'સંઘ કાલથી ચૂંટણીની તૈયારીઓ કરશે, વિપક્ષ...?' -દૃષ્ટિકોણ

    • લેેખક, પ્રોફેસર જ્યોતિર્મય શર્મા
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ભારતીય જનતા પક્ષના રાજકારણમાં હિંદુત્વ પ્રભાવશાળી ફૅક્ટર રહ્યું છે, પરંતુ હવે આપણે એ સ્વીકારવું પડશે કે આપણે આ દેશને સમજવામાં સક્ષમ નથી.

આપણે કહીએ છીએ કે ગઠબંધનની અસર છે અને કૉંગ્રેસ ગઠબંધન કરવામાં નિષ્ફળ રહી છે.

આ થોડા અપરિપક્વ જવાબ છે. આ દેશ ખૂબ જ વિશાળ છે. જ્યાં નાનાં-નાનાં ગામ છે, ત્યાં સુધી કે શહેરોને પણ આપણે સમજી શકતાં નથી.

શા માટે સમજી શકતાં નથી?

એક બાજુ તમે કહી શકો કે મોદીની જીત છે, તો બીજી તરફ વિપક્ષની ભયાનક હાર પણ છે. આપણે એ કળવું પડશે કે દેશ શું ઇચ્છે છે?

દરેક ચીજનો સીધો તર્ક છે. જે તર્ક આપણા મગજમાં છે તે બંધબેસતો નથી, આપણે જબરદસ્તીથી તેને ફિટ કરવા ઇચ્છીએ છીએ.

તર્ક એ છે કે આપણે ભારતીય એક શિષ્ટાચારમાં વિશ્વાસ રાખીએ છીએ. આપણે લાલચુ નથી. સહનશીલ છીએ. અહિંસાવાદી છીએ, પરંતુ સાચે આવું છે?

સંઘને કેટલી મજબૂતી મળશે?

આપણો વિપક્ષ એ વિદ્યાર્થીની જેવો છે જે માત્ર પરીક્ષા પહેલાં જ વાંચવાનું શરૂ કરે છે, પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસ કાલથી જ આગળની પરીક્ષા વિશે વાંચવાનું શરૂ કરી દેશે.

સંઘે કૉંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીને એ તો કહ્યું નથી કે તમે તૈયારી ના કરો.

તેમના હાથ તો બંધાયેલા નથી, પરંતુ મુશ્કેલી એ છે કે આ પક્ષોમાં આંતરિક તોફાન આવે એ જરૂરી છે, તેમણે વિચારવું રહ્યું કે હંમેશાં આરએસએસ પર દોષનો ટોપલો ઢોળવાથી નહીં ચાલે.

હિંદુત્વ : શક્તિશાળી માન્યતા

સંઘ કાલથી તૈયારીઓ શરૂ કરી દેશે અને 2024 માટે બેઠકો નક્કી કરી દેવામાં આવશે, પરંતુ વિપક્ષના લોકો શોધશે કે કોના પર આરોપ મૂકી શકાય અને કયાં કારણોસર આવું થયું છે.

હવે રાજનીતિનો દૃષ્ટિકોણ બદલવો પડશે, નહીં તો આપણે માત્ર કારણો શોધતાં રહીશું. માત્ર એ શોધતાં રહીશું કે કોના કારણે આ થયું છે.

કોણ કહે છે કે તમે હિંદુત્વ જેવી એક કાઉન્ટર માન્યતા ના ઊભી કરો? હિંદુત્વ એક શક્તિશાળી માન્યતા છે, પરંતુ તેનો અસરકારક જવાબ શોધવો એ વિપક્ષનું કામ છે.

તેના વિરુદ્ધનો વિચાર શું હશે? તેવું વિચારનારા લોકો પણ જોઈએ. એવા લોકો જોઈએ જે દેશની વાસ્તવિકતાને જાણતા હોય.

આ માટે તમામ રાજકીય પક્ષો અને વિપક્ષની જવાબદારી હશે કે તેઓ લોકોને સમજે, જનમાનસને જોવું પડશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો