવા માટે લાંબી પણ છે.

આથી આજે હું મારા આ નિર્ણય પર પહોંચી અને સત્તાવાર રીતે આ ક્ષેત્રથી અલગ થવાની ઘોષણા કરું છું.

યાત્રાની સફળતા તમારા પહેલા પગલા પર નિર્ભર છે. મારું સાર્વજનિક રીતે આવું કરવું એ મારી પવિત્ર છબિ બનાવવી નથી, પરંતુ હું એક નવી શરૂઆત કરવા માગું છું અને તે માટે હું ઓછામાં ઓછું આટલું તો કરી શકું છું.

પોતાની ઇચ્છાઓ સામે સમર્પણ ન કરો, કેમ કે ઇચ્છાઓ અનંત છે. તમે જે કંઈ મેળવ્યું છે હંમેશાં એનાથી બહાર નીકળો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો