You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોદી-ખાન નિવેદનો : 'જો મુસલમાન ગટરમાં પડ્યા રહેવા માગતા હોય તો...'
સંસદમાં રાષ્ટ્રપતિના ભાષણ અંગેના આભારદર્શક પ્રસ્તાવને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રજૂ કર્યો હતો. દરમિયાન તેમણે શાહ-બાનો પ્રકરણનો ઉલ્લેખ કરતા કૉંગ્રેસ ઉપર નિશાન સાધ્યું હતું. તેમણે કૉંગ્રેસના એક દિગ્ગજ નેતાનું ચર્ચિત નિવેદન પણ વાચી સંભળાવ્યું હતું.
મોદીએ તેમના ભાષણમાં કહ્યું કે કૉંગ્રેસના એ નેતાએ કહ્યું હતું કે 'મુસલમાનોના ઉત્થાનની જવાબદારી કૉંગ્રેસની નથી. જો તેમણે ગટરમાં પડ્યા રહેવું છે, તો રહે.'
આ નિવેદન કૉંગ્રેસના કયા નેતાએ આપ્યું હતું, એ વિશે મોદીએ તેમના ભાષણમાં કોઈ ફોડ પાડ્યો ન હતો. જ્યારે કૉંગ્રેસી સંસદસભ્યોએ આ અંગે પૂછ્યું, ત્યારે મોદીએ યૂટ્યૂબ લિંક મોકલવાની વાત કહી.
ભાજપના આઈટી સેલે કૉંગ્રેસના નેતા આરિફ મોહમ્મદ ખાનના ઇન્ટર્વ્યૂનો એ ટુકડો સોશિયલ મીડિયા ઉપર મૂક્યો હતો, જે વાઇરલ થયો હતો.
ચર્ચામાં આરિફ મોહમ્મદ ખાન
મોદીના નિવેદન બાદ રાજીવ ગાંધી સરકારમાં પ્રધાન રહી ચૂકેલા આરિફ મોહમ્મદ ખાન ચર્ચામાં આવ્યા. ન્યૂઝ એજન્સી એએનઆઈને આપેલા ઇન્ટર્વ્યૂમાં મોહમ્મદ ખાને કહ્યું:
"છ-સાત વર્ષ પૂર્વે એક ટીવી ઇન્ટરવ્યૂ દરમિયાન મને પૂછવામાં આવ્યું હતું કે (શાહબાનો પ્રકરણને મુદ્દે) રાજીનામું આપ્યું, તે પછી રાજીનામું પરત ખેંચવા માટે તેમની ઉપર દબાણ કરવામાં આવ્યું હતું."
"મેં જણાવ્યું હતું કે રાજીનામું આપીને હું ઘરે પરત આવી ગયો હતો."
ખાનનું કહેવું છે કે બીજા દિવસે સંસદમાં અર્જુનસિંહે તેમને કહ્યું, 'તમે જે કંઈ કર્યું, તે સૈદ્ધાંતિક દૃષ્ટિએ સાચું છે, પરંતુ તેનાથી પાર્ટીની મુશ્કેલીઓ વધશે.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાવને ટાંકતા ખાન કહે છે, 'તેમણે મને કહ્યું કે તું (ખાન) બહુ જિદ્દી છો. હવે તો શાહ બાનોએ પણ તેનું વલણ બદલી નાખ્યું છે.'
વડા પ્રધાન દ્વારા તેમના નિવેદનના ઉલ્લેખ અંગે ખાને કહ્યું:
"વડા પ્રધાને મારા ઇન્ટરવ્યૂનો ઉલ્લેખ કરીને એવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે સમાજનો એક તબક્કો ક્યાર સુધી સત્તારૂઢ પાર્ટીને છેતરવાનો અધિકાર આપતો રહેશે."
શું છે એ ઇન્ટરવ્યૂમાં?
મોદીએ જે ઇન્ટરવ્યૂનો ઉલ્લેખ કર્યો, તેમાં આરિફ મોહમ્મદ ખાને દાવો કર્યો હતો : "નરસિહ્મા રાવે મને કહ્યું હતું કે મુસલમાન આપણને વોટ કરે છે."
"આપણે તેમને શા માટે નારાજ કરવા જોઈએ? આપણે સમાજસુધારક નથી. આપણે પોલિટિક્સના વ્યવસાયમાં છીએ અને જો ગટરમાં પડ્યા રહેવા માગતા હોય તો પડી રહેવા દો."
અનેક વેબસાઇટ્સે આરિફ મોહમ્મદ ખાનના એ ઇન્ટરવ્યૂના અમુક ભાગને સોશિયલ મીડિયા ઉપર મૂક્યો હતો. જેમાં ખાન દાવો કરે છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદાને બદલવા માટે તેમની ઉપર દબાણ લાવવામાં આવ્યું હતું.
ખાનના કહેવા પ્રમાણે, દબાણ ઊભું કરનારા નેતાઓમાં પી. વી. નરસિહ્મારાવ, અર્જુનસિંહ અને એન. ડી. તિવારી જેવા નેતાઓ સામેલ હતા. જેઓ એ સમયે સરકારમાં પ્રધાન પણ હતા.
સમગ્ર વિવાદ બાદ ભાજપે મુખ્ય વિપક્ષ કૉંગ્રેસ સામે આક્રમક વલણ અખત્યાર કર્યું હતું.
ભાજપ આઈટી સેલના વડા અમિત માલવીયએ વડા પ્રધાનના નિવેદન તથા મોહમ્મદ ખાનના ઇન્ટરવ્યૂના બે ભાગને જોડીને એક ટ્વીટ કર્યું હતું.
મોદીએ આરોપ મૂક્યો હતો કે અનેક વર્ષ સુધી સત્તા ઉપર રહેવા છતાંય યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની તક ગુમાવી દીધી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો