વારાણસી : 80 મુસ્લિમ ઘરોમાં હિંદુ મંદિર મળવાનું સત્ય - ફૅક્ટ ચેક

    • લેેખક, ફૅક્ટ ચેક ટીમ
    • પદ, બીબીસી ન્યૂઝ

સોશિયલ મીડિયા પર ઘણી પ્રાચીન ઇમારતો વિધ્વંસ કરાતી હોવાનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મહત્ત્વાકાંક્ષી કાશી- વિશ્વનાથ કૉરિડૉર પ્રોજેક્ટ માટે મુસ્લિમોનાં 80 ઘર તોડી પડાયાં છે.

વીડિયો સાથે જે કૅપ્શન આપવામાં આવ્યું છે તેમાં લખવામાં આવ્યું છે કે, "કાશી વિશ્વનાથ મંદિરથી ગંગા નદી સુધીનો રસ્તો વધારે પહોળો કરવા માટે મોદી સરકારે રસ્તામાં આવતાં મુસ્લિમોનાં 80 ઘરોને ખરીદી લીધાં છે, જ્યારે સાફ-સફાઈ કરવાનું શરૂ કર્યું તો આ ઘરોની અંદરથી 45 જૂનાં મંદિરો મળી આવ્યાં છે."

કાશી વિશ્વનાથ કૉરિડૉર પ્રોજેક્ટ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાવવામાં આવે છે.

આ પરિયોજના અંતર્ગત સરકાર ઇચ્છે છે કે ગંગા નદીના કિનારે સ્થિત લલિતા ઘાટથી માંડીને કાશી વિશ્વનાથ મંદિર સુધી પહોંચવાનો માર્ગ પહોળો કરી તેને સ્વચ્છ અને સુંદર બનાવવામાં આવે કે જેથી કરીને ત્યાં દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓને સુવિધા મળી રહે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 8 માર્ચ, 2019ના રોજ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં આ પરિયોજનાનો શિલાન્યાસ કર્યો હતો.

પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં આ પરિયોજના સાથે જોડીને એક વીડિયો સોશિયલ મીડિયા પર સેંકડો વખત શૅર કરવામાં આવ્યો છે, જે વાસ્તવમાં ભ્રામક છે.

તમે આ વાંચ્યું કે નહીં?

દાવાની સત્યતા

કાશી વિશ્વનાથ મંદિર પરિસરના સૌંદર્યની યોજના પર કામ કરવા માટે સરકારે કાશી વિશ્વનાથ વિશિષ્ટ ક્ષેત્ર વિકાસ પરિષદનું ગઠન કર્યું છે.

આ પરિષદમાં ઉત્તર પ્રદેશના અધિકારી વિશાલ સિંહ મુખ્ય કાર્યપાલક અધિકારી એટલે કે CEOના પદ પર કાર્યરત છે.

મંદિર પરિસરના નિર્માણ માટે મુસ્લિમોનાં ઘર ખરીદવાં અને તેમાં હિંદુ મંદિરોની ખોજનો જે દાવો કરવામાં આવી રહ્યો છે, તે અંગે અમે વિશાલ સિંહ સાથે વાત કરી.

તેમણે બીબીસી સંવાદદાતા પ્રશાંત ચહલને જણાવ્યું કે આ દાવા બોગસ છે.

વિશાલ સિંહે કહ્યું, "આ પરિયોજના માટે અમે અત્યાર સુધી 249 મકાન ખરીદ્યાં છે, જેટલાં ઘર મંદિર પ્રશાસન દ્વારા ખરીદવામાં આવ્યાં છે, તેમાંથી એક પણ ઘરનો બીજા કોઈ ધર્મ સાથે સંબંધ નથી. બધાં ઘર ખરીદવામાં આવ્યાં છે, તે દરેક સનાતન ધર્મનાં હિંદુ ધર્માવલંબિયોનાં જ હતાં."

વિશાલ સિંહે કહ્યું કે, "જેટલાં મકાન અત્યાર સુધી ખરીદવામાં આવ્યાં છે તેમાંથી 183 મકાન તોડી પાડવામાં આવ્યાં છે. તૂટેલાં મકાનોમાં મળેલાં નાનાંમોટાં મંદિરોની સંખ્યા કુલ 23 છે."

બીબીસીનો ગ્રાઉન્ડ રિપોર્ટ

મંદિર પ્રશાસનના અનુસાર કાશી વિશ્વનાથ કૉરિડૉર યોજનાની મૂળ ભાવના એ છે કે ગંગા કિનારાથી વિશ્વનાથ મંદિર સ્પષ્ટ દેખાય.

અત્યારે શ્રદ્ધાળુઓ સાંકડી ગલીઓમાંથી પસાર થઈને મંદિર સુધી જાય છે. ભીડ હોવાના કારણે અહીં લાંબી લાઇન લાગે છે.

ગલીઓના કિનારે બનેલા ઊંચાં-ઊંચાં મકાનોના કારણે મંદિરનું શિખર પણ દેખાતું નથી.

તેના માટે સ્પષ્ટ છે કે જૂનાં ઘર અને ગલીઓને ખસેડવાં પડશે, પરંતુ સ્થાનિક લોકો એવું કરવા દેવા માગતા નથી.

ગત વર્ષે તેને લઈને બનારસમાં કેટલીક જગ્યાએ પ્રદર્શન પણ થયાં હતાં. તે સમયે બીબીસી સહયોગી સમીરાત્મજ મિશ્રએ વારાણસી જઈને સ્થાનિક લોકો સાથે વાત કરી હતી.

એ સમયે લોકોનું કહેવું હતું કે જૂની ગલીઓ જ બનારસની ઓળખ છે અને જો તેને ખતમ કરી દેવામાં આવે તો બનારસ જેવા પ્રાચીન શહેર અને બીજાં નવાં શહેરોમાં શું ફરક રહી જશે?

સમીરાત્મજ મિશ્ર જણાવે છે, "વારાણસીના જે વિસ્તારમાં મંદિરના સૌંદર્યીકરણનું કામ થઈ રહ્યું છે, તે મુખ્યરૂપે હિંદુ વસતી ધરાવતો વિસ્તાર છે. ત્યાં મુસ્લિમોનાં ઘર નથી."

"જ્યારે અમે આ પરિયોજના અંગે સ્થાનિક લોકો સાથે વાત કરી તો તેઓ ઘર તોડવા મામલે નારાજ છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો